Saturday, December 27, 2014

ફિલમની ચિલમ..... ડીસેમ્બર ૨૮, ૨૦૧૪


‘પીકે’ સામેની બિનજરુરી ઝુંબેશ એટલે

   
ધડાધડીવાળી ફિલ્મોના સમયમાં

ધડો લેવાની ફિલ્મનો ઘડો લાડવો કરવાનો કારસો?




‘પીકે’ જોયા પછી અમારા જેવા સામાન્ય પ્રેક્ષકને પહેલી લાગણી એ થાય કે  “હાશ, લાંબા વખતે ટોપ સ્ટાર્સ પૈકીના એકની એવી ફિલ્મ આવી જેમાં કોઇ મારામારી નહીં, કોઇ આઇટમ સોંગ નહીં અને હળવી શૈલીમાં સામાજિક સંદેશો અપાયો હોય!” એ રીતે મૂલવતાં ‘પીકે’ રાજુ હીરાણી, વિધુ વિનોદ ચોપ્રા તથા આમિરખાન કરતાં પણ વધુ તેમના લેખક અભિજાત જોશીની કલમનો સરસ કમાલ છે. ફિલ્મો બનાવતા સૌને લેખક અને લેખનનું, એટલે કે કથા, પટકથા, સંવાદ વગેરેનું, મહત્વ સમજાવવા માટે અભિજાત જોશીની ત્રણ જ કૃતિઓ ‘થ્રી ઇડિયટ્સ’, ‘લગે રહો મુન્નાભાઇ’ અને હવે ‘પીકે’ બતાવવી જોઇએ. આજના સમયમાં ગાંધીજીના આદર્શોને સિનેમાના પડદે ઉજાગર કરવાના એ કેવી મોટી ચેલેન્જ કહેવાય? છતાં ‘લગે રહો મુન્નાભાઇ’ જોઇને નવી પેઢીના પ્રેક્ષકો પણ હસતે હસતે ‘ગાંધીગીરી’થી વાકેફ થયા જ હતાને? 

અભિજાત જોશી


એવી જ રીતે ‘થ્રી ઇડિયટ્સ’માં આપણી શિક્ષણ પ્રથા જેવા ગંભીર વિષય અંગે કેવી ચોટદાર રજૂઆત કરાઇ હતી. અભિજાત જોશી અમદાવાદના કે ગુજરાતી હોવા કરતાં વધારે એ શિક્ષક છે, તેનું ગૌરવ કરવા જેવું છે. અભિજાત અત્યારે વિદેશમાં વસેલા કોલેજના પ્રાધ્યાપક છે. તેથી ‘પીકે’ જેવા ચેલેન્જીંગ વિષયને પણ તેમણે રસપ્રદ રીતે આલેખ્યો છે.  તેનું પરિણામ એ કે ‘પીકે’એ ધારણા મુજબ જ પ્રથમ સપ્તાહમાં જ ૧૫૦ કરોડ ઉપરાંતનો વકરો ભારતમાં અને રેકોર્ડ પચાસેક કરોડ દરિયાપારના દેશો (સાદી ભાષામાં કહીએ તો, ‘ઓવરસીઝ કન્ટ્રીઝ’!)માંથી એકત્ર કરી લીધા છે. પણ આજે બોક્સઓફિસ પર મળેલા અદભૂત આવકાર કરતાં વાત કરવી છે, તેની થીમ અને તેના પ્રસ્તુતિકરણ અંગેના વિવાદો ઉભા થયા છે તેની.  

 
હકીકત તો એ છે કે ફિલ્મની વાર્તા-વસ્તુને ધર્મના ચશ્માથી જોવાથી (અથવા વધારે ભયજનક તો એ કે, તે રીતે ‘બતાવવાથી’!) કોઇપણ ફિલ્મમાં વાંધા નીકળી શકે. ‘દીવાર’માં અમિતાભ બચ્ચન મંદિરમાં જઈને ભગવાન સાથે ઝગડો કરે (ખુશ તો બહોત હોગે આજ તુમ..) ત્યારે મહાદેવજીના ભક્તો ‘બૉયકૉટ દીવાર’ કેમ્પેઇન એવા કારણસર ચલાવે કે શા માટે શંકર ભગવાન બતાવાયા અને અન્ય દેવી-દેવતા કેમ નહીં? કે પછી અન્ય કોઇ ધર્મ શાથી નહી? અથવા હિન્દુ ધર્મના ભગવાન શાથી બતાવ્યા? તો? હકીકતમાં, તો ‘પીકે’ને સમજીને જોનારાઓ જાણે છે એમ આ પિક્ચર કોઇ ધર્મની વિરુધ્ધ નહીં પણ વધારે તો તમામ પ્રકારની ધાર્મિકતા સામે જાગૃતિનો સંન્નિષ્ઠ અને જેન્ટલ પ્રયાસ છે. તેથી ‘પીકે’ નાસ્તિકો અને રેશ્નાલિસ્ટોની દલીલોની ફિલ્મ છે. (‘પીકે’ જોઇ ન હોય તેમણે આગળ  ના વાંચવું...... સ્પોઇલર્સ હોઇ શકે છે... ફિલ્મ જોવાની મઝા બગડી શકે છે.)

‘પીકે’માંની આ દલીલોમાં કેટલી બધી સચ્ચાઇ છે, એ તો વિચારો? જો ભગવાન એક જ હોય તો તેમના ધર્મના પાલનમાં આટલા બધા પરસ્પર વિરોધી ફરક શાથી? જો મંદિરમાં ચંપલ-બુટ કાઢીને જવું પડે તો ચર્ચમાં બુટ પહેરીને જવાનું. હિન્દુઓ માટે ગાય પવિત્ર તો મુસ્લિમ-ક્રિશ્ચયન તેનું માંસ (બીફ) ખાય શાથી? એકમાં દારૂનો નિષેધ તો બીજામાં મેરેજ હોય કે મૃત્યુ શરાબ પીવાની પ્રથા હોય. આવી દલીલોથી પુરવાર તો એ જ થાય છે કે ભગવાન અને ભક્તની વચ્ચેના ધર્મના સંચાલકોએ ઘડેલા નિયમોને લીધે પરગ્રહથી આવેલા ઍલિયનને એ બધું ગુંચવાડાભર્યું લાગે છે. ‘ઍલિયન’ એટલે અગાઉ ‘જાદુ’ના નામે રિતિક રોશને ‘કોઇ મિલ ગયા’માં ઝલક દેખાડી હતી એવો પરગ્રહવાસી. પરંતુ, એ એક મનોરંજક ફિલ્મ હતી. જ્યારે ‘પીકે’માં આમિર એક એવો પરગ્રહવાસી છે જે પૃથ્વી પરના ધાર્મિક ભેદભાવથી અજાણ વ્યક્તિ હોય અને તે પ્રવર્તમાન ધાર્મિકતાઓને કઈ નજરે જુએ એવો ગંભીર કન્સેપ્ટ છે.

