Saturday, July 29, 2017

દિવ્યા ભારતી... (7)



દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (7)





દિવ્યાને ઘેર દિવાળીએ મળવા આવેલા સાજીદે વાતવાતમાં ભારતી સાહેબને કહી દીધું કે પોતે અને દિવ્યાએ ઑલરેડી લગ્ન કરી લીધાં છે! એ વખતે પિતા ગુસ્સે ન થયા, એમાં મીડિયાએ મદદ કરી એમ કહી શકાય. કેમ કે બન્નેનાં લગ્નની વાતોથી તે વખતે ગોસિપનું બજાર ગરમ હતું જ. સાજીદ અને દિવ્યા બેઉએ ખુલાસો કર્યો કે દિવ્યાએ જ ઉતાવળ કરાવી હતી; જે વાત મમ્મી પણ જાણતાં હોઇ વાત વણસી નહીં. દિવ્યાના અવસાન પછી સાજીદે ‘ફિલ્મફેર’ને જણાવ્યા મુજબ, એ સાચા અર્થમાં ઘડીયાં લગ્ન હતાં. દિવ્યાએ પરણવાનો રીતસરનો હુકમ કર્યો હોય એવું હતું.સાજીદે એક કલાકમાં કાજીની વ્યવસ્થા કરી દેવી પડી હતી. દુલ્હને ઇસ્લામ અંગીકાર કર્યો અને દિવ્યાને નવું નામ અપાયું હતું ‘સના’. શાદી કરવા દીકરીએ ધર્મપરિવર્તન કર્યું હતું એ સમાચાર પિતા ઓ.પી.ભારતીએ કેવી રીતે લીધા, તેની કોઇ વિગત મળતી નથી. પછી ક્યાંક એવા ખુલાસા પણ થયા છે કે મુસ્લિમ થવાની વાત સાચી નહોતી. ગમે તેમ પણ, તેની હાથ પરની દસેક ફિલ્મોને અસર ન થાય તે માટે તાત્કાલિક લગ્નની જાહેરાત નહીં કરવા અંગે સૌ સહમત થયા. જો કે દિવ્યા માટે એ કદાચ શક્ય નહોતું.

લગ્ન અંગેનો દિવ્યાનો ઉમંગ એવો હતો કે ‘મુવી’ના જીતેન્દ્ર કોઠારીના રિપોર્ટ અનુસાર, એ મેગેઝીનના તંત્રી (દીનેશ રાહેજા?)એ તે ન્યૂઝ અંગે પૂછવાની શરૂઆત પણ કરી હતી. એ પ્રાથમિક વાતચીતમાં જ દિવ્યાએ સનસનાટીભરી હેડલાઇન્સ બને એવી શરૂઆત કરી હતી... “યસ, આઇ એમ મેરીડ...આઇ એમ મેરીડ... આઇ એમ મેરીડ...!” એમ ત્રણ વખત જાહેરાત કર્યા પછી કહ્યું, “અને તેને લીધે મારી કરિયરને શું કામ અસર પડવી જોઇએ? શું મીનાકુમારી શરૂઆતથી પરણેલાં નહોતાં? વળી, મારી કરિયર ખાડે જાય તો પણ મને ક્યાં પડી છે? હું આરામથી ઘેર રહીને બાળકો પેદા કરીશ. આઇ લવ બેબીઝ...” એ પ્રારંભિક સંવાદ પછી દિવ્યાએ તેની અને તંત્રીની કોમન ફ્રેન્ડ પૂજા બેદીને ત્યાં પાર્ટીમાં મળવાનું વચન આપ્યું હતું. આ ખુલાસો દિવ્યાના અવસાન પછી તરતના મહિને ૧૯૯૩ના મે મહિનાના (‘મુવી’ના) અંકમાં કર્યા પછી જીતેન્દ્ર કોઠારીએ લખ્યું હતું કે નક્કી થયેલી મુલાકાતના દિવસે દિવ્યા બીમાર થવાથી પૂજાને ત્યાં પહોંચી નહીં અને રીતસરનો ઇન્ટરવ્યૂ પૂરો નહોતો થઈ શક્યો. 

આમ, ભલે ઘરમાં નક્કી થયું હોય કે હમણાં લગ્ન જાહેર નથી કરવાનું; પણ હીરોઇન મંગલસૂત્ર પહેરીને ફરતી હોઇ ઇન્ડસ્ટ્રીમાં સૌ કોઇ એ હકીકતથી વાકેફ હતા. તેની વ્યવસ્થિત જાહેરાત કરવાની ભારતી સાહેબની યોજના અમલમાં આવે તે પહેલાં જ દિવ્યાનું અવસાન થઈ ગયું. જો કે પોતે ઘેર રહીને બાળકો ઉછેરશે અને ગૃહિણી બની જશે એમ કહેનાર એ અભિનેત્રીએ અન્ય મેગેઝીન ‘સ્ટારડસ્ટ’માં પોતાના હસ્તાક્ષરથી સાઇન કરેલા એક આર્ટિકલમાં કબુલ્યું હતું કે પોતાને રસોડાનું કોઇ કામ આવડતું નથી. તે એટલે સુધી કે ચા બનાવતાં પણ સાજીદે શીખવ્યું હતું! તે વખતે એ કોઇને અજુગતું નહોતું લાગ્યું. કેમે કે જે અભિનેત્રીની એક જ વર્ષમાં ૧૦ ફિલ્મો રિલીઝ થઈ હોય  તેની વ્યસ્તતા સમજાય એવી હતી. એટલી બિઝિ એક્ટ્રેસ સિગરેટ અને દિવસના અંતે રિલેક્સ થવા શરાબ પીતી હોય એ પણ સ્વાભાવિક લાગતું હતું. ૧૯૯૨ના વર્ષની એ સૌથી સફળ હીરોઇન પાસે સ્વાભાવિક રીતે જ દસેક પિક્ચર હતાં. એવામાં યોજાયેલા ‘ફિલ્મફેર’ એવોર્ડ ફંક્શનમાં દિવ્યા હાજર ના રહી તેની પણ લોકોએ ચિંતા કરી હતી!

