Sunday, December 30, 2012

ફિલમની ચિલમ - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૨


 એવોર્ડની મૌસમ આવી અને લાવી એક ‘પાકીઝા’ યાદ!

આવતી કાલે ૨૦૧૨નું વર્ષ વિદાય થઇ જશે અને પછી સિઝન શરૂ થશે વાર્ષિક સરવૈયાંની. દરેક ચેનલ કે અખબાર/સામયિક પોતાની રીતે ફિલ્મી દુનિયાના ‘ટૉપ ટૅન’ સમાચાર આપશે. કોઇના મતે ‘એક થા ટાઇગર’નો બસ્સો કરોડનો બિઝનેસ મોટા સમાચાર હશે તો અન્ય માટે વિદ્યાબાલનનાં લગ્ન! ક્યાંક સૈફ અલી ખાન સામે તાજમહાલ હોટલની રેસ્ટોરન્ટમાં સાઉથ આફ્રિકાના એક એનઆરઆઇ સાથે થયેલી મારામારીની પોલીસ ફરિયાદમાં તપાસને અંતે ચાર્જશીટ મૂકાયાના ન્યુઝ મોટા હશે તો વળી ક્યાંક ‘દબંગ-ટુ’નો પાકિસ્તાનની ટિકિટબારી પરનો પ્રથમ વીકનો બે કરોડનો વિક્રમ વકરો એ વરસની સૌથી નોંધપાત્ર ઘટના હશે.

વળી, કોઇ અન્ય માટે કમલ હસન પોતાની નવી ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને ૨૮મી ડીસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાના આગલા જ દિવસે ડીટીએચ દ્વારા ટેલીકાસ્ટ કરશે એ વર્ષની સૌથી ચોંકાવનારી ઘટના હશે. કેમ કે કમલહસન જેવા સુપર સ્ટારની એક તદ્દન નવી ફિલ્મ ટોકીઝમાં રિલીઝ થવાના આગલા દિવસે ઘેર બેઠા ટીવીના પડદે જોવા મળતી હશે તો થિયેટર્સની ધક્કા મૂક્કી કે ભીડમાં કોણ જશે? આ ક્રાંતિકારી પગલા સામે સિનેમાગૃહોના એસોસીએશનનો પ્રત્યાઘાત  જોવા જેવો હશે.

વરસ પૂર્ણ થતાં જ બીજી એક સિઝન આરંભ થશે, એવોર્ડ સમારંભોની. એટલે કે શાહરૂખખાનના સ્ટેજ પર્ફોર્મન્સની! છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં એવી મજાક ચાલતી આવી છે કે શાહરૂખને એવોર્ડ મળવાનો હોય તો એ ફંકશનનું સંચાલન તો કરી આપે; સાથે સાથે વાજબી દરે એકાદ ડાન્સ પર્ફોર્મન્સ પણ કરે. જો કે ગંભીર હકીકત એ છે કે હવે પહેલાંની જેમ એક માત્ર ‘ફિલ્મફેર’ જ પુરસ્કાર આપે એ સ્થિતિ ક્યાં રહી છે?

આજકાલ તો એવોર્ડ લગભગ દરેક મેગેઝીન આપે છે. એટલે એક જો શાહરૂખને ‘જબ તક હૈ જાન’ માટે એવોર્ડ આપે તો બીજા સમારંભમાં ‘દબંગ-ટુ’ માટે સલમાન કે ‘બરફી’ના અભિનય બદલ રણબીર કપૂરને સન્માનાય. અન્ય કોઇ મિડીયા જુથ વળી અજય દેવગનનો ‘બોલ બચ્ચન’નો કે પરેશ રાવલનો ‘ઓ માય ગૉડ’માંનો અભિનય એવોર્ડ લાયક પ્રમાણિત કરે. વળી, બધાને ફંકશન વરસના પ્રારંભે જ કરી નાખવું હોય છે. તેથી આ સાલ જાન્યુઆરીમાં તો ગમ્મત એવી છે કે ‘ઝી’ના એવોર્ડ્સ છઠ્ઠી જાન્યુઆરીએ છે અને તેનું પ્રસારણ ૨૦મી જાન્યુઆરીએ હશે. આમ આ નિર્દોષ સમાચાર લાગે. પરંતુ, અન્ય બે મુખ્ય હરિફો એટલે કે ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રીન’ના એવોર્ડ સમારંભો પણ જાન્યુઆરીમાં યોજાવાની શક્યતા હોય છે. જો એમ થશે તો ‘ઝી’ના પ્રસારણનો સમય અન્ય એકાદા એવોર્ડ સમારંભના સમય સાથે ટકરાવાનો! એક જમાનામાં ચૂંટણી દરમિયાન સમાંતર સભા થતી એવો એ ઘાટ થવાનો.

