Sunday, April 19, 2015

ફિલમની ચિલમ... એપ્રિલ ૧૯, ૨૦૧૫




રણબીર-કટરિના કે ‘મુગલે આઝમ’નાં ‘સલીમ-અનારકલી’? 

‘વિવેક ઓબેરોયને દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર થયો’ એવા આવેલા સમાચાર વાંચીને લાગે છે કે શેક્સપિયરની જેમ ‘વ્હોટ ઇઝ ધેર ઇન એ નેઇમ’ હોય કે ગુજરાતીમાં ‘નામને શું રડે?’ એમ કહીએ તે બધાનો એક હદ સુધી જ મતલબ હોય છે. કારણ કે શશિકપૂરને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ની જાહેરાત થયાની હજી શાહી સૂકાઇ નથી, ત્યાં વિવેક ઓબેરોયને તેના ‘વૈવિધ્ય સભર અભિનય’ (!) માટે એ જ એવોર્ડ જાહેર કરવા પાછળનો સરકારનો શો આશય હશે? એમ વિચારે ચઢી જવાય. પરંતુ, ભલું થજો ગૂગલેશ્વરનું કે તાત્કાલિક ખુલાસો મળી ગયો. હકીકતમાં તો, એ ગવર્ન્મેન્ટનો પુરસ્કાર નથી અને એ એવોર્ડનું આખું નામ આમ છે, ‘દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પ્રાઇડ એવોર્ડ’! એક જમાનામાં દેવ આનંદ જેવા દેખાતા ‘સેવ આનંદ’ હતા કે કથાના ક્ષેત્રમાં ‘છોટે મોરારી’ પણ હોય છે એમ આ એવોર્ડને ‘ખોટે દાદાસાહેબ’ કહી શકાય કે?!


શું સરકારે પોતાના આટલા અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કારની ગેરસમજણ ઉભી કરે એવા એવોર્ડના નામને રક્ષણ ના આપવું જોઇએ? ગઈ સાલ પણ આ જ પુરસ્કાર જીતેન્દ્રને જાહેર થયો હતો અને એ સર્વોચ્ચ સરકારી બહુમાન જીતેન્દ્રને અપાવું જોઇએ કે નહીં? એવા સવાલો સાથે ફિલ્મી દુનિયામાં અને મીડિયામાં તેનો ચચરાટ થયો હતો. ત્યારે જ એ વાતનો ભંડો ફુટ્યો હતો કે આ તો સ્વાવલંબનથી પાડેલું ભળતું જ નામ છે. તેને ઓરિજિનલ ફાળકે એવોર્ડ સાથે માત્ર એટલો સંબંધ છે કે મૂળ પુરસ્કાર જાહેર થાય તેની આસપાસના  દિવસોમાં તે એનાઉન્સ થાય છે. ગયા વરસે ‘ફાળકે ટ્રોફી’ સાથેના જુહી ચાવલા, ફરહાન અખ્તર અને ઇવન કપિલ શર્માના ફોટા અખબારોમાંઆવ્યા જ હતાને? એ સૌએ પણ પોતાને ‘ફાળકે દાદા’નું નામ જે સન્માન સાથે સંકળાયેલું છે, તેની (‘દાદા’ના ફોટાવાળી!) ટ્રોફી સ્વીકારવામાં ઘણો આનંદ થાય છે એમ કહ્યું હતું! હકીકતમાં તો જે સ્ટારને એ ‘પ્રાઇડ એવોર્ડ’ જાહેર થાય કે બહુમાન તરીકે ટ્રોફી અપાય  તેમની જ નામનો ખુલાસો કરવાની ફરજ નહીં? વિવેક ઓબેરોય જાતે એ જાહેરાત કરે કે આ તદ્દન અલગ પુરસ્કાર છે, તો ઓરિજનલ એવોર્ડની ગરિમા સચવાય.

વિવેકનું નામ એક સમયે ઐશ્વર્યા રાય સાથે લેવાતું હતું અને પછી સલમાનના સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજ્ના કારણે કરેલી પેલી ફેમસ પ્રેસ કોન્ફરન્સથી એ વધારે જાણીતો થયો હતો. એ ત્રિકોણનો ચોથો ખૂણો અભિષેક થયો અને પછી જે થયું તે તાજો ઇતિહાસ છે. એ જ રીતે રણબીર અને દીપિકાની પ્રેમકહાણી ગંભીર થતી હતી; દીપિકાએ પોતાની બોચીએ ‘આર.કે.’નું ટેટુ ચિતરાવી દીધું હતું. એવામાં એક દિવસ કટરિનાની એન્ટ્રી થઈ અને આજે ‘આર.કે’ પરિવારની વહુ થવાની સિરીયસ શક્યતા સુધી પહોંચી ચૂકી છે. સવાલ છે માત્ર સંભવિત સસરા રીશી કપૂરની મંજૂરીનો! કારણ હવે રણબીર અને કટરિનાને પણ રીશી-નીતુની જેમ ગાવાનું થયું લાગેછે.... ‘યે તો હોના હી થા....’! એ બન્નેએ સાથે રહેવા માટે અલગ ફ્લેટ લીધો અને બેઉએ જોડે થઈને તે ઘર સજાવ્યું પણ ખરું. પરંતુ, તાજેતરની ઘટનાઓ જોતાં લાગે છે કે રણબીરના પિતાશ્રીએ તે જોડીને મંજૂરી હજી આપી નથી. 