આટલો ગંભીર મુદ્દો લોકોને ના હચમચાવે તો જ આશ્ચર્ય થાય! ફિલ્મ હિન્દુ ધર્મને ખરાબ ચિતરનારી છે એમ કહીને ‘બૉયકૉટ પીકે’ની ઝુંબેશ ચલાવનારાઓને શું જાણ નહીં હોય કે ‘પીકે’ના સર્જન સાથે સંકળાયેલા નિર્માતા વિધુ વિનોદ ચોપ્રા, દિગ્દર્શક રાજુ હીરાણી અને લેખક અભિજાત જોશી એ ત્રણેય મુખ્ય સ્તંભો હિન્દુ છે? છતાં આખો કેમ્પેઇન સોશ્યલ મિડિયામાં વાંચો તો સવાલો પિક્ચરના હીરો આમિરખાનને જ પૂછાય છે! જાણે કે એ નિર્માતા, દિગ્દર્શક કે લેખક હોય! આખી વાતમાં આમિરને કેન્દ્રમાં રખાય અને ચર્ચાને એવો ટોન અપાય કે આમિર મુસ્લિમ છે માટે હિન્દુ ધર્મને બદનામ કરવા માટે આમ કરે છે, તેમાં બીજી વાસ આવે છે. ચર્ચાના મુદ્દા કેવા હોય છે?  આમિરે ઇસ્લામ વિશે કે ક્રિશ્ચિયાનિટી અંગે આમ કેમ ના કહ્યું? શા માટે આમિરે અમુક દેવતાને આ રીતે પ્રસ્તુત કર્યા? પ્રેક્ષક તરીકે આપણી કોમેન્ટ્સ આમિરની એક્ટીંગ માટે જ ના હોવી જોઇએ? કેટલા દર્શકોએ ધ્યાન આપ્યું હશે કે મોટાભાગની ફિલ્મમાં ઍલિયન તરીકે આમિરે આંખનું મટકું પણ માર્યું નથી! છતાં ફિલ્મ વિરુધ્ધની ઝુંબેશમાં ટાર્ગેટ આમિર જ છે એ પાછળ સ્ટાર્સની સ્પર્ધા જેવું બીજું કાંઈ તો જવાબદાર નહીં હોયને? 



શું કોઇ હરીફ એક્ટરનો સ્પોન્સર કરેલો આ કેમ્પેઇન હશે? બાકી જેના ઉપરથી આ પિક્ચર બન્યાનું કહેવાય છે એ ‘ઓએમજી- ઓહ માય ગોડ’માં તો માત્ર હિન્દુ ધર્મની જ વાત હતી. ‘પીકે’ના નિર્માણ દરમિયાન ‘ઓહ માય ગોડ’ના દિગ્દર્શક ઉમેશ શુક્લાને પિક્ચર બનાવવાનું બંધ રાખવા ૮ કરોડની ઓફર ચોપ્રા લોકોએ કરી હોવાની વાત પણ ત્યારે બજારમાં ફરતી  હતી. પરંતુ, એવું કશું બન્યું નહીં અને ૨૦૧૨માં એ રિલીઝ પણ થઈ હતી. તેમાં તો પરેશ રાવલ ભગવાન વિરુધ્ધ કેસ કરે છે.  તે વખતે પણ તેનો કોઇ ઉહાપોહ ક્યાં થયો હતો? તે ફિલ્મનું મૂળ ગુજરાતી નાટક ‘કાનજી વિરુધ્ધ કાનજી’ પણ આવા વિવાદોમાં ક્યાં સપડાયું હતું? અન્ય ધર્મના રીત-રિવાજોને પણ સાંકળીને બતાવવાને કારણે લોકોની લાગણી દુભાતી હશે? નહીંતર, ‘પીકે’માંના સૌરભ શુકલાના ‘તપસ્વી મહારાજ’ જેવાં તો અસંખ્ય પાત્રો આપણી ફિલ્મોમાં આવી જ ગયાં છેને? મનોજ કુમારના ‘સન્યાસી’થી માંડીને છેલ્લે ‘સિંઘમ રિટર્ન્સ’માં ‘બાબાજી’ વિલન ચિતરાયા હોય એવું હોવા છતાં ક્યાં કોઇ ઉહાપોહ હતો? કે પછી સેન્સલેસ વાયોલન્સથી ભરપુર ૧૦૦-૨૦૦ કરોડની ફિલ્મોની ધડાધડીમાં ધડો લેવા જેવું કશું ન હોય એ સ્વીકારાયેલું છે? 


ખરેખર તો હિન્દુ ધર્મ પરના આક્રમણની બધી ચર્ચાઓ છતાં કોઇએ એવું નથી કહ્યું કે ફિલ્મમાં દર્શાવાયેલી કઈ બાબત સમાજમાં નથી બનતી? શું ગુજરાતના જ સચિવાલયમાં દાદરા ઉપરથી ચઢતા-ઉતરતા લોકો દિવાલ પર પાનની પિચકારીઓ મારતા અટકે તે માટે  એક સમયે દેવી-દેવતાના ફોટા ચોંટાડાયા નહતા? અને છતાં જ્યાં-ત્યાં થૂંકવાનું અટક્યું હતુ? ‘પીકે’માં પેશાબની વાત કરીને વધારાનો ઝાટકો આપ્યો છે (તાકિ લોગ મૂતે નહીં). તેનાથી લોકો જાહેરમાં થૂંકતા અને મૂત્રવિસર્જન કરતા અટકશે તો પણ બધા ધર્મોની મોટી સેવા થશે!  અને છેલ્લે, ‘પીકે’ને હિન્દુ વિરોધી કહેનારા સૌ શું જાણતા નહીં હોય કે આ જ નિર્માતાએ ‘મિશન કશ્મીર’ પણ બનાવી હતી, જેમાં ત્રાસવાદની થીમ હતી? તેનો હીરો રિતિક રોશન ‘અલતાફ’ હતો, હીરોઇન પ્રીટિ ઝિન્ટા ‘સુફિયા પરવેઝ’ બની હતી, જેકી શ્રોફ પઠાણ લીડર ‘હીલાલ’ હતા અને સંજય દત્ત ‘ઇનાયતખાન’ બન્યા હતા. તેમાં હિન્દુ ધર્મનો કોઇ અછડતો પણ ઉલ્લેખ નહતો. બલ્કે ‘ફતવા’ને કારણે બબાલ થાય છે. (સોચો ઠાકુર!)


તિખારો!
 
‘પીકે’ એ હિન્દુ ધર્મ વિરુધ્ધનું છે એવી બિનજરૂરી ઝુંબેશને મિડિયામાં કઈ હદ સુધી ખેંચવામાં આવી છે, તેનો વધુ એક દાખલો: ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં એક વાચકે લખ્યું છે કે ઇન્ટરનેટમાં ‘ડોમેઇન’થી ખબર પડે કે આ કયા દેશની વેબસાઇટ છે અથવા કયા દેશનું ઇમેઇલ એડ્રેસ છે. એટલે કે જો ઇન્ડિયા હોય તો છેલ્લે ‘ડૉટ આઇએન’ આવે, કેનેડા હોય તો ‘ડૉટ સીએ’, ઑસ્ટ્રેલિયા હોય તો ‘ડૉટ એયુ’ વગેરે વગેરે.  એ રીતે ‘ડૉટ પીકે’ કયા દેશનું છે? પાકિસ્તાન! (ઇતિ સિધ્ધમ?!!) 


Tuesday, December 23, 2014

એક્ટર્સ..... ફીલિંગ!





 
     ઍક્ટર્સ
નીચી મૂંછથી શરૂ કરીને‘ગર્વ સે કહો હમ એક્ટર હૈં’ની યાત્રા! 
                                         
“અચ્છે ઘર કે બચ્ચે ફિલ્મોં મેં નહીં આતે. જાઓ તુમ અપને ઘર વાપિસ ચલે જાઓ...” આ સલાહ નસીરુદ્દીન શાહ એક્ટર થવા અજમેરથી ભાગીને મુંબઈ આવ્યા તે દિવસોમાં, હિન્દી ફિલ્મોના સર્વકાલિન સર્વોત્તમ અભિનેતા દિલીપકુમારે આપી હોવાનું  ખુદ નસીરે તેમની આત્મકથામાં નોંધ્યું છે. એટલે જ્યારે હિન્દી સિનેમાના એક્ટર્સ કે ‘હીરો’ વિશેની વાત કરીશું, ત્યારે તેને જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોવાનો પ્રયાસ કરીશું. આજે પોતાનાં બાળકોને અભિનય કે ગાયન અથવા મનોરંજનના કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે માતા-પિતા હોંશે હોંશે પ્રોત્સાહન આપે છે, (બલ્કે કેટલાંક અતિઉત્સાહી માબાપ તો બાળકોને તેમાં ધકેલવા પાછળ પડતાં હોય છે!) ત્યારે બદલાયેલા આ માહૌલમાં અભિનય કરવા આવેલા પ્રારંભિક સાહસિકોને ગ્રેહામ બેલની માફક જોવાની આવશ્યકતા છે.