જો કે અત્યારના એવોર્ડ સમારંભોમાં કલાકારોની કળાને  સન્માનવાની પરંપરાગત પ્રથા ક્યાં મુખ્ય રહી છે? હવે તો એવા પ્રોગ્રામ દરેક મિડીયા ગૃપ માટે  પોતાના  વાર્ષિક મિલન સમારંભ જેવા બની જતા હોય છે. તેથી આયોજકો માટે વધુમાં વધુ કલાકારોની હાજરી ઇજ્જત કા સવાલ હોય છે. ફંકશન દરમિયાન સૌ સ્ટાર્સનો મેળ-મેળાપ થાય અને તે પ્રોગ્રામ ટેલીકાસ્ટ થાય ત્યારે સ્ટાર પાવરને પગલે એ કાર્યક્રમને દર્શકો ભરપૂર મળી રહે, એવો ‘એક પંથ દો કાજ’નો એ ખેલ હોય છે.

તેથી એક ફંકશનમાં કટરિનાને ‘જબ તક હૈ જાન’ માટે ટ્રૉફી અપાય તો અન્ય હરિફ સમારંભમાં કરિનાને ‘હીરોઇન’ની તેની ઍક્ટિંગ માટે નવાઝાય. કોઇ વિદ્યા બાલનને ‘કહાની’ માટે યોગ્ય સમજે તો અન્ય વળી શ્રીદેવીને ‘ઇંગ્લીશ વિંગ્લીશ’ના તેના અભિનય માટે પુરસ્કૃત કરે! હીરો- હીરોઇન ઉપરાંતની  સપોર્ટીંગ એક્ટર્સથી લઇને બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર અને શ્રેષ્ઠ ગાયક સુધીની કેટકેટલી કેટેગરી હોય છે. ફિલ્મ ઉદ્યોગના દરેક વિભાગના સૌ ભેગા થવાના હોય છે અને મોટેભાગે ‘અહો રૂપમ અહો ધ્વનિ’ના ન્યાયે બધા એક બીજાના ગુણગાન જ ગાવાના હોય છે. ત્યારે એકાદા સુપર સ્ટારને તગડી રકમ આપવી પડે તો પણ તેના પૈસા ટેલીકાસ્ટના રાઇટ્સમાંથી વસુલ થઇ જાય.

એ રીતે જોઇએ તો સંખ્યાબંધ સમારંભોને લીધે એવોર્ડ હવે લપટા પડી ગયા કહેવાય! તેથી જ આમીરખાન જેવા અભિનેતા તો એવોર્ડ સમારંભમાં જતા જ નથીને? આ સાલ ‘તલાશ’ માટે તેમને કેટલા આયોજકો અથવા તેમના મતદારો અને/અથવા જયુરી નોમિનેટ કરે છે એ જોવા જેવું હશે. બાકી એક સમય હતો જ્યારે એક માત્ર ફિલ્મફેર એવોર્ડ મહત્વના હતા અને તે વખતે તો તેના નોમિનેશન્સ જાહેર થાય તેની જ કેટલી બધી ઇન્તેજારી રહેતી? કેમ કે એ અંગ્રેજી ‘ફિલ્મફેર’ અને હિન્દી ‘માધુરી’ એમ ‘ટાઇમ્સ’નાં બે માતબર ફિલ્મી સામયિકોના દેશભરના વાચકોના મતદાનના આધારે નક્કી થતા. પછી પુરસ્કાર જાહેર થતા અને ત્યાર બાદ સમારંભ થતો. ક્યારેક કોઇ કલાકારને ખાંચો પડતો ત્યારે પુરસ્કાર નહીં સ્વીકારવાનું જાહેર કરીને જે સનસનાટી કરતા તે એવોર્ડ લેવા કરતાં પણ વધારે યાદ રહે.

જેમકે વૈજયન્તિમાલાએ કરેલો ‘દેવદાસ’ માટેના એવોર્ડનો ઇન્કાર! બિમલ રોયની એ અમર કૃતિ માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ જાહેર થયો હતો. પરંતુ, વૈજયન્તિમાલાએ એમ કહીને તેનો અસ્વીકાર કર્યો હતો કે ફિલ્મમાંનું ‘ચંદ્રમુખી’નું પોતાનું પાત્ર નાયિકાનું હતું. એટલે પોતે ‘સહાયક’ નહીં ‘મુખ્ય અભિનેત્રી’ હતાં! એ જ રીતે અત્યારે તબિયત નાદુરસ્ત હોવાના કારણે જે સમાચારોમાં રહે છે, તે બુઝુર્ગ અભિનેતા પ્રાણ દ્વારા ‘ફિલ્મફેર’નો ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો પુરસ્કાર ઠુકરાયાની કહાની પણ રસપ્રદ છે.

એ આખો બનાવ પ્રાણ સાહેબને છપ્પનની છાતીવાળા વ્યક્તિ સાબિત કરે છે. ‘૭૦ દાયકાના શરૂઆતના તે દિવસોમાં એવોર્ડ માટે કલાકારોને નોમિનેટ કરવા ભરવાનાં ફોર્મ માટે નિર્માતાઓ બજારમાંથી એ સામયિકોના જે તે અંક જથ્થાબંધ ખરીદી લાવતા. પછી તેમની ઓફિસમાં જ ઢગલાબંધ  ફોર્મમાં પોતાની જ ફિલ્મના કલાકારોને બધી અગત્યની કેટેગરીમાં નોમિનેટ કરાવતા. (આ વાત એક ગુજરાતી પીઆરઓએ વરસો પહેલાં જાહેર કરેલી.) 



