Saturday, August 18, 2012

''ઓ ફિલ્મી કવિ, તુઝે સલામ!"





૧૫ મી ઓગસ્ટ  કે ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે પણ કદી આપણે એ વિચારીએ છીએ કે આપણી રાષ્ટ્રભક્તિને  જાગૃત કરવામાં ફિલ્મી ગીતો કેટલો મોટો ભાગ ભજવે છે? ક્યારેય પણ ફિલ્મી ગીતકારોને આપણે એવું સન્માન આપી શક્યા છીએ જેના તેઓ હક્કદાર છે? 'કાબુલીવાલા' ના ''અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન, તુઝ પે દિલ કુરબાન...'' માંની પંક્તિઓ ''તેરે દામન સે જો આયે ઉન હવાઓ કો સલામ, ચુમ લુ મૈં ઉસ જુબાં કો જિસ પે આયે તેરા નામ...’' સાંભળતા વતનથી દુર વસતા  સંવેદનશીલ ભાવકની આંખ ભીની થઇ જ જાય. પણ મન્ના ડેએ ગાયેલા તે  ગીતના રચયિતા કવિ પ્રેમ ધવનને  કેટલા શ્રોતાઓ યાદ કરતા હશે?

પ્રેમ ધવને જ મનોજ કુમારની 'શહીદ'ના ગીતો પણ લખ્યા હતા. 'શહીદ'ની સ્મૃતિ તાજી થતાં જ '' મેરા રંગ દે બસંતી ચોલા....',  'અય વતન, અય વતન, હમ કો તેરી કસમ, તેરી રાહો મેં જાં તક લૂટા જાયેંગે, ફૂલ ક્યા ચીઝ હૈ, તેરે કદમો પે હમ, ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.....' અને ''પઘડી સંભાલ જત્તા......'' જેવાં ગીતો પણ દિલના દરવાજે દસ્તક દેવા માંડે. એ જ પ્રેમ ધવને 'હમ હિન્દુસ્તાની'નું ટાઈટલ ગીત  ''છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે મિલકર નઈ કહાની, હમ હિન્દુસ્તાની...'' લખ્યું હતું એ વાતની મુકેશની સાથે સાથે એ ગાયન ગાતા કેટલા રસિકજનોને ખબર હશે?

કે પછી 'જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા વો ભારત દેશ હૈ મેરા....'' 'સિકંદરે આઝમ'નું ગૌરવવંતુ ગાન કવિવર રાજેન્દ્ર કૃષ્ણની રચના છે એ વિગત પણ કેટલા જાણતા હશે? અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય કે કેટલા એ વાતની દરકાર કરતા હશે?  અરે, જૂના ગીતો છોડો (છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની!) પણ આજના સમયમાં એ. આર. રહેમાને  બંકિમચંદ્રએ લખેલા બંગાળીને  આપણા રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ' ને  હિન્દીમાં ''ઓ માં તુઝે સલામ...'' એમ કહીને કેટલું  સુંદર ગાયું છે? પણ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે નારા ઉપર દેશના અસંખ્ય દૂધમલ જવાનો ફના થઇ ગયા  હતા એ સૂત્ર અને એ સમગ્ર ગીતની  એટલી અદ્ભુત હિન્દી આવૃત્તિ લખનાર આજના શાયર મેહબૂબ છે એ જાણવાની પણ કાળજી કેટલા રાખતા હશે?
રાષ્ટ્રકવિ પ્રદીપજી
એ જ રીતે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી એ લાઉડ સ્પીકર ઉપર થી દરેક  ગલી મહોલ્લા કે શમિયાણા અને રેડિયો સ્ટેશન ઉપરથી અચૂક વાગતા પ્રદીપજીના ગીત 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...' એ આપણી રાષ્ટ્રીય ચેતનાને પુન: જાગૃત કરવામાં આપેલા ફાળાની નવી પેઢીનાં કેટલાં જુવાનિયાંને ખબર હશે? ચીન સાથે  લડાઈ ૧૯૬૨માં  થઇ અને વરસો પુરાણી થ્રી નોટ થ્રીની બંદુકો જેવી શસ્ત્ર સામગ્રી સાથે લડવા મોકલેલા આપણા  લશ્કરને ધાણી ફૂટતી હોય એમ ગોળીઓની બૌછાર  કરતી આધુનિક સ્ટેનગન અને કચડી નાખનારી ટેન્કો સામે ટકવું મુશ્કેલ થયું હતું.  કોઈ મોટો દેશ હુમલો નહિ કરે એવી શાંતિપ્રિય માનસિકતાને કારણે રાખેલા તદ્દન મામુલી બજેટને લીધે શહીદ અને ઘાયલ  જવાનોના પરિવારો માટે  નાણાંની નવેસરથી વ્યવસ્થા  કરવાની હતી.એટલે 'સૈનિક ફાળો'  પણ ઉઘરાવવાનો થયો હતો.

 
પ્રદીપજી, લતા મંગેશકર અને સંગીતકાર સી. રામચન્દ્ર

એવા માહૌલમાં પ્રદીપજીએ લખ્યું આ અમર ગીત... 'અય મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની...'  અને લાલ કિલ્લા ઉપરથી લતાજીએ સી. રામચંદ્રના સંગીત નિર્દેશનમાં પહેલી વાર ગાયું, ત્યારે જવાહરલાલ નેહરુ સહીત સૌની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી. પછી તો દેશ આખાએ પણ વીરોની શહિદી ઉપર આંસુ વહાવ્યા અને સૌએ જાણ્યું કે 'દસ દસ કો એક ને  મારા...' અને  'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, જબ હમ બૈઠે થે ઘરો મેં, વો ઝેલ રહે થે ગોલી...'!


સૌ જાણતા હોય છે કે સૈનિકો કે કોઈપણ પ્રકારે આપણી સલામતી વ્યવસ્થામાં  વ્યસ્ત એવા સુરક્ષાકર્મીઓ કેવી રીતે કાર્ય કરતા હોય છે.... પછી એ સેના હોય, પોલીસ  કે પછી ફાયર બ્રિગેડના જવાનો હોય. પણ એ હકીકતને એટલી ચોટદાર રીતે કાવ્યાત્મક રજૂઆતથી મુકવાનું પરિણામ એ આવ્યું  કે સમગ્ર રાષ્ટ્રની હતાશા ખંખેરાઈ ગઈ. લશ્કર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ વધારે હકારાત્મક થયો. આપણે માત્ર શસ્ત્ર સામગ્રીની રીતે અદ્યતન થવાની જરૂર છે અને જવાનોની શૂરવીરતા બેમિસાલ છે એ સંદેશો પહોંચાડવામાં પ્રદીપજીના શબ્દોએ ત્યારે આપેલા ફાળાનું ઋણ કદી ઉતરી શકે એવું છે? (પ્રદીપજીનાં ‘જાગૃતિ’ સહિતનાં ગીતો અને અહીં ના ઉલ્લેખાયાં હોય એવાં રાષ્ટ્ભક્તિનાં કોઇ ફિલ્મી ગાન તમે ઉમેરી શકો છો?)

ગુલશન બાવરા
 “અય મેરે વતન લોગોં...” જે યુધ્ધની પૃષ્ઠભૂમિમાં લખાયું હતું, તે ‘ચાયના વોર’ના બેકગ્રાઉન્ડમાં જ ‘હકીકત’ બન્યું હતું અને તેમાં કૈફી આઝમીએ લખ્યું “કર ચલે હમ ફિદા જાન-ઓ-તન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો...”! પણ દેશભક્તિના માહૌલમાં મનોજકુમારને અને ખાસ તો ‘ઉપકાર’ના ભારતકુમારને ના સંભારીએ તે કેમ ચાલે? તેનું સૌથી લોકપ્રિય ગીત એટલે ગુલશન બાવરાએ લખેલું “મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી...” કદાચ આ ગીત વિના કોઇ પણ સ્વાતંત્ર્ય સમારંભની ઉજવણી થતી નહીં હોય... પછી એ ઇન્ડીયામાં હોય કે અહીં પરદેશની ધરતી પર હોય. મનોજકુમારની ‘પૂરબ ઔર પશ્ચિમ’માં ઇન્દીવરની કલમેથી મળ્યું, “હૈ પ્રીત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હૂં, ભારત કા રહનેવાલા હૂં ભારત કી બાત સુનાતા હૂં...” અને તેમાં જ એ કવિએ આપ્યું એક સરસ રૂપક ગીત.... “દુલ્હન ચલી, હો પહન ચલી તીન રંગ કી ચોલી...” તેમાં એક તબક્કે કહે છે, “દેશપ્રેમ હી આઝાદી કી દુલ્હનિયા કા વર હૈ...” ! (આજના ભારતમાં જો રાષ્ટ્રપ્રેમની કમી જણાતી હોય તો આઝાદી નામની દુલ્હનના વરરાજા વગર તેનું રક્ષણ કોણ કરશે એ ચિંતા થવી વ્યાજબી જ છેને?)

એ જ દુલ્હનને મનોજકુમારની તે પછીની એક ફિલ્મ ‘ક્રાન્તિ’માં “અબ કે બરસ તુઝે ધરતી કી રાની કર દેંગે...”નો આશાવાદ સંતોષ આનંદ કરાવે છે. દેખીતી રીતે જ ભારતને વિશ્વની ટોચની સત્તા બનાવવાનું એ સપનું હતું; જે તેના ભવ્ય ભૂતકાળની હકીકત હતી. તો ભારતીયતાની પ્રશંસા કરતાં સાહિર લુધિયાન્વીએ દિલીપકુમારની ‘નયાદૌર’માં કરાવી હતી; જ્યારે તેમણે લખ્યું, “યે દેશ હૈ વીર જવાનોં કા, અલબેલોં કા મસ્તાનોં કા, ઇસ દેશ કા યારોં ક્યા કેહના યે દેશ હૈ દુનિયા કા ગેહના...”