ગ્રેહામ બેલે વાયરનાં દોરડાંને આધારિત ફોન શોધ્યો ન હોત તો આજે ખિસ્સામાં લઈને ફરવાના વાયરલેસ મોબાઇલ સુધી પહોંચી શકાયું હોત કે? છતાં થોડાં વરસ પહેલાં જ્યારે હિન્દી ફિલ્મોના એક સફળ સિનિયર ફિલ્મ સ્ટાર/અભિનેતાનું અવસાન થયું, ત્યારે સોશ્યલ મીડિયામાં એવી પણ એક કૉમેન્ટ વાંચવામાં આવી હતી કે તેમના કરતાં તો આજકાલના યંગ એક્ટર્સ વધારે સારી એકટિંગ કરી શકે છે! પણ યંગ જનરેશનને પાનો ચઢાવવા જૂની પેઢીના સિનિયરોને ઉતારી પાડતી ટીકાઓ લખતા એવા કેટલા લોકોને રણબીર કપૂરના ખાનદાનની હિંમત અને સામાજિક સંઘર્ષની ખબર હશે? શું એવા સૌ જાણે છે કે જ્યારે રાજકપૂરના પિતાજી પૃથ્વીરાજ કપૂર નાટકોમાં અભિનય કરતા હતા, ત્યારે વતન પેશાવરમાં તેમના પિતા દીવાન બસેશ્વરનાથની ઊંચી મૂંછ બદલ તેમના દોસ્ત લાલા ગુલામ સરવરખાન તેમને ટોણો મારતા? એ કહેતા કે “તારો છોકરો તો ભાંડ છે. તું શાનો ઊંચી મૂંછ રાખે છે?!”

પરંતુ, ત્યારે એ ટૉન્ટ મારનાર ખાનસાહેબને ક્યાં ખબર હતી કે તેમના શાહજાદા યુસુફખાન પણ એ જ રસ્તે જવાના હતા અને ‘દિલીપકુમાર’ એવું નવું નામ રાખીને એક્ટર બનવાના હતા? અહીં મુદ્દો છે સામાજિક સ્વીકૃતિનો. તમે નાટક-ચેટક અથવા ગાના-બજાના કરો તો સમાજમાં ‘ભાંડ-ભવાયા’ હોવાની  નીચી નજરે જોવાવ.... તમે મૂંછનો વળ ના ચઢાવી શકો! એટલે હિન્દી સિનેમાના પ્રારંભિક દૌરમાં નાટકના કલાકારોને જ ફિલ્મોમાં લેવાતા. ઘણે ભાગે વાર્તાઓ પણ રામાયણ, મહાભારત કે પુરાણોની ધાર્મિક કથાઓ પર આધારિત કે પછી સફળ સામાજિક નાટક તેમજ સફળ નવલકથાઓ પર આધારિત રહેતી. તેથી કલાકારો પણ એ જ રહેતા.

ફિલ્મો આવતાં પહેલાં પેટ્રોમેક્સના અજવાળે ભજવાતાં નાટકોમાં સ્ટેજ પર માઇકની સગવડ નહતી. તેથી છેલ્લી લાઇનમાં બેઠેલા પ્રેક્ષકોને પણ સંભળાય એ રીતે સંવાદો બોલવા ટેવાયેલા કલાકારો હતા. નાટક કરતાં સિનેમાનું ગ્રામર અલગ હોય એ ફરક સમજવાનો બાકી હતો. મૂંગી ફિલ્મોમાં પણ તે જ કલાકારો લેવાતા. કેમ કે એ જ પ્રારંભિક ઉપલબ્ધ તૈયાર આર્ટિસ્ટ્સ અને જાણીતાં નામો હતાં. ફિલ્મો બોલતી થઈ પછી પણ માઇક પડદા ઉપર દેખાય નહીં એ રીતે સંતાડેલું રાખવાનું અને તેમાં પોતાનો અવાજ ઝીલાય એ પ્રમાણે ઊંચા સ્વરમાં જ ડાયલોગ બોલવાના થતા. તેથી આજે જેની મજાક ઉડાવાય છે, એ રીતે તાર સપ્તકમાં સંવાદો બોલાતા. તે દિવસોના તખ્તા માટે કેળવાયેલા અવાજવાળા પૃથ્વીરાજ કપૂર (મુગલ-એ-આઝમ) અને સોહરાબ મોદીના  સંવાદો (‘તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની?’) કોણ ભૂલી શકે? 

પરંતુ, સંવાદ કરતાં પણ સંગીતનું અને ગાયકીનું મહત્વ વર્ષોથી આપણી ફિલ્મોમાં રહેલું છે. તેને લીધે શરૂઆતનો એક દૌર એવો પણ હતો, જ્યારે હીરોલોગને ગાતાં આવડવું ફરજિયાત હતું. તે સમયના સુપર સ્ટાર હતા કુન્દન લાલ સાયગલ, જેમને વાજબી રીતે જ હિન્દી સિનેમાના પ્રથમ ‘સિંગિંગ સુપરસ્ટાર’ તરીકેની લોકપ્રિયતા મળી હતી. સાયગલ સાહેબના દીવાનાઓ તેમના અભિનય કરતાં વિશેષ તેમની ગાયકીના આશિક હતા.તેથી જ્યારે અશોક કુમારનું આગમન થયું, ત્યારે તેમની પાસેથી ગાયકીની પણ અપેક્ષા રખાતી. તેથી દાદામોનીને ‘અછૂત કન્યા’ના ગીત “મૈં બન કી ચિડિયા....”માં “મૈં બન કા પંછી બન કે બન બન ડોલું રે...”ના ટહૂકા પુરાવતા સાંભળી શકાય છે. 


અશોક કુમારનું મૂળ નામ કુમુદ ગાંગુલી હતું અને તેઓ ‘હીરો’ બન્યા તો ખરા; પણ પિતાજીની ધાકને લીધે નામ બદલી કાઢીને બન્યા ‘અશોક કુમાર’. આ ‘કુમુદચંદ્ર’ને પ્રોડ્યુસર હિમાંશુ રાયે પોતાની પત્ની દેવિકા રાણી સામે બતૌર નાયક લેવા પડ્યા હતા; કારણ કે દેવિકાજી આગલી ફિલ્મ ‘જીવન નૈયા’ના તેમના હીરો અને પ્રેમી નજમુલ હસન સાથે ભાગી ગયાં હતાં. તેમને દોડાદોડ કરીને શોધી કાઢી પાછાં પતિઘેર લવાયાં, ત્યારે રાતોરાત હીરો ક્યાંથી લાવવા? એ ઉપરાંત એક ડર એવો પણ ખરો કે અતિ રોમેન્ટિક દેવિકાજી સામે કોઇ પ્રસ્થાપિત હેન્ડસમ હીરોને લેવામાં આવે અને ફરી પ્રેમલા-પ્રેમલીની કહાણી રિપીટ થાય તો ઉપાધીનાં પોટલાં!

એટલે ‘શેઠાણી’ સામે આંખ પણ ઊંચી નહીં કરી શકતા પણ ઠીક ઠાક દેખાતા અને સ્ટુડિયોની લેબોરેટરીમાં નોકર એવા કુમુદને કેમેરા સામે ખડો કરી દેવાયો.... તેની હજાર અનિચ્છા અને પિતાજીની બીક છતાં! (એક્ચ્યુલી તો, બી.એસ.સી. થયેલા અશોકકુમારને લેબમાંથી કેમેરા સામે કામ કરવાનું કહેવાયું, ત્યારે હાડોહાડ અપમાન લાગેલું!) સ્ટુડિયોની માલિકણ સાથેનો તેમનો પ્રેમાલાપ કેવો અવાસ્તવિક હોય એ સમજી શકાય એવું નથી? એ ફિલ્મોની તેમની એક્ટિંગને આજના કોઇપણ નવોદિત સાથે સરખાવાય તો મેળ ના જ ખાયને? પછીનાં વર્ષોમાં મંજાયેલા અશોક કુમાર સંવાદોની અદાયગીમાં, તેના આરોહ-અવરોહમાં એક ઇન્સ્ટિટ્યુટથી વિશેષ ગણાયા એ આખી અલગ કહાણી છે. પણ એક ‘હીરો’ની હૈસિયતથી અશોક કુમાર, આજકાલ સફળતાની  જે પારાશીશી ગણાય છે તે બૉક્સ ઑફિસની દ્રષ્ટિએ હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર હતા. તેમની ફિલ્મ ‘કિસ્મત’ કલકત્તાના એક થિયેટરમાં પોણાચાર વરસ ચાલી હતી અને જેનો કુલ બિઝનેસ એક કરોડ રૂપિયાનો અને તે પણ ૧૯૪૩-૪૪માં થયો હતો! (જ્યારે શાહરૂખ, સલમાન કે આમિર અને અક્ષય, અજય જેવાનો તો જન્મ પણ નહતો થયો અને ખુદ અમિતાભ બચ્ચન પણ માંડ એકાદ-બે વરસના બાળક હતા!)

અશોક કુમાર સ્ટાર હતા, છતાં સ્ટાર સિસ્ટમ હજી શરૂ થઈ નહતી. હજુય એક્ટર્સ અને એક્ટ્રેસિસ જે તે સ્ટુડિયોના પગારદાર નોકર જ હતા. કામ હોય કે ન હોય બધાએ મિલ કામદારોની જેમ રોજ સવારે સ્ટુડિયો જવાનું અને સોંપાય એ કામ કરવાનું. વ્હી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં તો અભિનેતા-અભિનેત્રીનાં પણ ફેક્ટરીના વર્કર જેવાં કાર્ડ રહેતાં! અશોક કુમારને જ ‘સ્ટાર સિસ્ટમ’ના જનક પણ કહી શકાય. તેમની જોડી લીલા ચિટણીસ સાથે ‘કંગન’, ‘બંધન’, ‘ઝૂલા’ જેવી ફિલ્મોથી એવી જામી હતી કે એક વાર એ બન્ને ટ્રેઇનમાં લાહોર  જતાં હતાં, ત્યારે દરેક સ્ટેશને થયેલી ભીડને લીધે લાહોર સ્ટેશન પરની બેકાબુ વિશાળ જનમેદનીથી બચવા પોલીસે ગાડી આગલા નાના સ્ટેશને ઉભી રાખીને તેમને ઉતારી દેવાં પડ્યાં હતાં. ‘સ્ટાર સિસ્ટમ’ની તે દિવસે શરૂઆત થઈ. નિર્માતાએ રાતોરાત પગાર ત્રણ ગણો વધારીને રૂ.૫૦૦થી ૧૫૦૦ કરી દીધો. પણ વાઘ લોહી ચાખી ચૂક્યો હતો. કલાકારોમાં સ્ટુડિયોની નોકરી છોડી ફિલ્મ દીઠ પૈસા  માગવાની હિંમત અશોક કુમાર અને લીલા ચિટનીસની એ લાહોર યાત્રા પછી ખુલી અને તેનાં કરોડોનાં ફળ આજની ૧૦૦ કરોડની ક્લબના હીરો-હીરોઇન પણ માણી રહ્યા છે!

હીરોની શારીરિક વ્યાખ્યા પણ કાળ ક્રમે બદલાતી ગઈ છે. એક જમાનો હતો જ્યારે છ ફુટ ઊંચા તંદુરસ્ત પંજાબીઓ પ્રથમ પસંદગી હતા. રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત, રાજ કુમાર, મનોજ કુમાર, ધર્મેન્દ્ર વગેરેનો એ દૌર હતો. અંગ્રેજીમાં જેને ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ કહેવાય છે એ પ્રકારની પર્સનાલિટિ ન હોય તો ટૉપ સ્ટાર્સમાં તમારો નંબર જ ના લાગે. આજે શાહરૂખ, સલમાન અને આમિરની છે એવી પ્રમાણમાં ઓછી હાઇટવાળાઓને એક જમાનામાં કોમેડી માટે યોગ્ય ગણવામાં આવતા. એવું જ શરીર સૌષ્ઠવનું કહી શકાય. આજે તો ટાંકણું લઈને ચોસલાં પાડ્યાં હોય એવી સ્નાયુબધ્ધ, સિક્સ કે એઇટ પૅક, બૉડીવાળા હીરો છે, તે સૌ એક્ટરો કરતાં તો ‘ડબલ્યુ ડબલ્યુ એફ’ના કુસ્તીબાજ મલ્લ વધારે લાગે છે. 

એવી બૉડી હોય તો એક જમાનામાં ‘ઝીમ્બો’, ‘ટારઝન’ કે પછી ‘સેમ્સન’, ‘હર્ક્યુલિસ’ અથવા ‘બોક્સર’ જેવી ફિલ્મોમાં દારાસિંગ, રંધાવા કે આઝાદ સરખા પહેલવાનો સાથે હરિફાઇ કરી શકે. મેઇન સ્ટ્રીમ સિનેમામાં ના ચાલે! હકીકતમાં તો એક્ટર તરીકેનું કામ માગવા આવેલા ધર્મેન્દ્રની કસરતી બૉડી જોઇને બી.આર. ચોપ્રાએ તેમને અખાડામાં કરિયર બનાવવાની સલાહ આપેલી! એ તો ભલું થજો નરગીસજીનું જેમણે ધર્મેન્દ્ર માટે એવી સરસ કોમેન્ટ કરી કે નવલકથામાં નાયકનું જેવું વર્ણન વાંચીએ છીએ એવી પર્સનાલિટિ ધર્મેન્દ્રની છે. એટલે ધર્મેન્દ્ર જ્યારે ‘ફુલ ઔર પથ્થર’નાં પોસ્ટર્સમાં શર્ટ કાઢીને એકલા પેન્ટભેર ઉભેલા દેખાયા ત્યારે સનસનાટી થઈ હતી. (`ફુલ ઔર પથ્થર’ આવ્યું હતું ૧૯૬૬માં, જે વખતે સલમાન એક વરસનું બાળક હતા!) તે દિવસોમાં તો હીરો લોગ પોતાની મર્દાનગીની નિશાની જેવા છાતીના વાળ સહેજ દેખાય એમ ઉપરનું એકાદ બટન ખુલ્લું રાખીને શાલીનતાથી જ પડદા પર આવતા.

 તેના પછી જયારે મિથુન ચક્રવર્તી તેમની પ્રથમ ફિલ્મ ‘મૃગયા’માં એક અદિવાસી તરીકે દેખાયા ત્યારે તેમની કસરતી બૉડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ, છાતી પરના નહીંવત વાળને લીધે એક મેગેઝીને ત્યારે એવી કોમેન્ટ કરી હતી કે એવી કેશહીન છાતીવાળા પુરૂષનો વિશ્વાસ ન કરી શકાય. પરિસ્થિતિ કેવી હતી તેનો ખ્યાલ આપવા હજી ’૮૦ના દાયકાની એક વાત જાણવા જેવી છે. તે દિવસોમાં ‘બેતાબ’ ફિલ્મથી સની દેઓલ સાથે એક્ટિંગ શરૂ કરનાર અમૃતાસિંગનાં માતા (એટલે કે સૈફ અલી ખાનનાં ઍક્સ-સાસુ) રૂખસાનાએ એક શૂટીંગમાં જોયેલું ચોંકાવનારું દ્રશ્ય પછી એક મેગેઝીનને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. કહેવાની જરૂર નથી કે, એ સામયિકે તેને હાઇલાઇટ પણ કર્યું હતું. રૂખસાનાજીએ કહ્યું કે તેમણે લગભગ પ્રૌઢ કહેવાય એવા એક એક્ટરને પોતાની છાતીના વાળને કાળી ડાઇ (બ્લેક કલર) કરાવતો જોયો હતો! આજે મોટાભાગના ટૉપ સ્ટાર્સ ૪૦ વરસ ઉપરના છે અને તેથી સૌ ‘નીટ-ક્લિન લૂક’ના નામે છાતીએ વેક્સિંગ/લેસર વર્ક કરાવી ચૂક્યા છે. તેથી અભિષેક બચ્ચન કે રણબીર કપૂર જેવા એકાદ-બે ‘ઓલ્ડ સ્કૂલ હીરો’ને બાદ કરી દઈએ તો તે સિવાયના બધા સફાચટ છે.

