Sunday, October 15, 2017

ગુલે ગુલઝાર - મરાસિમ



શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ!



અમિતાભ બચ્ચનની વર્ષગાંઠ દર સાલ ૧૧મી ઓક્ટોબરે આવે અને છતાં ૨૦૧૧થી તે પ્રસંગનો કે બીજી કોઇ ઉમંગભરી ઘટનાનો ઉત્સાહ જ નથી થતો. કારણ કે તેના એક દિવસ અગાઉ દસમી તારીખે પરમ પ્રિય જગજીતસિંગજીની યાદમાં હૈયું ભારે થઈ ગયું હોય છે. જગજીતસિંગ, તેમના અસંખ્ય ચાહકો માટે પોતપોતાના અસ્તિત્વનો એક ભાગ હતા અને ૨૦૧૧માં ૧૦ ઓક્ટોબરે તેમનું નિધન થયું; ત્યારે સંવેદનાઓને લાડ લડાવતો એક હિસ્સો જાણે કે કરોડો વ્યક્તિત્વોમાંથી ખરી પડ્યો! એટલે હવે દર સાલ ૧૦ ઓક્ટોબરે તેમના ‘મરાસિમ’ આલબમની ગઝલ શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ...” મનોજગત પર હાવી થઈ જતી હોય છે. ‘મરાસિમ’માં માત્ર ગુલઝારની જ રચનાઓ જગજીતજીએ ગાઇ હોઇ એક સાથે તેમાં શબ્દ અને સૂરની શ્રેષ્ઠતા મળીને માનવીય સંબંધોની નમણાશને એટલી જ સલુકાઇથી પંપાળતી હોવાનો અનુભવ સતત થયા કરે છે... આજે પણ!

ગુલઝાર એ સંગ્રહમાં એમ લખે કે “હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હે નહીં તોડા કરતે...” ત્યારે એ માત્ર પ્રેમી-પ્રેમિકાને જ નહીં દોસ્તોથી માંડીને સગાં-સંબંધીઓ સહિતના દરેક સાથેના રિલેશન્સને સ્પર્શે છે. તેમાં પણ આ પંક્તિઓમાં અનોખાં કલ્પનોનો ‘ગુલઝાર ટચ’ તો કેવો કમાલનો છે... “જિસકી આવાઝ મેં સિલવટ હોં, નિગાહોં મેં શિકન, ઐસી તસ્વીર કે ટૂકડે નહીં જોડા કરતે...” અવાજમાં, ચાદરમાં પડે એવી, કરચલીઓ અને કપાળમાં પડે એવી કરચલીઓ (શિકન) આંખમાં હોવાનો વિચાર તો ગુલઝાર સિવાય કોને આવે? અથવા તો “એક પુરાના મૌસમ લૌટા, યાદ ભરી તન્હાઇ ભી...”માંનો આ શેર “ખામોશી કા હાસિલ ભી એક લંબી સી ખામોશી હૈ, ઉનકી બાત સુની ભી હમને, અપની બાત સુનાઇ ભી...” મૌનનો કેવો મહિમા કરે છે! અને એકલતાને ઉજાગર કરતી આ રચના “દિન કુછ ઐસે ગુજ઼ારતા હૈ કોઇ, જૈસે એહસાં ઉતારતા હૈ કોઇ...”.

જ્યારે ‘મરાસિમ’માંની તેમના અંગતજીવનના પ્રતિબિંબ જેવી આ પંક્તિઓ એકલા ગુલઝારને જ થોડી લાગૂ પડે છે?... “ઝિંદગી યૂં હુઇ બસર તન્હા, કાફિલા સાથ ઔર સફર તન્હા...” એ ગઝલના પ્રારંભ પહેલાં ગુલઝારના બેઝભર્યા સ્વરમાં આવતા પ્રસ્તાવનાના આવા શબ્દો...

મુઝકો ભી તરકીબ સિખા કોઇ
યાર જુલાહે,
અક્સર તુઝકો દેખા હૈ
કિ તાના બુનતે
જબ કોઇ ધાગા ટૂટ ગયા,
યા ખત્મ હુઆ
ફિર સે બાંધ કે
ઔર સિરા કોઇ જોડ કે ઉસમેં
આગે બુનને લગતે હો
તેરે ઇસ તાને મેં લેકિન,
ઇક ભી ગાંઠ ગિરહ બુનતર કી
દેખ નહીં સકતા હૈ કોઇ...
મૈંને તો ઇક બાર બુના થા
એક હી રિશ્તા.
લેકિન ઉસકી સારી ગિરહેં
સાફ નજ઼ર આતી હૈં
મેરે યાર જુલાહે!
મુઝકો ભી તરકીબ સિખા કોઇ
યાર જુલાહે!

આ મજબૂત પ્રસ્તાવનાએ ગુલઝારની ૧૯૮૮માં દૂરદર્શન પર આવેલી બેહદ સફળ ટીવી સિરીઝ ‘મિર્ઝા ગાલીબ’માં દર હપ્તે ટાઇટલ પછી તરત તેમના પોતાના અવાજમાં આવતી પેલી પ્રમાણમાં અઘરી અને છતાં ગુલઝારના અવાજ તથા જગજીતસિંગના સંગીત નિયોજનને કારણે મોટાભાગના ચાહકોને ગોખાઇ ગયેલી  “બલ્લીમારાં કે મહલ્લે કી વો પેચીદા દલીલોં કી સી ગલિયાં...”ની યાદ તે દિવસોમાં તાજી કરાવી દીધી હતી. જગજીતસિંગના મધમીઠા સ્વરમા ગઝલનો પ્રારંભ થાય તે અગાઉ કેટલીક કૃતિઓમાં પોતાના મર્દાના અવાજમાં જે તે કૃતિના બેકગ્રાઉન્ડ જેવી ચંદ પંક્તિઓનું ગદ્ય શાયરના અવાજમાં આવે. તેને લીધે ‘મરાસિમ’માં બબ્બે પૌરૂષ સભર અવાજોના કોમ્બિનેશનમાં ગદ્ય અને પદ્યનો એક સાથે આલ્હાદક આનંદ આપે એવી એક રસપ્રદ ઘટનાએ ‘મિર્ઝા ગાલિબ’ પછી ફરીથી એકવાર આકાર લીધો.


