Tuesday, July 31, 2012

રાજેશ ખન્નાનાં કિશોરેતર ગીતો!





રાજેશ ખન્નાની ફિલ્મોનાં લોકપ્રિય જ ગીતોનું સ્મરણ કરવાનું શરૂ કરીએ તો પણ કેવાં કેવાં ઝવેરાત પ્રાપ્ત થાય! ગયા સપ્તાહે જોયું એમ કિશોર કુમારનાં ગાયનોના વિપુલ સંગીત ખજાનાને તો આપણે સ્પર્શ્યા પણ નહતા. મહંમદ રફીને તેમની પૂણ્યતિથિ નજીક હોઇ વિશેષ યાદ કર્યા હતા. પણ માત્ર કિશોર - રફીની સ્મૃતિ તાજી કરવાથી અન્ય ગાયકોનાં ગાયનો છુટી ના જાય એ હેતુસર ‘કાકા’ની ફિલ્મોમાં મુકેશ, મન્નાડે જેવા કિશોરેતર સિંગર્સનાં ગીતો પણ જોઇએ, તો?

તો મુકેશજીની યાદ તાજી થતાં જ ઋષિકેશ મુકરજીના ‘આનંદ’ની બે અમર રચનાઓ દસ્તક દેવા માંડે. એક તો ગુલઝારનું “મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને...” અને બીજું કવિ યોગેશનું “કહીં દૂર જબ દિન ઢલ જાયે...”! એ જ ‘આનંદ’માં સલિલ ચૌધરીએ મન્ના ડે પાસે ગવડાવ્યું “ઝિન્દગી કૈસી હૈ પહેલી હાયે...” તેમાં શબ્દો ઉપરાંત સલિલ દાએ ટ્રમ્પેટ અને ડ્રમ જેવાં પાશ્ચાત્ય વાદ્યોનો કરેલો ઉપયોગ એ ગંભીર કવિતાને આનંદ સેહગલના સ્વભાવ જેવી આનંદી બનાવે છે.
એ જ મન્ના ડે અને ઋષિદાની ‘બાવર્ચી’માં “તુમ બિન જીવન કૈસા જીવન...” ઉપરાંત  અદભૂત ક્લાસિકલ રચના “ભોર આઇ ગયા અંધિયારા...” જેમાં મન્નાડે ઉપરાંત કિશોર કુમાર, લક્ષ્મીશંકર, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને ગોવિંદાનાં ગાયિકા મમ્મી નિર્મલાદેવીના પણ અવાજ સંગીતકાર મદન મોહને લીધા હતા. ક્યારેક ‘યુ ટ્યુબ’ પર એ ગાયન જોજો. જલસો થઇ જશે!  આ ગીતમાં એક્ટરોની પણ મઝા છે. રાજેશ ખન્ના અને જયા ભાદુરી ઉપરાંત અસરાની અને હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તો ખરા જ. પણ દુર્ગા ખોટે અને ઉષાકિરણને પણ ઋષિદા નચાવી શકે. ચાલોને જલસો કરી જ લઇએ! 

મદન મોહનની એક માઇન્ડ બ્લોઇંગ ફેન્ટાસ્ટીક કૃતિ!


મન્નાડેનો અવાજ હોય અને ‘કાકા’ પડદા ઉપર દેખાતા હોય, પણ શબ્દો તે પોતે ગાતા ના હોય એવું બેકગ્રાઉન્ડ સોંગ “હંસને કી ચાહ ને ઇતના મુઝે રૂલાયા હૈ...” દાંપત્ય જીવન ઉપરની બેમિસાલ ફિલ્મ ‘આવિષ્કાર’ની શરૂઆતમાં, નંબરીયા પડતી વખતે, જ આવે છે. એ ગીત દરમિયાન પાણીમાં હાલતાં લાગતાં પ્રવાહી દ્રશ્યોની સ્પેશ્યલ ઇફેક્ટનાં તે દિવસોમાં ખુબ વખાણ થયાં હતાં.
 
મન્ના ડેના કંઠે ‘સફર’માંનું નાવિકનું ગાન “નદિયા ચલે, ચલે રે ધારા...” ગવાતું હોય અને કિનારે તે સાંભળતાં બેઠેલાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર સ્ક્રીન ઉપર દેખાતાં હોઇ તેને પણ ગણત્રીમાં લઇએ. (આપણે તો કોઇપણ કારણ સાથે વધુમાં વધુ ગીતો યાદ કરવાનો જ ઉપક્રમ છેને?) ‘સફર’માં કલ્યાણજી આણંદજીએ મન્નાડે ઉપરાંત કિશોર કુમાર (“ઝિન્દગી કા સફર હૈ યે કૈસા સફર..” અને “જીવન સે ભરી તેરી આંખેં...”) અને ફિરોજખાન ઉપર ફિલ્માવાયેલા ગીત “જો તુમ કો હો પસંદ વહી બાત કરેંગે...”માં મુકેશનો પણ અવાજ હતો.