 
કેમ કે રીશી કપૂરે દીકરો અલગ રહેવા ગયો એ પોતાને ગમ્યું નથી એમ ખુલ્લે આમ ઇન્ટર્વ્યુમાં કહીને પોતાની નારાજગી જાહેર કર્યાને હજી જુમ્મા જુમ્મા આઠ દિન પણ થયા નથી ત્યાં એક બીજી એવી ઘટના બની છે કે ‘મુગલે આઝમ’ની સિચ્યુએશન થતી લાગે. રણબીર અને કટરિનાએ રીશીબાબા (ખરેખર તો ‘રીશીબાપા’)ને બાજુ પર રાખીને સમગ્ર કપૂર ખાનદાનને વિશ્વાસમાં લેવાનું હોય એમ એક ડિનરનું આયોજન કર્યું. તેમાં મમ્મી નીતુસિંગ અને કાકાઓ રણધીર અને રાજીવ કપૂર ઉપરાંત રણબીરની પરણેલી બહેન રિધ્ધિમા (સહાની) પણ ઉપસ્થિત હતી. સૌથી મોટી વાત એ હતી કે પરિવારનાં સૌથી વડીલ એવાં ખુદ દાદીમા ક્રિશ્ના કપૂર પણ પધાર્યાં હતાં. ન આવ્યા તો માત્ર રીશી કપૂર! વળી, આ ઘટના કપૂર પરિવારના પુસ્તૈની ઘરમાં કે રણબીર કટરિનાના ‘લવ નેસ્ટ’ એવા ફ્લેટમાં નહતી બની. તેમજ આ બધી ચટપટી ખબર ઘરના કોઇ નોકરને ફોડીને બહાર નથી લવાઇ. ડિનરનુ આયોજન એક ફાઇવ સ્ટાર હોટલની રેસ્ટોરાંમાં થયું હતું અને મીડિયા મોટા પાયે બહાર હાજર રહીને આવનાર દરેકની ફોટોગ્રાફિક નોંધ લેતું હતું. તેમાં રીશી કપૂર ક્યાંય દેખાયા નહતા.

એટલે સુધી તો હજી ઠીક હતું. પરંતુ, જ્યારે ‘પાલીહિલ બચાઓ’ની ચળવળ માટે ત્યાંના રહેવાસીઓ એકત્ર થયા, ત્યારે મીડિયાને જવાબ આપવા રીશીએ પોતાને વધારે ઉઘાડા પાડ્યા. એ વખતે એક પત્રકારે આ મુદ્દો છેડ્યો, ત્યારે ઝિલ્લેઇલાહી ગુસ્સે થઈ ગયા. મીડિયા હવે તે અકળાટને જ વધારે હાઇલાઇટ કરે છે અને ફેરિયાઓને ફળવાવાની જ્ગ્યાના મુદ્દાને જોઇએ એવું મહત્વ ન મળ્યું. જો કે એ વાત ખરી કે એ વખતે માત્ર પાલીહિલ બચાવવા વિશેના જ પ્રશ્નો પૂછવા જોઇએ. પરંતુ, અગર કોઇએ આડો ફંટાતો સવાલ પૂછી કાઢ્યો હોય તો પણ હસીને ટાળી શકાય. તેને બદલે “વૉટ કાઇન્ડ ઓફ એ સ્ટુપીડ ક્વેશ્ચન ઇઝ ધીસ?” એમ કહીને તાડુકવામાં દેખાતો ગુસ્સો એ પત્રકાર કરતાં વધુ પોતાના પુત્ર પ્રત્યેનો વધારે લાગે, તેમાં મીડિયાનો શું વાંક? 