ટૂંકમાં, ‘મરાસિમ’નું આકર્ષણ ગુલઝારની કવિતાઓને મળેલી જગજીતના અવાજની સ્વાભાવિક છોળો તો છે જ. (યાદ છે ને? જગજીતસિંગના નિધન પછીની ગુલઝારની શબ્દાંજલિ? “એક બૌછાર થા વો... આવાઝ કી બૌછાર થા વો...”!) સાથે સાથે ઘરના છાપરા ઉપર વરસતા સાંબેલાધાર વરસાદના ધ્વનિ જેવું નક્કર ગુલઝારનું પઠન પણ. તેને લીધે એકલા ‘મરાસિમ’ના એક કરતાં વધુ ગઝલ-ગુલ વિશે લખવાની લાલચ થઈ જાય એવો અણમોલ એ સંગ્રહ છે. તેમાં ગુલઝારની કવિતા અને જગજીતજીની ગાયકીએ મળીને ચાર નહીં, આઠ ચાંદ લગાડી દીધા છે. (આલબમમાં ૮ રચનાઓ છે!) ત્યારે તેમાંની આ એક રચના  “શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ...” ગીત-સંગીતની દુનિયાની એક  ઇતિહાસ સર્જનારી કૃતિ સાબિત થઈ હતી. એ રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી અને લેખના અંતે જોશો કે તૂટી શકવાનો પણ નથી.  ગુલઝાર આ રચનાને મજાકમાં ‘એક દુલ્હન ઔર ચાર દુલ્હે’ એમ પણ કહેતા આવ્યા છે. કેમ કે તેમણે જગજીતને આ કાંઇ તાજી ગઝલ નહોતી લખી આપી. હકીકતમાં એ તો તેના ચોથા દુલ્હા હતા અને ગુલઝાર ફરીથી એ કવિતા સોંપવા તૈયાર નહોતા! ત્યારે જગજીતસિંગે પોતે દલીલ કરીને આ જૂની કવિતા માગી હતી. કેમ કે મૂળે તો આ ગીત ઠેઠ ૧૯૬૮માં ‘મિટ્ટી કે દેવ’ પિક્ચર માટે લખાયું હતું, જેનું સર્જન સંગીતકાર સલિલ ચૌધરીના ભાઇ સમીર ચૌધરી કરી રહ્યા હતા. તેથી સ્વાભાવિક જ સંગીતકાર બડે ભૈયા સલિલબાબુ જ હોય. 

સલિલદાને ગુલઝારે આ શરૂઆતી પંક્તિઓ આપી, ત્યારે તેમણે કહ્યું કે સંગીતની રીતે મેળ પાડવા “શામ સે આંખ મેં નમી સી હૈ...”ને બદલે “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એમ કરવું પડે. ગુલઝારે ‘નમી નમી સી’ કર્યું અને પછી એ જ રીતે બીજી પંક્તિમાં ‘કમી કમી સી’ કરી આપ્યું. આખા ગીતને સંગીતની આવશ્યકતા મુજબ સુધારી આપ્યું અને સલિલ ચૌધરીએ મુકેશ પાસે તે ગવડાવીને રેકોર્ડ કરાવી લીધું. પણ કમનસીબે પિક્ચર બન્યું જ નહીં અને ગીત પણ અભરાઇએ ચઢી ગયું! (આજે આભાર ‘યુ ટ્યુબ’નો કે કોઇ દયાળુ આત્માએ તે ગીત મુકેશજીના સ્વરમાં ઉપલબ્ધ કરાવ્યું છે.) એવામાં એક દિવસ એ રચનાનું નસીબ ચમક્યું. ગુલઝારના ચીફ આસિસ્ટન્ટ રહી ચૂકેલા અને પછી તો રાજેશ ખન્ના અને હેમામાલિનીને લઈને બનાવાયેલી ૧૯૭૭ની ફિલ્મ ‘પલકોં કી છાંવ મેં’ના દિગ્દર્શક મેરાજે તે અગાઉ પોતાની પ્રથમ ફિલ્મ ‘ખ્વાહિશ’ માટે, સ્વાભાવિક રીતે જ, ગીતકાર તરીકે ગુરૂ ગુલઝારને પસંદ કર્યા. 