આનંદ બક્ષી
દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘લીડર’માં શકીલ બદાયૂનિની કલમેથી મળ્યું એક એવું ગીત જેમાં ચેતવણી પણ હતી. એ ગીત “અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં, સર કટા સકતે હૈં લેકિન સર ઝૂકા સકતે નહીં..”માં એક તબક્કે એ કહે છે, “એક ધોખા ખા ચૂકે હૈં ઔર ખા સકતે નહીં...” (છતાં રાજકારણીઓની અણ આવડતને કારણે પાકિસ્તાન સાથે તે પછી ઠેઠ કારગીલ હુમલા સહિત કેટલીવાર આપણે ધોખા ખાધા અને એવા દરેક યુધ્ધમાં આપણા જવાનોની શૂરવીરતાને લીધે પાકિસ્તાન આપણા મારના ધોકાથી ધોવાયું!) દિલીપકુમારની જ અન્ય એક ફિલ્મ ‘કર્મા’માં આનંદ બક્ષીએ લખેલું ગીત “હર કરમ અપના કરેંગે, અય વતન તેરે લિયે, દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિયે...” બાબા રામદેવ તેમની શિબીરોમાં નિયમિત ગવડાવે છે. એ જ આનંદ બક્ષીએ ‘ફુલ બને અંગારે’માં લખ્યું, “વતન પે જો ફિદા હોગા, અમર વો નૌજવાં હોગા...” જ્યારે દેવ આનંદ જેવા ‘પ્રેમપૂજારી’ને હિન્દીના શ્રેષ્ઠતમ કવિ ગોપાલદાસ ‘નીરજ’ની આ કવિતા મળી, “તાકત વતન કી હમ સે હૈ, હિમ્મત વતન કી હમ સે હૈ, ઇન્સાન કે હમ રખવાલે...”

તાજેતરની ફિલ્મોમાં ‘ચક દે ઇન્ડીયા’ના ટાઇટલ ગીતમાં વાત ભલે હોકીની રમતની હતી. પરંતુ, પ્રત્યેક દેશવાસીને શુરાતન ચઢે એ રીતે સુખવિન્દરે છાતી ફાડીને ગાયું હતું. એ જ રીતે શહીદ ભગતસિંગના જીવન પરથી બનેલી  બન્ને ફિલ્મોમાં પણ રાષ્ટ્રભક્તિનાં ગીતો હતાં જ. જેમ કે ‘ધી લીજેન્ડ ઓફ ભગતસિંગ’માં સમીરનું લખેલું “દેસ મેરે...” અને “૨૩ માર્ચ ૧૯૩૧ શહીદ’ માટે દેવ કોહલીનું “સાંસ હૈ જબ તલક અય વતન...” જેવાં ગીતો મળે છે, ખરાં.

એમ તો ‘રંગ દે બસંતી’ નામનું આમિરખાનનું પિક્ચર પણ આવ્યું. પરંતુ, એકંદરે હવેનાં ચિત્રોમાં મોટેભાગે તો ‘ભારત’ને બદલે ‘ઇન્ડીયા’ બતાવવાના અને તે પણ ઉપલકીયા જ પ્રયત્ન  હોય છે. હવેના સર્જકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવા જનાર શહેરી યંગસ્ટર્સને તથા ઓવરસીઝ સેટલ થયેલા એન આર આઇની યંગ જનરેશનનને ધ્યાનમાં રાખીને પિક્ચરો બનાવતા હોઇ જો કોઇ શહીદ થયું હોય તો તે રાષ્ટ્રભક્તિ! હવેના નિર્માતાઓ કદાચ “અય મેરે વતન કે લોગોં...” જેવું કોઇ દેશના લોકો માટેનું ગીત લખાવવાને બદલે પોતાના બેનરના ‘લોગો’ની માર્કેટવેલ્યુ વધાર્યા કરતા નથી લાગતા? સોચો ઠાકુર!! 
જય હિન્દ.....જય હિન્દ.....જય હિન્દ કી સેના!!

Monday, August 13, 2012

૧૯૬૯: કર્ણપ્રિય સંગીતથી છલોછલ વર્ષ!

સંગીતના ખજાનાનું વાર્ષિક સરવૈયું જ્યારે પણ જોવાય, ત્યારે ૧૯૬૯ની સાલને ‘આરાધના’ને કારણે એસ.ડી. બર્મન અને વધારે તો રાજેશ ખન્નાના વરસ તરીકે ગણાતું હોય છે. સુપર હીટ અર્થાત વેચાણની રીતે અત્યંત સફળ મ્યુઝિક ‘આરાધના’નું જરૂર હતું. પરંતુ, ’૬૯ના વરસને ઐતિહાસિક રીતે ચકાસીએ તો સમજાય કે તે સાલનો સમગ્ર ખજાનો પણ કર્ણપ્રિય સંગીતથી છલોછલ જ હતો. જેમ કે એક સમયના ‘નંબર વન’ શંકર જયકિશનની શમ્મી કપૂર સાથેની જોડીનું ‘પ્રિન્સ’ અને તેનું ધમાકેદાર “બદન પે સિતારે લપેટે હુએ...” અને  ‘તુમ સે અચ્છા કૌન હૈ’માં “જનમ જનમ કા સાથ હૈ, નિભાને કો...” રફીના અવાજમાં એ વર્ષે હતાં.


તો સંજીવકુમારના ‘ચંદા ઔર બિજલી’માં મન્નાડેનું “કાલ કા પહિયા ઘૂમે ભૈયા...” પણ ખરું, જેના શબ્દો માટે કવિ ‘નીરજ’ને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ જ બેલડીએ ધર્મેન્દ્રના ‘યકીન’નું અમર ગીત “ગર તુમ ભૂલા ન દોગે, સપને યે સચ હી હોંગે, હમ તુમ જુદા ન હોંગે...” અને ‘પ્યાર હી પ્યાર’નું “મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં અય કવિતા...” રફીના સ્વરમાં ’૬૯માં આપ્યાં હતાં. તેમણે જ રાજેન્દ્રકુમાર માટે ‘શતરંજ’માં “તુમ્હેં મૈં અગર અપના સાથી બનાલું....” આપ્યું હતું.

રાજેન્દ્રકુમારનું ‘સાથી’ તેની આગલી સાલ ’૬૮માં હતું, જેમાં નૌશાદ, મજરૂહ અને મુકેશની ત્રિપુટી ૨૦ વરસ પછી એકત્ર થયાની ઐતિહાસિક ઘટનાએ તે દિવસોમાં ખુબ અપેક્ષાઓ જગવી હતી અને મ્યુઝિક જ્યારે બજારમાં આવ્યું, ત્યારે એટલું જ લોકપ્રિય પણ થયું હતું. ૧૯૬૯નું આખું વરસ ઠેર ઠેર ખુબ વાગેલાં તેનાં ગાયનોમાં લતાજીનાં “યે કૌન આયા રોશન હો ગઇ મેહફિલ કિસ કે નામ સે...” અને “મેરે જીવન સાથી, કલી થી મૈં તો પ્યાસી...” જરૂર હતાં. પરંતુ, મેદાન મારી ગયું  હતું, મુકેશ સાથે સુમન કલ્યાણપુરે ગાયેલું ડ્યુએટ  “મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ...”! તે દિવસોમાં રેડિયો પર કે પછી પૈસા નાખીને ફરમાઇશ કરી શકાતા જ્યુક બોક્સમાં આ ગાયન અગણિત વખત વાગ્યું હશે.

એવું જ મુકેશનાં અન્ય બે ગાયનોનું તે વર્ષે કહી શકાય. એક તો કલ્યાણજી આણંદજીના ‘વિશ્વાસ’નું “ચાંદી કી દિવાર ન તોડી...” અને ‘સંબંધ’માં ઓ.પી.નૈયરે ગવડાવેલું “ચલ અકેલા ચલ અકેલા.... તેરા મેલા પીછે છુટા રાહી, ચલ અકેલા...”, જે બિનાકા ગીતમાલાની વાર્ષિક સ્પર્ધામાં ચોથા નંબરે વાગ્યું હતુ! જો કે ‘સંબંધ’માંના મહેન્દ્ર કપૂરના ગીત “અંધેરે મેં જો બૈઠે હૈં, નજર ઉન પર ભી કુછ ડાલો, અરે ઓ રોશની વાલોં....” ઉપર નજરમાં જ નહીં, કાન પર ધર્યા વગર પણ કેમ આગળ વધાય?

‘વિશ્વાસ’માં પણ એમ જુઓ તો  “મુસ્કુરા કે હમ કો લૂટા આપને...” અને “લે ચલ, લે ચલ મુઝે ઉસ દુનિયા મેં...” એ હેમલતા સાથેનું યુગલ ગીત જેવાં અન્ય ગાયનો પણ હતાં.  મુકેશ પાસે કલ્યાણજી આણંદજીએ તે વર્ષે ‘તમન્ના’નું કોમિક ગીત “તાશ કે બાવન પત્તે, પંજે છક્કે સત્તે...” પણ ગવડાવ્યું હતું. મુકેશનો અવાજ એ ગાયનમાં કોના પર હતો, જાણો છો? કદીક જ પડદે ગીત ગાતા કોમેડિયન અસિતસેન પર એ ગીત હતું અને તેમની સાથે આગા પણ હતા.

