Monday, November 5, 2012

આર.ડી. બર્મને રચેલું “ઇક ચતુર નાર....” નું પૂર્વજ ગીત કયું?



આર.ડી. બર્મનને ‘પડોસન’ના કૉમેડી ગીત “ઇક ચતુર નાર....”માં કિશોર કુમાર અને મન્નાડેની જુગલબંધી  માટે  વખાણતા ઘણા ચાહકો માટે કદાચ આ ગાયન અચરજ જેવું સાબિત થાય. ‘પડોસન’માં મહેમૂદ સાથે કિશોરદાની ધમાલ હતી. અહીં તેમની સાથે કૉમેડિયન ધુમાલની ધમાલ  છે. વળી મન્નાડે સાથે રસાહેબનુ ક્લાસિકલ ગાયન છે.  આમાં પણ સ્પર્ધા જ છે... પણ તે મહેમૂદ સાથે ધુમાલના ડાન્સની! ‘પડોસન’ કરતાં આ શાસ્ત્રીય ગાયનમાં એક બીજો પણ ફરક છે. મહેમૂદ બંગાળી (અથવા તો બોંગા!)   છે. ૧૯૬૭ના ‘ચંદન કા પલના’નું છે અને તેથી એ ‘પડોસન’નું પૂર્વજ કહી શકાય. મઝા માણો અને કેવું લાગ્યું તે પણ કહેજો ખાસ કરીને પંચમદાની ક્લાસિકલ મ્યુઝિક પરની હથોટી વિશે.

Sunday, November 4, 2012

યશ ચોપ્રા (૨): “મૈં યહાં હૂં યહાં હૂં...!”




યશ ચોપ્રા અને સાહિર લુધિયાનવીની જુગલબંધીની એક મિસાલ ‘કાલા પથ્થર’ જેવા ચિત્રમાં પણ જોવા મળી હતી. તેમાં પણ તક મળી અને એક ગીતમાં સાહિરે મજદૂરોના પ્રશ્નો અને તેમના ઉકેલથી થનારા સુખદ ભાવિની કલ્પના કરી બતાવી હતી. ફિલ્મની આખી મલ્ટી સ્ટાર કાસ્ટ (અમિતાભ, રાખી, શશિકપૂર, પરવીન બાબી, નીતુ સિંગ, શત્રુઘ્નસિન્હા, પૂનમ ધિલ્લોન,પરીક્ષિત સહાની) ને એકત્ર કરી આનંદ ઉત્સવ કરતા એ ગીત “ધૂમ મચી ધૂમ આજ કી રૈના, ભોર હુએ તક નાચે જવાની...” માં એક તબક્કે શાયર કહે છે, 


“પલે ના સોગ યહાં, સુખી હો લોગ જહાં, 
હમકો હૈ સાથી ઐસી દુનિયા બસાની; 
સીનોંમેં આગ લિયે, હોટોંપે રાગ લિયે,
હમકો અંધેરે મેં હૈ શમ્મેં જલાની, 
કાલે પથ્થર કી કસમ,જબ તલક દમ મેં હૈ દમ, 
હમ યે દેખેંગે રસ્મેં પુરાની,  કર ન પાયે યહાં હુકમરાની,
હૈ આજ હમને યે દિલમેં થાની, લાયેંગે ઇક નઇ ઋત સુહાની..”

એ ગીત અહીં  મૂક્યું છે. તે જુઓ અને નીતુસિંગને મુક્ત મને નૃત્ય કરતાં જોવામાં  સાહિરના શબ્દો ચૂકી ના જવાય તેનું પણ ધ્યાન રાખજો!

  
સાહિર માત્ર જલદ જ લખતા અને સૌમ્ય નહતા લખી શકતા એમ કોઇએ ના માનવું. ‘કાલા પથ્થર’માં જ શશિકપૂર અને પરવીન બાબી પર ફિલ્માવાયેલા ગીત “બાહોં મેં તેરી મસ્તી કે ફેરે, સાંસોં મેં તેરી ખુશ્બુ કે ડેરે...”ના શબ્દો પણ માણવા જેવા છે અને સોહામણા શશિ સાથે બિન્દાસ બાબીની જોડીની મઝા તો સોને પે સુહાગા!