‘ફિલ્મફેર’ની ટ્રોફી કોઇપણ કલાકાર માટે પોતાની કરિયરને ઊંચે લઈ જવામાં કેવો મહત્વનો ફાળો આપે એ જાણતા સૌને આશ્ચર્ય થયું હતું. ૩૧મી માર્ચે યોજાયેલા એ સમારંભમાં શાહરૂખને ‘બેસ્ટ ડેબ્યુ’નો પ્રથમ એવોર્ડ ‘દીવાના’ માટે મળ્યો હતો. પછી તો એ ટ્રોફીની લાઇન લગાવી દેનાર કિંગખાનની તે રાતની બે-ત્રણ વાક્યોની તેમની સૌથી ટૂંકી સ્પીચ તરીકે જાણીતી છે. શાહરૂખે તે પ્રસંગે રેખા પાસેથી સ્વીકારેલી એ ટ્રોફી આકાશ તરફ ઊંચી કરીને પોતાનાં અમ્મીજાનને અર્પણ કરતાં કહ્યું હતું, “ધીસ વન ઇઝ ફોર યુ, મોમ!’’ એવોર્ડ ફંક્શન માટે તે દિવસોની બેસ્ટ હોસ્ટ ગણાતી અભિનેત્રી સીમી દ્વારા સંચાલિત એ જ સમારોહમાં, જ્યારે નિર્માતા બોની કપૂરે ‘લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યર’ની જાહેરાત કરી અને દિવ્યાનું નામ જાહેર કર્યું. પણ તે વખતે સ્ટેજ પર દિવ્યાને બદલે પિતા ઓમપ્રકાશ ભારતીએ આવીને ટ્રોફી સ્વીકારી હતી. શું કારણ હશે?

દિવ્યાને જાણતા ઘણાને લાગ્યું કે આટલા અગત્યના કાર્યક્રમ માટે એ જ્યાં હોય ત્યાંથી આવી જ જાય. જરૂર તેની અંગત જિંદગીમાં કશુંક બની રહ્યું હશે એમ અંદાજ મૂકાતા હતા. એવી શક્યતા વિચારતા સૌને વાતો કરવાનું ખુલ્લું મેદાન મળી જાય એવી જીવલેણ દુર્ઘટના ‘ફિલ્મફેર એવોર્ડ’ના એ સમારંભના માત્ર પાંચ જ દિવસ પછી પાંચમી એપ્રિલ ૧૯૯૩ના રોજ બની. તે દિવસે દિવ્યાનું, સૌ જાણે છે એમ, પાંચમા માળેથી પડી જવાથી મૃત્યુ થયું! તેની ૨૦મી પૂણ્યતિથિએ ૨૦૧૨ની પાંચ એપ્રિલે ‘બોલીવુડ હંગામા’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં  તેના પિતાજીએ તે કમનસીબ દિવસની વાત કરી છે. ભારતીજીના કહેવા પ્રમાણે તે દિવસે પોતે દિવ્યા સાથે જ હતા. બીજા દિવસે મદ્રાસ અને પછી ત્યાંથી સીધા મોરેશ્યસ જવાનું હોઇ તેની તૈયારી કરવાની હતી. પણ તે બાન્દ્રામાં પોતાનાં માબાપ માટે નવું ઘર ખરીદવા માગતી હતી. એટલે સાંજે ભાઇ કુણાલની જીપમાં તે પિતાને સાથે લઈને નિર્માતા શોમુ મુકરજી (કાજોલના પપ્પા)નું ઘર જોવા ગઈ હતી. તેમાં કિંમતની વાટાઘાટ કરવાની થાય એવી હતી.

ઘરની કિંમત ૮૦થી ૯૦ લાખની આસપાસની કહેવાઇ હતી. પપ્પા તેના પૈસાનો હિસાબ રાખતા હોઇ પૂછ્યું કે આટલા રૂપિયા આપણી પાસે ક્યાં છે? દિવ્યાએ કહ્યું કે ‘વ્યવસ્થા થઈ જશે. મેં ફિલ્મો સ્વીકારી છે.’ ત્યાંથી તેમના જૂના ઘેર ગયા. પછી જે ફ્લેટમાં એ સાજીદ સાથે રહેતી હતી, ત્યાં ‘તુલસી એપાર્ટમેન્ટ’માં એને મૂકવા કુણાલ ગયો. ભારતીજીના કહેવા મુજબ, કુણાલ ત્યાંથી નીકળ્યો અને પંદર મિનિટ પછી ખબર આવી કે દિવ્યા પડી ગઈ છે અને તે મૃત્યુ પામી હતી! એ દુર્ઘટના ઘટી તે વખતે દિવ્યા સાથે તે ફ્લેટમાં ડ્રેસ ડિઝાઇનર નીતા લુલ્લા, તેમના મનોચિકિત્સક પતિ ડો. શ્યામ લુલ્લા અને દિવ્યાની કામવાલી બાઇ અમૃતા હાજર હતાં. દિવ્યા કેવી રીતે પડી ગઈ તે આજ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે તપાસ બાદ તે ‘અકસ્માત’ હતો એમ જણાવીને કેસ ફાઇલ કરી દીધો હોઇ, આપણે પણ એમ જ ગણીશું. હા, તે બન્યા પછીના દિવસોમાં અખબારો-મેગેઝીનોમાં આપઘાત, ખૂન કે અકસ્માત એવી જાત જાતની થિયરીઓ અને શક્યતાઓ જરૂર આવી હતી અને તેમ થવાનાં કારણો પણ હતાં.

આપઘાતની શક્યતા ગણનારાઓ એક અહેવાલને આગળ ધરતા હતા. એ રિપોર્ટ એક મેગેઝીને છેલ્લાં ૨૦ વરસમાં પોતે કવર કરેલી ફિલ્મ કલાકારોની લવ સ્ટોરીઝનું સંપાદન ૧૯૯૪માં બહાર પાડ્યું હતું, તેમાં પણ હતો. એ સ્પેશ્યલ બસ્સો પ્લસ પાનાંનો અંક ઇન્ગ્રિડ અલબકર્ક સરખાં સિધ્ધહસ્ત એડિટરે સંપાદિત કર્યો હતો અને તેની એક જ મહિનામાં બીજી એડિશન પ્રસિધ્ધ કરાઇ હતી. તેમાં સ્વાભાવિક રીતે જ ધરમ–હેમાથી માંડીને રેખા-અમિતાભ તેમજ દિલીપ કુમારની અસ્મા જોડેની પ્રેમકહાણીઓની સાથે સાથે દિવ્યાની સ્ટોરી પણ હતી, જે પત્રકાર મીનુએ લખી હતી. તે સંપાદનમાં દિવ્યાના ચેપ્ટરનું શિર્ષક હતું... ‘લેટ્સ પ્લે ધી ગેમ ઓફ ડેથ’! તેમાં ઉલ્લેખ છે કે એ દુર્ઘટના પહેલાં દિવ્યા અને સાજીદ વચ્ચે ચડભડ થઇ હતી. એ રાત્રે સાજીદ એક ડિસ્ટ્રીબ્યુટરને મળવા જતા હોવાનું કહીને નીકળ્યા અને દિવ્યાએ કહ્યું, “દસ મિનિટમાં પાછો આવજે. નહિંતર મને નહીં જુએ.” (You come back in 10 minutes or you won’t see me)