ગુરૂએ સ્ટોકમાં પડેલું આ ગીત કાઢી આપ્યું. મેરાજે કહ્યું કે મુખડાની પંક્તિઓ સરસ છે. પરંતુ, અંતરા નવા આપજો. ગુલઝારે આ ગીતને અગાઉ સલિલ ચૌધરીએ કમ્પોઝ કર્યું હતું એ કહ્યા વગર શરૂઆતના મૂળ શબ્દો “શામ સે આંખ મેં નમી સી હૈ...” ફિલ્મના સંગીતકાર લક્ષ્મીકાન્ત પ્યારેલાલને આપ્યા. નવાઇની વાત એ થઈ કે ‘એલ.પી.’એ પણ એ જ સૂચવ્યું કે શબ્દો “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એમ કરવા પડશે. એ કેવો ઇત્તફાક હતો ક્રિએટિવિટીનો કે મ્યુઝિકના બે તદ્દન અલગ પ્રવાહોના માંધાતાઓને એક સરખો જ સુધારો સૂચવવાનો હતો! પેલી અંગ્રેજી ઉક્તિ ‘ગ્રેટ માઇન્ડ્સ થિન્ક અલાઇક’ (અર્થાત ‘મહાન દિમાગો એક સરખું જ વિચારતાં હોય છે’) સાચી પડતી દેખાય છેને? ગુલઝારે એ રીતના પ્રાસ નવેસરથી બેસાડીને અંતરા સહિતનું આખું ગીત લખી આપ્યું. લક્ષ્મી-પ્યારેએ તેમનાં પ્રિય ગાયિકા લતા મંગેશકર પાસે એ ગવડાવ્યું. પરંતુ, કમનસીબે ‘ખ્વાહિશ’ પણ અધૂરી રહી. ‘ખ્વાહિશ’ પિક્ચર પૂરું ન થતાં આ રચના ફરી માળિયે ચઢાવી દેવી પડી. 


એટલે આ ગઝલ ગુલઝારે વર્ષો સુધી કોઇ નિર્માતાને બતાવી પણ નહીં. છેવટે દસ વરસ પછી ‘પાડોશી’ને આપી દીધી અને એ પંક્તિઓ આશા ભોંસલેના ગળેથી વહેતી થઈ! આશાજી, ગુલઝાર અને આર.ડી. બર્મનની ત્રિપુટીએ મળીને એક પ્રાઇવેટ આલ્બમ ૧૯૮૭માં કર્યું અને તેનું ટાઇટલ રાખ્યું ‘દિલ પડોસી હૈ’. તેને માટે આ રચના આપતા અગાઉ ગુલઝારે તેનો ઇતિહાસ જ્યારે કહ્યો; ત્યારે પંચમદાએ હસતાં હસતાં કહ્યું કે એ અગાઉના બેઉ વખત સંગીતકારોએ કવિતામાં શબ્દ ઉમેરાવ્યા હતા અને તેથી કવિની ‘હાય’ લાગી હતી. આપણે કશો સુધારો કર્યા વગર કમ્પોઝ કરીશું. ‘આર.ડી.’એ પોતાની આગવી સ્ટાઇલમાં, ગઝલ માટે સામાન્ય ન કહેવાય એવા રિધમ સાથે, આશાજી પાસે એ રચના ગવડાવી. ગુલઝારને લાગ્યું કે હાશ, પોતાની કવિતાનો મોક્ષ થઈ ગયો. પરંતુ, ‘દિલ પડોસી હૈ’ રિલીઝ થયાના બારેક વરસ પછી ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ ફરીથી આ જ ‘દુલ્હન’ માટે એક ઓર ઉમેદવાર પ્રપોઝલ લાવ્યા. આ વખતે દુલ્હા જગજીતસિંગ હતા!

જગજીતે ગુલઝાર સાથે ‘મરાસિમ’નું પ્લાનિંગ શરૂ કર્યું, ત્યારે તેમણે કહ્યું કે ગુલઝારની પ્રકાશિત થયેલી રચનાઓમાંથી એક પોતાને ખુબ જ ગમી છે અને પોતે પહેલેથી કમ્પોઝ કરી રાખેલી છે. ગુલઝાર ગઝલ સાંભળી અને ચોંકી ગયા! મુસ્કરાતા મુસ્કુરાતા તેમણે એ કવિતાની હિસ્ટ્રી કહી. વળી, છેલ્લે ’૮૭માં આવેલા અન્ય પ્રાઇવેટ આલ્બમ ‘દિલ પડોસી હૈ’નો હિસ્સો બની ચૂકેલી એ રચના ‘મરાસિમ’માં મૂકવાનો કોઇ તર્ક નથી એમ કહીને ઇનકાર કર્યો. ત્યારે જગજીતસિંગે પોતાનું આગવું લૉજિક રજૂ કર્યું. તેમની દલીલ એ હતી કે આશાજીએ ગાયું છે તે આ પંક્તિઓનું મહિલા સ્વરૂપ (ફિમેલ વર્ઝન) છે; જ્યારે ‘મરાસિમ’માં તે પુરૂષની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરશે. ગુલઝાર સંમત થયા અને પોતાના શબ્દોને થોડા પૉલિશ પણ કર્યા.
આજે લતાજીના સ્વરમાં લક્ષ્મી-પ્યારેએ કમ્પોઝ કરેલી આવૃત્તિ ઉપલબ્ધ નથી. પરંતુ, બાકીની ત્રણેય રચનાઓ જોવાથી સમયાંતરે કવિ પોતાની જ કૃતિને કેવી બહેતર બનાવી શકે છે એ જોઇ શકાય છે. સૌ પ્રથમ વખત સલિલ ચૌધરીએ મુકેશ પાસે ગવડાવેલા શબ્દો, અગાઉ કહ્યું તેમ, આવા હતા...
“શામ સે આંખ મેં નમી નમી સી હૈ, આજ ફિર આપકી કમી કમી સી હૈ..”. હવે તેના પ્રથમ અંતરામાં આવેલા આ અલ્ફાઝ જુઓ...
અજનબી સી હોને લગી હૈં આતી જાતી સાંસેં
આંસુઓં મેં ઠહરી હુઇ હૈ રૂઠી હુઇ સી યાદેં
આજ ક્યું, રાત યું, થમી થમી સી હૈ...

ગુલઝારની લેખિનીથી વાકેફ સૌ કહી શકે કે પોતાના જ શ્વાસ અજાણ્યા થઈ જવાની કે પછી રિસાઇ ગયેલી સ્મૃતિઓની કલ્પના એ જ કવિ કરી શકે. સામાન્ય રીતે આપણને શ્રોતાઓને તો એ શ્રેષ્ઠ જ લાગે. પરંતુ, આ તો ગુલઝાર... દર વખતે નવી ઊંચાઇઓ સર કરનારા સર્જક! તેમણે જ્યારે પંચમદા સાથે ‘દિલ પડોસી હૈ’ માટે આ રચનાનો મોક્ષ કર્યો, ત્યારે ‘અજનબી સી હોને લગી હૈં આતી જાતી સાંસેં’ના ભાવને વ્યક્ત કરવા તેમણે પોતાના ઓરિજિનલ છંદમાં આવા શબ્દો લખ્યા, “દફ્ન કર દો હમેં તો સાંસ આયે, દેર સે સાંસ કુછ થમી સી હૈ...” હવે આ એક લેવલ ઊંચી કવિતા થઈને? ‘મને દાટી દો જેથી શ્વાસ લઈ શકું’ એ ટિપિકલ ગુલઝાર સ્ટેમ્પ વાગેલી શાયરી થઈ. મતલબ કે પોતાને સમજી શકતા સાથીની ગેરહાજરીમાં, સંબંધોમાં દુનિયાની ચાલાકીઓ અને બદમાશીઓથી ગુંગળામણ અનુભવતી વ્યક્તિ ઘણીવાર ‘આના કરતાં તો મોત સારું’ એમ કહેતી હોય છે; તેનો ગુલઝારે પાડેલો આ પ્રતિઘોષ અમને તો લાગ્યો છે. પણ શું આ અંતિમ કલ્પના હતી? ના.

હવે ‘મરાસિમ’ માટે ૧૨ વરસે આવતા કુંભના મેળાની માફક આ રચનાની ત્રિવેણીમાં ગુલઝાર ડૂબકી મારે છે, ત્યારે એ જ સંવેદના માટે નવા અલ્ફાઝ લઈને બહાર આવે છે. એ નવા મિલિનિયમ માટે પ્રસ્તુત શેરને આમ કહે છે, “દફ્ન કર દો હમેં કિ સાંસ મિલે, નબ્ઝ કુછ દેર સે થમી સી હૈ...” શું એ શબ્દો સ્ત્રી અને પુરૂષની સંવેદનાનો ફરક દર્શાવતા હશે? કે પછી બે આલબમ અલગ અલગ રેકોર્ડ કંપની માટે કર્યાં હોય તો, કૉપીરાઇટના ઇશ્યુને ટાળવા થોડા શબ્દોની હેરફેર કરી હોય અને આપણે અવનવાં અર્થઘટનો કરતા હોઇએ એમ પણ બની રહ્યું છે? જો એમ હોય તો પણ ગમતા કવિનો શબ્દો સાથેનો ઘરોબો જાણતા હોઇ અમને તો કાવ્યની વધતી ઊંચાઇઓની સરખામણી કરવાની મઝા આવે છે. (મનહર ઉધાસ શાયર અમૃત ‘ઘાયલ’ના શબ્દો ગાતાં કહે છે એમ કહીશું કે ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’!) ગઝલમાં અગાઉ મહિલા સ્વર માટે કહ્યું હતું કે ‘સાંસ આયે’ અને હવે કહે છે કે ‘સાંસ મિલે’. અહીં કોઇ માત્ર ‘આવે’ અને કોઇ ‘મળે’ એ બે વચ્ચેનો ફરક તો છે જ. પણ આશાજી ગાય છે, ‘દેર સે સાંસ થમી સી હૈ’ તેના કરતાં જગ્ગુબાબુને આપેલા શબ્દો ‘નબ્જ઼ કુછ દેર સે થમી સી હૈ’ વધારે પૉલિશ્ડ લાગે છે. 

એટલું જ નહીં, આશાજીના વર્ઝનમાંના શેર ‘કૌન પથરા ગયા હૈ આંખોં મેં...’ની ‘મરાસિમ’માં બાદબાકી થયેલી છે. તેની સામે ગુલઝાર બે નવા મઝાના શેર આપે છે. પહેલામાં લખે છે, ‘‘વક્ત રહતા નહીં, કહીં ટિક કર, ઇસ કી આદત ભી આદમી સી હૈ...”! અહીં અમને ખુબ ગમતી ગઝલ ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે...’ના પ્રિય કવિ  સુરતના નયન હ. દેસાઇની ક્ષમા સાથે એમ સમજવાનું મન થાય છે કે ‘આદમી એટલે માણસ એટલે પુરૂષ એટલે ભટકવાની આદત ઉર્ફે...’ એમ ગુલઝાર કહેવા માગતા હશે? આ ગઝલને જગજીતસિંગ લાઇવ કોન્સર્ટમાં રજૂ કરે ત્યારે ‘ટિક કર’નો ‘ટિ’ ટકોરાબંધ ગાય એ સાંભળવાની મઝા પાછી અલગ. જ્યારે છેલ્લે એ ફરી એકવાર સંબંધોની શાલિનતાનો મહિમા કરે છે અને લખે છે, “કોઇ રિશ્તા નહીં રહા ફિર ભી, એક તસ્લિમ લાઝમી સી હૈ...” કોઇની સાથે નાતો કોઇપણ કારણસર તૂટી ગયો હોય તો પણ (ફિર ભી), મળે તો ‘તસ્લિમ’ એટલે કે ‘અભિવાદન’ તો કરવું જોઇએ. બોલીવુડિયા હિન્દીમાં કહીએ તો, ‘એક હાય-હેલ્લો તો બનતા હૈ, બોસ!’ 