એવું જ નાયકના પાત્રાલેખનનું કહી શકાય. હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર્સ માટે ‘હીરો’ની વ્યાખ્યા સમય સમયે બદલાઇ છે. આઝાદી પછીના તરતના કાળમાં સદીઓની ગુલામીમાંથી મુક્ત થયેલા એક સ્વતંત્ર રાષ્ટ્રને દિશાદર્શન કરવા તમામ સર્જકોએ પોતપોતાની કળાનું યોગદાન આપવાનો આદર્શ રાખ્યો હતો. વિશ્વભરમાં આર્ટિસ્ટ ક્રિએટિવ ટેલેન્ટ વડે પોતપોતાના દેશોને સામ્યવાદ, સમાજવાદ અને માનવતાવાદની રચનાઓ આપતા. હિન્દી ફિલ્મોના હીરો પણ ગરીબ અને મધ્યમ વર્ગના રહેતા. બહુ પૈસાપાત્ર વ્યક્તિ મહદ અંશે ખલનાયક ગણાતા એવો એ દૌર હતો. ( યાદ છે ને? તે સમયનાં ગીતો?.... “ચાંદી કી દિવાર ન તોડી, પ્યાર ભરા દિલ તોડ દિયા, ઇક ધનવાન કી બેટીને નિર્ધન કા દામન છોડ દિયા...”)

ગરીબ મા-બાપનો દીકરો એટલે કે રાજેન્દ્ર, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર  કોલેજમાં પહેલો નમ્બર કે ગોલ્ડ મેડલ લઈ આવે એ દ્રશ્યો આજે મિમિક્રી આર્ટિસ્ટની મજાકનું સાધન બને છે. પરંતુ, એક સમયે એ યુવાનોના પ્રેરણામૂર્તિ હતા. દેશ માટે, તેની પ્રગતિ માટે, તેના નવનિર્માણ માટે ઝઝુમતા આદર્શવાદી યુવાન હીરો હોય. એક સમયે ચંબલના ડાકુઓની સમસ્યા મોટી હતી. ત્યારે કાયદો હાથમાં લેનારા એ સૌ ‘બાગીઓ’ને સ્વતંત્ર રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાની હિમાયત કરતી ફિલ્મોના હીરોને યાદ કરીએ તો?  દિલીપ કુમારનું ‘ગંગા જમના’ હોય કે રાજકપૂરનું ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ કે પછી સુનિલદત્તનું ‘મુઝે જીને દો’ જેવાં ચિત્રો સ્મૃતિમાં આવે.



રાજેન્દ્ર કુમારને સફળતા અપાવનાર ‘માબાપ’, ‘સંતાન’, ‘ઘર સંસાર’ કે ‘સસુરાલ’ અથવા ‘ઝિંદગી’ જેવાં કૌટુંબિક અને સોશ્યલ ચિત્રોના હીરો હતા. તેમનો વારસદાર રાજેશ ખન્ના આવ્યો ત્યાં સુધી બધું બરાબર હતું. પણ તમે ‘દો રાસ્તે’માં કુટુંબ માટે સગા ભાઇ સાથે લડવા તૈયાર હીરો એવા પારિવારિક ખન્નાને ‘બહારોં કે સપને’માં બેરોજગારીથી ત્રસ્ત યુવા નાયક તરીકે યાદ કરો તો તે સમયના મધ્યમ વર્ગના યુવાનોની અકળામણ જોઇ શકાય. એટલે જ અમિતાભ બચ્ચનના આગમન પછી હીરોની બદલાઈ ગયેલી વ્યાખ્યાને જબરદસ્ત આવકાર મળ્યો અને સાથે સાથે ખુદ બચ્ચનને પણ. તેમની ‘જંજીર’ ‘દીવાર’, ‘ત્રિશૂલ’થી લઈને ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારીસ’, ‘હેરાફેરી’ કે પછી ‘અમર અકબર એન્થની’ જેવી હળવી ફિલ્મ હોય; એ બધામાં માર-ધાડ અને હિંસાના પ્રમાણને લોકોએ આવકાર્યું હોય તો તેની પાછળ પ્રજાનો જબરદસ્ત આક્રોશ જવાબદાર હતો. 
તેમ છતાં એ સમયે પણ અમોલ પાલેકર અને ફારૂક શેખ જેવા કલાકારોની ફિલ્મોમાં નાયક સાવ સાદા રહેતા. (અમોલ પાલેકર, ફારૂક શેખ તથા દેવેન વર્માની ત્રિપુટીને સાથે ઉત્પલદત્ત તથા ઓમપ્રકાશને લઈને હૃષિકેશ મુકરજીએ ‘રંગ બિરંગી’ બનાવી હતી.) અને અમોલને ‘છોટી સી બાત’, ‘ચિતચોર’ અને ‘રજનીગંધા’માં અથવા ફારૂકભાઇને ‘ચશ્મે બદદુર’ અથવા ‘સાથ સાથ’માં જુઓ તો ‘ફિલ્મી હીરો’ ક્યાંય ના દેખાય.  જાણે કે આપણી પાડોશમાં કશુંક બની રહ્યું હોય અને તે આપણે જોતા હોઇએ! 

પણ સિનેમાના સર્જકોને ‘સપનોં કા સૌદાગર’ પણ કહેવાય છે અને તેથી કલ્પનામાં જ હોઇ શકે એવા સ્ટાઇલીસ્ટ અભિનેતાઓનો પણ એક વર્ગ રહ્યો છે. રાજકુમારની નફિકરાઇની શૈલી જુઓ તો થાય કે થિયેટરમાં તાળીઓ મેળવવા આ દાદાગીરી બરાબર છે. પણ વાસ્તવિક દુનિયામાં? (નાના પાટેકરથી લઈને મનોજ બાજપાઇ, ઇરફાન ખાન અને છેલ્લે આવેલા નવાજુદ્દીન સિદ્દીકી સુધીના એક યા બીજા સ્વરૂપે ‘જાની’ના વારસો જ છે.) દેવ આનંદની વાળની સ્ટાઇલ કે પછી પ્રેમ કરવાની શમ્મીકપૂરની બંડખોર પધ્ધતિ યાદ કરો તો એક સમયે પ્રેક્ષકોનો એક વિશાળ વર્ગ તે સૌની પાછળ રીતસર દીવાનો હતો. તેને લીધે એમ કહેવાતું કે અભિનેતા જન્મજાત હોય, તેમને તૈયાર ના કરાય. પરંતુ, ’૬૦ના દાયકામાં પુના ખાતે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના થઈ અને એ કન્સેપ્ટ ચકનાચૂર થઈ ગયો. 