સાહિર લુધિયાનવી અને યશ ચોપ્રાની જોડીના ‘ત્રિશૂલ’માં સલીમ જાવેદની ચુસ્ત પટકથાને કારણે ગાયનની કોઇ ખાસ ગુંજાઇશ નહતી. છતાં તેમણે અમિતાભ બચ્ચનને તેમના (નાજાયઝ પિતા સંજીવકુમાર) સામે બદલો લેવા નાનપણથી તૈયાર કરતી માતા (વહીદા રહેમાન)ના હાલરડાની આપેલી કવિતા “તુ મેરે સાથ રહેગા મુન્ને...” પણ કેટલી ચોટદાર હતી! તેમાં છેલ્લે આવતા આ શબ્દો,“મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!” તો પરાકાષ્ટા સમાન હતા.
 
પરંતુ, એ ક્લાઇમેક્સ પર પહોંચતા પહેલાં સાહિર સાહેબ માતાનું જે સ્વરૂપ તેમની કવિતાથી સર્જે છે, તે શિવાજીને તલવારોના ખખડાટ વચ્ચે હાલરડાં સંભળાવતાં માતા જીજાબાઇની સ્મૃતિ તાજી કરાવી દે છે. સામાન્ય રીતે મા પોતાના દીકરાને પંપાળીને લાડ- કોડમાં ઉછેરે એવી ઇમેજથી તદ્દન વિપરિત અહીં તો માતા પોતાની રોજ ગાવાની લોરીમાં સ્પષ્ટ કહે છે, મૈં તુઝે રહમ કે સાયે મેં ન પલને દુંગી, જિન્દગી કી કડી ધૂપ મેં જલને દુંગી, તાકિ તપ તપ કે તુ ફૌલાદ બને, માં કી ઔલાદ બને...”
‘માનો દીકરો બનજે’ આ શબ્દોમાં (પ્રેમિકાને પ્રેગ્નન્ટ કરીને લગ્ન નહીં કરતા) બાપ જેવા કાયર નહીં બનવાનો આડકતરો ઇશારો પણ છે. છેલ્લે  પોતાની જીવનભરની બદનામી અને જિલ્લતની સોંપણી કરતાં એ વસિયત કરવાની અદામાં કહે છે, 

મેરા હર દર્દ તુઝે સીને મેં બસાના હોગા
મૈં તેરી માં હું મેરા કર્ઝ ચુકાના હોગા
મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, 
મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!

મતલબ કે “જો મને આજીવન બદનામી અને સંતાપમાં છોડી જનારો તારો ભાગેડુ બાપ સુખી રહે તો તું મારું ધાવણ લજવીશ!”  સલીમ-જાવેદની સ્ક્રીપ્ટમાં બદલો લેતા દીકરાનું અને તે માટે તેને તૈયાર કરતી માતાનાં જે પાત્રો લખાયાં હતાં, તેને સાહિરની આ કવિતા કેટલી સચોટતાથી ઉજાગર કરે છે. ફિલ્મમાં પોતાના જ પિતાને દરેક તબક્કે ધંધામાં પછડાટ આપીને ખુવાર કરતા અમિતાભના પાત્ર માટે એક ક્ષણ માટે પણ પ્રેક્ષકોમાં અભાવ થતો નથી. માતાના અવસાન અને અગ્નિ સંસ્કાર વખતેના બચ્ચન સાહેબના ચહેરાના હાવભાવ પણ એક્ટીંગના કોઇ પણ વિદ્યાર્થી માટે ટેક્સ્ટ બુકના પાઠ જેવા છે. Hats off! 

પણ એવા મજબુત સીન્સ બદલ લેખક, દિગ્દર્શક અને એક્ટર ત્રણેને દાદ આપતી વખતે શાયરની આવી જલદ કવિતાનો અણમોલ ફાળો કેટલા યાદ રાખતા હશે?  તેથી જ સાહિરનું અવસાન ૧૯૮૦ની ૨૫મી ઑક્ટોબરે થયા પછી યશ ચોપ્રાને એવી સારી-ચોટદાર- કવિતા માટે મુશ્કેલી પડવી શરૂ થઇ. એ તકલીફનો અંદાજ ‘ત્રિશૂલ’ પછીની તેમની ૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’માં તેમણે લેવા પડેલા પાંચ પાંચ કવિઓ પરથી ખ્યાલ આવે છે!