તે પછી એ હાથમાં ગ્લાસ લઈને પોતાની ફેવરિટ જગ્યા એવી બારીએ બેઠી. પછી ખરેખર શું થયું તે કોઇ જાણતું (કે કહેતું?) નથી. તે એકથી બીજી બાજુની ફરવા જતાં બેલેન્સ ગુમાવ્યું અને અજાણતાં ખસી પડી. લોહીલુહાણ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલી દિવ્યાને ઉંચકીને કારમાં મૂકવામાં મદદ કરનારા તુલસી એપાર્ટમેન્ટના એક રહેવાસી એવા અનિલ માનિનીનો પણ ઇન્ટરવ્યૂ તે દિવસોમાં આવ્યો હતો. અનિલ માનિનીએ પત્રકાર સલીમ શેખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એ પોતે અને તેમની સાથે હાજર હતા એ ડાયરેક્ટર મિત્ર બી. મેનન તથા અન્ય એક અનિલ સુદને વોચમેને ‘મેડમ’ પડી ગયાંની ખબર આપી. એટલે એ સૌ નીચે દોડી આવ્યા. ત્યારે દિવ્યાનો શ્વાસ હજી ચાલતો હતો. તરત જ ત્રણ ગાડીઓ દવાખાને પહોંચવા નીકળી. ઘાયલ બેહોશ દિવ્યાને ડો. શ્યામ લુલ્લાની કારની પાછલી સીટમાં સુવડાવવામાં આવી. ડોક્ટર લુલ્લાએ સાથે આવતા અનિલ સુદને સૂચના આપી કે દિવ્યાને હલાવતા રહેજો. બીજી ગાડી બી.મેનનની હતી તેમાં દિવ્યાની કામવાલી બાઇ અમૃતા અને નીતા લુલ્લા હતાં. જ્યારે ત્રીજી કારમાં અનિલભાઇ પોતે. 

સૌ કૂપર હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં દિવ્યા છેલ્લા શ્વાસ લઈ ચૂકી હતી. છતાં દવાખાનાના હાજર ડોક્ટરોએ તેને પેટના સહારે ઉંધી સુવાડીને પંપિંગ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કોઇ રિસ્પોન્સ નહોતો. છેવટે ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર ત્રિપાઠીએ પોતાના હોસ્પિટલની એ મહિલા પેશન્ટને ‘મૃત’ જાહેર કરી. અનિલ માનિનીના કથન અનુસાર, સાજીદભાઇ તરત જ ત્યાં આવી પહોંચ્યા. પરંતુ, અન્ય એક રિપોર્ટ કહે છે કે સાજીદ રાતના દોઢેક વાગે પહોંચ્યા હતા. એ અહેવાલ મુજબ, શરૂઆતમાં તેમને ખબર ન પડી કે દિવ્યાનું મૃત્યુ થઈ ગયું હતું. પણ જેવું સમજાયું કે તેમણે પોતાની પ્રિયતમાને સદાને માટે ગુમાવી દીધી છે, એ પડી ગયા અને તેમના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું. ત્યાં હાજર લોકોને ચિંતા થઈ કે બેઉ પ્રેમી પંખીડાંએ સજોડે આપઘાત કર્યો કે શું? દીકરીના મૃત્યુના કલાકો વીતી રહ્યા હતા છતાં હજુ મમ્મી મીતા ભારતીની કોઇ ભાળ મળતી નહોતી. (ક્રમશઃ)   



ખાંખાખોળા!

Sunday, July 23, 2017

દિવ્યા ભારતી (૬)





દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (6)

દિવ્યા અને સલમાનની ઇંગ્લેન્ડમાં ધરપકડ થયાના વહેતા થયેલા સમાચારની પુષ્ટિ ખુદ સાજીદ  નડિયાદવાલાએ નિલોફર કુરેશીને આપેલા એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં કરી હતી. સાજીદે કહ્યું હતું કે “હું માનું છું કે સલમાનની ધરપકડ જાહેરમાં ગન શૉટ ફાયર કરવા બદલ કરાઇ હતી. દિવ્યા પાછળની કારમાં હતી. રસ્તામાં સલમાને કારમાંથી ઉતરીને બસ એમ જ હવામાં ફાયરિંગ કર્યું અને આગળ રવાના થયા. પરંતુ, જ્યારે એ લોકો પાછા વળતા હતા ત્યારે પોલીસે કાર રોકી. તે વખતે સલમાનની બેનની સાથે દિવ્યા પણ એ જ ગાડીમાં બેઠી હતી. એટલે ધરપકડ બધાની થઈ હતી.... હું માનું છું કે મોરાની બંધુઓએ પોતાની વગ વાપરીને મામલો ક્લિયર કરાવ્યો હતો...” નિલોફર સાથેની આ એ જ મુલાકાત હતી જેમાં સાજીદે ચોખવટથી કહ્યું હતું કે (બલ્કે પત્રકારે તો શબ્દ પ્રયોગ કર્યો હતો, સાજીદે ‘ગર્જના કરી’ કે!) ‘...જ્યાં સુધી દિવ્યા ફિલ્મોમાં કામ કરવાનું છોડી નહીં દે, ત્યાં સુધી અમારા બન્ને વચ્ચે કશું ફોર્મલ શક્ય જ નથી... જો લગ્ન પછી એ એક્ટિંગ કરવા પાછી ફરશે તો, તેણે મારું ઘર છોડવું પડશે...’ 

સાજીદભાઇનો એ ઇન્ટરવ્યૂ ઘણી રીતે અગત્યનો હતો. એ દિવસોમાં એક મેગેઝીને (મોટાભાગે ‘મુવી’એ) સાજીદ અને દિવ્યાનાં લગ્નની સ્ટોરી દસ્તાવેજ સાથે પબ્લિશ કરી હતી. હંમેશની જેમ વિવાદ ઉભો કરે એવાં, એ હિન્દુ-મુસ્લિમ આંતરધર્મીય લગ્ન હતાં. એ બન્ને મુખ્ય પાત્રો વચ્ચે ક્યારે પ્રેમ પાંગર્યો એ કોઇને સમજાતું નહોતું. કેમ કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દિવ્યાને આવ્યે હજી માંડ એકાદ વરસ થયું હતું. પહેલા વર્ષે દસ પિક્ચરો રિલીઝ થયાં હોય અને એટલી જ બીજી ફિલ્મોમાં એ કાર્યરત હોય તો કોઇપણ હીરોઇન લગ્ન માટે કેવી રીતે તૈયાર થઈ હોય? એવા સવાલો ત્યારે પૂછાતા હતા. યાદ રહે, ૧૯૯૦ના પ્રારંભિક ગાળાનો એ સમય રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદના પ્રશ્ને કોમી તણાવથી ભરપૂર હતો. તેને લીધે મીડિયામાં સવાલો આવવા લાગ્યા હતા કે ‘શું દિવ્યાને કોઇ દબાણ હેઠળ શાદી કરવાની ફરજ પડી હતી?’ પરંતુ, હકીકત જુદી હતી.

કેમ કે દિવ્યાનાં લગ્ન અંગે તેનાં મમ્મીએ વર્ષો પછી ‘બોલીવુડ હંગામા’ના એક ટીવી ઇન્ટરવ્યૂમાં એક એવો ખુલાસો કર્યો હતો, જેનાથી કોઇના દબાણની થિયરી ટકી શકે એવી નથી રહેતી. એ મુલાકાતમાં શ્રીમતી મીતા ભારતી એમ કહેતાં જોઇ શકાય છે કે સાજીદને પહેલીવાર જોઇને જ દિવ્યાએ પોતાના જીવનસાથીની પસંદગી કરી લીધી હતી. એ બન્નેની દોસ્તી ગંભીર રીતે આગળ વધી રહ્યાની જાણ મમ્મીને હતી. મીતા ભારતીએ તે ઇન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે તો, દિવ્યા ૧૮ વરસની થઇ પછી તેણે કહી દીધું હતું કે હવે પોતે પુખ્ત થઈ છે અને તે સાજીદ સાથે લગ્ન કરવાની છે. પણ પિતાજીને કહે કોણ? પપ્પાને કહેવાની મા-દીકરી કોઇની હિંમત નહોતી. તેનું એક કારણ દિવ્યાની સખી ગુડ્ડી મારૂતીએ ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ સાથેની એક મુલાકાતમાં આપેલી એક બહુ ઓછી જાણીતી માહિતીમાં પણ હોઇ શકે છે.

ગુડ્ડી મારૂતીના કહેવા પ્રમાણે, ભારતી સાહેબની અગાઉના લગ્નથી થયેલી પુત્રીએ પણ એક મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યાં હતાં અને તેને લીધે પિતાએ તે દીકરી સાથેના સંબંધો કાયમ માટે તોડી નાખ્યા હતા! એટલે જ્યારે ૧૦મી મેના દિવસે દિવ્યાએ પોતાની માતાને એમ કહ્યું કે આજે એ લગ્ન કરવા જઈ રહી છે અને મમ્મી તેમાં સાક્ષી તરીકે સહી કરવા સાથે આવે; ત્યારે મીતા ભારતીએ સાફ ઇનકાર કરી દીધો. છેવટે વિટનેસ તરીકે દિવ્યા તરફથી તેની હેર ડ્રેસર સંધ્યા અને સાજીદ તરફથી ગોવિન્દા જેવા ગણત્રીના મિત્રો જ હાજર હતા. લગ્ન પછી તે દિવસે સાજીદ સાથે રહ્યા પછીના દિવસે, જાણે કશું ન બન્યું હોય એમ, એ પાછી પોતાને ઘેર આવી ગઈ હતી. ધીમે ધીમે વાત બહાર આવવા માંડી અથવા તો આવવા દેવાઇ. કેમ કે આવા કિસ્સાઓમાં, જેમને વાંધો હોય એવા સૌનો પ્રતિભાવ જાણવાની એ પણ એક યુક્તિ હોય છે. દિવ્યાનાં લગ્ન અંગે તો તેના પોતાના પિતાજીની ખફગી ઉપરાંત સાજીદના ઘરમાં પણ નારાજગી થવાની શક્યતા હતી. 


સાજીદને ત્યાં એક્ટ્રેસ વહુ આવે તેનો વાંધો હતો. તેમાં છૂટછાટ એક જ હતી. લગ્ન પછી એ અભિનેત્રીએ ફિલ્મો નહીં કરવાની. એ કોમ્પ્રોમાઇઝનું કારણ સાજીદે પેલા ‘ગર્જના’ કરેલા ગણાતા ઇન્ટરવ્યૂમાં આપેલું જ હતું. “કોઇ પણ પુરુષને પોતાની પત્ની બીજા પુરુષ સાથે પોસ્ટરમાં દેખાય એ પસંદ ન પડે...” ઘણીવાર પ્રેમલગ્નમાં આ મુશ્કેલી થતી જ હોય છે ને? છોકરીનો જે બિન્દાસ એટિટ્યૂડ એક બોયફ્રેન્ડ તરીકે ગમતો હોય અને કદાચ આકર્ષણનું પ્રાથમિક કારણ પણ હોય, એ જ પછી વાંધાનું કારણ બને! દિવ્યા તો લવ સીન્સમાં પણ એટલી જ તન્મયતાથી મગ્ન થતી અભિનેત્રી હતી. તમે એને ‘દીવાના’માં રીશી કપૂર સાથેના એક ગીત “તેરી ઇસી અદા પે મુઝ કો તો પ્યાર આયા...”માં વરસાદમાં પ્રેમાલાપ કરતી જુઓ તો પણ અદાકારીમાં તેનું સ્વાર્પણ સમજાય. તેને ‘બલવાન’માં સુનિલ શેટ્ટી સાથે  “જલતા હૈ બદન યે મેરા, તુ બન કે પ્યાર કી શબનમ, નસ નસ કી આગ બુઝા દે...” જેવા શબ્દોને પણ એટલી જ નિષ્ઠાથી ન્યાય આપે. હકીકતમાં તો દિવ્યાની કરિયર હિન્દી સિનેમામાં જેટલો સમય ચાલી એ બે વરસનો સમય કર્ણપ્રિય સંગીતની વાપસીનો હતો. એટલે તેને ત્યારે પ્રચલિત એવી વેસ્ટર્ન ટ્યુન્સ અને નદીમ-શ્રવણ અને આનંદ-મિલિન્દની મધુરી ધૂનો બન્નેનો સરસ લાભ મળ્યો હતો!

દિવ્યાની શરૂઆત જ “સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...’’ (વિશ્વાત્મા) જેવા ધમાકેદાર ગાયનથી થઈ હતી. તે પિક્ચર ના ચાલ્યું; પણ ગીત કેવું જામ્યું હતું? આજે પણ એ દિવ્યાની ઓળખ જેવું ગણાય છે. એ જ રીતે તેની ‘દિલ કા ક્યા કસૂર’ પણ બોક્સ ઓફિસ ઉપર ચાલી નહોતી. પરંતુ, તેનાં ગીતો? કુમાર શાનુ, ઉદિત નારાયણ, અનુરાધા પૌડવાલ, કવિતા ક્રિશ્નમૂર્તિ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક વગેરેનો એ ગોલ્ડન પિરિયડ! તેનું ટાઇટલ ગીત “આશિકી મેં હર આશિક હો જાતા હૈ મજબુર, ઇસ મેં દિલ કા ક્યા કસૂર...” આજે પણ સાંભળવું ગમે એવું છે. જો કે એ પિક્ચરનાં ગાયનોમાં પ્રેમીઓને અપાતા પ્રેક્ટિકલ સલાહના આ શબ્દો કેવા નવતર હતા.... “મિલને કી તુમ કોશીશ કરના વાદા કભી ન કરના... વાદા તો ટૂટ જાતા હૈ...”!! પણ દિવ્યાની લોકપ્રિયતા આજે પણ કેવી જબ્બર છે એ જોવું હોય તો ‘ગીત’ ફિલ્મનું એક જ ગીત કાફી છે. 

 
દિવ્યાએ ‘ગીત’ના ટાઇટલ સોંગ, “આપ જો મેરે મીત ન હોતે, હોટોં પે મેરે યે ગીત ન હોતે...”ને એટલી મસ્તીથી પડદા ઉપર અભિવ્યક્ત કર્યું છે કે આજે ‘યુ ટ્યુબ’ પર એ ગાયનને ૨૫ મિલિયન વ્યૂઝ મળેલા છે! તેમાં લતાજીનો અવાજ અને ભપ્પી લહેરીએ મૂકેલા સિતારના રણકાર પર દિવ્યાનો ડાન્સ અને અભિનય એક અલગ જ મઝા કરાવે છે. વિચાર કરો કે એ ફ્લોપ ગયેલા પિક્ચરના પડદા પર દિવ્યાએ ગાયેલા એ ગીતને અત્યાર સુધીમાં અઢી કરોડ લોકોએ જોયું છે અને હજી ગિનતી ચાલુ છે. દિવ્યાની લોકપ્રિયતાના એ દિવસોમાં “તુઝે ના દેખું તો ચૈન મુઝે આતા નહીં...” (રંગ) “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈં...” (દીવાના) “જાને દે જાને દે મુઝે જાને દે... મિલને કા મઝા જરા આને દે...” (શોલા ઔર શબનમ)) જેવાં ઘણાં ગાયનો પોપ્યુલર થતાં, હરીફોએ એમ પણ કહેવા માંડ્યું હતું કે દિવ્યાની સફળતા એ તેની પોતાની નહીં, મ્યુઝિકની સફળતા હતી. જો કે એ આરોપ સહન કરનારી દિવ્યા પ્રથમ કલાકાર થોડી હતી?

દિવ્યાની જેમ અગાઉના દાયકાઓમાં આશા પારેખ જેવી અભિનેત્રીને પણ એ જ કોમેન્ટનો સામનો કરવાનો આવ્યો હતો ને? પરંતુ, એ સૌને એક વાતે તો ક્રેડિટ આપવી જ પડેને કે તેઓ ફિલ્મોની પસંદગી સારા મ્યુઝિક સેટઅપવાળી કરતા હતા. તો કોઇ કહેતું કે દિવ્યા ‘લકી’ હતી કે યોગ્ય સમયે એન્ટ્રિ કરી હતી. તે સમયે ’૯૦ના દાયકાની હીરોઇનોનો ફાલ આવી રહ્યો હતો. ત્યારે એક બિન્દાસ એક્ટ્રેસ તરીકે એ આવી. એવા એ વાતાવરણમાં તેના લગ્નના ‘ન્યૂઝ’ તો દૂરની વાત હતી, માત્ર તેની અફવા પણ કેવી સનસનાટી કરી શકે! મેગેઝીનોએ પોતાનું કામ પૂર્ણ કર્યું અને દિવ્યાના ઘરમાં તથા અંગત જિંદગીમાં ખળભળાટ શરૂ થયો.

એ દિવસોમાં દિવ્યાના પિતાનો એક ઇન્ટરવ્યૂ આવ્યો, જેમાં તેમણે પત્રકાર મારિઆ ડી’કોસ્ટાને કહ્યું કે “બધા દિવ્યાનાં સાજીદ સાથેનાં લગ્નની વાતો કરે છે. પણ જ્યાં સુધી દિવ્યા પોતે મને નહીં કહે ત્યાં સુધી હું માનવાનો નથી હજી એ અમારી સાથે જ રહે છે. સાજીદને હું બરાબર જાણતો નથી. અમે એક જ વાર તેની ફિલ્મના પ્રિમિયરમાં મળ્યા છીએ...”  એ પછી ભારતી સાહેબે જે કહ્યું એ એક રીતે ચિંતાજનક હતું. તેમણે કહ્યું કે “ જો તે (દિવ્યા) ખરેખર સાજીદને પરણવા માગતી હશે તો હું શું કરી શકવાનો હતો? એ પુખ્તવયની છે. હું તો એટલું ઇચ્છું છું કે તેને ભવિષ્યમાં કોઇ પ્રોબ્લેમ ન થાય. હું તેને જીવતી જોવા માંગું છું, મરેલી નહીં...” પિતાના આ શબ્દો પાછળ દિવ્યાની આત્મહત્યાની સંભાવના જવાબદાર હશે? એવા એ તંગ વાતાવરણમાં દીવાળીના દિવસોમાં સાજીદ ભારતી પરિવારને ત્યાં મળવા આવે છે. (ક્રમશઃ)  

 ખાંખાંખોળા!


અમિતાભ બચ્ચનની અત્યારે ૭૦ પ્લસની

 ઉંમરે જે હેર સ્ટાઇલ છે, તેનો આછો 

ખ્યાલ આપે એવો તેમનો

આ જૂનો ગેટ અપ છે, તેમની એક નહીં 

બની  શકેલી ફિલ્મ ‘ખબરદાર’નો! 



Saturday, July 15, 2017

દિવ્યાભારતી (૫)



દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (5)

દિવ્યાએ ‘દિલ આશના હૈ’ના પેમેન્ટ અંગે પત્રકાર ઓમર કુરેશીને કહ્યું હતું કે “હેમાજીને પિક્ચર રિલીઝ કરવામાં આર્થિક તકલીફ પડી રહી હતી. તેથી તેમણે મને કહ્યું કે મારી થોડીક રકમ હું જતી કરું. ફરીથી વિચારું છું તો થાય છે કે એ નાની એમાઉન્ટ નહોતી... દોઢ લાખ રૂપિયાથી પણ વધારે રકમ હતી. હેમાજી પ્રત્યેના આદરભાવને લીધે મેં તે રકમ જવા દીધી હતી....” દિવ્યાને પૂછાયેલો સવાલ એવો હતો કે ‘દિલ આશના હૈ’ના નિર્માણ દરમિયાન તેણે હેમા માલિનીને બહુ હેરાન કર્યાં હતાં? તેના એ ઉત્તરમાં ઓમર કુરેશીને દિવ્યાએ એમ પણ કહ્યું હતું કે તેના સ્ટાફને ચૂકવવાના પાંચ હજાર રૂપિયા જેવી મામૂલી રકમ પણ અપાઇ નહોતી. જો કે તેણે એમ પણ ઉમેર્યું હતું કે હેમાજીને તેમના હાથ નીચેના માણસોનો વર્તાવ કદાચ ખબર નહીં હોય. પણ, મારો સ્ટાફ હેરાન થયો હતો. મારે પોતાને હેમાજી તરફથી ડ્રેસ અને વીગ અંગે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો આવી મોટી ફિલ્મ એક વરસમાં પૂરી થઈ અને રિલીઝ થઈ શકી હોય તો એમ ચોક્કસ કહી શકાય કે વિલંબ નહોતો થયો. હેમાજી એમ નહીં કહી શકે કે મેં તેમને હેરાન કર્યાં હતાં.
વિચાર તો કરો, ખુલ્લે-આમ હેમા માલિની જેવાં સિનિયર આર્ટિસ્ટ વિશે પ્રિન્ટમાં બોલતાં ન ખચકાય એ નવોદિત છોકરીની હિંમત કેવી કહેવાય? એ જ રીતે તેણે તો વિદેશ યાત્રા દરમિયાન લંડનમાં થયેલા આમીરખાનના અનુભવ વિશે અને સલમાનના ‘બડા દિલ’ અંગે પણ ખુલાસાભેર વાત કરી હતી. તે દિવસોમાં, વિદેશમાં યોજાનારી ‘સ્ટાર નાઇટ્સ’ની ટીમમાં આમીર, સલમાન, જુહી વગેરે સાથે દિવ્યાની પણ પસંદગી થઈ હતી. એવા એક લંડન ખાતેના શોમાં એક ગાયનના ડાન્સ સ્ટેપ્સમાં દિવ્યાથી ભૂલ થઈ ગઈ. તેણે તરત તે કવર કરી લીધું અને મ્યુઝિકની ધમાધમમાં ઓડિયન્સને કાંઇ ખબર ન પડી. દિવ્યાને લાગ્યું કે હાશ, વાત પતી ગઈ. પરંતુ, એ ભૂલ પરફેક્શનના આગ્રહી આમીરની નજરમાંથી છટકે કે? તેણે કહી દીધું કે હવે પછીના શો માટે પોતે કોરિયોગ્રાફરની ‘ચિકલેટ’ નામની આસિસ્ટન્ટ સાથે રિહર્સલ કરશે, દિવ્યા સાથે નહીં. પણ એ તો શરૂઆત જ હતી.નવો શો થયો, ત્યારે આમીર સાથે એ જ ગાયનમાં જુહી ચાવલાની જોડી સ્ટેજ પર બોલાવાઇ!

એટલું ઓછું હોય એમ, જુદાં જુદાં ગાયનોની શરૂઆતની પંક્તિઓ ઉપર સ્ટાર બેલડી ડાન્સ કરે એવી મેડલી પણ આમીર અને દિવ્યાએ સાથે મળીને પ્રસ્તુત કરવાની હતી, તેમાં પણ પંક્ચર પડ્યું. આમીરે ઇનકાર કરી દીધો. દિવ્યાના કહેવા પ્રમાણે તેને કુલ ત્રણ ગીતોમાં હિસ્સો લેવાનો હતો. એક જુહીને ભાગે જતું રહ્યું અને મેડલી પણ જતી રહે, તો તો ‘સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ...’ એકલું એક જ ગીત તેને માટે રહે. નિરાશ-હતાશ દિવ્યા રડતી હતી. ત્યારે સલમાને મોટું મન રાખીને, પગમાં ઇજા થયેલી હોવા છતાં, છેલ્લી ઘડીએ દિવ્યાને સાથ આપ્યો. બન્નેએ મળીને મેડલીની નૃત્યભેર રજૂઆત કરી અને ઘીના ઠામમાં ઘી પડ્યું. પરંતુ, એ ખટકો કાયમી રહી ગયો. 

આમીર અને દિવ્યા એક સાથે કોઇ ફિલ્મમાં ન આવ્યાં. હા, એક તબક્કે યશ ચોપ્રાની મલ્ટિસ્ટારર ‘પરમ્પરા’ દિવ્યાને જરૂર ઓફર થઈ હતી, જેમાં આમીરની પણ ભૂમિકા હતી. પરંતુ, દિવ્યાએ તે સ્વીકારી નહોતી. શું તેની પાછળ પેલી ખારાશ જવાબદાર રહી હશે? કે પછી સિમ્પલ મૂડ, જેનો ઉલ્લેખ તેની સાથે કામ કરનાર લગભગ દરેક જણે તેની હયાતિમાં પણ કર્યો જ હતો. દિવ્યાના સાથી કલાકારો તેને (‘સદમા’ની શ્રીદેવીના પાત્ર ‘રેશ્મી’ જેવી?) ‘ચાઇલ્ડ વુમન’ ગણતા, જેનામાં ઉંમર પુખ્ત થવા છતાં બાળપણ ગયું નહોતું. એ ગમે ત્યારે અગત્યની વાત ભૂલી શકે, નાની બાબતે રિસાઇ શકે અને એટલી જ ઝડપથી તેને મનાવી પણ શકાય. જેમ કે ‘શોલા ઔર શબનમ’માં તેની સાથે કામ કરનારી સ્થૂળકાય અભિનેત્રી ગુડ્ડી મારુતિ (એક સમયના કોમેડિયન મારુતિની દીકરી)નો અનુભવ. એ બન્ને ‘બલવાન’માં સાથે કામ કરતાં હતાં. તે ફિલ્મના સેટ પર દિવ્યા પોતાની બર્થડે પાર્ટીમાં નિમંત્રવાના મહેમાનોની યાદી ગુડ્ડી સાથે મળીને બનાવતી હતી. બધાનાં નામ લખાઇ ગયાં, પણ તે લિસ્ટમાં ગુડ્ડીનો કોઇ ઉલ્લેખ નહોતો થયો.

 એટલે કોઇપણ સ્વમાની વ્યક્તિની માફક ગુડ્ડી એ પાર્ટીમાં ના ગઈ. બર્થડે પછીના કોઇ એક દિવસે બન્ને સાજીદ નડિયાદવાલાના પિક્ચર ‘વક્ત હમારા હૈ’ના સેટ પર ભેગાં થયાં, ત્યારે ગુડ્ડીનું કારણ જાણીને તે નાની છોકરીની જેમ બાઝીને રડી પડી અને લાગણીથી જે કહ્યું તેમાં એક નિર્દોષ બાળકી જ દેખાય. દિવ્યાએ કહ્યું કે ‘જો આપણે બેઉ સાથે લિસ્ટ બનાવતાં હોઇએ, તો તારું નામ અલગથી લખવાની મારે શી જરૂર હોય? તારે આવવાનું જ હોય ને?’ પોતાની એ ગલતી સુધારતી હોય એમ, ગુડ્ડીની બર્થડે વખતે એ પાર્ટીમાં પહોંચી ગઈ અને ગ્રીન નંગ જડેલી એક વીંટી ભેટ આપીને કહ્યું, “આ પહેરજે, જલદી લગ્ન થઈ જશે.” તો સામાપક્ષે પોતાને ગમતું કોઇ તેને ન બોલાવે તો પણ એ નારાજ થઈ જાય!

એક વાર ‘શોલા ઔર શબનમ’ના સેટ પર તે આવી, ત્યારે ફિલ્મના નિર્માતા (અત્યારના તો સેન્સર ચીફ એવા) પેહલાજ નિહલાનીનાં પત્ની કોઇની સાથે વાત કરવામાં વ્યસ્ત હતાં. એટલે તેના તરફ ધ્યાન ના ગયું. તો રિસાઇ ગઈ અને પછી એ ‘કાન્તુ મમ્મા’એ મનાવી તો તરત માની પણ ગઈ. (એ કેવી પર્સનાલિટી કહેવાય? પોતે ના બોલાવે તો તમારે નારાજ નહીં થવાનું અને કોઇ તેને અવગણે તો ખોટું લગાડવાનું!) તે બાળસહજ કુતૂહલથી પણ ભરપૂર હતી. જ્યારે ‘દીવાના’ રિલીઝ થવાનું હતું ત્યારે તેનાં મોટાં મોટાં હોર્ડિંગ્સ મુંબઈમાં ઠેર ઠેર ચઢ્યાં હતાં. ‘દીવાના’ના સર્જનમાં નિર્માત્રી શબનમ કપૂરના પતિ લલિત કપૂર ‘સ્વીટી’ના મિત્રો પણ સામેલ હતા. તેને એ વિશાળકાય બોર્ડ્સ અને કરાયેલી રોશની એ બધું જોવાની એટલી તો ઉત્સુકતા હતી કે ‘બલવાન’ ફિલ્મનું પોતાનું ડબીંગ તે રાત્રે પતે, તે પહેલાં ‘સ્વીટી’ને એ જ્યાં હોય ત્યાંથી સ્ટુડિયો પર હાજર થઈ જવા રીતસર આદેશ કર્યો. 

‘સ્વીટી અંકલ’ સમયસર આવી પહોંચ્યા અને ડબીંગ પૂરું થયા પછી તેમની સાથે ‘બોમ્બે બાય મીડનાઇટ’ જેવી મધ્યરાત્રીની યાત્રા કરી. તે નાઇટ આઉટમાં પોતાનાં બોર્ડ રીશીકપૂર જેવા તે સમયના હૉટ સ્ટાર સાથે જોઇ એક નાની બાળકીની માફક રાજી રાજી થતી ઘેર ગઈ. તેના એવા સ્વભાવને લીધે પૈસાની બાબતમાં પણ તે બેદરકાર કહી શકાય એવી હતી એમ તેના સુધાકર બોકાડે જેવા નિર્માતાનો અનુભવ સાંભળીએ તો અંદાજ મૂકી શકાય. સુધાકર બોકાડે એટલે સલમાન, સંજયદત્ત અને માધુરી દીક્ષિતની ‘સાજન’ અને નાના પાટેકરની અદભૂત ફિલ્મ ‘પ્રહાર’ના નિર્માતા. તેમણે તે દિવસોમાં દિવ્યાને લઈને એક ફિલ્મ ‘કન્યાદાન’ શરૂ કરી હતી. તે માટે પ્રથમ તબક્કે ૨૫ હજાર રૂપિયા આપ્યા પછી, જ્યારે પણ બીજા પૈસા આપવાનું કહ્યું ત્યારે, બોકાડે કહે કે, દિવ્યાનો એક જ જવાબ હતો, “તમારા પૈસા ક્યાં જતા રહેવાના છે, અંકલ?” 