જો કે મુકેશનો સ્વર હોય અને ખન્નાએ સ્ક્રીન પર ગાયું હોય એવું એક લોકપ્રિય  ગીત ‘કટી પતંગ’માં પણ હતું.... “જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઉસ ગલી સે હમેં તો ગૂજરના નહીં...”! તો ‘મર્યાદા’માં “જુબાં પે દર્દ ભરી દાસ્તાં ચલી આઇ...” રાજેશ ખન્ના ઉપર ફિલ્માવાયેલું છે.  મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ‘પ્રેમ કહાની’માં લક્ષ્મીકાન્ત પ્યારેલાલે “ફૂલ આહિસ્તા ફેંકો, ફુલ બડે નાજુક હોતે હૈં....” પણ આપ્યું હતું. 



રાજેશ ખન્ના અને મુમતાઝની એ જ જોડીની અન્ય એક ફિલ્મ ‘બંધન’માં કલ્યાણજી આણંદજીએ મુકેશ પાસે  એક ભોજપુરી ગીત “બિના બદરા કે બિજુરીયા કૈસે ચમકી....” ગવડાવાયું હતું. બાકી ‘બંધન’માં રાજેશ ખન્નાનાં લગભગ બધાં ગાયન મહેન્દ્ર કપૂરને સોંપ્યાં હતાં. તેમાં ‘ઉપકાર’ની માફક ગામડાની પૃષ્ઠભૂમિની વાર્તા હોઇ સંગીતમાં તેની છાંટ વર્તાય. ખાસ કરીને “આયો રે આયો રે... સાવન આયો રે...”માં તો પિક્ચરાઇઝેશન પણ ‘ઉપકાર’થી પ્રેરિત લાગે. 


આ તો રાજેશ ખન્ના કે ‘ઉપકાર’ના ભારતકુમાર? ક્લીક કરી ખાત્રી કરો!


તે સિવાય યુગલ ગીત “જાતે હો તો જાઓ, મનાયેંગે નહીં...” અને વિરહ ગાન “આ જાઓ આ ભી જાઓ, હમ કો ન યૂં સતાઓ...” બંધન અન્ય એક રીતે પણ યાદગાર કહેવાય. તે એક માત્ર ફિલ્મમાં રાજેશ ખન્ના અને અંજુ મહેન્દ્રુ સાથે હતાં.

મહેન્દ્રકપૂરના અવાજમાં રાજેશખન્નાએ ‘માલિક’નું ભજન “કન્હૈયા કન્હૈયા તુઝે આના પડેગા, બચન ગીતા વાલા નિભાના પડેગા...” પણ ગાયું હતું. જ્યારે ‘ડીસ્કો ડાન્સર’નું ગાયન “ગોરોં કી ન કાલોં કી, દુનિયા હૈ દિલવાલોં કી....”માં સુરેશ વાડકરનો અવાજ ‘કાકા’ માટે હતો. એ જ રીતે ‘અપના દેશ’ના “દુનિયા મેં લોગોં કો ધોખા કભી હો જાતા હૈ...” ખુદ રાહૂલદેવ બર્મનના અવાજમાં ખન્નાને ગાવા મળ્યું હતું.

જો કે આ બધા સિનીયરોની સામે મહંમદ અઝીઝ અને અનવર તો જુનિયર કહેવાય અને છતાં તેમનાં ગાયનો પણ એટલાં જ હ્રદયસ્પર્શી છે. એ બન્ને રફી સાહેબના સૂરમાં ગાનારા કલાકારો અને તેમણે પણ શું ગાયું છે! અનવરના અવાજમાં ‘જનતા હવાલદાર’નાં બે ગીતો “હમ સે કા ભૂલ હુઇ, જો યે સજા હમ કા મિલી...” અને “તેરી આંખોં કી ચાહત મેં તો મૈં સબ કુછ લૂટા દુંગા...” સાંભળો તો રફી સાહેબનો વહેમ થયા વિના રહે!

એ જ રીતે રાજેશ ખન્નાની સ્મિતા પાટીલ સાથેની ફિલ્મ ‘આખિર ક્યૂં’માં મહંમદ અઝીઝના મીઠા સ્વરમાં ઇન્દીવરના શબ્દો ગાયા છે, જે આપઘાત કરવા જતી કોઇપણ વ્યક્તિને રોકવા શક્તિમાન છે. યાદ છેને એ કવિતા?.... “એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે...”! એ જ પિક્ચરના અન્ય એક ગીત “દુશ્મન ન કરે દોસ્ત ને વો કામ કિયા હૈ...”માં રાજેશ ખન્ના માટે કિશોરકુમારના દીકરા અમિતે ગાયું છે. તેથી એ ગાયન માટે ગુજરાતીમાં કહી શકાય કે ભત્રીજાએ ‘કાકા’ માટે ગાયું!!


સમય હોય તો આ રચના શબ્દો જેટલી જ મુન્ના અઝીઝના અવાજ માટે સાંભળજો! અદભૂત કમ્પોઝીશન અને રાજેશખન્ના ઉપરાંત અહીં તો સ્મિતા પાટીલ પણ જોવા મળશે.... What more can you ask for?

1 comment: