Sunday, September 7, 2014

ફિલમની ચિલમ..... સપ્ટેમ્બર ૦૭, ૨૦૧૪



માધુરી, તબુ કે અમૃતાસિંગ..... કોણ કહેશે? 

‘મેરે કરણ જોહર આયેંગે’!


યે દિન ભી આ ગયે, ક્યા? માધુરી દીક્ષિતને ‘માતા’ની ભૂમિકા ઓફર થઈ અને તે પણ કરણ જોહર દ્વારા! માધુરી તેનો સ્વીકાર કરશે કે પછી અમૃતા સિંગ અને કિરણ ખેર કે ઇવન તબુ જેવી અન્ય અભિનેત્રી તે માટે સંમત થશે એ અલગ વાત છે. (એ પૈકીનું કોણ કહેશે?.... ‘મેરે કરણ જોહર આયેંગે’!) પરંતુ, કરણ જોહર જેવા દિગ્દર્શક નાણાં કોથળી ખુલ્લી મૂકીને ‘રામ લખન’ સરખા સુપર હીટ પિક્ચરની રિમેક માટે માધુરીને જો મનાવી શકશે તો એ સૌથી મોટા ન્યુઝ હશે. કેમકે માધુરી ભલે પચાસ વરસની નજીકની (૪૭ વરસની) થઈ ગઈ હોય અને અસલી જીવનમાં એ બે દીકરાઓની માતા પણ હોય; છતાં હજી એ રણબીર કપૂર સાથે ‘યે જવાની હૈ દીવાની’ના “ઘાઘરા...” ડાન્સમાં યુવાન હીરોઇનોને શરમાવે એવી સ્ફુર્તિથી નાચી શકે છે. તેનાથી પણ વિશેષ તો એ કે હજુ પણ પ્રેક્ષકોના મનમાં તો એ કમનીય કાયા લચકાવતી આકર્ષક માધુરી જ છે. તેનું એ સ્વરૂપ કાયમ માટે અકબંધ રાખવું છે કે પછી લીલા ચીટનીસ, અચલા સચદેવ અને નિરૂપા રોયના ચોક્ઠામાં પ્રવેશ કરવો છે એ અઘરો નિર્ણય તેણે હવે કરવાનો છે.

નિરૂપા રોયને ‘મા’ તરીકેની જે શ્રેષ્ઠ ભૂમિકામાં ‘દીવાર’ને લીધે એક પ્રકારે અમરત્વ મળ્યું (અને ઢગલો ફિલ્મો પણ!), એ રોલ યશ ચોપ્રાએ સૌથી પહેલો વૈજયંતિમાલાને ઓફર કર્યો હતો. વૈજયંતિ માલા એટલે ‘સંગમ’ની સેક્સી અભિનેત્રી અને ડાન્સમાં માધુરીની માફક જ ખુબ લોકપ્રિય. તે દિવસોમાં ફિલ્મની જાહેરાતમાં વૈજયંતિમાલાનું નામ ‘પાયલની પટરાણી વૈજયંતિમાલા’ લખાતું. તેમના લગભગ દરેક પિક્ચરમાં એકાદ ડાન્સ તો અવશ્ય હોય જ. તેમના નૃત્યની ઝલક મેળવવી હોય તો ક્યારેક ‘જ્વેલથીફ’નું ‘હોઠોં મેં ઐસી બાત મૈં છુપાકે ચલી આઈ...” યુ ટ્યુબ પર જોવાથી પણ ખ્યાલ આવી શકશે. જે દિવસોમાં વૈજયંતિમાલાએ યશ ચોપ્રાને ‘દીવાર’ની ભૂમિકાની ના પાડી દીધી, ત્યારે એ મોટા સમાચાર હતા. કારણ કે એકવાર ઓડિયન્સના હ્રદયમાં પ્રેમિકા તરીકે સ્થાપિત થયા પછી, અને તે પણ વૈજયંતિમાલાની કક્ષાની લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, વાળમાં સફેદી લગાવીને કે પછી પોતાનાથી પાંચ-પંદર વરસ નાના હીરોને ‘પુત્ર’ કહેવાનું જોખમ માફક શું કામ ઉઠાવવું, જે ૧૯૮૨માં રાખીએ ઉઠાવ્યું હતું?



રાખીએ જ્યારે ‘શક્તિ’માં અમિતાભ બચ્ચનની માતાનો રોલ સ્વીકાર્યો, ત્યારે કેવો હાહાકાર હતો? કારણ કે બચ્ચન તો રાખી કરતાં ચાર વરસ મોટા છે! રાખીએ તે અગાઉ કરેલી ભૂમિકાઓમાં અમિતાભ સાથે જ ‘કભી કભી’ જેવી કવિતામય પ્રેમકથા હતી. એવા ગ્લેમરસ પાત્રમાં “સુહાગરાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મૈં...” ગાનાર પોતાની ઉંમર કરતાં ૪ વરસ મોટા અભિનેતાને “બેટા વિજય” કહેવા તૈયાર કરવા ‘શોલે’ના નિર્દેશકને કેવી ખણખણતી દલીલો કરવી પડી હશે? તે દિવસોમાં રમેશ સિપ્પીએ પોતાની ભરચક નાણાં કોથળીના મોંઢાનો આખો પરિઘ ખોલી નાખ્યો અને “આ તો એક અભિનેત્રી માટે ચેલેન્જ કહેવાય...” વગેરે વગેરે જેવાં સુવાક્યો સાથેની સમજાવટથી અમિતાભનાં ‘મા’ બનવા સંમત કર્યાં હતાં. તે પછી તો રાખી “મેરે કરણ અર્જુન આયેંગે....” ડાયલોગથી તેમના જમાનાની હરિફ હીરોઇનોની દ્રષ્ટિએ મજાકનું પાત્ર પણ બન્યાં હતાં. એટલે માધુરીએ પણ રણવીર સિંગ અને અર્જુન કપુર કે પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન સરખા જુવાનિયાની માતા બનીને “મેરે દો અનમોલ રતન એક હૈ રામ તો એક લખન...” ગાવું છે કે કેમ એ નક્કી કરવાનું છે. 