એટલે પ્રોડ્યુસર્સને નિરાંત રહેતી કે સ્ટાર્સના સેક્રેટરીઓની ફેમસ-રૂટિન ધમકી ‘ઇન્સ્ટોલમેન્ટ કા પૈસા ભેજો, ફિર મેમ સાબ શૂટિંગ કે લિયે નિકલેગી...’ દિવ્યાના કિસ્સામાં નહીં આવે. તેનું એક કારણ એ પણ હતું કે દિવ્યાનું કામ સંભાળનાર કોઇ બાકાયદા સેક્રેટરી નહોતા. મોટાભાગનાં ડિલિંગ તેનાં મમ્મી કરતાં અને તે પણ કીટી પાર્ટીમાં પત્તાં રમવાનાં શોખીન મહિલા હતાં. જ્યારે દિવ્યાના પિતાજી ઓ.પી. ભારતી, સૌ જાણે છે એમ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં મેનેજર હોઇ ઘર પૈસે ટકે સુખી હતું. પિતાજીએ તેમના પ્રથમ લગ્નના છૂટછેડા પછી મીતાજી સાથે શાદી કર્યાની વાતનો અને પોતાનાં સાવકાં ભાઇબહેન વેકેશનમાં સાથે રહેવા આવતાં હોવાનું ખુદ દિવ્યાએ પત્રકાર નીલોફર કુરેશી સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.  જો કે પપ્પા ઓમપ્રકાશ વિશે કદાચ બહુ ઓછી જાણીતી વાત એ પણ છે કે કોઇ સમયે ખુદ ભારતીજીની એક્ટર થવાની ઇચ્છા હતી. તેમણે એવા કોઇ કારણસર પોતાનાં માતા-પિતા, પત્ની બે બાળકો (એક દીકરો અને એક દીકરી) તમામને છોડ્યાં હતાં કે કેમ એ સ્પષ્ટ થતું નથી. પણ, ભારતી સાહેબે ‘શો ટાઇમ’ મેગેઝીનની પત્રકાર મારિયા ડી’કોસ્ટાને પોતે આટલી ફિલ્મોમાં નાની નાની ભૂમિકાઓ કરી હોવાનું ફેબ્રુઆરી ૧૯૯૩ના અંકમાં જણાવ્યું હતું... ‘હાથ કી સફાઇ’, ‘લાવારિસ’, ‘ઇમાનદાર’, ‘ખતરનાક ઇરાદા’ અને ‘ઘૂંઘરુ’! 


તેથી સિનેમા અને તેની દુનિયાથી ભારતી પરિવાર અજાણ હતો એવું નહોતું. (‘તો શું પિતાની અધૂરી મહેચ્છાઓ પુત્રી મારફત પૂરી કરાતી હતી?’) કુટુંબના સૌને ખબર હતી કે કોઇને ગમે કે ના ગમે, હીરો-હીરોઇન વચ્ચેના રોમાન્સની સાચી ખોટી ગપશપ મેગેઝીનોમાં ફેલાવાની જ. એટલે દિવ્યા સાથે ‘દુશ્મન ઝમાના’માં કામ કરતા અરમાન કોહલી જેવા હીરો સાથેના સંબંધો ચર્ચાતા હતા, જેને પિક્ચરની પબ્લિસિટી માટે અનિવાર્ય સ્ટ્રેટેજીનો ભાગ ગણીને સૌએ હસી કાઢી હતી. તો બીજી બાજુ ‘આંદોલન’ના નિર્માતા સાજીદ નડિયાદવાલાના અમિતા સાથેના પ્રણયસંબંધના ત્રીજા ખૂણા તરીકે દિવ્યા ખલનાયિકા ચિતરાતી હતી. સાજીદનું નામ તે દિવસોમાં અમિતા નાંગિયા નામની ટીવી અભિનેત્રી સાથે ગંભીર રીતે લેવાતું હતું. અમિતા અને સાજીદ ત્રણ વર્ષથી સ્ટેડી હતાં. એવામાં દિવ્યાની એન્ટ્રિ સાજીદના જીવનમાં થતાં અમિતા સાથેના સંબંધોમાં તણાવ આવ્યાની ચર્ચાઓ મેગેઝીનો કરતાં જ હતાં, ત્યાં એક વિદેશી ધડાકો થયો. ફોરિનથી એક દિવસ ચોંકાવનારા પણ કન્ફર્મ સમાચાર આવ્યા કે દિવ્યા ભારતી અને સલમાનખાનની લંડનમાં ધરપકડ થઇ હતી! (ક્રમશ:)






 ખાંખાંખોળા!

આજી એક અનોખા નવા વિભાગન શરઆત કરીએ છીએ.
આપણે ત્યાં ફિલ્મોની જાહેરાતો લખવાને પણ એક કળા તરીકે વિકસાવાઇ હત. 

યાદ છે ને, ‘પાંચમું પચરંગી સપ્તાહ’ અને ‘દસમું દમદાર અઠવાડિયું’ જેવી જાહેરાતો? 

એક સમયે માત્રને માત્ર અખબારો જ પ્રચારનું મુખ્ય સાધન હતાં. એટલે વધુને વધુ પ્રેક્કોને આકર્ષવા એડ લખનારાઓની જવાબદારી સૌી વધુ રહેતી.  

આજે આપણા નવયુવાન કવિ ભાવેભટ્ટે વોટ્સએપ મારફત મોકલેલએક જાહેરાતઆરંભ કરીએ. 

મિત્ર ભાવેજ એક કવિતાના શબ્દોનો સહારો લઈને કહીએ તો,


“કૈં’ક કિસ્સાઓ તણાતા જાય છે,
કોણે ખોલી ડાયરી વરસાદમાં”!

 તમારી ડાયરીમાં સચવાયું છે, આવું કશું રસપ્રદ?