‘સિલસિલા’માં અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનની “રંગ બરસે...” પણ લીધી. જાવેદ અખ્તર પાસે “નીલા આસમાં સો ગયા...”, “દેખા ઇક ખ્વાબ તો યે સિલસિલે હુએ..” અને “મૈં ઔર મેરી તન્હાઇ...” લખાવ્યાં. ઉપરાંત  રાજેન્દ્ર કૃષ્ણની કલમે “પહલી પહલી બાર દેખા ઐસા જલવા...” તો હસન  કમાલ પાસે “સરસે સરકે સર કી ચુનરિયા...” અને  નીદા ફાઝલીની ગઝલ “ખુદસે જો વાદા કિયા થા, નિભાયા ન ગયા...” જે યશજીનાં પત્ની પમેલા ચોપ્રા પાસે ગવડાવી હતી. (પણ જે ફિલ્મમાં કદાચ રહી નહતી.) તે સિવાય મીરાંબાઇની ભક્તિ રચના “જો તુમ તોડો પિયા...” પણ ઉમેરો કે પછી પરંપરાગત પંજાબી ગુરુબાનીનું ભજન “બાંહ જિનાંદી પકડીયે....” પણ ગણત્રીમાં લો તો સાહિરની ખોટ કેવી લાગી હશે તે સમજાય. 


એક મજબુત શાયરની શોધ કરવાની રીતે તેમણે ‘મશાલ’માં જાવેદ અખ્તરને ગીતો પણ સોંપ્યાં. વાર્તા પણ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબની હતી. એમાં કવિતાથી સમાજ વ્યવસ્થા ઉપર પ્રહાર કરવા સહિતની ભરપુર તકો હતી. જાવેદે “ફુટપાથોં કે હમ રહનેવાલે....” જેવું વિષયને અનુરૂપ વિજળીના ચમકારા જેવું એક ગીત જરૂર આપ્યું. પરંતુ, સાહિર જેવી કવિતાની ચોટ જાવેદ જ શું કામ કોઇ પણ અન્ય શાયર ક્યાંથી લાવે? છતાં કવિ હ્રદય યશજીની શોધખોળ જારી જ હતી. તેમણે ‘ફાસલે’માં શાયર શહરયારને લીધા તો ‘વિજય’માં નીદા ફાઝલીને અને છતાં વાત જામતી નહતી. છેવટે ‘ચાંદની’માં સરળ શબ્દોના રમતિયાળ પ્રયોગ કરતા આનંદ બક્ષી આવ્યા અને જાણે કે તલાશ પૂરી થઇ. તેમણે ‘લમ્હે’, ‘ડર’ અને ‘દિલ તો પાગલ હૈ’નાં ગીતો લખ્યાં. (‘દિલવાલે દુલ્હનિયા....’ અને ‘મોહબ્બતેં’ પણ યાદ છે. પરંતુ એ આદિત્ય ચોપ્રાના નિર્દેશનની ફિલ્મો હતી.)
 
આનંદ બક્ષી પાસે યશ ચોપ્રાએ પોતાની એક પ્રયોગશીલ કહી શકાય એવી ‘દિલ તો પાગલ હૈ’માં પણ ગીતો લખાવ્યાં. તેમાં વિષય રંગમંચ તથા અસલી જીવનની ભેળસેળનો હતો. તેના સંગીતકાર ઉત્તમસિંગ અને બક્ષીબાબુએ ભેગા મળીને તેમાં કોરસ તથા `અનોખે બોલ'નો એક અનોખો વિક્રમ સર્જ્યો! લગભગ  દરેક ગાયનમાં “અરેરે...” “ઓહોહો...” કે પછી “લા લા લા લા...” અને “તુરુરુતતુ ...” જેવા સામૂહિક સ્વરો સમાવાય એવા શબ્દ અને સંગીતની રચના કરી. ઉપરાંત એક ગીતમાં ‘ઢોલના’ તો “ભોલી સી સુરત આંખોં મેં મસ્તી...”માં ‘આયે હાયે’ જેવા શબ્દો મૂક્યા. વળી વર્ષા ગીત “ઘોડે જૈસી ચાલ હાથી જૈસી દૂમ...”માં “ચાક ધુમ ધુમ...”ના અનોખે બોલનો પ્રાસ બેસાડ્યો. એ આખું આલ્બમ સાંભળો અને વિષય તેમજ સંગીતકારની સ્ટાઇલને અનુરૂપ શબ્દો લખવાની આનંદ બક્ષીની આવડત પર ઓવારી જવાય.