કલ્યાણજી આણંદજીના સંગીતમાં એક ઓર ગાયન ‘રાજાસાબ’નું “કિસી મેહરબાં કી નજર ઢૂંઢતે હૈં...” હતું. તે પડદા ઉપર શશિ કપૂર ગાય છે, ત્યારે એ મહંમદ રફીના સ્વરમાં છે. પરંતુ, એ જ ગાયન આપણા મનહર ઉધાસના કંઠમાં પણ રેકોર્ડ થયું હોવાની અને શુટિંગ એ જ અવાજમાં થયું હતું તથા મિક્સીંગ વખતે રફીનું વર્ઝન ઉપયોગમાં લેવાયું હોવાની વાતો ત્યારે હતી. મનહરભાઇ અને સુમન કલ્યાણપુર પાસે કલ્યાણજી આણંદજીએ “આપ સે હમ કો બિછડે હુએ, એક જમાના બીત ગયા...” તે સાલ ‘વિશ્વાસ’માં ગવડાવ્યું હતું.

એ જ શશી કપૂરના ‘પ્યાર કા મૌસમ’નાં આર.ડી. બર્મનનાં ગીતો “તુમ બિન જાઉં કહાં...” અને “ની સુલ્તાના રે, પ્યાર કા મૌસમ આયા...” રફીના અવાજમાં હતાં.  એ જ ‘પંચમ’ના મ્યુઝિક્ની તે દિવસોના નવા સ્ટાર જીતેન્દ્રના પિક્ચર ‘વારિસ’માં “કભી કભી ઐસા ભી તો, હોતા હૈ જિંદગી મેં...” તથા “એક બેચારા પ્યાર કા મારા....”થી ખાસ નોંધ લેવાઇ. કેમ કે એ સાઉથની ફિલ્મ હતી, જ્યાં શંકર જયકિશન, રવિ અને છેલ્લે છેલ્લે ‘મિલન’ (૧૯૬૭)થી લક્ષ્મીકાન્ત પ્યારેલાલને પિક્ચરો મળતાં હતાં.  

જો કે ‘વારિસ’નું સ્ટાર આકર્ષણ કોમેડિયન મહેમૂદ હતા. ફિલ્મની નવી નવી હીરોઇન હેમામાલિની સાથે મહેમૂદને ભાગે આવેલું એક ગાયન “કૌન હૈ વો કૌન મુઝે જિસને જગાયા, ધરતી પે આજ યમલોક સે બુલાયા...”  (આ લેખના અંતે મૂકેલા અને મહેમૂદને પણ તેમના અસલ રંગમાં બતાવતા વિડીયોમાં) જુઓ તો સમજાય કે હેમા આરંભના પિક્ચરમાં પણ જરૂર પડે ઝનૂનથી ડાન્સ કરવા ઉપરાંત એક્ટીંગ પણ કેવી સરસ કરતી. જ્યારે મહેમૂદ માટેના કોમેડી ગીતમાં આર.ડી.બર્મન પણ આગલા વરસના ‘પડોસન’ (૧૯૬૮)ની માફક જ કેવા જબરા ખીલ્યા હતા!  તેમના પિતાશ્રી સચિનદેવ બર્મને ‘આરાધના’થી મચાવેલી ધૂમમાં એ આલ્બમો કદાચ દબાઇ ગયાં હતાં. ૧૯૬૯ના હજી બાકી અદભૂત સંગીત ખજાનાની વાતો આવતા વખતે.

Friday, August 10, 2012

RIP Suresh Dalal


શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.
                                                    - સુરેશ દલાલ



‘કૃષ્ણ પ્રેમ’નાં કેટલાંય કાવ્યોના રચયિતા કવિ  સુરેશ દલાલનું અવસાન જન્માષ્ટમિના દિવસોમાં થાય એ કેવો પાવન જોગાનુજોગ!

તેમની પ્રકાશન સંસ્થા ‘ઇમેજ’નાં પુસ્તકોના આગમનથી પ્રકાશનની દુનિયામાં પ્રિન્ટીંગ અને ડીઝાઇનની ક્વોલીટીમાં નિર્ણાયાત્મક ફરક આવ્યો. મુંબઇથી આવતાં ‘આઇએનટી’ અને પ્રવીણ જોશીનાં નાટકોએ એક સમયે તેના પોલીશ્ડ પ્રોડક્શન્સથી રંગમંચની દુનિયામાં આવકારદાયક ફરક આણી દીધો હતો; એવું જ કૈંક પુસ્તકોની દુનિયામાં થયું હતું.

અંગત રીતે મારો તેમની સાથેનો પરિચય એ જાહેર કાર્યક્રમોમાં બોલ્યા હોય તે વક્તવ્યના ચાહક તરીકેનો વધારે. (તેમને તસ્વીરોમાં ઝડપવાનો જેને ખુબ લાભ મળ્યો હતો એવા
કેમેરાના કસબી અને પ્રિય મિત્ર સંજય વૈદ્યના સૌજન્યથી સુરેશભાઇની ચશ્માં વિનાની દુર્લભ તસ્વીર છેલ્લે મૂકી છે. )
 


ગુજરાતી ‘કવિતા’ અને કવિઓના  પ્રિય એવા સુરેશભાઇની વક્તા તરીકેની શૈલી  ખાસ્સી રમતિયાળ. તેમને જેટલા પણ સમારભોમાં બોલતા સાંભળ્યા છે, તેમાં એ સ્ટેજ પરથી બોલતા હોય તો પણ જાણે મિત્રોની મહેફિલમાં વાતચીત કરતા હોય એમ જ લાગે. એક સારા ફટકાબાજ બેટ્સમેનની જેમ બાઉન્ડ્રી માર્યા વગરની કોઇ ઓવર ખાલી ના જાય.

તેથી આજે વિશેષ કાંઇ ન કહેતાં કવિ મિત્ર અંકિત ત્રિવેદીને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’ અપાયો, ત્યારના તેમના પ્રવચનનો વિડીયો અહીં મૂકું છું. અંકિતે તેમની ક્ષમતા વિશે એ જ કાર્યક્રમમાં કહ્યું હતું કે “આમલેટમાંથી ઇંડું બનાવીને મરઘીનો જન્મદિવસ ઉજવી શકે એ સુરેશ દલાલ જ હોઇ શકે!”  

સાંભળીએ સુરેશ દલાલને... (૨૦ મિનિટના વક્તવ્યમાં કોઇ મેઇડન ઓવર નથી.... ગેરન્ટી.)


 

         RIP Suresh Dalal....!

તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.

તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.

તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.

તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,

કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને

તારા વિના ?



                                                            - સુરેશ દલાલ





 

Wednesday, August 8, 2012

સુરેશ સરૈયા: રેડિયોની જ ‘નજીક’ રહેલા કોમેન્ટ્રીકર્તા!








 ક્રિકેટ માટેની જે ઘેલછા આપણે ત્યાં ભારતમાં છે, તે માટે સૌથી વધુ જવાબદાર જો કોઇ હોય તો તે રેડિયો કોમેન્ટ્રી! આજે તો કલર ટીવી ઉપર મેદાનનું એક એક દ્રશ્ય આપણી આંખ સામે આવી જાય છે. પરંતુ, માત્ર રેડિયો દ્વારા કોમેન્ટ્રી સાંભળીને ક્રિકેટની મઝા લેવાનો એક જમાનો હતો. તે દિવસોમાં જો એ આનંદ મળતો ના હોત તો કદાચ અંગ્રેજોની ગણાયેલી ક્રિકેટ આપણે ત્યાં આટલી લોકપ્રિય થઇ હોત કે કેમ એ પણ સવાલ છે. કોમેન્ટ્રીના અભાવે ખો ખો, કબડ્ડી કે લંગડી જેવી ઘરેલુ રમતો બાજુ પર જ થઇ ગઇ છેને? ક્રિકેટની રેડિયો કોમેન્ટ્રીના એકાધિકારના દિવસોમાં તો જેમના ઘેર કે દુકાને રેડિયો હોય એ કેવી તુમાખી રાખી શકતા!

અરે બસમાં જો એકાદ જણ પાસે ટ્રાન્ઝીસ્ટર હોય તો તેનું માનપાન કેટલું બધું હોય. મુસાફરોના અવાજમાં કોમેન્ટ્રી  સાંભળી ના શકાય તો વાતો બંધ કરાવવા કન્ડક્ટર પણ કામે લાગે. ડ્રાઇવર બસ બાજુ પર ઉભી રાખીને
સ્કોર જાણ્યા પછી આગળ ચલાવે. અમે ભણતા ત્યારે વડોદરામાં દાંડિયા બજારમાં કેનેરા કોફી હાઉસની સામેની એક રેડિયો શોપ ઉપર વાગતી કોમેન્ટ્રી સાંભળવા જે પ્રમાણમાં ટોળું દુકાન સામે એકત્ર થતું, તેની મઝા જ કોઇ ઓર હતી. વડોદરાના ચંદુ બોરડેએ એક ટેસ્ટમાં હાઇએસ્ટ એવા ૧૭૨ રન કર્યા ત્યારે, રેડિયો ઉપર ફુલના હાર ચઢ્યા હતા અને અમારી મોડેલ સ્કૂલમાં ઉત્સવનું વાતાવરણ હતું. બોરડે અમારી સ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી કહેવાતા. (એ દાવો કદાચ વડોદરાની બીજી ઘણી શાળાઓએ તે દિવસોમાં કર્યો હોય એ પણ શક્યતા ખરી!) પણ રેડિયો કોમેન્ટ્રીમાં કેટલાક અવરોધ પણ ખરા. જેમકે ઓલ ઇન્ડીયા રેડિયોના ‘સમાચાર’!