પ્રાણને તે વરસ ૧૯૭૨માં ‘બેઇમાન’ના તેમના અબિનય માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ જાહેર થયો હતો. એ જ ફિલ્મ ‘બેઇમાન’ને અન્ય પુરસ્કારો ઉપરાંત ‘બેસ્ટ મ્યુઝિક’નો એવોર્ડ પણ ઘોષિત થયો હતો. ત્યાં જ પ્રાણ સાહેબને વાંધો પડ્યો!  પ્રાણે પોતાનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ એમ કહીને સ્વીકારવાનો ઇનકાર કર્યો કે ‘શ્રેષ્ઠ સંગીતકાર’ની ટ્રૉફી ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદને મળવી જોઇએ અને ‘બેઇમાન’ના મ્યુઝિક ડીરેક્ટર્સ શંકર જયકિશનને નહીં! કેટલા કલાકારો આટલી હિંમત ધરાવતા હશે? કે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હોય એ જ પિક્ચરના સંગીતને મળેલો પુરસ્કાર યોગ્ય નથી એમ કહેવા પોતાની ટોફી નકારે? ફિલ્મી દુનિયા સંબંધોની દુનિયા કહેવાય છે. અહીં કોઇ સાથી કલાકાર-કસબી નારાજ થાય એવું પોલીટિકલી ઇનકરેક્ટ પગલું કોઇ ના ભરે. જ્યારે પ્રાણ સાહેબે એક એવા સંગીતકારનો પક્ષ લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો જે દુનિયામાં હયાત પણ નહતા! ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદનો તો ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ દેહાંત થઇ ચૂક્યો હતો.

પ્રાણનો એ વિરોધ કેટલો વાજબી હતો કે ‘પાકીઝા’નાં તમામે તમામ ગીતો આજે ૪૦ વરસ પછી પણ સ્મૃતિમાં એવાં જ તાજાં છે. યાદ છેને આ બધાં ગાયનો?... “ઇન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા...”, “ઠાડે રહીયો અય બાંકે યાર રે...”, “ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...” “આજ હમ અપની દુવાઓં કા અસર દેખેંગે...”, મૌસમ હૈ આશિકાના અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના...” અને “ચલતે ચલતે યું હી કોઇ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે...” તમે જ કહો આ પૈકીનું કોઇ પણ ગાયન તમે ભૂલ્યા છો? સોચો ઠાકુર!

તિખારો!
પ્રાણ સાહેબને ‘બેઇમાન’નું જે મ્યુઝિક ‘પાકીઝા’ના સંગીત સામે ઉતરતું લાગ્યું હતું,  તેનું જ એક ગીત શ્રેષ્ઠ ગાયક (મુકેશ) અને ગીતકાર (વર્મા મલિક)ના પણ ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું. તેના શબ્દો આવા હતા... “ના ઇજ્જત કી ચિંતા, ના ફિકર કોઇ અપમાન કી, જય બોલો બેઇમાન કી, જય બોલો”!!

Friday, December 21, 2012

અશ્વિની ભટ્ટ

  
 કોઇ કડદા વગરના અંગત સંબંધનો કસબ!

અશ્વિની ભટ્ટની કલમનો પ્રથમ પરિચય અમારા પિતાજીએ કરાવેલો. એ પોતે ‘સંદેશ’ના બંધાણી. બાજુની દુકાનેથી મંગાવીને એ ‘ગુજરાત સમાચાર’ અને ‘જનસત્તા’ વાંચે ખરા. પરંતુ, ‘સંદેશ’નો લગાવ અલગ જ પ્રકારનો. પેપર આવે અને તે આખું વાંચે નહીં ત્યાં સુધી ચેન ના પડે. તેમને વાસુદેવ મહેતાની કૉલમમાં આવતું રાજકીય વિશ્લેષણ ગમે અને ઇશ્વર પેટલીકરની સામાજિક પ્રશ્નોની ચર્ચા પણ નિયમિત વાંચવા જોઇએ. તે છેલ્લા પાને આવતી પરમાનંદ ગાંધીની દૈનિક કૉલમ ‘આજની વાત’ને ય માણે.  પરંતુ, તેમનો મૂળ રસ વાર્તાનો.