પુના ઇન્સ્ટિટ્યુટમાંથી બહાર પડેલા અભિનેતા-અભિનેત્રીઓને રોશન તનેજા જેવા ગુરૂનું માર્ગદર્શન અને વર્લ્ડ સિનેમાની શ્રેષ્ઠ કૃતિઓ જોવાનો લાભ મળ્યો. ત્યાંથી આવેલી ટેલેન્ટે સ્થાપિત સ્ટાર્સને હચમચાવી નાખ્યા હતા. તનેજા સરે હઠ કરીને તેમના વિદ્યાર્થીઓને એક્ટર થવા બદલ શરમ અનુભવીને  નામ બદલી કાઢવાની પ્રથા બંધ કરાવી અને ‘ગર્વ સે કહો હમ એક્ટર હૈં’ની ભાવના ઉજાગર કરી. એટલે શત્રુઘનસિન્હા કે નસીરુદ્દીન શાહ અથવા મિથુન ચક્રવર્તી જેવાં લાંબાં અને ક્યારેક તો ડેની ડેંગઝોંગ્પ્પા જેવાં ઉચ્ચારવામાં અઘરાં નામો સાથે અભિનેતાઓ ગર્વથી મેદાનમાં આવ્યા. 

તે સૌની સાથે આવી એક નવી ફોર્મ્યુલા.... વાંક ના કાઢી શકાય એવી માફકસરની એક્ટિંગ અને વાજબી દામ! તેમણે અભિનયમાં કોઇ સ્ટારને પ્રેરણામૂર્તિ ન બનાવ્યા. તેમનો આદર્શ હતા, મોતીલાલ, બલરાજ સહાની અને સંજીવકુમાર જેવા નેચરલ અને નોર્મલ અભિનેતાઓ! આ એક નવી જ લહેર હતી. જો કે હજી પણ સની દેઓલ, સંજય દત્ત અને કુમાર ગૌરવ જેવા વારસાગત ‘સ્ટાર સન્સ’ આવતા હતા, જેમને તેમના સ્ટાર પપ્પાની વફાદાર ‘ઘરાકી’ (ફૅન ફૉલોઈંગ) ટ્રાન્સ્ફર થવાની અપેક્ષા રહેતી. પરંતુ, ત્યાં પણ ઇન્સ્ટિટ્યુટની અસર થઈ હતી. હવે સ્ટાર્સનાં એ હોનહાર બાળકોને પણ બાકાયદા એક્ટિંગ, ઘોડેસ્વારી, સ્વીમીંગ અને ફાઇટિંગ શીખવાડીને મેદાનમાં ઉતારાતા હતા. રીશી કપૂર કે રણધીર કપૂરની માફક પપ્પાના સેટ પર હાજર રહીને શીખી લેવું પૂરતું નહતું.

પુના ઇન્સ્ટિટ્યુટને પગલે દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને વિવિધ શહેરોમાં રંગમંચ પર વ્યસ્ત એવા સૌ માટે પણ દૂરદર્શન જેવા અન્ય વિઝ્યુઅલ માધ્યમના પડદા ખુલતા ગયા. દિલ્હીના સ્ટેજની દુનિયામાંથી આવ્યા શાહરૂખખાન અને એક સાવ સાદા દેખાતા અભિનેતાની એન્ટ્રીએ પરંપરાગત હીરોની ઇમેજને એક નવું જ સ્વરૂપ આપ્યું. ઇતિહાસ પુનરાવર્તિત થતો હતો.    સિત્તેરના દાયકામાં રાજેશખન્નાને શરૂઆતમાં તેમની ઓછી હાઇટને લીધે ‘ગુરખા’ કહીને ઉતારી પડાતા હતા અને અમિતાભ તેમની ૬ ફુટ ૨ ઇંચની ઊંચાઇને લીધે ‘લંબુજી’ના ઉપાલંભ સાથે નાતબહાર ગણાતા હતા. એ બન્નેએ પોતાની એક્ટિંગના અવિરત પ્રવાહથી હીરોની ઇમેજ માટેની શારીરિક આવશ્યકતાઓનું મહત્વ ઘટાડી દીધું હતું.

તેથી જ્યારે શાહરૂખે અભિનયની ટેલેન્ટનો જે ધોધ શરૂઆતની ફિલ્મોમાં વરસાવ્યો, તેમાં તેની ઓછી હાઇટને પણ કોઇએ ધ્યાનમાં ના લીધી. તેનામાં સરસ એક્ટિંગની સાથે સ્ટાઇલ પણ હોવાથી રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન એ બન્નેની વધતી ઉંમરને કારણે થતા વેક્યુમમાં શાહરૂખ ગોઠવાઇ ગયો અને આમિર, સલમાન વગેરે પણ ચાહકોને આકર્ષી શક્યા હતા. એ સૌએ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા અનયુઝવલ પર્સનાલિટિવાળા અભિનેતાઓએ તૈયાર કરેલા ગ્રાઉન્ડ પર બેટિંગ કરવાની હતી. ચહેરો પડદા ઉપર લીસ્સો લાગે એવો ન હોય તો પણ ઓમ પુરી કે પંકજ કપૂરની માફક કામ મળી શકતું થયું હતું. 


’૭૦ના દાયકાની અમિતાભની ફિલ્મોએ હીરોની વ્યાખ્યા પણ બદલી દીધી હતી. હવે જેમ ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઇટ નહતી રહી તેમ (થેંક્સ ટુ સલીમ-જાવેદ)  પાત્રોને પણ ‘હીરો’ કે ‘વિલન’ એવા શ્વેત-શ્યામ ખાનાંમાં મૂકી નહતાં શકાતાં. બાકી એક સમય હતો જ્યારે જરા જેટલો પણ નેગેટિવ શેડ પોતાના પાત્રમાં હોય તો અભિનેતા એ સીન કરવા ઇનકાર કરી દેતા. ‘ડર’માં શાહરૂખને જે આવકાર મળ્યો એ ‘હીરો’ કહેવાતા સની દેવલને ના મળ્યો, એ પણ સમય બદલાયાની સૌથી મોટી નિશાની હતી. આજે ૨૧મી સદીમાં તો સ્થિતિ એવી છે કે જો વાર્તા વધારે પડતી સુષ્ઠુ સુષ્ઠુ થઈ જાય તો એક્ટર અકળાઇ ઉઠે.   એટલે આજે ‘એક વિલન’ એવું ટાઇટલ ધરાવતી ફિલ્મ બની શકે છે અને ૧૦૦ કરોડનો બિઝનેસ પણ કરી શકે છે. 

ટૂંકમાં, એક્ટર્સ માટે આજના જેવો સારો સમય અગાઉ કદી નહતો. આજે તો રણવીરસિંગ હોય કે રણબીર કપૂર, સિધ્ધાર્થ રૉય કપૂર હોય કે સિધ્ધાર્થ મલ્હોત્રા કોઇને પોતાનું નામ બદલવાની જરૂર નથી પડતી. હવે કોઇને માબાપ કે સમાજથી ડરવાનું રહ્યું નથી. અને પૈસા? હજારો કે કરોડો નહીં પણ લાખોમાં તો કમાતા થવાય જ છે. તેથી અત્યારે કન્ઝ્યુમર માર્કેટના દિવસોમાં દરેક પ્રકારની ગાડીઓની જેમ તુષાર કપૂરથી અર્જુન કપૂર અને આયુષ્યમાન ખુરાનાથી લઈને અરમાન જૈન સુધીના તમામ વેરાયટીના એક્ટર્સ માટે એન્ટ્રીની સવલત છે. આજકાલ એક શૉટ આપો અને તરત મૉનિટર પર જોઇને તેમાં જરૂરી સુધારા-વધારા કરી શકાય છે. જ્યારે અગાઉ તો આજે શૂટ કરેલી કાચી ફિલમને ડેવલપ થઈને આવતાં મહિનાઓ લાગી જતા. લગ્નના ફોટામાં અગાઉ બનતું એમ ‘હો ગયા સો હો ગયા’ જેવો જ ખેલ સિનેમાના શૂટિંગમાં પણ થતો. (મંગળફેરાના રોલ ડેવલપ થઈને આવે ત્યાં સુધીમાં વરઘોડીયું હનીમૂન કરીને પાછું આવ્યું હોય. ત્યારે વરરાજા ભાવિ પત્ની સામે જોવાને બદલે માંયરામાં બેઠેલી સાળી સામે ડાફોળિયાં મારતા ઝડપાયા હોય એવું પણ બનતું) 