“યે આકાશવાણી હૈ, અબ આપ દેવકીનંદન પાન્ડે સે સમાચાર સુનિયે...” જેવું કશુંક બોલાય અને શ્રોતાઓના ટોળામાં ફાળ પડે. કેમ કે ૧૦માંથી ૯ વખત એવું બને કે ન્યુઝ દરમિયાન જ કશાક મોંકાણના સમાચાર આવ્યા હોય. મુખ્ય સમાચારમાં વિના વિકેટે ૭૬ રન હોય અને જ્યાં છેલ્લે રમત ગમતના ન્યુઝ બોલાય ત્યારે બે વિકેટે ૭૮ સ્કોર હોય! એવું જ કોમેન્ટેટરમાં પણ બને. મહારાજા ઓફ વિજયનગરમ ‘વિઝી’ બોલે ત્યારે કશું જ સમજાય નહીં એવું ગરબડ સરબડ ઇંગ્લીશ બોલતા હોય. વળી, એ બિચારા જૂની કોઇ વાત પર ચઢી જાય તો ‘નમક હલાલ’ના અમિતાભની જેમ એ “ઇન ધી યર નાઇન્ટીન ફિફ્ટી સિક્સ....” ની મેચનું પિલ્લું છોડે ત્યારે વચ્ચે એકાદ વિકેટ પડી જાય કે બે ફોર વાગી જાય તો પણ કહે નહીં. કદાચ કહે તો પણ એ રીતે કે જાણે કશું જ બન્યું ના હોય. બોબી તાલ્યારખાનનું ઇંગ્લીશ પણ ભારે.... તેમના અવાજ જેવું જ. બોબી તાલ્યારખાન અને ‘વિઝી’ જેવા વિવરણકારો ત્રીજી ચોથી એબીસીડીમાં -રનીંગ લેટર્સમાં- બોલતા જે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન જેવું અઘરું પડતું, તેથી ક્રિકેટ એ રાજા - મહારાજાઓની કે અમીરો-ઉમરાવોની રમત છે અને તમને બાપડી રૈયતને એમાં શું સમજણ પડે એવી ‘લગાન’ પ્રકારની સુપિરિયારીટી કોમેન્ટ્રીમાં પણ સંભળાતી.

એવા વાતાવરણમાં વિજય મર્ચન્ટ આવ્યા અને તેમણે કોમેન્ટ્રીની સ્થિતિ બદલી નાખી. સ્પષ્ટ, શુધ્ધ, સંભળાય અને સમજાય એવા ઇંગ્લીશમાં એવું સરસ મીઠ્ઠું બોલે કે પાંચમા ધોરણનું છોકરું પણ સમજી જાય. જ્યારે મર્ચન્ટ જાણે કે કેપીટલ લેટર્સમાં કોમેન્ટ્રી આપતા! એ I don't know ને પણ ચોખ્ખું “આઇ ડુ નોટ નો..” એમ કહે. વિજય મર્ચન્ટની કોમેન્ટ્સ પણ અંગત ટચવાળી રહેતી. એક વાર વાડેકર આઉટ થયા, ત્યારે એ બોલી ઉઠ્યા હતા, “ઓહ! માય વાડેકર ઇઝ આઉટ!” 



વિજય મર્ચન્ટના એવા લોકાભિમુખ અભિગમને કારણે એવી સરળ કોમેન્ટ્રી એટલી તો લોકપ્રિય થઇ કે તેમના રાહ પર ચાલનારા એક્થી વધુ વિવરણકર્તા પછી આવ્યા. (અને જો હું ભૂલતો ન હોઉં તો કદાચ હિન્દી કોમેન્ટ્રી પણ તે પછી શરૂ થઇ હતી, જેનાં સ્ટાર નામો રવિ ચતુર્વેદી અને સુશીલ દોશી તરત યાદ આવે અને “ઠંડી હવા ચલ રહી હૈ ઔર હાઇકોર્ટ છોર સે કપિલ અપના લંબા રન અપ લેકર આતે હુએ....” જેવાં ટ્રેડમાર્ક વાક્યો પણ ગૂંજવા માંડે!)

અમે તો સરળ ઇંગ્લીશવાળા એવા કોમેન્ટ્રીકારોને ‘મર્ચન્ટ ઘરાના’ના કલાકારો કહીએ છીએ. તેમાં અનંત સેતલવડથી નરોત્તમ પુરી સુધીના સૌ આવી જાય. પણ સૌથી શ્રેષ્ઠ સુરેશ સરૈયા હતા, જેમનું ૧૯મી  જુલાઇએ અવસાન થયું. સુરેશભાઇને તેમના યોગદાન તથા રેડિયો માટેની નિષ્ઠા માટે વિશેષ સ્વરૂપે અમારા મિત્ર અને પોતે પણ આકાશવાણીના ટેનીસ તથા ક્રિકેટના માન્ય કોમેન્ટેટર એવા મિહિર મહેતાએ એક લાંબી નોંધ ઇંગ્લીશમાં મોકલી છે; તેને મારી રીતે પ્રસ્તુત કરું છું.... ઓવર ટુ મિહિર મહેતા!



કોમેન્ટ્ર્રી બોક્સમાં મિહિર
સુરેશભાઇની એક સૌથી મોટી વિશેષતા એ હતી કે જ્યારે ટીવીનું આગમન થયું અને અવાજ ઉપરાંત તમારો ચહેરો પણ પ્રજા જોઇ શકે એવું ગ્લેમર તેમાં હોવા છતાં તેમણે આકાશવાણીનો જ વિકલ્પ આપ્યો. આજીવન એ રેડિયોને સમર્પિત રહ્યા હતા. તેમનાં પત્ની મીરાબેન પણ ઓલ ઇન્ડીયા રેડિયો મુંબઇમાં ગુજરાતી એનાઉન્સર તરીકે નોકરી કરતાં હતાં. તેમની શીફ્ટ ડ્યુટીને અનુરૂપ થવાય એ માટે સરૈયા દંપતિ રહેતું હતું મુંબઈના આકાશવાણી કેન્દ્રની બિલકુલ સામે! મીરાબેન પહેલાં ગયાં અને સુરેશભાઇ ગયા મહિને. બન્ને જીવનના અંત સુધી ઓલ ઇન્ડીયા રેડિયોની ‘નજીક’ જ રહ્યાં.

સુરેશ સરૈયાના ટ્રેડમાર્ક વાક્યોમાં “ઓલ ધ વે ફોર એ બાઉન્ડ્રી....”, “નન અધર ધેન...” અને “ધેટ ડિલીવરી...” જેવાં ઘણાં હતાં. મિહિર આકાશવાણીના સ્પોર્ટ્સના કાર્યક્રમોના પ્રોડ્યુસર હોઇ  એક કરતાં વધુ વખત સુરેશભાઇ સાથે સંપર્કમાં રહેતા.  જે કિસ્સાનો ઉલ્લેખ ગાવસ્કરે તેમની શ્રધ્ધાંજલિમાં કર્યો હતો તે જ કિસ્સો સરૈયા સાહેબે જાતે પણ  મિહિરને કહ્યો હતો. વાત છે ૧૯૭૫-’૭૬ ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના જોડીયા પ્રવાસની. તે  દિવસોમાં ગાવસ્કર પિતા બનવાની તૈયારીમાં હતા. પ્રવાસ દરમિયાન જ સમાચાર આવ્યા કે સનીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે.

સુનિલ ગાવસ્કર દીકરા રોહન સાથે!

ન્યુઝીલેન્ડની છેલ્લી ટેસ્ટમાં ગાવસ્કર ઇજાગ્રસ્ત થયા હોવા છતાં તે ટુર પત્યા પછી તેમને ટૂંક સમય માટે ભારત જવાની પરવાનગી ટીમ મેનેજમેન્ટે ના આપી. સુરેશ સરૈયાને તો આકાશવાણીના નિયમ અનુસાર ન્યુઝીલેન્ડની મેચો પત્યા પછી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરૂ થતાં સુધી ઇન્ડીયા પાછા આવવાનું હતું. એકાદ અઠવાડિયા પછી સુરેશ સરૈયા જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝની કોમેન્ટ્રી આપવા પહોંચ્યા, ત્યારે મુંબઇથી ગાવસ્કર માટે એક સુખદ સંપેતરું લાવ્યા હતા. એ સનીના દીકરા રોહનના ફોટા લાવ્યા હતા. સુનિલ ગાવસ્કર એ આજીવન ના ભૂલ્યા કે વેસ્ટ ઇન્ડીઝના ફટકાબાજ રોહન કન્હાઇના નામ પરથી જે દીકરાનું નામ પાડ્યું હતું તેને પહેલીવાર ફોટામાં જોઇ શકાયો હતો, સુરેશ સરૈયાને કારણે.

પણ આ તો થઇ અંગત સંબંધોની વાત. તેમના કામની રીતે પણ એ ખાસ્સા સેન્સીટીવ. વેસ્ટ ઇન્ડીઝના એ જ પ્રવાસમાં પોર્ટ ઓફ સ્પેઇનની મેચમાં ભારત પહેલીવાર વિશાળ ટોટલને આંબવાનું અને જીતવાનું હતું. એ ઐતિહાસિક રન ચેઇઝના વિજયી ફટકાની કોમેન્ટ્રી આપવા માટે હિન્દીના સુશીલ દોશી સાથે એ લગભગ ઝગડી પડ્યા હતા. છતાં કમનસીબી એવી કે તેમના વારા વખતે વિનીંગ સ્ટ્રોક ના વાગ્યો તે ના જ વાગ્યો! (સુશીલજી તે ક્ષણનું વર્ણન કરતાં રેડિયો ઉપર રડી પડ્યા હતા એ જાણીતી વાત છે.)

તેમના વ્યાવસાયિક કામમાં સુરેશ સરૈયા એટલા ચોક્કસ હતા કે દરેક બાબતનું હોમવર્ક પાક્કું કરીને જ કોમેન્ટ્રી આપવા બેસે. ખેલાડીઓના લેટેસ્ટ રેકોર્ડ તો બોક્સમાં સાથે રહેતા આંકડાશાસ્ત્રીઓ ચાલુ મેચે કાચી મિનીટે પૂરા પાડે. પણ સુરેશભાઇ એડવાન્સમાં એ વિગતો મેળવી રાખે. એટલું જ નહીં, જે શહેરમાં મેચ હોય તેના વિશે, ત્યાંની અગત્યની માહિતી અને જોવાલાયક સ્થળો વગેરેની પણ નોંધ તૈયાર કરે. (આ બધું કોમ્પ્યુટર કે ગૂગલ પૂર્વેના સમયમાં, જ્યારે રીસર્ચ માટે ખરેખર સંશોધન કરવું પડતું.)