યશ ચોપ્રાએ તે પછીની ‘વીરઝારા’ બનાવી, ત્યારે તો બક્ષીજી પણ મોટા ગામતરે ઉપડી ગયા હતા. ફરી એક વાર જાવેદ અખ્તરને ફિલ્મનાં તમામ ગીત આપ્યાં. હવે જાવેદ મંજાઇ ચૂક્યા હતા. તેમની કસાયેલી કલમમાંથી “દો પલ રૂકા ખ્વાબોં કા કાફિલા ઔર ફિર ચલ દિયે તુમ કહાં હમ કહાં...” અને “તેરે લિયે હમ હૈં જિયે, હોંટોં કો સિયે....” જેવાં જબરદસ્ત ગીતો મળ્યાં. યશ ચોપ્રાની ફિલ્મોના સંગીત વિષે દરેક એંગલથી ચર્ચા કરવાનો આનંદ જ કંઇક જુદો જ હોય છે. એવા સર્જક સિનેમાપ્રેમીઓથી કદી દૂર જઇ શકે ખરા? તેથી તેમની કવિતા પારખુ દ્રષ્ટિમાંથી ચળાઇને આવેલી રચનાઓ સાંભળતી વખતે તેમના ચાહકોને યશજી એમ જ કહેતા હશે કે, “જાનમ, દેખ લો મિટ ગઇ દુરિયાં, મૈં યહાં હૂં યહાં હૂં...!”
માણો એ ગીત અહીં યશજીને પ્રિય એવાં ફુલો અને પ્રણયનાં ચિત્રોના સાનિધ્યમાં....



(મિત્રો જાણે છે એમ, ‘વીરઝારા’ આવ્યા પછી ભારતમાંના મારા સૅલફોનમાં  આ જ ગીત “મૈં યહાં હું...યહાં હું...યહાં....કૉલર ટ્યુન તરીકે વાગતું  હોય છે. Enjoy the whole song and feel the presence of Yashji.)


Saturday, November 3, 2012

જ્યોતિષ પ્રેમીઓ અને ધાર્મિક-મજહબી મિત્રોને સવાલ....

કાલ કા પહિયા ઘૂમે ભૈયા!

              ‘બદલાતા સમય’ના સવાલો.....
 

નવેમ્બર મહિનાના પહેલા રવિવારે એટલે કે ૪ તારીખે Day Light Saving Time હેઠળ કેનેડા - અમેરિકા જેવા દેશોમાં સમયમાં એક કલાકનો ફરક કરવામાં આવશે. એ આખી પ્રક્રિયા જ કેટલી જંગમ કહેવાય? તમામ વ્યક્તિગત ઘડિયાળ રીસ્ટ વૉચ, દિવાલ ઘડિયાળ, ટાવર્સ... ટૂંકમાં સમય દર્શાવતાં તમામ ઉપકરણ એક જ સમયે એક કલાકનો ફરક શરૂ કરી દે! એ જ રીતે માર્ચ મહિનો આવતાં એ તમામ યંત્રોને પાછાં કલાક સમય આગળ વધારી દેતાં કરી દેવાનાં. ક્યાંય કોઇ ભૂલ નહીં. માણસે કરેલી આ વ્યવસ્થા છે. પણ જે ચોક્સાઇથી એ અમલમાં મૂકાય છે, It really really fascinates me! કેમ કે તેમાં ઘડિયાળના કાંટા આગળ-પાછળ કરીને પોતાની જરૂરિયાત અનુસાર સમયને નાથવાની માણસની શક્તિનું મને દર્શન થાય છે.



પરંતુ, તેની સાથે જ એક સવાલ જ્યોતિષ અને ધાર્મિક કે મજહબી પ્રક્રિયાઓ તથા ક્રિયાકાંડ અંગે થાય છે. જ્યોતિષ વિદ્યા આકાશમાં ફરતા ગ્રહોની ગોઠવણી પર આધારિત છે.  દરેક ગ્રહની એક ચોક્કસ ગતિ છે અને તે એક ચોક્કસ સમય સુધી એક સ્થાન (ઘર)માં રહે અને તે અનુસાર તેનું શુભ - અશુભ ફળ હોય. એક જ સ્થાનમાં એક કરતાં વધુ ગ્રહો આવે તો યુતિ થાય અને મિત્ર ગ્રહો ભેગા થાય તો વધારે સારું ફળ આપે વગેરે નિયમો છે. કોઇપણ વ્યક્તિની જન્મ કુંડળીમાં કયો ગ્રહ કયા સ્થાનમાં છે તેનો સઘળો આધાર જન્મનું સ્થળ, જન્મનો દિવસ અને ખાસમ ખાસ તો જન્મનો સમય કયો છે, તેના ઉપર આધારિત હોય છે. (હવે તો કંપનીઓની અને રાષ્ટ્રોની કે પ્રધાનમંડળોની પણ કુંડળી મૂકાતી હોય છે; પણ એ અલગ વાત છે!)