મતલબ કે જો આપણે અજાણ્યાને પણ ‘દુઆ-સલામ’ કરતા હોઇએ તો ‘જાણીતા-અજાણ્યા’ને કેમ નહીં? છતાં અહીં બિલકુલ ‘લાઝમી’ એટલે કે ‘અનિવાર્ય રીતે આવશ્યક’ નહીં પણ ‘જરૂરી જેવું’ એમ કહેવા ‘લાઝમી સી’ કહ્યું છે. આમ, ગીત-સંગીતની દુનિયાને આ ગુલઝારની એવી ભેટ છે, જે અગાઉ બની નહતી અને હવે બનવાની કોઇ શક્યતા નથી. કેમ કે ચાર ગ્રેટ સંગીતકારો સલિલ ચૌધરી, લક્ષ્મીકાન્તજી, રાહૂલદેવ બર્મન અને જગજીતસિંગ આપણી વચ્ચે રહ્યા નથી. તેના ચાર ગાયકો પૈકીના મુકેશજી તથા જગજીતસિંગ પણ વિદાય લઈ ગયા છે. એટલે કોઇ રચનાને, કવિની સામેલગીરી સાથે, સ્વતંત્ર રીતે મુકેશ, લતા મંગેશકર, આશા ભોંસલે અને જગજીતસિંગ ગાય એવી વિરલ ઘટના આ એક માત્ર કૃતિ સાથે ઘટી છે. તેનાં એક એકથી ચઢિયાતાં વર્ઝન પણ એક રેકોર્ડ છે. આજનો લેખ દર વખત કરતાં થોડોક વધારે લાંબો લાગ્યો હોય તો તેનું કારણ જગજીતસિંગ છે. તેમને આ સાલની શ્રધ્ધાંજલિ પણ આપવાનો આ પ્રયાસ હતો અને જ્યારે તેમનું સ્મરણ ‘ગુલે ગુલઝાર’ સાથે કરવાનું હોય ત્યારે, ઇતની છૂટ તો લાઝમી સી હૈ, ના?!  


ખાંખાખોળા!

ગુલઝારની આ જ રચનાને પ્રથમ વખત ૧૯૬૮માં સલિલ ચૌધરીએ
મુકેશના સ્વરમાં “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એવા સુધારા સાથે ગવડાવી હતી, તે સાંભળવા અહીં ક્લિક કરો:
https://www.youtube.com/watch?v=QaAIWnguBpI 








Saturday, October 7, 2017

ગુલે ગુલઝાર - સત્યા




‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...!”

ગુલઝારની કરિયરને બે ભાગમાં વહેંચવાનું સાહસ કરવાનું હોય તો હું ફિલ્મ ‘સત્યા’ અગાઉનાં રાહુલદેવ બર્મન સાથે ‘મોટેભાગે અનોખાં કલ્પનો સર્જતા કવિ ગુલઝાર’ અને પંચમદાની વિદાય પછીના ‘હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર બનવા જતા ગુલઝાર’ એમ બે વિભાગ પાડું. ગુલઝારના ચાહકોને કદાચ આવું વર્ગીકરણ નહીં ગમે. પરંતુ, ‘સત્યા’નું આ ગીત ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...”  જ નહીં, તે જ  ફિલ્મના “સપને મેં મિલતી હૈ...” માં “ સપને મેં મિલતા હૈ... સારા દિન સડકોં પે ખાલી રિક્ષે સા પીછે પીછે ચલતા હૈ...” જેવાં ગીત લખીને ગુલઝારે પોતે માત્ર અવનવી કલ્પનાઓની કવિતાઓ જ કરી શકે છે એવી માન્યતાને દૂર કરવાની કોશીશ કરી હતી. તેઓ હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર જેવાં ગાયનો લખવા પણ સક્ષમ છે, એમ સાબિત કરી આપ્યું. આ ગાયનોની લોકપ્રિયતા પછી તેમણે હિંમતપૂર્વક “બીડી જલાઇ લે જિગર સે પિયા...” અને “કજરારે કજરારે તેરે પ્યારે પ્યારે નૈના...” જેવાં ઓડિયન્સને મઝા પડે અને પડદા ઉપરના ઉત્તેજક ડાન્સને લીધે લોકપ્રિય થાય એવાં આઇટમ સોંગ્સ તરફ ઝૂકવામાં પણ કોઇ છોછ ન જોયો. તે સિનેમાના એક વ્યાવસાયિક ગીતકાર માટે આ સ્વાભાવિક, અને વિશેષ તો જરૂરી પણ, હતું. તેને માટે ખુલાસો શાથી કરવો પડે?

ગુલઝારે એક કરતાં વધુ વખત સામેથી એ સ્પષ્ટતા કરેલી છે કે ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...” એવા શબ્દો પોતે એટલા માટે લખ્યા છે કે ‘સત્યા’ની સ્ટોરી ગેંગસ્ટર્સની છે અને એ બધાં પાત્રો કાંઇ ‘ગાલીબ’ની ભાષામાં ન ગાય. એ તો મારધાડની જબાન જ વાપરે. આ તર્ક સામે મુશ્કેલી એ છે કે ગુલઝાર સાહેબે એવું ધ્યાન ‘સત્યા’ અગાઉ ક્યાં રાખ્યું હતું? ‘માસૂમ’ કે ‘કિતાબ’નાં ‘‘લકડી કી કાઠી...” અને “અ આ ઇ ઇ, માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી...” જેવાં બાળગીતોને બાદ કરો તો પાત્રની ભાષાના સ્તરનું ધ્યાન ક્યાં રખાયું છે? દાખલા તરીકે, ‘ઇજાઝત’માં રેખાના ફાળે આવેલાં બે ગીતો. રેખા તેમાં એવી ગૃહિણીનું પાત્ર ભજવે છે જે પોતાના પતિની બેનપણીની કવિતાઓને ‘લવલેટર્સ’ સમજવાની ભૂલ કરે છે. આ સ્તરની હાઉસ-વાઇફ “કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો, જિંદગી...” જેવા શબ્દો અને તેમાં પણ “સપને પે પાંવ પડ ગયા...” એવી અદભૂત કલ્પના કરી શકે? અથવા “ખાલી હાથ શામ આઇ હૈ, ખાલી હાથ લૌટ જાયેગી...” એમ બેનમૂન ઇમેજ સર્જી શકે? (બાત કુછ હજમ નહીં હુઇ!) અહીં એ બેમિસાલ ગીતો અને તેની ભાષા કે ઇમેજરીની વાત નથી. એ અંગત રીતે અત્યંત ગમતાં સર્જનો છે. પરંતુ, પાત્રની જબાનમાં ગીત લખવાનો ગુલઝારનો તર્ક અગાઉ લાગૂ પડતો નહતો એટલું સાબિત કરવાના પ્રયાસમાં આ દાખલા ટાંક્યા છે. શું એ ‘સત્યા’ના સંગીતકાર વિશાલ ભરદ્વાજના સંગનું પરિણામ હશે?




વિશાલને ગુલઝાર આર.ડી.બર્મન પછી પોતે જેમની સાથે સૌથી વધુ કમ્ફર્ટ મહેસૂસ કરે છે એવા સંગીતકાર ગણાવતા આવ્યા છે. ‘આર.ડી.’ મ્યુઝિકના જિનિયસ હતા. પરંતુ, બંગાળી સિવાયની ભાષાઓ સાથેના તેમના કામચલાઉ સંબંધ વિશે સૌ જાણે જ છે. (“કતરા કતરા...” ગાયનના સર્જન દરમિયાન તેમણે ‘કતરા’નો અર્થ પૂછવો પડ્યો હતો અને જ્યારે ખબર પડી કે એ શબ્દનો અર્થ ‘બુંદ’ થાય છે, ત્યારે એવો સહેલો શબ્દ નહીં વાપરવા બદલ તે ગુલઝાર પર અકળાયા હોવાનું ખુદ કવિએ કહેલું છે!) જ્યારે સંગીતકાર વિશાલ ભરદ્વાજ તો મેરઠ જેવા તળ યુ.પી.ના હિન્દી ભાષી સર્જક, જે શેક્સપિયરની ‘મેકબેથ’ (મકબૂલ), ‘ઓથેલો’ (ઓમકારા) અને ‘હેમલેટ’ (હૈદર) જેવી કૃતિઓને પડદા ઉપર ઉતારનાર દિગ્દર્શક. શું તેમણે ગુલઝારને સાહિત્યિક ‘ક્લાસ’ની સાથે સાથે ‘માસ’ને પણ ગમે એવા શબ્દો લખવાનો જાણીતો રસ્તો દેખાડ્યો હશે? એવાં ગીતો લખવાથી તેમની ‘મહાન સાહિત્યકાર’ તરીકેની ઇમેજને કોઇ ખાંચો નહીં પડે એમ કોઇકે તો આશ્વસ્ત કર્યા હશે. હકીકતમાં તો તેમનાથી અગાઉના શૈલેન્દ્ર, સાહિર, મજરૂહ જેવા ગીતકારો પણ પોતાના સમયના  ‘કવિ સંમેલનો’ અને ‘મુશાયરાઓ’ની શાન હતા જ ને? છતાં ગુલઝારે પોતાનો રસ્તો કેવો અલગ રાખ્યો હતો?

ગુલઝારનાં ગીતોમાં હિન્દી ફિલ્મોમાં જે તે સમયે અનિવાર્ય કહેવાતાં હોળી, દિવાળી કે ઇદ અને રક્ષાબંધન જેવા તહેવારનાં અથવા રાષ્ટ્રભક્તિનાં ગાયન ખાસ નથી. (હોય તો મિત્રો ધ્યાન દોરી શકે.) પોતે કહેવાતા ‘ફિલ્મી ગીતકારો’થી અલગ છે એમ દર્શાવવાનો એ પ્રયાસ હોય તો પણ આપણને કવિતાપ્રેમીઓને તો તેનાથી ફાયદો જ થયો છે. પરંતુ, પાત્રાલેખન અનુસારનું ગીત લખવાના ખુલાસા સાથેના આ ગાયનની મઝા એ છે કે તે ‘સત્યા’ના હત્યા અને હિંસાના કાળા ડિબાંગ પ્લોટ સાથે સરસ રીતે ભળી જાય છે. ‘સત્યા’ની વાર્તા ‘ભીખુ મ્હાત્રે’ (મનોજ બાજપાઇ)ની ગેંગને કેન્દ્રમાં રાખે છે અને તેમાં વાતે વાતે પિસ્તોલ ફોડનારા ગેંગસ્ટર્સ વચ્ચે સિનિયર એવા ‘કલ્લુ મામા’ (સૌરભ શુકલા) એક ઠરેલ વ્યક્તિ છે. કહોને કે ગેંગની નીતિ-રીતિ અને તેના હપતા વસૂલી જેવા હિસાબ-કિતાબમાં ‘કલ્લુ મામા’નું દિમાગ સૌથી વધુ ચાલતું હોય છે. આ ગાયન ‘ભીખુ’ અદાલતમાંથી છૂટીને આવે છે તેના આનંદમાં શરાબની છોળો વચ્ચે ગવાય છે. તેમાં ગુંડાગર્દી કરનારાઓનો ઝાઝો વિચાર કર્યા વિના કે તર્કબુધ્ધિ લડાવ્યા વગર ‘‘એક ઘા ’ને બે કટકા”વાળી માનસિકતાનું પ્રતિબિંબ ગુલઝારે પોતાની રીતે આ શબ્દોમાં પાડ્યું છે...
 
ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ
ભેજે કી સુનેગા તો મરેગા, કલ્લુ
અરે, તુ કરેગા દુસરા ભરેગા, કલ્લુ
મામા... કલ્લુ મામા                      

ગુંડાઓ નાની નાની વાતમાં પણ મારવા-મરવા પર ઉતારુ થઈ જતા હોય છે અને તેથી તેમના મતે દિમાગમાંથી આવતા જાતજાતના તર્કને ઠંડા પાડવાનો ઇલાજ એક જ છે... ઉસકી સુનો મત! વળી, ઘણી ફિલ્મોમાં જોવા મળ્યું જ છે ને કે ક્યાંક ટોળામાં અથવા ભીડમાં બહુ અવાજ થતો હોય તો એકાદું માથાફરેલ પાત્ર બંદુકનો એક ભડાકો કરીને “અરે ચૂપ” એમ બૂમ પાડીને સૌને શાંત કરી દેતું હોય છે. અહીં ‘ગોલી માર’નો અર્થ બે રીતે કરી શકાય એવો સરસ શ્લેષ ગુલઝારે કર્યો છે. એક તો શાબ્દિક અર્થમાં ખરેખર ગોળીબાર કરવાનો હોય એમ ‘ઢીચક્યાઉં’ એવો અવાજ પણ ગાયનમાં આવે છે. જ્યારે બીજો મતલબ ‘ગોલી માર’ રૂઢિપ્રયોગનો પણ કરી શકાય. એ શબ્દપ્રયોગ ‘ગોલી માર’ હિન્દીમાં ‘છોડો ઉસકો’ની રીતે પણ વપરાતો હોય છે. “ગોલી મારો લવલેટર કો...” એમ કોઇ કહે એટલે કે પ્રેમપત્રોની વાતને છોડો. અહીં કલ્લુ મામાને ગેંગના કામકાજ અને તેના આયોજનમાં વધારે પડતી બુધ્ધિ ચલાવવાનું ભયજનક સાબિત થઈ શકે છે એવો બાકીના મેમ્બર્સનો મત પણ જણાવાય છે. આ ‘મામા’ ‘ભીખુ’ની ગેંગના થિંક ટેન્ક છે. (ગોળમટોળ સૌરભ શુકલા દેખાવે પણ ટેન્ક જ છે!) તેમનો, ઓફિસની ખુરશીમાં બેસીને કરેલો, કોઇ નિર્ણય ગ્રાઉન્ડ પર જાનની બાજી પર ખેલતા ટીમ મેમ્બરને ભારે પડી શકે એવી ટીમની ફિલિંગ પણ અહીં સરસ રીતે વ્યક્ત થાય છે. ગેંગની આ ઉડઝૂડિયા ભાવના આગળ શું કહે છે?

સોચ-વોચ છોડ, ભેજા કાહે કો ખરોંચના
અપના કામ માલ હાથ આયે તો દબોચના
અટકા-અટકા જો ભી ફટકા, ઝટકા દે
લટકા-લટકા, ડાલ મટકા, સટકા દે
યેડે, વો મરેગા જો ડરેગા, કલ્લુ

‘વિચારવા-ફિચારવાનું છોડો, ખાલી દિમાગનું દહીં ના કરો. આપણે તો જે મળે તે ઝૂંટવી લેવાનું!’ એમ માનતો આ અણગઢ સમૂહ તો માર-ધાડ સિવાયની બીજી ભાષા ક્યાં સમજે જ છે? અહીં ગુલઝાર ટપોરીઓની જુબાનના શબ્દો અટકા, ફટકા, ઝટકા, લટકા, મટકા, સટકાનો પ્રાસ બેસાડીને જે આવે તેને ઝટકાવી દેવાની કે સટકાવી દેવાની વાત તો કરે જ છે. પરંતુ, ગબ્બરના અમર ડાયલોગ (જો ડર ગયા, સમજો મર ગયા!)ની યાદ અપાવે એવા શબ્દો ‘વો મરેગા જો ડરેગા’ પણ આ અડ્ડાની કવિતામાં લાવે છે. તેની પહેલાંનો શબ્દ ‘યેડે’ પણ મરાઠીભાષીઓ જાણે છે એમ ‘અરે ગાંડા’ જેવા સંદર્ભે વપરાય છે. પછી તેમની ટીમના છોકરાઓની રોજીંદી જીવનચર્યા ગીતમાં આમ કહેવાય છે,

દિનમેં ખોલી, રાત તીન બત્તી પે ગુજાર દી
થોડી ચઢ ગઈ તો તીન પત્તી મેં ઉતાર દી
અરે, ખોપડી કી ઝોંપડી મેં ફટકા દે
આડ ફાડ માર છાડ કટકા દે કટકા દે
જોકરોં કી નૌકરી કરેગા કલ્લુ...