 ‘રામ લખન’ એ અનિલ કપૂરની કરિયર માટે નિર્ણાયક ફિલ્મ સાબિત થઈ હતી એ કોણ નથી જાણતું? પરંતુ, એ હકીકત છે કે એ આવ્યા ત્યારે તેમના ચહેરાના સામ્યને અન્ય એક અભિનેતા રાજકિરણ સાથે સરખાવાતી હતી. તેમની પ્રારંભિક ફિલ્મ ‘વો સાત દિન’ જુઓ તો અનિલ પાસે સંવેદનશીલ અને ‘અહિંસક’ અભિનય લેવાથી શરૂઆત કરાઇ હતી. પરંતુ, રાજ કિરણ ગોરા-ચિટ્ટા અને સરસ એક્ટર. (‘કાગઝ કી નાવ’ કોઇ વાર જો જો અથવા ‘અર્થ’ ફિલ્મની જગજીતસિંગની અમર ગઝલ “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસ કો છુપા રહે હો....” ગાતા જોવા.) તેથી જ્યારે સુભાષ ઘઈએ ‘રામ લખન’માં અનિલનો લુક ‘ચિકના હીરો’થી બદલીને ‘રફ એન્ડ ટફ’ કર્યો ત્યારે બેઉ એક્ટર વચ્ચેનો તફાવત દેખાવો શરૂ થયો. ટપોરી બોલી અને નાની નાની વાતે મારામારી પર ઉતરી આવતા તેજાબી યુવાનની એ ઇમેજ પર અનિલ કપૂરે પછી તો એ ‘ઝક્કાસ’ કરિયર બનાવી જે આજ સુધી ઝળહળે જ છે. (જ્યારે રાજ કિરણ કારકિર્દી હતાશાની ગર્તામાં ક્યાંય ગુમ થઈ ગયા છે.) 

એ અનિલ કપૂરને સૌ પ્રથમ તક આપનારા દિગ્દર્શક ‘બાપુ’નું ગયા અઠવાડિયે અવસાન થયું, ત્યારે કેટલાં છાપાંઓએ કે ચેનલોએ યોગ્ય નોંધ લીધી હશે? (આપણે આજે સૌ સ્ટાર્સને બાજુ પર રાખીને બાપુને શ્રધ્ધાંજલિ આપીશું. વર્તમાન સ્ટાર્સની કે નવી ફિલ્મોની વાતો તો આવતા અઠવાડિયે પણ ક્યાં નથી થવાની?)  બાપુ સાથે અનિલ કપૂરના સંબંધોની શરૂઆત તેમના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘હમ પાંચ’થી થઈ હતી. આ ‘હમ પાંચ’ વિદ્યા બાલનની ટીવી સિરીયલ નહીં; પણ બોની કપૂરની મહાભારત આધારિત ફિલ્મ હતી અને તેમાં અનિલ બાપુ સાથે આસિસ્ટન્ટ હતો. એટલે તે ફિલ્મના કલાકારો સંજીવકુમાર, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર, ગુલશન ગ્રોવર અને અમરીશ પુરી વગેરે અનિલની દોડાદોડી અને ઉત્સાહથી ખુબ પ્રભાવિત હતા. એ સૌનાં અનિલ વિશેનાં વખાણ તે દિવસોનાં ફિલ્મ મેગેઝીનોમાં ખુબ આવતાં. 


 પરિણામ એ કે બાપુએ તેમની એક તેલુગુ ફિલ્મ ‘વંશવૃક્ષમ’માં અનિલને પ્રથમ વાર હીરો તરીકે લીધો. એ પછી અનિલને બતૌર હીરો તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘વોહ સાત દિન’માં ‘પ્રેમપ્રતાપ પટિયાલેવાલે’ના પાત્રમાં હાર્મોનિયમ સાથે એક સીધા સાદા ભોળા યુવાન તરીકે પણ બાપુએ જ પ્રસ્તુત કર્યા હતા. પરંતુ, ‘બાપુ’ને એટલે કે ‘સત્તીરાજુ લક્ષ્મી નારાયણ’ને માત્ર અનિલ કપૂરની અભિનય યાત્રાના જનક તરીકે ઓળખીએ તો એ મહાન હસ્તિને અન્યાય થાય. કેમ કે તેઓ તો આંધ્રના એક ખ્યાતિપ્રાપ્ત પેઇન્ટર પણ હતા. અખબારમાં કાર્ટૂનો દોરવાથી માંડીને પેઇન્ટીંગની પોતાની આગવી સ્ટાઇલ માટે પણ એ જાણીતા હતા. જેમણે બે વાર નેશનલ એવોર્ડ મેળવ્યા હોય, ‘ફિલ્મફેર (સાઉથ)’નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય, રાષ્ટ્રનું પદ્મશ્રી જેવું સન્માન મળ્યું હોય એવા આર્ટિસ્ટના આત્માને પ્રભુ શાંતિ અર્પે!


No comments:

Post a Comment