સાર એટલો કે, તમારામાં અભિનયની ટેલેન્ટ છે એમ સમજતા હો તો જો અત્યારના સમયમાં અભિનેતા તરીકે નામ ન કાઢી શકો તો તમારી ક્ષમતા વિષે ફેરવિચાર કરવાનો રહે! કેમ કે બજારમાં એક્ટિંગ શીખવતા ગુરૂઓ હોય, સારામાં સારાં જિમ ઉપલબ્ધ હોય, ફેશન મુજબ આડા-અવળા વાળ કાપવા કે જિન્સ ફાડી આપવા ડિઝાઇનર્સ હાજર હોય, સારામાં સારા એંગલથી તમારો પોર્ટફોલિયો તૈયાર કરનારા ફોટોગ્રાફરો હોય, માબાપ કે સમાજથી ગભરાવાનું ન હોય અને ટીવી સિરીયલો તથા રિયાલિટિ શો દ્વારા તમારો સ્ક્રિન ટેસ્ટ પણ થઈ શકતો હોય તો ફિર ડર કાહે કા? એટલે અમારો તો વિશ્વાસ છે કે અશોક કુમાર અને દિલીપ કુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન તેમજ શાહરૂખ ખાન, રિતિક રોશન અને રણબીરકપૂર સુધીના અભિનેતાઓની ઉજ્વળ પરંપરામાં દર સાલ અવનવા ઉમેરા થતા જ જશે. ગ્રેહામ બેલના પ્રથમ ફોનથી આજના સ્માર્ટફોનની યાત્રાની માફક જ દરેક ગાવસ્કર પછી તેન્દુલકર આવ્યા જ કરે છે, જે અગાઉની પેઢીની જેમ નવા નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા જ કરે છે. એક્ટિંગમાં એવું કદાચ વધુ ઝડપથી નથી બનતું? (સોચો ઠાકુર!)

            


‘હરિ અનંત હરિકથા અનંતા....’ની માફક સિનેમાની તેમજ તેના નાયકોની કથા પણ અવિરત ચાલે એવી છે અને શક્ય છે કે તેનાં કેટલાંય પાસાં અછુતાં રહી ગયાં હોય કે પછી કોઇ મુદ્દે પૂરતી ચર્ચા ના થઈ શકી હોય. પણ કહે છે ને કે એક ઊંઘે ક્યાં સવાર થઈ જતું હોય છે? તેનો પણ વારો ક્યારેક કાઢીશું. શમ્મી કપૂરનો ‘મનોરંજન’ ફિલ્મનો તકિયા કલામ વાપરીને કહીએ તો, “વો કિસ્સા ફિર કભી!”

Saturday, December 20, 2014

ફિલમની ચિલમ.... ડીસેમ્બર ૨૧, ૨૦૧૪




‘આયેગા વો પાયેગા’ની,

 એવોર્ડ સમારંભોની, સિઝન શરૂ થઈ છે!


શું ખરેખર જ સલમાન ખાન ‘બીગ બૉસ’માં થનારા એક મહિનાના એક્સટેન્શન માટે હોસ્ટ નહીં હોય? તેની પાછળ ગયા વર્ષે ૧૦૦ કરોડનો વકરો કરનારી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની એક હીરોઇન એવી  અભિનેત્રી કરિશ્મા તન્ના સાથે ગયા રવિવારે થયેલી તડાતડી જવાબદાર હશે? શું સાચે જ સલમાનની જગ્યાએ હવે ફરાહખાન એ શોનું સંચાલન કરશે? જેવા પ્રશ્નો ‘બીગ બોસ’ માટે આજકાલ ચર્ચાઈ રહ્યા છે, તે જેન્યુઇન હશે કે પબ્લિસિટી સ્ટંટ હશે એ સમજવું મુશ્કેલ હોવા છતાં એક વાત નક્કી છે કે સલમાનનો આ શો માટેનો કોન્ટ્રાક્ટ ચોથી જાન્યુઆરીએ પૂરો થાય છે. મૂળ યોજના પ્રમાણે તે દિવસે છેલ્લો એપિસોડ હોત. પરંતુ, હવે તે શોને એક માસ માટે લંબાવવાનું નક્કી કરાયું છે અને તે માટે ‘હાઉસ’માંના તમામ સ્પર્ધકોને બેસાડીને સંમતિ પણ મેળવી લેવાઇ છે. ત્યારે સલમાન પોતાના ફિલ્મી કમિટમેન્ટ્સને કારણે કે પછી શોના હરીફો તેની મજાકોને તેના હળવા મુડમાં ન લેતા હોવાને લીધે નવેસરથી કરાર ન જ કરવા ઇચ્છતા હોય તો નવા હોસ્ટની જરૂર પડે જ. તે માટે અનિલ કપૂર અને કરણ જોહર સહિતના સંપર્ક થયા બાદ છેવટે ફરાહખાન પર કળશ ઢોળાયો છે.


ફરાહખાનને ૨૦૦ કરોડનો વકરો કરાવનારી ફિલ્મ બનાવનાર પ્રથમ નિર્દેશક તરીકે તો હાઇલાઇટ કરાય જ છે, ગયા રવિવારે ‘સ્ટારડસ્ટ એવોર્ડ’માં તેમની ‘હેપ્પી ન્યૂ યર’ છવાઇ જતાં અને તેમને ‘બેસ્ટ ડાયરેક્ટર’નો એવોર્ડ મળતાં તે પુરસ્કૃત નિર્દેશક પણ થયાં છે! આમ તો હવે એવોર્ડ એટલી બધી જાતના થઈ ગયા છે કે તેનું મહત્વ એક સારા મનોરંજક  ટીવી શોથી વધારે રહ્યું નથી અને લોકો એવી ગંભીરતાથી લેતા પણ નથી. છતાં ‘સ્ટાર ડસ્ટ’નો સમારંભ ૨૦૧૪ની ફિલ્મોને નવાજવાનું પ્રથમ એવોર્ડ ફંક્શન હોઇ તેમાં દરેક વિભાગમાં ઉમેદવારો જોઇને અન્ય આયોજકોને ‘શ્યોર સજેશન’ મળી શકે. જો કે તેમાં શાહરૂખને ‘સ્ટાર ઓફ ધી યર’ અને ‘હેપ્પી ન્યૂ યર’ને ‘ફિલ્મ ઓફ ધી યર’ જાહેર કરાઇ હોવાથી નિર્માત્રી તરીકે ગૌરી ખાનને પણ પુરસ્કાર મળતાં શાહરૂખનું એ મેગેઝીન સાથેનું સમાધાન પાક્કું થયું એમ કહી શકાય. ‘સ્ટાર ડસ્ટ’ના  એવોર્ડ ૨૦૦૩થી અપાય છે. પરંતુ, ૨૦૧૨ સુધી એટલે કે પહેલાં દસ વરસ સુધી શાહરૂખને એક પણ વર્ષે ‘સ્ટાર ઓફ ધી યર’ એવોર્ડ નહતો મળ્યો! અગાઉ શાહરૂખ અને દીપા સાહી વિષે એક સ્કૂપ સ્ટોરી એ મેગેઝીને કરી ત્યારથી બે વચ્ચે રિસામણાં થયાં હતાં. સ્ટાર ઇન્ટર્વ્યુ ના આપે અને મેગેઝીન નાની અમથી પણ ગોસીપ ના છોડે. 