તે એટલે સુધી કે દુકાન માટેની પસ્તી લેવા જાય ત્યારે ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં વાર્તા સામયિકોના જુના અંકો કિલોના હિસાબે લઇ આવે. તેથી અશ્વિની ભટ્ટની ‘સંદેશ’ની સોમવારની વાર્તાનું તેમને જબરું બંધાણ. જ્યારે મને ર.વ. દેસાઇથી ઉપર કોઇ નવલકથાકાર ના લાગે. “તું એક વાર ‘આશ્કા માંડલ’ વાંચ અને પછી કહેજે...” જેવું કશુંક તેમણે ઠપકાની ભાષામાં એકવાર કહ્યું. એટલે એક સોમવારે ‘સંદેશ’માં આવેલું તે સપ્તાહનું એક પ્રકરણ હું વાંચી ગયો. પછી નવલકથા આખી પૂરી કરવી જ પડી. પણ તે પછી એક મહત્વનો નિર્ણય લેવાઇ ગયો કે છાપામાં આવતી હપ્તાવાર નવલકથા ના વાંચવી. નહીં તો આખું અઠવાડિયું તેના સંભવિત વળાંકોની શક્યતાઓમાં ડુબેલા રહેવાનું જોખમ ઉભું થાય. તેના કરતાં એ જ નૉવેલ પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થાય પછી સળંગ વાંચવી. વાર્તાના તાણાવાણા ઉપરાંત અશ્વિનીભાઇની વર્ણનશક્તિ અને ખાસ તો તેમાંની ઝીણી વિગતોનું ડેટેઇલીંગ બહુ આકર્ષતું.  

એ આડકતરા પરિચય પછી રૂબરૂ મુલાકાત થઇ ‘સંદેશ’ની ઑફિસમાં. તે વખતે ‘ફિલમની ચિલમ’ લખવાને કારણે મહિને - બે મહિને એકાદવાર અમદાવાદ ‘સંદેશ’ની ઑફિસે જવાનું થતું. ત્યાં ડૉ. કાન્તિ રામી અને નિરંજન પરીખ સાથે તેમને વાતો કરતા જોયા. ત્યારે ઉપલક પરિચય થયો. તે વખતે તેમની વાર્તાનો હપ્તો એ લાવ્યા હતા તે અછડતો નજરે પડ્યો. ન્યુઝ પ્રિન્ટના પીળાશ પડતા કાગળમાં ઇન્ક પેનથી એક સરખી લાઇનમાં મોટ્ટા સુંદર મરોડદાર અક્ષરે લખાયેલું તેમનું લખાણ મનમાં ચોંટી ગયું. મનોમન નક્કી કર્યું કે પ્રેસમાં આપવાનું મૅટર લખવું તો આટલી સુઘડ અને સુવાચ્ય રીતે! (એ નિર્ણયનો અમલ ઠેઠ કોમ્પ્યુટર પર ટાઇપ કરીને લખાણ મોકલતો થયો સુધી મેં બરાબર કર્યો.)

પછી તો ‘સંદેશ’ની એવી અન્ય એક બેઠક દરમિયાન જ અશ્વિનીભાઇ પ્રેમાભાઇ હૉલના  મૅનેજર હોવાનું પણ જાણ્યું. સદનસીબે તે દિવસોમાં મારો નાનો ભાઇ નરેન્દ્ર તે જ હૉલની નીચે આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં કામ કરે. એટલે થોડોક સમય એવું બનતું કે અમદાવાદ જાઉં ત્યારે કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલા ઇંગ્લીશ સિનેમા સામેની વિનોદ ભટ્ટની ઓફિસે જવાનું, ત્યાં વાતો કરી પ્રેમાભાઇ હૉલે પહોંચવાનું. પછી બૅન્કે ભાઇને મળીને ઉપર અશ્વિનીભાઇને ‘હેલ્લો’ કરતા જવાનું. ભાઇની ત્યાંથી બદલી થઇ પછી એ ક્રમ જો કે બહુ લાંબો ચાલ્યો નહતો. પરંતુ, જ્યારે મળીએ ત્યારે અશ્વિનીભાઇ જરા પણ અભિમાન વગરના લાગે. બાકી તેમની લોકપ્રિયતાના એ ચરમ શિખરે ત્યારે હતા. પણ કોઇ આડંબર નહીં.

પછીનાં વર્ષોમાં મિત્ર ઉર્વીશ કોઠારી અમદાવાદનાં છાપાંની દુનિયામાં આવ્યો, તે પછી અશ્વિનીભાઇ સાથેનો પરિચય વધ્યો. અમે લોકો, હું અને ઉર્વીશ, બન્ને એક જ ટ્રેઇનમાંથી ઉતરીએ. મણીનગર સ્ટેશનેથી ઉર્વીશના સ્કુટર પાછળ બેસીને અમદાવાદમાં રજનીકુમાર પંડ્યા અને વિનોદ ભટ્ટ જેવા વડીલ સાહિત્યકારોને ત્યાં જવાનો લહાવો અગણિત વખત લીધો હશે. તેમાં અશ્વિનીભાઇને ત્યાં ‘૬૫ બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી’એ ગયા હોઇએ અને અલક મલકની વાતો (‘સીકેકે’) કરી હોય એવા પણ ઘણા પ્રસંગો થયા. (એવી એક મુલાકાત વખતે ક્રાઇમ રિપોર્ટિંગનો જબરદસ્ત પત્રકાર પ્રશાંત દયાલ- જેને મારા જેવા ઘણા મિત્રો નાના પાટેકર કહે છે તે- પણ અમારી સાથે હતો. ઉર્વીશે તેની આદત મુજબ અમારો ત્રણનો ફોટો  લીધો હતો. તે પણ આજે અહીં મૂકું છે.) 


એ માણસની હુંફ એવી જબ્બર કે કોઇ ફૉર્માલિટિ વગર ત્યાં બેસી શકાય, વાતો થઇ શકે. વિષય કોઇપણ નીકળ્યો હોય, તે સહજ રીતે સરસ મુદ્દા કહે. અશ્વિનીભાઇ અંગત રીતે સંબંધના માણસ. તેમના એવા એક જાત અનુભવ માટે હું તેમનો આજીવન ઋણી રહીશ. અમે નડિયાદથી પ્રગટ થતા દૈનિક અખબાર ‘નવજીવન એક્સપ્રેસ’ ને અમારા વહીવટમાં લીધા પછી તેમાં જાણીતા લેખકોની કોલમો શરૂ કરી. સળંગ હપ્તાવાર નવલકથા માટે અશ્વિનીભાઇની એકાદી નૉવેલ રિપ્રિન્ટ કરવાનો વિચાર કર્યો હતો. તે માટે ઉર્વીશ અને હું મળ્યા. પણ ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે સામે ચાલીને તેમની ‘કસબ’, ‘કડદો’, ‘કમઠાણ’ની સિરીઝની અખબારની રીતે ‘ફ્રૅશ’ કહેવાય એવી પોતાની નવલકથા ‘કસબ’ આપી.


અમારા સંબંધોનું અશ્વિનીભાઇએ કરેલું એ સર્વોચ્ચ સન્માન હતું. કેમ કે સામાન્ય રીતે તેમની નવલકથાઓ છાપામાં હપ્તાવાર પ્રસિદ્ધ થયા પછી પુસ્તક આકારે બજારમાં આવતી હોય છે. પરંતુ, ‘કસબ’નું પુસ્તક પહેલું પ્રગટ થયું હતું અને અખબારમાં હપ્તાવાર છપાવાની બાકી હતી. કહેવાની જરૂર ભાગ્યે જ છે કે નડિયાદની પૃષ્ઠભૂમિમાં લખાયેલી એ વાર્તા ‘કસબ’ને અમારા વાચકોનો અદભૂત આવકાર મળ્યો હતો. તેમની નવલકથાઓની અપાર લોકપ્રિયતા જોતાં કોઇપણ સામયિકે ‘કસબ’ માટે તેમને ભારે રકમ આપી હોત. મારી માહિતી મુજબ તો એવી વાટાઘાટો ચાલતી હતી પણ ખરી.

છતાં એ બધાને બાજુ પર રાખીને રાખીને મારા દૈનિક અખબારમાં ‘કસબ’ હપ્તાવાર પ્રસિદ્ધ કરવા આપી. અશ્વિનીભાઇએ લેખનને જ વ્યવસાય બનાવ્યો હોઇ તેમનો એક નિયમ હતો કે લખાણ કોઇ સામયિકને મફત નહીં આપવાનું. તેથી મારા માટે પણ પોતાની નવલકથાની કિંમત તેમણે નક્કી કરી . “એક પ્રકરણનો સવા રૂપિયો!” એ ટોકન પ્રાઇસમાં તેમનો નિયમ અને અમારો સંબંધ બન્નેનું સન્માન રહેતું હતું. જો કે અમે એવું પેમેન્ટ નહતું કર્યું... સન્માનજનક રકમ આપી હતી. પણ તેમના શબ્દો હજી પણ યાદ છે, “તું દૈનિક છાપાનો માલિક છું, એ જ મોટી વાત છે.”

એ શબ્દોમાં જે પોતાપણું હતું એવું બહુ ઓછા લોકોમાં જોયું છે. એ છાપું ચલાવવાના બે વરસના અનુભવ દરમિયાન ઘણા પત્રકાર/સાહિત્યકાર મિત્રો-વડીલો સાથે એક અખબારના માલિક તરીકે સંપર્કમાં આવવાનું થયું હતું. તે સમયે મારા માટે અંગત કહી શકાય એવા લેખક મિત્રોએ રિપ્રિન્ટ માટે પોતાની કૃતિ આપવામાં કરેલા વર્તન પછી અશ્વિનીભાઇના એ બોલની કિંમત વિશેષ સમજાતી હતી. એવા સંબંધોની પવિત્રતા આંસુના તોરણે સચવાતી હોય છે. તેમની વિદાયની વાસ્તવિકતાને હવે તો હજારો માઇલ દુર એકલા બેઠા પચાવવાની છે. સાથે કોઇ મિત્રો પણ નથી..... એક અજીબ સુનકાર છે!
(અશ્વિનીભાઇના દેહાંતના સમાચાર મળ્યા પછી તરત લખેલો એક નાનકડો પીસ)





Monday, November 5, 2012

આર.ડી. બર્મને રચેલું “ઇક ચતુર નાર....” નું પૂર્વજ ગીત કયું?