તેથી જ સુરેશ સરૈયાની કોમેન્ટ્રી કોઇપણ મેદાનમાં રમાતી મેચ ના લાગે...એ ચોક્કસ શહેરમાં રમાતી ગેમનો એહસાસ કરાવે. ત્યાંની ખાણી-પીણી અને રહન સહન સહિતનાં તમામ પાસાં એ આવરી લે. પછી તો એ ટ્રેન્ડ સૌએ સ્વીકાર્યો. છતાં સુરેશભાઇના હોમવર્કની તોલે કોઇ ના આવે. કેમ કે એ પીચની ઝીણામાં ઝીણી ખાસિયત વિશે આગલી રાત્રે ગ્રાઉન્ડ્સમેન સાથે ચર્ચા કરી લે. હવે રેડિયો પર ક્રિકેટની ઇંગ્લીશ કોમેન્ટ્રીમાં સુધીર તલાટી, મિલીન્દ વાગલે, ડો. મિલીન્દ ટીપનીસ અને વિનીત ગર્ગ જેવા કોમેન્ટેટર્સમાં સુરેશ સરૈયાની યાદ શોધવાની રહેશે. કેમ કે Suresh Saraiya has crossed the boundary of this world and has travelled all the way to Heaven!!
 

RIP Suresh Saraiya.



 

Sunday, August 5, 2012

बी.आर.इशारा: बोल्ड हिन्दी सिनेमा की चेतना के बेबाक निर्देशक!




हिन्दी सिनेमा जगत से ’७० के दशक के कलाकारों के निधन का सिलसिला जाने रुकने का नाम ही नहीं ले रहा है। अभी राजेश खन्ना की बिदाई का गम कम भी नहीं हुआ था कि निर्देशक बी. आर. इशारा भी चल बसे!

इशारा जी के साथ ‘चेतना’ का नाम इस तरह जुडा है कि उन्हों ने सिर्फ वो एक ही फिल्म बनाई होती तब भी उन्हें कोई भूल नहीं पाता। ‘चेतना’ की हीरोइन से जो संवाद उन्हों ने १९७० में कहलवाये थे ऐसे डायलॊग की हिंमत आज ४० साल बाद भी इक्का दुक्का निर्देशक ही कर पायेंगे। ‘चेतना’ की नायिका देह का व्यापार करनेवाली है। फिल्म में एक जगह वह कहती है, “एक नंगी जवां औरत के सामने हर मर्द नंगा हो जाता है और मैंने इतने नंगे मर्द देखे हैं, कि कपडा पहने मर्दों से मुझे नफरत हो गई है!”

इस लिये इशारा को अपनी इस पहली फिल्म के लिये कोई प्रोड्युसर नहीं मिल रहा था. फिर इन्डस्ट्री के सिनीयर लोगों ने तो उन्हें किशोर से युवा होते देखा हुआ था। ये वही लडका था जो कभी सेट पर सब के लिये चाय-पानी ले कर आता था! जी हां, इशारा जब नये नये बम्बई आये थे, तब एक छोटी सी होटल पर नौकरी करते थे। स्टुडियो में ‘टी बोय’ के नाम से उन्हें सब जानते थे। अगर नरगीस जी ने उन का हाथ नहीं पकडा होता तो ‘बी.आर. इशारा’ कभी निर्देशक नहीं बन पाते और शायद चायवाले लडके ही बने रहते!

नरगीस उन दिनों, १९५२ में, ‘जोगन’ के लिये शुटिंग कर रहीं थीं। उन के लिये चाय ले कर इशारा मेक अप रूम में जब गये, तब जिस अंदाज़ में उन्होंने “मे आई कम इन, मेडम?” पूछा, नरगीस जी आश्चर्य चकित हो गईं कि एक चाय लानेवाला लडका इतने अच्छे से पेश आता है! नरगीस ने थोडी निजी पूछताछ की। लेकिन इशारा ने बाहर जाकर अपनी नौकरी की अर्ज़ी उर्दू में लिखकर नरगीस के ड्रायवर कासिम को दे दी।

दुसरे दिन स्टुडियो में नरगीस ने निर्देशक लेख टंडन से इशारा को नौकरी देने के लिये कहा। मगर उन्होंने के. आसिफ के पास भेजा। वहां भी बात नहीं बनी। होटलवाले ने भी लडके के रंगढंग देखकर उसे नौकरी से निकाल दिया। इशारा तो न घर के रहे न घाट के! एक दिन सुबह पहूंच गये नरगीस के बंगले पर।

उन्हें सारा किस्सा सुनाया कि अब तो चायवाले ‘टी-बोय’ की नौकरी भी हाथ से गई है। नरगीस उन्हें ‘छोटी भाभी’ के मुहूरत पर ले गईं और वहां गीतकार कमर जलालाबादी से परिचय करवाया। उन्हों ने ४० रूपये माहवार पर इशारा को अपने सहायक के रूप में रख लिया। मगर अब मुश्किल नाम की होने लगी। इशारा जी का असली नाम तो रोशनलाल था। हिमाचल प्रदेश में जन्मे रोशन के मां-बाप दोनों ही बचपन में चल बसे थे। इस लिये उन की परवरिश पंजाब के अमृतसर में अपने एक रिश्तेदार के वहां हुई थी। उस घर से सिर्फ एक रूपिया ले कर (वो भी चुराकर!) बिना टिकट बम्बई आये थे, रोशनलाल।

‘रोशन’ वैसे नाम तो बडा अच्छा था; मगर दिक्कत एक ही थी। जिन के साथ काम करना शुरु किया उन शायर कमर जलालाबादी के गुरु का नाम रोशन नाथ था। अब कमर साहब अपने उस्ताद जी को ‘गुरु’ कहते थे और अपने चेले -एसीस्टन्ट- को उन्हें ‘रोशन’ कह कर बुलाना पडता था! इस मुश्किल का हल भी इशारा ने निकाला। उन्हें चाय लाते - ले जाते समय काफी लोग ‘बाबु’ कहकर बुलाते थे। वही नाम रख लिया। मगर कमर जलालाबादी तो शायर थे। इस लिये अपने सहायक को भी पूरा सम्मान देते हुए उन्होंने ‘बाबुराम’ कह कर बुलाना शुरु किया। तब से रोशनलाल ‘बाबुराम’ हुए और जब अच्छा खासा लिखने लगे तब कमर जी ने ही ‘इशारा’ तखल्लुस भी दिया।

अब ‘इशारा’ को संवाद लिखने का काम मिलने लगा। लेकिन ‘जालसाज़’ के सेट पर उन्हें एक अनोखी ड्युटी मिली..... किशोर कुमार को उन के डायलॊग रटवाने की! संवाद पर उन की पकड को देख ‘जालसाज़’ के निर्देशक अरविंद सेन ने अपनी फिल्म ‘तेरे अरमान मेरे सपने’ के डायलॊग लिखने का काम दिया। मगर वे सिर्फ संवाद लेखक भी कहां बनना चाहते थे? बंबई की फूटपाथों पर भूखे पेट सो कर आगे आने वाले बाबुराम के दिल में सेक्स वर्कर औरतों के प्रति सामाजिक दंभ के खिलाफ जो आक्रोश था, उस आग को एक वार्ता में समेटकर वे फिल्म बनाना चाहते थे।

परंतु, उस आग में हाथ डालने कोई भी निर्माता तैयार नहीं था। तब उन के दोस्त और फिल्मों के एडीटर आई. एम. कुन्नु ने एक फायनेन्सर को एक लाख रूपया लगाने के लिये सहमत कर लिया। फिल्म बनाते समय इशारा को एक ही शर्त का पालन करना था, “कुछ भी हो जाय, एक लाख के अंदर पिक्चर पूरी करनी होगी।” उन्होंने पूना से गोल्ड मेडल लेकर आई रेहाना सुलतान और अनिल धवन को लेकर ‘चेतना’ बनाई। निरंतर २६ दिन का शुटिंग एक मकान में किया. सिर्फ एक गाना “मैं तो हर मोड पर तुझ को दुंगा सदा....” अलीबाग में शुट किया।

‘चेतना’
की पब्लीसीटी में जब औरत के दो नंगे पांव और बीच में अनिल धवन के फोटो वाले पोस्टर चिपके तब पूरे देश में जैसे भूकंप सा आ गया था। फिल्म पर प्रतिबंध लगाने की मांग भी हुई और पिक्चर खुब चली। नये ज़माने के बेबाक निर्देशक ‘इशारा’ पहली ही फिल्म से आ पहूंचे थे! उन के नकशे कदम पर महेश भट्ट से लेकर आज के कितने ही निर्देशक फिल्में बना रहे हैं। मगर १९७० में तो इशारा को ‘पोर्न फिल्म मेकर’ तक कहा गया था। आज की फिल्मों के अलग अलग विषय और सेक्स जिस मात्रा में होता है, उस के सामने ‘चेतना’ कुछ भी नहीं लगेगी। मगर ४० साल पहले?