તેનું પરિણામ એ હતું કે કોઇ કહેતું કે શાહરૂખને એ એવોર્ડ કોઇપણ ભોગે જોઇતો હતો. જ્યારે વાડની સામી બાજુ બેઠેલા એમ કહેતા કે મેગેઝીન સાથે શાહરૂખ બોલતા થઈ જાય એ માટે તે સામયિક પ્રયાસ કરતું હતું. પણ હકીકત એ હતી કે તે દસ વરસમાં દુનિયાભરના એવોર્ડ જીતનાર શાહરૂખને ‘સ્ટાર ડસ્ટ’નો ‘સ્ટાર ઓફ ધી યર’ પુરસ્કાર ના મળ્યો. એ કેટેગરીમાં અમિતાભ બચ્ચન, અજય દેવગન, સંજય દત્ત, સલમાન ખાન, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, રિતિક રોશન સહિતના અન્ય અભિનેતાઓને આ એવોર્ડ મળ્યો. પણ ‘સુપર સ્ટાર’ કહેવાતા શાહરૂખની સૌથી સફળ ફિલ્મો એ ગાળામાં આવી હોવા છતાં તેને લોકપ્રિય ‘સ્ટાર’ હોવાનો એક પણ પુરસ્કાર મળ્યો નહતો. ઠેઠ ૨૦૧૩માં એટલે કે ગયા વરસે ‘જબ તક હૈ જાન’ માટે એ એવોર્ડ મળ્યો. પરંતુ, કમબખ્તી એ હતી કે તેમાં બે વિજેતા હતા! શાહરૂખની સાથે અક્ષય કુમારને પણ એ જ કેટેગરીમાં વિનર જાહેર કરાયા હતા.

એ રીતે જોઇએ તો આ વર્ષે કોઇનાય  સહભાગી થયા સિવાય સ્વતંત્ર રીતે પોતે, પોતાની ફિલ્મ, તેની નિર્માત્રી તરીકે પત્ની ગૌરી અને દિગ્દર્શિકા ફરાહખાન મળતાં  ‘કોમ્પ્રો’ પાક્કું થઈ ગયું એમ કહી શકાય. પુરસ્કારોનું સામાન્ય રીતે એવું હોય કે કેટેગરી અગાઉથી નક્કી હોય અને વાચકો તેમાં મત આપીને વિજેતા ચૂંટે. પરંતુ, હવે સ્થિતિ બદલાઇ ગઈ છે. વાચકોની પસંદગીના એવોર્ડ તો ખરા જ; સાથે સાથે સમારંભમાં ઉપસ્થિત રહેનારા મુખ્ય સ્ટાર્સ માટે કોઇને કોઇ કેટેગરી ઉભી કરાય છે. પણ ગમ્મત ત્યારે થાય જ્યારે  અમિતાભ બચ્ચન સરખા અભિનેતાને ‘બેસ્ટ આર્ટિસ્ટ ઓફ ધી મિલેનિયમ’નો એવોર્ડ અપાય, જેનો અર્થ એ થાય કે અમિતજી છેલ્લાં એક હજાર વર્ષના શ્રેષ્ઠ કલાકાર; જ્યારે હકીકત એ હોય કે તે વખતે ફિલ્મોને ભારતમાં ૧૦૦ વરસ પણ ના થયાં હોય! પછી ગઈ સાલ એ જ પુરસ્કારોના સમારંભમાં ‘સ્ટાર ઓફ ધી સેન્ચુરી’ તરીકે એ પુરસ્કૃત થયા અને હવે આ વર્ષે ઘટતા ઘટતા તેમને ‘આઇકન ઓફ ધી યર’નો એવોર્ડ મળ્યો!


વધારે મઝા એ કે ‘આઇકન’ (પ્રતિમા) એ બહુ મોટું સન્માન હોય તો તેને અર્પણ કરનાર પણ એવા જ ‘આઇકન’ હોય એ જરૂરી ના હોય. પણ ‘બચ્ચન દાદા’ને એ પુરસ્કાર આપ્યો કોણે? રવીના ટંડને! નો ડાઉટ, રવીના તેના સમયની ‘મસ્ત મસ્ત’ સ્ટાર. પણ અમિતજીની વરીયતાને અનુરૂપ કોઇ સિનિયર સ્ટાર હોત તો લેવલ સચવાત. જો કે હવેના સમયમાં એવોર્ડ ફંક્શનમાં હાજરી આપનારા સેલીબ્રીટી પણ સમજતા થઈ ગયા છે કે જે તે ટ્રોફી એ તેમની ઉપસ્થિતિની સાભાર નોંધ લેવાની પ્રક્રિયા માત્ર છે. એટલે એવોર્ડ ફંક્શન જોતી વખતે સોશ્યલ ક્લબોમાં ‘મહેમાનો માટેના ફુલહારની વ્યવસ્થા કરનાર ફલાણા ભાઇનું સન્માન પ્રમુખશ્રી કરશે’ એવી જાહેરાત થાય અને ‘ફલાણાભાઇ’ પણ સુટ-બુટ તેમજ ફેસિયલ સાથે ઉમંગભેર સ્ટેજ પર જાય અને સર્ટિફિકેટ કે નાનકડો કપ પકડીને ફોટા પડાવતા હોય છે એ યાદ આવે. તેને લીધે લગભગ તમામ એવોર્ડ સમારંભોમાં થતા આવા ટોકનિઝમને અમે તો ઘણાં વર્ષોથી ‘આયેગા વો પાયેગા’ કહેતા આવ્યા છીએ. એ સુત્રને સમજી ગયેલા આમિરખાન જેવા અભિનેતા વર્ષોથી લગભગ કોઇ એવોર્ડ સમારંભમાં જતા નથી.



બાકી આમિરખાનની ફિલ્મો પણ સેંકડો કરોડના બિઝનેસ કરે જ છેને? તેમની ફિલ્મો પણ સરખામણીએ સેન્સિબલ હોય છે. ત્યારે પુરસ્કારની ‘જેન્યુઇનતા’(?) સાબિત કરવી હોય તો ભલેને આમિર (કે પુરસ્કારની યોગ્યતા ધરાવતા કોઇપણ કલાકાર) ફંકશનમાં ના આવ્યા હોય, તો પણ તેમને ‘શ્રેષ્ઠ’ જાહેર કેમ ના કરાય? તેથી અમારો રસ તો આમિરની રજૂ થયેલી નવી ફિલ્મ ‘પી કે’નો વકરો કેવા રેકોર્ડ કરે છે કે નથી કરતી તે કરતાં પણ એ જોવામાં વધારે રસ છે કે ૨૦૧૫ના વરસમાં કોઇ એવોર્ડ આપનારી સંસ્થા એવો નવો ચીલો પાડી બતાવે છે? કેમ કે આ લખાય છે ત્યારે તો ‘પી કે’ની રજુઆત થઈ નથી. પરંતુ, પિક્ચરનો સ્પેશ્યલ શો જોયા પછી સચિન તેન્દુલકરે તેને પોતે જોયેલી અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ કહી છે અને આમિરના અભિનયને બેસ્ટ પર્ફોર્મન્સ કહ્યો છે.  તો સચિન સરખા ‘આઇકન’ જેવું કોઇ એવોર્ડ સમારંભના આયોજક કે તેમના મતદારો/વાચકો વિચારશે ખરા? તમને શું લાગે છે?


તિખારો! 

પેશાવરમાં ત્રાસવાદીઓએ એકસો ત્રીસ કરતાં વધુ બાળકોને હણી નાખ્યાની ઘટનાના બે દિવસમાં જ આપણા ગીતકાર પ્રસુન જોશીએ લખેલી એક કવિતા ‘સમઝો કુછ તો ગલત હૈ’ની છેલ્લી પંક્તિઓ આવી ચોટદાર છે:

કુછ નહીં બહુત કુછ ગલત હૈ
ક્યોંકિ જોર સે બારિશ હોની ચાહિયે થી પૂરી દુનિયામેં
હર જગહ ટપકને ચાહિયે થે આંસુ
રોના ચાહિયે થા ઉપરવાલે કો આસમાન સે ફુટફુટ કર
શર્મસે ઝુકની ચાહિયે થીં ઇન્સાની સભ્યતા કી ગર્દનેં.....
અગર ઇસકે બાદ ભી સર ઉઠા કર ખડા હો સકતા હૈ ઇન્સાન
તો સમઝો કુછ ગલત હૈ!