આર.ડી. બર્મનને ‘પડોસન’ના કૉમેડી ગીત “ઇક ચતુર નાર....”માં કિશોર કુમાર અને મન્નાડેની જુગલબંધી  માટે  વખાણતા ઘણા ચાહકો માટે કદાચ આ ગાયન અચરજ જેવું સાબિત થાય. ‘પડોસન’માં મહેમૂદ સાથે કિશોરદાની ધમાલ હતી. અહીં તેમની સાથે કૉમેડિયન ધુમાલની ધમાલ  છે. વળી મન્નાડે સાથે રસાહેબનુ ક્લાસિકલ ગાયન છે.  આમાં પણ સ્પર્ધા જ છે... પણ તે મહેમૂદ સાથે ધુમાલના ડાન્સની! ‘પડોસન’ કરતાં આ શાસ્ત્રીય ગાયનમાં એક બીજો પણ ફરક છે. મહેમૂદ બંગાળી (અથવા તો બોંગા!)   છે. ૧૯૬૭ના ‘ચંદન કા પલના’નું છે અને તેથી એ ‘પડોસન’નું પૂર્વજ કહી શકાય. મઝા માણો અને કેવું લાગ્યું તે પણ કહેજો ખાસ કરીને પંચમદાની ક્લાસિકલ મ્યુઝિક પરની હથોટી વિશે.

Sunday, November 4, 2012

યશ ચોપ્રા (૨): “મૈં યહાં હૂં યહાં હૂં...!”




યશ ચોપ્રા અને સાહિર લુધિયાનવીની જુગલબંધીની એક મિસાલ ‘કાલા પથ્થર’ જેવા ચિત્રમાં પણ જોવા મળી હતી. તેમાં પણ તક મળી અને એક ગીતમાં સાહિરે મજદૂરોના પ્રશ્નો અને તેમના ઉકેલથી થનારા સુખદ ભાવિની કલ્પના કરી બતાવી હતી. ફિલ્મની આખી મલ્ટી સ્ટાર કાસ્ટ (અમિતાભ, રાખી, શશિકપૂર, પરવીન બાબી, નીતુ સિંગ, શત્રુઘ્નસિન્હા, પૂનમ ધિલ્લોન,પરીક્ષિત સહાની) ને એકત્ર કરી આનંદ ઉત્સવ કરતા એ ગીત “ધૂમ મચી ધૂમ આજ કી રૈના, ભોર હુએ તક નાચે જવાની...” માં એક તબક્કે શાયર કહે છે, 


“પલે ના સોગ યહાં, સુખી હો લોગ જહાં, 
હમકો હૈ સાથી ઐસી દુનિયા બસાની; 
સીનોંમેં આગ લિયે, હોટોંપે રાગ લિયે,
હમકો અંધેરે મેં હૈ શમ્મેં જલાની, 
કાલે પથ્થર કી કસમ,જબ તલક દમ મેં હૈ દમ, 
હમ યે દેખેંગે રસ્મેં પુરાની,  કર ન પાયે યહાં હુકમરાની,
હૈ આજ હમને યે દિલમેં થાની, લાયેંગે ઇક નઇ ઋત સુહાની..”

એ ગીત અહીં  મૂક્યું છે. તે જુઓ અને નીતુસિંગને મુક્ત મને નૃત્ય કરતાં જોવામાં  સાહિરના શબ્દો ચૂકી ના જવાય તેનું પણ ધ્યાન રાખજો!

  
સાહિર માત્ર જલદ જ લખતા અને સૌમ્ય નહતા લખી શકતા એમ કોઇએ ના માનવું. ‘કાલા પથ્થર’માં જ શશિકપૂર અને પરવીન બાબી પર ફિલ્માવાયેલા ગીત “બાહોં મેં તેરી મસ્તી કે ફેરે, સાંસોં મેં તેરી ખુશ્બુ કે ડેરે...”ના શબ્દો પણ માણવા જેવા છે અને સોહામણા શશિ સાથે બિન્દાસ બાબીની જોડીની મઝા તો સોને પે સુહાગા!

સાહિર લુધિયાનવી અને યશ ચોપ્રાની જોડીના ‘ત્રિશૂલ’માં સલીમ જાવેદની ચુસ્ત પટકથાને કારણે ગાયનની કોઇ ખાસ ગુંજાઇશ નહતી. છતાં તેમણે અમિતાભ બચ્ચનને તેમના (નાજાયઝ પિતા સંજીવકુમાર) સામે બદલો લેવા નાનપણથી તૈયાર કરતી માતા (વહીદા રહેમાન)ના હાલરડાની આપેલી કવિતા “તુ મેરે સાથ રહેગા મુન્ને...” પણ કેટલી ચોટદાર હતી! તેમાં છેલ્લે આવતા આ શબ્દો,“મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!” તો પરાકાષ્ટા સમાન હતા.
 