शायद इशारा अपने समय से बरसों आगे थे। कितने सारे कलाकारों को उन्हों ने चान्स दिया था? ‘चरित्र’ में परवीन बाबी (तथा क्रिकेटर सलीम दुरानी) को पहली बार पर्दे पर लाये। रीनारोय को ‘ज़रूरत’ की नायिका बनाया। तो शत्रुघनसिन्हा को ‘मिलाप’ में हीरो लिया; जिस में मुकेश का गाना “कई सदीयों से कई जन्मों से तेरे प्यार को तरसे मेरा मन....” था।

तो राकेश पान्डे को न सिर्फ अपनी पिक्चर में हीरो लिया; बल्कि शादी के समय दुल्हन का कन्यादान भी इशारा ने किया था। तो जया भादुडी के साथ अमिताभ बच्चन को लेकर ‘एक नज़र’ उन दिनों में बनाई, जब अमिताभ की फिल्में फ्लोप होती थी। उस का गाना? “हमीं करे कोई सुरत उन्हें बुलाने की, सुना है उन को तो आदत है भूल जाने की...” उस के अंतरे में लिखा हुआ एक शेर मजरूह सुलतानपुरी मुशायरों में भी काफी सुनाते थे. गौर फरमाईये वो अल्फाज़...

“ज़फ़ा के ज़िक्र से तुम क्यों संभल के बैठ गये,
तुम्हारी बात नहीं है, बात है ज़माने की!!

‘एक नज़र’ के और भी गाने काफी मशहूर हुए थे, जिस बात का जिक्र अमिताभ बच्चन ने भी अपनी श्रध्धांजलि में किया था. एक गाना “पत्ता पत्ता बुटा बुटा हाल हमारा जाने हैं, जाने न जाने गुल ही न जाने बाग तो सारा जाने हैं...” रफी और लता की आवाज़ में था, जो खुब चला था.

फिर तो इशारा जी ने देव आनंद और ज़िन्नत अमान को लेकर ‘प्रेमशास्त्र’ तो राजेश खन्ना तथा फराह को लेकर ‘वो फिर आयेगी’ जैसी बडे स्टार्स की फिल्में बनाई और उस समय भी सेट पर बिना जुते या चप्पल घूमने की आदत नहीं बदली!

परंतु, अपनी रफ्तार और बजट से दर्जनों फिल्में बना चूके इशारा के लिये नये मिलेनियम में बनती करोडों की लागतवाली फिल्मों से स्पर्धा करना कहां मुमकिन था? बीच में कुछ साल वे टीवी की तरफ भी मुडे थे। मगर पुराने दिनों वाली बात नहीं बन पाई थी। फिर भी हिन्दी सिनेमा की कथा-वस्तु में क्रांति लानेवाले सर्जकों का इतिहास जब भी लिखा जायेगा, तब उस में बाबुराम इशारा को याद करना ही पडेगा।

उन की एक अन्य यादगार फिल्म थी ‘कागज़ की नाव’। उस का मनहर उधास तथा आशा भोंसले का युगल गान “हर जनम में हमारा मिलन....” काफी लोकप्रिय हुआ था। उस में भी नये कलाकारों राज किरण और सारिका को लेकर समाज को एक बडा अनूठा संदेश इशारा जी ने दिया था। उस के एक संवाद में राज किरण कहते हैं, “दुनिया का कोई भी कानून या कोई भी समाज इन्सान की ज़िन्दगी से बढकर नहीं हो सकता।”  इतनी भरसक संवेदनशीलता से हरे भरे थे बी.आर. इशारा जी! भगवान उन की
आत्मा को शांति दें!

Friday, August 3, 2012

રક્ષાબંધન: લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?




ગઇ કાલની પોસ્ટના અનુસંધાને પ્રિય મિત્ર અને લોકપ્રિય કોલમિસ્ટ જય વસાવડાએ રાખી કાર્ડના અમારા એ પ્રોજેક્ટની આર્થિક
નિષ્ફ્ળતાનું સચોટ વિશ્લેષણ કરતાં લખ્યું કે ''....કોન્સેપ્ટ નહિ, કન્ટેન્ટ ફ્લોપ થયો હશે. એમાં જે સાહિત્યિક લખાણ છે એ વાંચવા ટેવાયેલો વડીલવર્ગ કદી કાર્ડની દુકાનોમાં પગ ના મુકે..ને જે યંગસ્ટર્સ કાર્ડ કલ્ચરથી ટેવાયેલા છે એમને આ લખાણ બહુ ભારેખમ લાગતા 'ઉપરથી' જાય ! છૂટાછવાયા અપવાદો બેઉ પક્ષે હોય, પણ બિઝનેસ એના પર ના ચાલે !”
 
એ મુદ્દો સાચો હોઇ શકે કે સાહિત્યિક લખાણ યંગસ્ટર્સને ભારેખમ લાગ્યું હોય.પણ, ઇન માય વીક ડીફેન્સ, હું તો એમ માનતો હતો કે કાર્ડની અંદરનું લખાણ બોલચાલની ગુજરાતીમાં લખાયું હતું. હા, તેમાં અંગ્રેજી શબ્દો નહતા એ ખરું. પણ એ સમજીને લીધેલું પગલું હતું. વળી આ કાર્ડ બનાવ્યાને પણ દસ વરસ કરતાં વધારે સમય થયો છે. એ વખતે યુવા વર્ગની વાતચીતમાં હજી ઇંગ્લીશ કદાચ એટલું બધું મિક્સ નહતું થઇ ગયું.

ઇંગ્લીશ તો હજી દૂર છે, મેં તો કાર્ડ ઉપર રક્ષાબંધનને લગતાં  હિન્દી ફિલ્મોનાં  “ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...” અને “મેરે ભૈયા, મેરે ચન્દા, મેરે અનમોલ રતન, તેરે બદલે મૈં જમાને કી કોઇ ચીજ ન લૂંગી...” જેવાં ગીતો મૂકવાનું સૂચન પણ નહતું સ્વીકાર્યું. પણ એ મારી અંગત જીદ હતી. સફળ વેપાર એ રીતે ના થાય એ જયના મુદ્દા સાથે ૧૦૦% સંમત.
 

સાથે સાથે એ પણ જણાવી લઉં કે તે દિવસોમાં ‘આર્ચીસ’ અને ‘ફિલીંગ્સ’ બન્ને સ્ટોર્સમાં આ કાર્ડ મૂકવા દેવાની દરખાસ્ત મેં કરી હતી. પરંતુ, બિઝનેસ પોલીસીને કારણે સ્વાભાવિક રીતે જ તે સ્વીકારાઇ નહતી. બાકી તે વખતે તો આ કાર્ડ તેમના પ્રોડક્ટ (અંગ્રેજી કાર્ડ) સામે કોઇ સ્પર્ધામા પણ નહતાં. બેઉ સ્ટોર્સમાં કયું કાર્ડ મોટી બહેન માટે છે અને કયું નાની બહેન કે કઝિન અથવા તો નવપરિણિત બહેન માટે છે એ વિગતવાર જાણ્યા પછી સ્ટોરના સંચાલકોએ ઘર માટે (સંભવતઃ પોતાની પત્ની માટે) કાર્ડ લીધાનું પણ બરાબર યાદ છે.

થાકીને થોડાક નાના સ્ટોર્સ જ્યાં અન્ય સિઝનલ વેપારની જેમ રાખડીઓ પણ વેચાતી હોય એવામાં કાર્ડ ના વેચાય તો પાછાં લેવાની શરતે -જાંગડ- મૂક્યાં હતાં. તે પૈકીના એક પણ સ્ટોરમાંથી એક પણ નંગ પરત નહતું આવ્યું, એ પણ હકીકત છે. (પૈસાની ઉઘરાણી માટે ક્યાંક ધક્કા ખાવા પડ્યા હોય એ અલગ વાત છે!) તેથી કન્ટેન્ટ પણ સાવ ફેઇલ ગયો હતો એવું માનવાનું મન નથી થતું.

મારું પોતાનું મન મનાવવાનું તારણ એવું હતું કે અમારી પાસે વિક્રેતાઓની ચેઇન નહતી એ મોટી તકલીફ હતી. એવા વિશાળ નેટવર્ક સાથે સારું માર્કેટીંગ કરી શકતા વેપારી હોય તો ‘ગમ્મે એવી’ પ્રોડક્ટ વેચી શકે અને તમે પોતે એકલે હાથે વેચવા નીકળો તો સારામાં સારા ઉત્પાદનો પણ ગ્રાહક સુધી પહોંચાડવાં મુશ્કેલ બને. જો કે એ વિચાર પણ પ્રોજેક્ટની શરૂઆતમાં આવ્યો જ હતો. પણ પછી ‘નિરમા’ના કરસનકાકાને નજર સમક્ષ રાખ્યા. એ પણ શરૂઆતમાં તેમના વોશીંગ પાવડરની કોથળીઓ સાયકલ પર મૂકીને ઘેર ઘેર/ દુકાને દુકાને ફરતા જ હતાને? 

આજે તો ઇન્ટરનેટ, ઇમેઇલ, ફેસબુક તથા પ્રાઇવેટ ચેનલોના સમયમાં પોતાની પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર વધારે સારી રીતે થઇ શકે છે. પણ જ્યારે અમે સાહસ કર્યું ત્યારે ’૯૦ના દાયકામાં એ બધું ક્યાં હતું? ખેર, આજે તો ભાઇ પ્રણવ અધ્યારુએ ફેસબુક પર એ કાર્ડનાં લખાણો મૂકવાને  કારણે અને જય વસાવડાએ કરેલા માર્કેટીંગના સચોટ વિશ્લેષણ નિમિત્તે એ કાર્ડની સ્મૃતિઓ તાજી કરવા સિવાય બીજો કોઇ ઉપક્રમ પણ નથી. બાકી તેના સર્જનમાં ભરપૂર આનંદ આવ્યો હતો અને આર્થિક માર સિવાયનો કોઇ અફસોસ નહતો. આજે તો એ પણ નથી!
ફેસબુક પર પ્રણવ દ્વારા મૂકાયેલાં રાખી કાર્ડનાં લખાણો અહીં પુનઃ રજૂ છે. દરેક કાર્ડ ઉપર પંક્તિઓ તથા અંદરના લખાણને અનુરૂપ ચિત્રો હતાં અને તે સુંવાળા-ગ્લોસી- કાર્ડ પર સુંદર રીતે છપાયાં હતાં.  કાર્ડ પર મૂકાયેલી પંક્તિઓ અહીં લાલ રંગમાં અને અંદરનું લખાણ બ્લ્યુ કલરમાં છે.