આપણે જાણીએ છીએ કે પંચાંગ ભારતમાં તૈયાર થાય છે. તેમાં સેકન્ડે સેકન્ડનો (અથવા જ્યોતિષીઓનો પ્રિય શબ્દ વાપરીએ તો ‘ઘડીએ ઘડીનો’!) હિસાબ માંડીને સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અગાઉથી કહી દેવાય છે; તેમજ ગ્રહોની સ્થિતિ પણ આગાહિત કરી દેવાય છે. તેના ઉપર જ બધા ફળાદેશ થતા હોય છે. તો જ્યોતિષ વિદ્યા ખરેખર જ સાચી છે એમ ગણીએ તો, પરદેશમાં જ્યાં સમય વરસમાં બે વખત આગળ - પાછળ કરી દેવાતો હોય, ત્યાં ગ્રહોની માંડણી કેવી રીતે ચોક્કસ થઇ શકે? અને તેને આધારે થનારું ફળકથન પણ કેટલું વિશ્વાસપાત્ર હોય? કેમ કે શનિ-મંગળ કે ગુરૂ- શુક્ર તો આ પૃથ્વી પરનાં ઘડિયાળોનાં મોહતાજ હોવાનાં જ નહીંને? એ તો તેમની ગતિએ એકથી બીજા સ્થાનમાં ખસ્યા જ કરવાના. 


 એ જ રીતે, પરદેશમાં શુભ - અશુભ ચોઘડીયાં પણ કેવી રીતે ગણાય? કેમ કે ભારતમાં તો એવો કોઇ સમયનો ફરક ગણત્રીમાં લેવાતો જ નથી. તો ગઇ કાલે પહેલું ચોઘડિયું સવારે ૬ વાગે શરુ થતું હતું તે જ સમય ટાઇમ બદલાવાથી આજે પાંચ કે સાત વાગે થાય! તો એ જ સમયે ‘શુભ’ કે ‘અમૃત’ ને બદલે ‘કાળ’ કે ‘રોગ’ ચોઘડિયું હોય એ શક્ય નથી? મુરતિયા અને કન્યાની કુંડળી મેળવવામાં કે ગુણાંક કાઢવામાં આ બધું ગણત્રીમાં લેવાતું હશે કે?
 

 “દેશકાળ પ્રમાણે...” શું કરવું તેનું બધું માર્ગદર્શન શાસ્ત્રોમાં હોવાનું ગર્વપૂર્વક કહેવાતું હોય છે. ત્યારે આવા સંજોગોનું કોઇ સમાધાન હશે ખરું? એ જ વાતને આગળ વધારીએ તો ભગવાનને જગાડવાના, શણગારના, જમાડવાના, શયનના વગેરે સમયનું શું? મંગળા, થાળ કે આરતીના સમયમાં પણ વરસમાં બે વખત ફેર થાય તો પ્રભુ તેમની જાતે ઍડજ્સ્ટ કરે કે પછી ઘડિયાળમાં એક કલાકનો ફરક થાય ત્યારે ભગવાનને એક સ્પેશ્યલ પ્રાર્થના કરીને હવેથી બદલાયેલા સમય પ્રમાણે જાગવા-સૂવાની વિનંતિ કરાતી હશે?
 
એવું જ નમાઝનું પણ કહી શકાય. તેમાં પણ સૌ સમયના ખુબ પાબંદ હોય છે. નમાઝનો સમય થાય, એટલે કોઇ પણ જગ્યાએ અલ્લાહની બંદગી કરી જ લેવાની એવો કડક નિયમ પાળીને પાંચ વખતની નમાઝ પઢનારા નમાઝીઓ હોય છે. કેટલીય બહેનો પાંચેય ટાઇમની નમાઝ ઘરમાં પઢતી હોય છે. ત્યારે સવાલ એ થાય કે આજે ‘એક વાગ્યો’ એમ ગણીને નમાઝ પઢવામાં આવી હોય એ જ સમયની નમાઝ એક જ દિવસ પછી સમય બદલાયો હોય એટલે બાર વાગે કે બે વાગે પઢાતી હોય છે! તેનો કોઇ ઉકેલ થયો હોય એવું પણ જાણમાં નથી. 

તેથી હું બહુ ગંભીરપણે માનતો થયો છું કે પરદેશમાં રહીને વ્યક્તિના નાસ્તિક થવાના ચાન્સીસ વધી જાય છે.... સૉરી ‘નાસ્તિક’ નહીં ‘રૅશનાલિસ્ટ’ થવાની શક્યતા વધી જાય છે. આ વિષય પર બીજું ઘણું કહી શકાય એમ છે, પણ આજે તો જ્યોતિષીઓ અને ધાર્મિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા મિત્રો આ બાબતે શું માને છે એ જ જાણવાની ઉત્કંઠા છે. મારે માટે આ નવેસરથી વિચારવાનું એલાર્મ -Wake up Call- તો છે જ!