પરંતુ, એ ક્લાઇમેક્સ પર પહોંચતા પહેલાં સાહિર સાહેબ માતાનું જે સ્વરૂપ તેમની કવિતાથી સર્જે છે, તે શિવાજીને તલવારોના ખખડાટ વચ્ચે હાલરડાં સંભળાવતાં માતા જીજાબાઇની સ્મૃતિ તાજી કરાવી દે છે. સામાન્ય રીતે મા પોતાના દીકરાને પંપાળીને લાડ- કોડમાં ઉછેરે એવી ઇમેજથી તદ્દન વિપરિત અહીં તો માતા પોતાની રોજ ગાવાની લોરીમાં સ્પષ્ટ કહે છે, મૈં તુઝે રહમ કે સાયે મેં ન પલને દુંગી, જિન્દગી કી કડી ધૂપ મેં જલને દુંગી, તાકિ તપ તપ કે તુ ફૌલાદ બને, માં કી ઔલાદ બને...”
‘માનો દીકરો બનજે’ આ શબ્દોમાં (પ્રેમિકાને પ્રેગ્નન્ટ કરીને લગ્ન નહીં કરતા) બાપ જેવા કાયર નહીં બનવાનો આડકતરો ઇશારો પણ છે. છેલ્લે  પોતાની જીવનભરની બદનામી અને જિલ્લતની સોંપણી કરતાં એ વસિયત કરવાની અદામાં કહે છે, 

મેરા હર દર્દ તુઝે સીને મેં બસાના હોગા
મૈં તેરી માં હું મેરા કર્ઝ ચુકાના હોગા
મેરી બર્બાદી કે જામીન અગર આબાદ રહે, 
મૈં તુઝે દૂધ ન બક્ષુંગી તુઝે યાદ રહે!

મતલબ કે “જો મને આજીવન બદનામી અને સંતાપમાં છોડી જનારો તારો ભાગેડુ બાપ સુખી રહે તો તું મારું ધાવણ લજવીશ!”  સલીમ-જાવેદની સ્ક્રીપ્ટમાં બદલો લેતા દીકરાનું અને તે માટે તેને તૈયાર કરતી માતાનાં જે પાત્રો લખાયાં હતાં, તેને સાહિરની આ કવિતા કેટલી સચોટતાથી ઉજાગર કરે છે. ફિલ્મમાં પોતાના જ પિતાને દરેક તબક્કે ધંધામાં પછડાટ આપીને ખુવાર કરતા અમિતાભના પાત્ર માટે એક ક્ષણ માટે પણ પ્રેક્ષકોમાં અભાવ થતો નથી. માતાના અવસાન અને અગ્નિ સંસ્કાર વખતેના બચ્ચન સાહેબના ચહેરાના હાવભાવ પણ એક્ટીંગના કોઇ પણ વિદ્યાર્થી માટે ટેક્સ્ટ બુકના પાઠ જેવા છે. Hats off! 

પણ એવા મજબુત સીન્સ બદલ લેખક, દિગ્દર્શક અને એક્ટર ત્રણેને દાદ આપતી વખતે શાયરની આવી જલદ કવિતાનો અણમોલ ફાળો કેટલા યાદ રાખતા હશે?  તેથી જ સાહિરનું અવસાન ૧૯૮૦ની ૨૫મી ઑક્ટોબરે થયા પછી યશ ચોપ્રાને એવી સારી-ચોટદાર- કવિતા માટે મુશ્કેલી પડવી શરૂ થઇ. એ તકલીફનો અંદાજ ‘ત્રિશૂલ’ પછીની તેમની ૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’માં તેમણે લેવા પડેલા પાંચ પાંચ કવિઓ પરથી ખ્યાલ આવે છે!


‘સિલસિલા’માં અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનની “રંગ બરસે...” પણ લીધી. જાવેદ અખ્તર પાસે “નીલા આસમાં સો ગયા...”, “દેખા ઇક ખ્વાબ તો યે સિલસિલે હુએ..” અને “મૈં ઔર મેરી તન્હાઇ...” લખાવ્યાં. ઉપરાંત  રાજેન્દ્ર કૃષ્ણની કલમે “પહલી પહલી બાર દેખા ઐસા જલવા...” તો હસન  કમાલ પાસે “સરસે સરકે સર કી ચુનરિયા...” અને  નીદા ફાઝલીની ગઝલ “ખુદસે જો વાદા કિયા થા, નિભાયા ન ગયા...” જે યશજીનાં પત્ની પમેલા ચોપ્રા પાસે ગવડાવી હતી. (પણ જે ફિલ્મમાં કદાચ રહી નહતી.) તે સિવાય મીરાંબાઇની ભક્તિ રચના “જો તુમ તોડો પિયા...” પણ ઉમેરો કે પછી પરંપરાગત પંજાબી ગુરુબાનીનું ભજન “બાંહ જિનાંદી પકડીયે....” પણ ગણત્રીમાં લો તો સાહિરની ખોટ કેવી લાગી હશે તે સમજાય. 