ભાઇ બહેનનો સુંદર નાતો એક ઋણાનુબંધ રે...
જનમ જનમની લેણાદેણી ભવભવનો સંબંધ રે...


મારા વ્હાલાભાઇ,
જિંદગીનાં વરસોએ મને ખૂબ
બદલી છે, પણ તને કેડમાં તેડીને
સહિયરો સાથે રમવા જતી, ત્યારથી
આજ સુધીમાં એક વાતે તો હું
નથી જ બદલાઇ....
....સખી-સહિયરોને જે કહેતી
એ જ ગર્વભેર દુનિયા આખીને
આજે પણ કહું છું કે..
મારા ભાઇ જેવું જગમાં બીજું
કોઇ નથી!


આમ જુઓ તો ઋણાનુબંધ છું
પારદર્શક હું જ એ સંબંધ છું
નિઃસ્વાર્થ ને નિર્વ્યાજ જેને સહુ કહે
એ ભાઇબહેનનું હેત હું અકબંધ છું



અંતરનાં ઊંડાણે
તારી લાગણીઓના અજવાળે,
મેઘધનુ કૈં રંગરંગનાં ગૂંથી
આપણે ઉભાં
રક્ષાબંધનની આ મોસમમાં
વરસ્યાં વાદળ હેતભર્યાં ને
હેલી થઇને
આંગણ આવી ઉભાં આપણે...
ભાઇ ચાલને, છબછબિયાં રે કરીએ
આ પાણીના પરપોટે.
આ જીવતર કેરા ઓટે...





બ્હેનાની નજરુંનો છલકાતો નેહ,
બાંધે વીરાને હાથ,
અમ્મર રાખડી રે લોલ.


મારા વ્હાલા ભાઇ!
આ રક્ષાબંધનના પવિત્ર તહેવારે
હું તને
પરબીડિયામાં વ્હાલ મોકલું છું!
તુ એને
દોરી-ધાગા સમાન ન સમજીશ,
એ તો મારા જીવ સમાન છે...
હું એટલે તારી તારી તારી
બ્હેના





ચોતરફ રંગો ઉમંગોથી ભર્યું વાતાવરણ
લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?


મને સાંભરે છે,
તને સાંભરે છે, ભાઇ?
બાળપણની લડાઝઘડી
એક બીજાની નિર્દોષ મજાક મશ્કરી
... આપણે એટલું તો હસતાં
કે આંખોમાં આવી જતું પાણી...
આજે
એ જ આંખોનાં સરોવર છલકે છે
કારણ? કારણ તને ખબર છે?
થાય છે કે
પાસ પાસ તો ય કેટલાં દૂરે
વસીએ આપણે ભાઇ
એક જ ઝાડની બે ડાળીઓ
આપણી એક જ માઇ...
તને સાંભરે છે?
મને સાંભરે છે...







રાખડીમાં ચિતરેલા રંગોને મેલ્યા છે
વહેતા મેં લાગણી સમેત...

દરેક વરસે
રક્ષાબંધનનું પર્વ આવે છે
ને
સ્મૃતિઓ સળવળે છે
...એમાં દેખાય છે...
થૂઇ થપ્પા ને પકડદાવ
પડ્યા આખડ્યા, વાગ્યા ઘાવ
વરસાદી જળમાં કાગળની નાવ
કિટ્ટા'ને બુચ્ચાના મીઠા પડાવ...
હું તો કિસ્મતને આજે કહીશ...
થુપ્પીસ! મારા ભાઇના હાથે રક્ષા
બાંધી લેવા દે, બસ!.







ચારે ખૂણેથી ચાર રક્ષાના તાંતણા મોકલું વીર
તને મળવાને મનડું મારું થાતું બહુ રે અધીર


આપણે
ભાઇ-બહેન કરતાં થોડુંક વધારે છીએ,
મિત્રો પણ છીએ.
એટલે જ વાતવાતમાં
દલીલોની ઝપાઝપી કરતી હું
તને બકબક કરતી લાગું છું...
પણ એક વાતે મારી વાતને બકબક ન ગણતો..
કાનમાં કહું?
(નહિતર પાછો ફૂલણજી... બની જઇશ)
...તારા જેવો ભાઇ જગતમાં
બહુ ઓછી બ્હેનુડીયોના નસીબમાં હશે....
.તું મારો ભાઇ છે. કહેતાં
મને અપાર ગૌરવ થાય છે, ભાઇ!
તારી આંખનો ખૂણો તેં જેના માટે
ભીનો કર્યો
એ જ,
તારી બહેનુડી...







એકબીજાની સાથે બાંધ્યો એક તાંતણે પ્રેમ
રક્ષાબંધનના અવસરને ભાઇ! ભૂલું હું કેમ?


આવી રક્ષાબંધન!
તને યાદ છે?
બોલ ભાઇ તું, કે તને યાદ છે...
આપણી યાદોની બારીએથી
ડોકિયું કરીને
આનંદની લ્હેરખીની સાથે સ્વીકારજે
તારી બ્હેનીના હેતના હોલ્લારા...
હોલ્લારે હોલ્લારે
મનના ઉમંગ માગે પ્રભુની પાસ બસ,
આટલું...
સુખ સમૃદ્ધિ ને મળે જીવન સંતોષ તને, વીરા
મારા...
તારી બ્હેના...







સહિયારી રે બાળપણાંની ગોઠડી કરું યાદ
સાંભરે મુને ભઇલા તારી ખટમીઠી કૈં વાત...


ભાઇ! હું તો પારકી થાપણ કહેવાઉં, નહીં?
સાસરે વળાવતી વખતે માંડવાનો થાંભલો
પકડીને ચોધાર આંસુ વહાવતો તને
મારી રડતી આંખોએ જોયો હતો...
અને એટલે જ કહું છું જગત માટે
ભલે હોય પણ
ભાઇ માટે બહેની 'પારકી' હોતી જ નથી!
ખળખળતા ઝરણા જેવો ભાઇબહેનનો
નિત્યનિર્મળ પ્રેમ
આપણામાં સદા વહેતો જ રહે!






એકબીજાની સાથે બાંધ્યો એક તાંતણે પ્રેમ
રક્ષાબંધનના અવસરને ભાઇ! ભૂલું હું કેમ?

આવી

રક્ષાબંધન!
તને યાદ છે?
બોલ ભાઇ તું, કે તને યાદ છે...
આપણી યાદોની બારીએથી
ડોકિયું કરીને
આનંદની લ્હેરખીની સાથે સ્વીકારજે
તારી બ્હેનીના હેતના હોલ્લારા...
હોલ્લારે હોલ્લારે
મનના ઉમંગ માગે પ્રભુની પાસ બસ,
આટલું...
સુખ સમૃદ્ધિ ને મળે જીવન સંતોષ તને, વીરા
મારા...
તારી બ્હેના...





ભાઇ રે ભાઇ!
તારા જીવતરમાં હોય
કૈં પાંદડીયે પાંદડીયે
મોતીડાંરે સવ્વા લાખનાં...


કેટલો નિરાળો સંબંધ છે
ભાઇ બહેનનો
વિશ્વમાં...
રાખીના તાણાવાણાનો અર્થ સમજવો
જેટલો અઘરો છે,
એટલો જ સહેલો છે, નૈં ભાઇ?
જે વૃક્ષની ડાળીઓનું સગપણ જાણે છે
એ જ વંશવૃક્ષની ડાળીઓ સ્નેહના સથવારે
પવનમાં સાથે ઝૂલી શકે છે
ને વરસાદમાં સાથે ભીંજાઇ શકે છે
તારી સ્નેહભીની બ્હેના...

ના માગું હું સોના,ચાંદી, હીરા, મોતી, હાર,
પાસ પ્રભુની માગું બસ હું ભાઇનો સ્નેહ અપાર...


સાથે રમવું, સાથે ઝઘડવું, સાથે રિસાવું
કોઇ મનાવે તો સાથે માની જવું....
શિશુવય આપણી બાંધી
એક તાણે, એક વાણે
અને
એ જ તાણાવાણાનું પ્રતીક
આ રાખડી...
હૈયાનાં હેત અને ઉરના ઉમંગે મઢીને
મોકલું છું...
...પ્રભુ જન્મોજનમ મારા ભાઇ જેવો
ભાઇ
મને આપે!





Wednesday, August 1, 2012

રક્ષાબંધનની સૌને શુભ કામનાઓ!

આ પોસ્ટ માટે મિત્ર પ્રણવ અધ્યારૂએ ફેસ બુક ઉપર મૂકેલું  નીચેનું સ્ટેટસ જવાબદાર છે...

(સલિલ દલાલનું અદભુત છતાં અજાણ્યું સર્જન..
*ચોતરફ રંગો ઉમંગોથી ભર્યું વાતાવરણ
લાગણી બસ લાગણી છે, ક્યાં છે કોઇ આવરણ?*

બજારમાં જોવાં ન મળતાં,

છતાં કોઇ પણ ગુજરાતી ભીંજાયા વિના ન રહી શકે એવા
રક્ષાબંધનના ગુજરાતી કાર્ડના કેટલાક નમૂના


લાગણીની અભિવ્યક્તિ માટે કાર્ડ લખવાનો રિવાજ અંગ્રેજી છે.