હવે કલ્પના કરાનારાઓને રીશી કપૂર જાણે કે અકબરની ઑથોરિટીથી કહેતા હોય કે ‘સલીમ.... અનારક્લી તુમ્હારે લાયક નહીં હૈ...’ અને સામે શહજાદા સલીમ અર્થાત રણબીર પણ “મેરા મુતાલ્બા હૈ...” કહીને પોતાનો પોઇન્ટ ઓફ વ્યૂ કહે. (“મૈં ભી ઉસી કપૂર ખાનદાન કા શહજાદા હું, જિસકે તાઝદાર, મજહબ-ઓ-મિલ્લત કી પરવા કિયે બગૈર અપની મર્જી કી મલિકા ચુનતે આયે હૈં ઔર મૈં ભી અપને ઉસી હક કા ઇસ્તેમાલ કરતા હું...”!) કારણ કે રીશી કપૂરે પણ નીતુસિંગ સાથે લગ્ન માટે પોતાના પરિવારને એક સમયે મનાવવું જ પડ્યું હતું. છેવટે હીરોઇન સાથે લગ્ન કરો તો એ સિનેમામાં કામ ન કરે એવી પરંપરાને નીતુ પણ ફોલો કરશે એવી વણલખી કપૂર પરંપરાનો અમલ થયો અને એ શાદી થઈ હતી. જ્યારે અત્યારે સ્થિતિ એવી છે કે હજી થોડા વખત પહેલાં જ પોતે સાઇન કરેલાં ત્રણ પિક્ચરની સાઇનિંગ એમાઉન્ટ પરત કરીને પારિવારિક રીતરસમોનું પાલન કરવાની તેની નિષ્ઠા દેખાડનાર કટરિનાએ હવે નવી સ્ક્રિપ્ટ્સ સાંભળવાની શરૂ કરી છે. 

 
એટલું જ નહીં, સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા જવાનિયા કલાકાર સાથે એકાદ ફિલ્મની મંજૂરી આપ્યાની ગુસપુસ પણ શરૂ થઈ છે. જો કે ફિલ્મો સાઇન કરવાની રીતે નવાજુદ્દીન સિદીકીનો ઘોડો અત્યારે બરાબર વીનમાં દોડી રહ્યો છે. તેણે શાહરૂખની જોડે ‘રઈસ’ સાઇન કર્યા પછી હવે દિગ્દર્શક સુજોય ઘોષના નવા પિક્ચર માટે એ પસંદ થતાં સૈફ અલી ખાન સામે પણ એ આવશે! તેની પાસે સલમાન સાથેની ‘બજરંગી ભાઇજાન’ તો પહેલેથી છે જ. સલમાનની ‘પ્રેમ રતન ધન પાયો’ની હીરોઇન સોનમ કપૂરને ડાયરેક્ટર સૂરજ બડજાત્યાની બરાબરની ડાંટ પડી છે. સોનમને સેક્સી ફોટાથી પબ્લિસિટી તો ઘણી મળી. પરંતુ, ‘રાજશ્રી પ્રોડક્શન’ની સીધી-સાદી લગ્ન માટે મમ્મી-પપ્પા પાસે પ્રસ્તુત કરી શકાય એવી નાયિકાઓની એક ઇમેજ હોય છે તેનો ભૂક્કો બોલી ગયો. ઇન ફેક્ટ, ‘પ્રેરધપા’માં તેની ભૂમિકા પણ શરમાળ ભારતીય યુવતિની છે અને અહીં ‘વોગ’ મેગેઝીનમાં સોનમે વાચકોને કલ્પના કરવાની જ ના રહે એવા ફોટા આપીને ‘રાજશ્રી’નું જોખમ વધાર્યું હોય એવો ધ્રાસ્કો સૂરજ બડજાત્યાને પડ્યો છે. જ્યારે ‘બોમ્બે વેલ્વેટ’ના નિર્માણમાં વિદેશી એડીટર હોઇ તેમણે રવીના ટંડને શૂટ કરેલાં બેઉ ગાયનો અને અનુષ્કા શર્માનાં ત્રણ ગીતો કાપીને ત્રણ કલાકની ફિલ્મને બે કલાકની કરવાની દરખાસ્ત કરી છે, ત્યારે કોનો ધ્રાસ્કો મોટો હશે? રવીનાનો, અનુષ્કાનો કે પછી ગાયનો જોવા ટેવાયેલા પ્રેક્ષકોનો?

 

તિખારો!

અભિનેત્રી દીપશિખાએ હજી ૨૦૧૨માં જ કરેલા બીજા લગ્નના પતિ કૈશવ અરોરા  વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને તેમને ઘરમાં પ્રવેશવા સામે ઓર્ડર મેળવ્યા છે. દીપશિખા અને કૈશવ જે ફિલ્મના નિર્માણ દરમિયાન નજીક આવ્યાં અને લગ્ન કર્યાં હતાં; તે પિક્ચરનું નામ હતું.... ‘યે દુરિયાં’!!


No comments:

Post a Comment