એક મજબુત શાયરની શોધ કરવાની રીતે તેમણે ‘મશાલ’માં જાવેદ અખ્તરને ગીતો પણ સોંપ્યાં. વાર્તા પણ ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબની હતી. એમાં કવિતાથી સમાજ વ્યવસ્થા ઉપર પ્રહાર કરવા સહિતની ભરપુર તકો હતી. જાવેદે “ફુટપાથોં કે હમ રહનેવાલે....” જેવું વિષયને અનુરૂપ વિજળીના ચમકારા જેવું એક ગીત જરૂર આપ્યું. પરંતુ, સાહિર જેવી કવિતાની ચોટ જાવેદ જ શું કામ કોઇ પણ અન્ય શાયર ક્યાંથી લાવે? છતાં કવિ હ્રદય યશજીની શોધખોળ જારી જ હતી. તેમણે ‘ફાસલે’માં શાયર શહરયારને લીધા તો ‘વિજય’માં નીદા ફાઝલીને અને છતાં વાત જામતી નહતી. છેવટે ‘ચાંદની’માં સરળ શબ્દોના રમતિયાળ પ્રયોગ કરતા આનંદ બક્ષી આવ્યા અને જાણે કે તલાશ પૂરી થઇ. તેમણે ‘લમ્હે’, ‘ડર’ અને ‘દિલ તો પાગલ હૈ’નાં ગીતો લખ્યાં. (‘દિલવાલે દુલ્હનિયા....’ અને ‘મોહબ્બતેં’ પણ યાદ છે. પરંતુ એ આદિત્ય ચોપ્રાના નિર્દેશનની ફિલ્મો હતી.)
 
આનંદ બક્ષી પાસે યશ ચોપ્રાએ પોતાની એક પ્રયોગશીલ કહી શકાય એવી ‘દિલ તો પાગલ હૈ’માં પણ ગીતો લખાવ્યાં. તેમાં વિષય રંગમંચ તથા અસલી જીવનની ભેળસેળનો હતો. તેના સંગીતકાર ઉત્તમસિંગ અને બક્ષીબાબુએ ભેગા મળીને તેમાં કોરસ તથા `અનોખે બોલ'નો એક અનોખો વિક્રમ સર્જ્યો! લગભગ  દરેક ગાયનમાં “અરેરે...” “ઓહોહો...” કે પછી “લા લા લા લા...” અને “તુરુરુતતુ ...” જેવા સામૂહિક સ્વરો સમાવાય એવા શબ્દ અને સંગીતની રચના કરી. ઉપરાંત એક ગીતમાં ‘ઢોલના’ તો “ભોલી સી સુરત આંખોં મેં મસ્તી...”માં ‘આયે હાયે’ જેવા શબ્દો મૂક્યા. વળી વર્ષા ગીત “ઘોડે જૈસી ચાલ હાથી જૈસી દૂમ...”માં “ચાક ધુમ ધુમ...”ના અનોખે બોલનો પ્રાસ બેસાડ્યો. એ આખું આલ્બમ સાંભળો અને વિષય તેમજ સંગીતકારની સ્ટાઇલને અનુરૂપ શબ્દો લખવાની આનંદ બક્ષીની આવડત પર ઓવારી જવાય.

યશ ચોપ્રાએ તે પછીની ‘વીરઝારા’ બનાવી, ત્યારે તો બક્ષીજી પણ મોટા ગામતરે ઉપડી ગયા હતા. ફરી એક વાર જાવેદ અખ્તરને ફિલ્મનાં તમામ ગીત આપ્યાં. હવે જાવેદ મંજાઇ ચૂક્યા હતા. તેમની કસાયેલી કલમમાંથી “દો પલ રૂકા ખ્વાબોં કા કાફિલા ઔર ફિર ચલ દિયે તુમ કહાં હમ કહાં...” અને “તેરે લિયે હમ હૈં જિયે, હોંટોં કો સિયે....” જેવાં જબરદસ્ત ગીતો મળ્યાં. યશ ચોપ્રાની ફિલ્મોના સંગીત વિષે દરેક એંગલથી ચર્ચા કરવાનો આનંદ જ કંઇક જુદો જ હોય છે. એવા સર્જક સિનેમાપ્રેમીઓથી કદી દૂર જઇ શકે ખરા? તેથી તેમની કવિતા પારખુ દ્રષ્ટિમાંથી ચળાઇને આવેલી રચનાઓ સાંભળતી વખતે તેમના ચાહકોને યશજી એમ જ કહેતા હશે કે, “જાનમ, દેખ લો મિટ ગઇ દુરિયાં, મૈં યહાં હૂં યહાં હૂં...!”
માણો એ ગીત અહીં યશજીને પ્રિય એવાં ફુલો અને પ્રણયનાં ચિત્રોના સાનિધ્યમાં....



(મિત્રો જાણે છે એમ, ‘વીરઝારા’ આવ્યા પછી ભારતમાંના મારા સૅલફોનમાં  આ જ ગીત “મૈં યહાં હું...યહાં હું...યહાં....કૉલર ટ્યુન તરીકે વાગતું  હોય છે. Enjoy the whole song and feel the presence of Yashji.)