એટલે કોઇ પણ પ્રકારનાં કાર્ડની અંદરનું લખાણ
અંગ્રેજીમાં હોય, એવો વણલખ્યો ધારો પડી ગયો. ભારતમાં
કાર્ડ-સંસ્કૃતિના પ્રસાર અને પ્રભાવ પછી દિવાળીથી માંડીને
રક્ષાબંધન જેવા, નખશીખ ભારતીય પર્વો માટેનાં કાર્ડ
બજારમાં વેચાતાં થયાં, પણ તેમાંનું લખાણ અંગ્રેજી જ રહ્યું.
મિત્ર સલિલ દલાલે લાગણીઓના અંગ્રેજીકરણને બદલે કાર્ડનું
ગુજરાતીકરણ કરવાનું નક્કી કર્યું. થોડાં વર્ષ પહેલાં તેમણે
રક્ષાબંધનનાં કાર્ડ તૈયાર કર્યા, અને એ દરેક કાર્ડમાં લાગણીથી
રસબસતું લખાણ ગુજરાતી ભાષામાં હતું. સાથે ઉત્તમ ચિત્રો
પણ ખરાં. અંગ્રેજી પ્રત્યેના અંધ અહોભાવ ઉપરાંત
વ્યવસાયિક પરિબળોને કારણે બજારમાં જોવાં ન મળતાં,
છતાં કોઇ પણ ગુજરાતી ભીંજાયા વિના ન રહી શકે એવા
રક્ષાબંધનના ગુજરાતી કાર્ડના કેટલાક નમૂનાઃ)

દર રક્ષાબંધને શાહબુદ્દીન રાઠોડ અને તેમનું અમર પાત્ર લાભુ મેરાઇ મને અવશ્ય યાદ આવે. શાહબુદ્દીનભાઇ તેમની નકલ ના થઇ શકે એવી બાનીમાં, અંગ્રેજો પ્રત્યેના અહોભાવમાં ભૂલથી ખરીદાઇ ગયેલા ( ખરેખર તો માથે પડેલા) ઓઇલને વેચવા લારી લઇને ગામે ગામ “ઉંજવાનું તેલ...” એમ બૂમો પાડતા લાભુ મેરાઇની વાત માંડે, ત્યારે એ મારી જ જિંદગીનું એક દ્રશ્ય વર્ણવતા હોય એવું લાગે છે.

લાભુ મેરાઇની માફક હું પણ ગુજરાતી ભાષામાં બનાવેલાં અમારાં રાખી કાર્ડ બજારમાં ફ્લોપ થયા પછીનાં બે વરસ સુધી એ કાર્ડના થપ્પા લઇને કન્યા છાત્રાલયો, મહિલા મંડળો અને લેડીઝ હોસ્ટેલ્સમાં અષાઢ-શ્રાવણમાં વેચવા જતો તે યાદ આવે!  તે વખતે માતૃભાષા ગુજરાતીમાં લાગણીસભર પણ ખુબસુરત કાર્ડ બનાવવાનું સપનું ચૂર ચૂર થયાનું પારાવાર દુઃખ હતું.


વિશેષ તો એટલા માટે કે તેના સર્જનમાં જે મહેનત કરી અને કરાવી હતી તેનું પરિણામ શુન્ય જ નહીં.... માઇનસ આવ્યું હતું. આર્થિક નુકશાન પણ મોટું હતું. મને મારાં સાહસો માટે (તેમાં પણ વેપાર કરવાનું તો હજી બરાબર, પણ શાક સમારવાની ઇચ્છા વ્યક્ત કરું તો પણ!) ઘરમાંથી કાયમ કહેવાતું હોય છે કે “રહેવા દો એ તમારું કામ નથી!”

તે સાલ પણ જ્યારે એક મિત્રએ ગુજરાતી કાર્ડની દરખાસ્ત કરી, ત્યારે શરૂઆતમાં એ ચેતવણી આવી જ હતી. પણ રક્ષાબંધનનાં કાર્ડ પાછળ મારું આગવું લોજીક હતું. અમે ૮ ભાઇ બહેન અને તેમાં ચાર બહેનો. ત્રણ મારાથી મોટાં અને એક નાની. વડોદરા બોર્ડીંગમાં ભણતો ત્યારે રક્ષાબંધન વખતે  દર સાલ ચારેયની રાખડી ટપાલમાં આવે. સાથેની ચિઠ્ઠીમાં (મોટેભાગે તો એ લીટીવાળી નોટનું પાનીયું જ હોય, તેમાં) દરેક બહેને પોત પોતાની ભાષામાં લાગણી વ્યક્ત કરી હોય. પણ એ દરેકમાંથી નર્યો પ્રેમ જ નીતરતો હોય. દર સાલ એ કાગળ મારાં આંસુથી ભીંજાયા જ હોય.

બેનના જેટલો નિર્મળ પ્રેમ મને ક્યારેય કોઇનો પણ લાગ્યો નથી. ભણતા તે દિવસોમાં પણ બજારમાં જન્મદિવસથી લઇને લગ્નની તિથિના અભિનંદનનાં કાર્ડ અંગ્રેજીમાં મળતાં. મને થતું કે  રાખડીનું કાર્ડ કેમ ના હોય? અને તે પણ ગુજરાતીમાં જ કેમ ના બને?  પછીનાં વરસોમાં એમ પણ થતું કે તેના માટે બળેવને ‘સિસ્ટર્સ ડે’ તરીકે કોઇ ઇન્ટરનેશનલ કાર્ડ કંપની જાહેર કરે અને ઇંગ્લીશમાં કાર્ડ બહાર પાડે તેની રાહ શું કામ જોવાતી હશે?

એટલે એક તો એ અકળામણ વરસોથી હતી જ. ઉપરાંત વ્યાવસાયિક તર્ક પણ ખરો કે ટપાલમાં રાખડી મોકલતી બધી બેનોએ કવર તો બજારમાંથી કે પોસ્ટનું લાવવું જ પડે. તો આપણે કવર અને સરસ કાર્ડ આપીએ જેમાં મોટી-નાની-સગ્ગી-કઝિન એમ દરેક પ્રકારની બહેનોની લાગણીઓને
વાચા બોલચાલની છતાં શિષ્ટ ગુજરાતીમાં આપીએ.

એટલે લાગણીભીનાં લખાણ તૈયાર કર્યાં પછી  દરેકની ઉપર લખવાની કાવ્ય પંક્તિઓ માટે કવિ જયેન્દ્ર શેખડીવાળાની મદદ લીધી.  કાર્ડ ઉપર વિદ્યાનગરમાં જ રહેતા પણ  વિખ્યાત કલાકાર કનુ પટેલ પાસે પેઇન્ટીંગ કરાવ્યાં. કેટલાંક કાર્ડ માટે અન્ય એક  આર્ટીસ્ટ બેન મમતા પટેલ પાસે પણ કેટલીક નયનરમ્ય વાસ્તવિક ડિઝાઇન કરાવી. તેમાં પેઇન્ટીંગ જ નહીં, સાચી રાખડી અને ચોખા હોય. 


આજે લેખના અંતે થોડાંક કાર્ડની  ડિઝાઇનો રજૂ કરી છે. ગમી? પ્રતિભાવ જાણવાની ઇચ્છા ખરી.
દરેક કાર્ડનું લખાણ કાલે અહીં મૂકવાની ઇચ્છા છે. એ લખાણો પણ મિત્ર પ્રણવ અધ્યારૂને લીધે પ્રાપ્ત થયાં છે. પ્રણવ અને ઉર્વીશ (કોઠારી)ના સંપાદન સમયે ‘આરપાર’માં એક વર્ષે આ કાર્ડ વિશે સ્ટોરી કરાઇ હતી. તે સમયે ઇલેક્ટ્રોનિકલી સચવાયેલી ફાઇલમાંથી પ્રણવે ફેસબુક ઉપર અગાઉ એ લખાણ મૂક્યાં હતાં અને આજે પણ રક્ષાબંધન નિમિત્તે તે રિપીટ કર્યાં છે. તેથી તે કાલે મૂકવાનું વિચારી શકાયું છે. થેન્ક યુ, ડીયર પ્રણવ!

રાખી કાર્ડના એ પ્રોજેક્ટમાં એકંદરે રાત દિવસની મહેનતના અંતે આત્માને સંતોષ થાય એવું કામ થયું હતું. આજે જોતાં ક્યારેક થાય કે ભલે આર્થિક રીતે પેટ ભરીને માર ખાધો હતો. પણ હૈયે ટાઢક થાય એવું કંઇક સર્જી શકાયું હતું.

આમ જોશો તો બધાં કાર્ડમાં સંવેદનાઓ જ સંવેદનાઓ છે. પણ મારું ફેવરીટ લખાણ મોટી બહેન દ્વારા લખાતા શબ્દોમાં છે. કેમ કે મારાં ત્રણ મોટાં બહેનો છે. એ સૌ નાનપણમાં મને કેડે તેડીને કંદોઇની દુકાને લઇ જતાં અને બુંદીનો લાડુ નિયમિત ખવડાવતાં.  મને જ આજે જો ૬૨મું વર્ષ ચાલતું હોય તો સ્વાભાવિક છે કે એ સૌ પણ વયમાં ઘણાં સિનીયર છે. તેમના જેવાં સૌની સંવેદનાઓ મેં આ રીતે વ્યક્ત કરી હતી, જે દુનિયાનાં દરેક મોટાં બહેનને પોતાના ભઇલા માટે હંમેશાં હોવાની અને રહેવાની...


મારા વ્હાલાભાઇ,
જિંદગીનાં વરસોએ મને ખૂબ
બદલી છે, પણ તને કેડમાં તેડીને
સહિયરો સાથે રમવા જતી, ત્યારથી
આજ સુધીમાં એક વાતે તો હું
નથી જ બદલાઇ....
....સખી-સહિયરોને જે કહેતી
એ જ ગર્વભેર દુનિયા આખીને
આજે પણ કહું છું કે..
મારા ભાઇ જેવું જગમાં બીજું
કોઇ નથી!