ગુલઝારે એમ કહેવા કે ‘ટપોરીઓ તો દિવસે હેડક્વાર્ટર જેવી ખોલીમાં હોય અને રાત પડે રોડ પર’ એક જૂની ફિલ્મના ટાઇટલ ‘તીન બત્તી ચાર રસ્તા’નો સહારો લીધો હોય એમ લાગે છે. કેમ કે અગાઉના સમયમાં શહેરોમાં ચાર રસ્તે ટ્રાફિક લાઇટ મૂકવી પડે એટલી ગાડીઓ કે સ્કૂટરો ક્યાં હતાં? ચકલે આછું અજવાળું રહે તે માટે ત્રણ બત્તીઓ રહેતી, જેથી પગપાળા કે સાયકલ પર જતા સૌને પોતે કયા ચોરાહા પર આવ્યા તેનો ખ્યાલ આવે. એ ત્રણ બત્તીઓના સમૂહના અજવાળે બેસીને સારા ઇલાકામાં ગરીબોનાં સંતાનો અભ્યાસ કરતાં અને જીવનમાં ઊચ્ચ કક્ષાએ પહોંચ્યાના અનેક દાખલાઓ હતા. એ જ તીન બત્તીએ ટપોરીઓ રાત પડે તીન પત્તીનો જુગાર ખેલે અને તેમાં હારે એટલે પીધેલું ઉતરી જાય. આ બધું યાદ હોય એને ગુલઝારે ‘તીન બત્તી’ અને ‘તીન પત્તી’નો કરેલો પ્રાસ ખુબ ગમી જાય. સ્વાભાવિક છે કે અસામાજિક પ્રવૃત્તિઓમાં આવેલા એ સૌ છોકરાઓ ગરીબ ઘરના હોય અને તેમની ઉપમાઓમાં એ જ વાતાવરણને રિફ્લેક્ટ કરે. એટલે પછી ગુલઝાર ‘ખોલી’ સાથે ‘ઝુંપડી’ને પણ યાદ કરે છે. એ ‘ખોપડી કી ઝોંપડી’નો શબ્દપ્રયોગ લઈ આવે છે. છેલ્લે ફરી એક વાર ‘આડ ફાડ, માર છાડ,’ અને ‘કટકા-ફટકા’ એવા ટપોરી શબ્દો સાથે એક વાસ્તવિકતા પણ ટીમના બોયઝ વ્યક્ત કરે છે... ‘જોકરોં કી નૌકરી કરેગા કલ્લુ...મામા... કલ્લુ મામા’!  
‘સત્યા’માં આ આખું ગાયન જે રીતે શૂટ થયું છે તેમાં ગેંગનાં બધાં પાત્રો સામેલ હોઇ થિયેટરમાં તો કદાચ શબ્દો પર એટલું ધ્યાન ન ગયું હોય. પણ અમારી દ્દષ્ટિએ આ ગીત એટલે ગુલઝારનું પોતાનું આઇવરી ટાવર છોડીને અન્ય ગીતકારોની પંગતમાં આવવાનો ટર્નિંગ પોઇન્ટ! તેમણે જ્યારે ગીતકાર તરીકેની કરિયર શરૂ કરી ત્યારે શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, કૈફી આઝમી, હસરત જયપુરી, ઇન્દીવર, પ્રદીપજી, શકીલ બદાયૂનિ, એચ. એસ. બિહારી વગેરે જેવા સિનેમા માટે જરૂરી એવી ગીત રચના કરનારા એ સૌ સિનિયરો કરતાં અલગ પડવા અને પોતાની જુદી પહેચાન બનાવવા એક લેવલથી નીચે નહોતા ઉતર્યા. તે શાયરોમાં આનંદ બક્ષી તો વળી સાવ અલગ હતા. તે જેમાં ગીતો લખતા તે ફિલ્મનું બેકગ્રાઉન્ડ જે હોય તેને અનુકૂળ અને કેરેક્ટર ગમે તે સામાજિક દરજ્જાનું હોય તેને માટે આનંદ બક્ષીના શબ્દો એટલા સરળ રહેતા કે તેમનાં ગાયનો લોકજીભે ચઢી જ જતાં. એ રીતે જોઇએ તો, “ગોલી માર ભેજે મેં...” એ ગુલઝારના ‘બક્ષીકરણ’ની ઘટના તરીકે પણ જોઇ શકાય. ગુલઝારને કે તેમના ચાહકોને ના ગમે એવું આ નિરીક્ષણ છે. પરંતુ,   ગુલઝારે શરૂઆતનાં તેમનાં મોટાભાગનાં ગાયનોમાં ઊચ્ચ કક્ષાની ભાષા રાખીને પોતાનો એક ‘ક્લાસ’ ઉભો કર્યો હતો, જેના અમે આજે પણ ભક્ત છીએ જ. તેને લીધે ‘માસ’ સાથેનું તેમનું જોડાણ  ‘સત્યા’ પછીનાં ગીતોમાં એક કરતાં વધુ વખત અનુભવાયું હોઇ અમારી દ્દષ્ટિએ સંપૂરનસિંગ (બાપ્ટિઝમ પછી) સંપૂર્ણ ગીતકાર થયા! (આ બધું બહુ વિશ્લેષણ લાગતું હોય તો એક જ સલાહ છે... ગોલી માર ભેજે મેં!!)


ખાંખાખોળા! 



આ જાહેરાત ૧૯૬૯ની છે અને તે શ્યામ બેનેગલે શૂટ કરી હતી, જે હજી એડ ફિલ્મ મેકર જ હતા. આ એ સાલ હતી જ્યારે ૧૫ જ વરસની ઉંમરે ‘અન્જાના સફર’માં બિશ્વજીત સાથે ચુંબનના દ્દશ્ય બદલ રેખા ‘લાઇફ’ મેગેઝીનમાં ચમકી હતી. તેને કારણે એ પિક્ચર રજૂ થતા પહેલાં સેલિબ્રિટી થઈ ગઈ હતી!