Sunday, April 6, 2014

ફિલમની ચિલમ.... 30 માર્ચ, ૨૦૧૪

નંદા.... ‘યે કહાની હૈ દીયે કી ઔર તુફાન કી!’


વાચકોને ‘એપ્રિલફુલ’ બનાવવા દર સાલ પહેલી એપ્રિલની આસપાસના લેખમાં ચોંકાવનારા અને માની ન શકાય એવા ઉપજાવી કાઢેલા સમાચાર આપવાની પ્રથા છોડીને આજે અભિનેત્રી નંદાને અંજલિ આપતી વખતે હિન્દી પડદાનાં કરુણામૂર્તિ મીનાકુમારીનું નિધન યાદ આવી જાય છે. મીનાજીનું અવસાન ૩૧મી માર્ચે થયું હતું અને તે સાલ પહેલી એપ્રિલની સવારે છાપામાં એ અમંગળ સમાચારને ઘણાએ ‘એપ્રિલફુલ’ના બનાવટી ન્યુઝ ગણ્યા હતા. મીનાજી તો બીમાર હતાં અને માંડ માંડ ‘પાકીઝા’નું શૂટિંગ પૂર્ણ કરી રહ્યાના સમાચાર ત્યારે આવતા જ હતા. પરંતુ, નંદાજીના અવસાનના સમાચાર એ ઓચિંતી ત્રાટકેલી વિજળી સમાન હતા. જો કે આમ પણ મીના કુમારીની હયાતિમાં જ નંદાને ‘છોટી મીનાકુમારી’ કહેનારા લોકો હતા જ ને?

નંદાને ઓમપ્રકાશ સાથેના ‘બડી દીદી’ ફિલ્મના એક કરુણ સીનમાં જુઓ અને મીનાકુમારી જ યાદ આવે. તે દ્રશ્યમાં એક તરફ પોતાના પ્રેમી (જીતેન્દ્ર)ના મત્યુના સમાચાર આવ્યા હોય છે અને બીજી બાજુ પોતાનો ભાઇ દુલ્હન લઈને ઘેર આવતો હોય છે. ત્યારે ઓમપ્રકાશ નંદાને પોતાની અંગત શોકની લાગણી દબાવીને ખુશી ખુશી ભાઇ-ભાભીની જોડીનું સ્વાગત કરવા કહે છે. ખુશાલીની એ બનાવટ કર્યા પછી રડતે રડતે નંદા બે-ત્રણ વાર પૂછે છે, “મૈંને અચ્છા નાટક કિયા ના, ચાચાજી?” ત્યારે  સિનેમાહૉલમાં પ્રત્યેક આંખ ભીની થઈ હોય અને સૌને મીનાકુમારી જ યાદ આવે. શું એ દ્રશ્યમાં નંદાની અંગત જિંદગીનો પડઘો નહતો? કેમ કે નંદાએ વર્ષો પછી (૨૦૦૬માં) એક હિન્દી સામયિકને આપેલા ઇન્ટર્વ્યુમાં પોતે કહ્યું હતું કે પરિવાર માટે પોતાની ખુશીઓ અને લાગણીઓનું બલિદાન દેવું પડ્યું હતું. બાકી નાનાં હતાં ત્યારે તો એ ક્યાં અભિનેત્રી બનવા માગતાં હતા? 

નંદા નાનાં હતાં ત્યારે તેમના એક્ટર-નિર્માતા-દિગ્દર્શક પિતા માસ્ટર વિનાયકે એક દિવસ પોતાની એક નિર્માણાધિન ફિલ્મમાં તેમની પાસે નાના છોકરાનો રોલ કરાવવાનું નક્કી કર્યું. પરંતુ, તે વખતે તો નંદાને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાનાં કેપ્ટન લક્ષ્મી સેહગલ જેવા બનવું હતું. તેમણે પિતાજીને સૂચવ્યું (અલબત્ત માતા મારફત!) કે ‘ભાઇને એ રોલમાં લો ને?’ પણ કશું ચાલ્યું નહીં. એ બાળકીના સુંદર મઝાના કેશને ‘બૉય કટ’ કપાવીને કેમેરા સામે ઉભી કરાઇ અને સખીઓ સાથે સંતાકૂકડી રમવાની માસુમ ઉંમરે ‘બેબી નંદા’ના નામથી અભિનય યાત્રાનો આરંભ કર્યો. પણ, વિધિનો ખેલ જુઓ. એ જ ફિલ્મના નિર્માણ દરમિયાન એક દિવસ અચાનક નંદાના પિતાજીનું અવસાન થઈ ગયું!

રાતોરાત પરિસ્થિતિ બદલાઇ ગઇ. લેણદારોની ઉઘરાણી વધી ગઈ અને દેણદારોની ઉંઘ-રાણી! પરિણામે શિવાજી પાર્કનો બંગલો વેચવો પડ્યો અને ગાડી પણ કાઢી નાખવી પડી. એ મુશ્કેલ દિવસોમાં, કેમેરા સામે ઉભા રહેવાની જે હિંમત અને આવડત પિતાજીએ આપી હતી એ જ કામ લાગી. ‘બેબી નંદા’ને સિનેમાના બાળ કલાકાર તરીકે કામ મળવા લાગ્યું અને તેનાથી વિધવા માતાને કુટુંબ ચલાવવામાં ટેકો થવા લાગ્યો. નંદા કહેતાં કે “મને દાદાએ (એ પિતાજીને ‘દાદા’ કહેતાં) એક પિક્ચર માટે બનાવટી ‘છોકરો’ બનાવી અને હું ખરેખર જ મારા પરિવારનો ‘દીકરો’ બની ગઈ!” તેમની ‘ચાઇલ્ડ આર્ટિસ્ટ’ તરીકેની એ સફર દરમિયાન એક ફિલ્મમાં તેમણે અન્ય એક બાળ કલાકાર લતા મંગેશકરના નાના ભાઇની ભૂમિકા પણ કરી હતી.

લતાજી પણ તે દિવસોમાં પોતાના પિતાજીના અવસાનના પગલે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનય જ કરતાં હતાં. એ પણ તેમના પરિવારનો ‘દીકરો’ સાબિત થતાં હતાં. આમ જુઓ તો તેમણે અને નંદાએ આપણા સમાજની કેટલીય દીકરીઓની માફક કુટુંબના સંજોગોને થાળે પાડવા ‘સમયસર  લગ્ન-જીવન’ જેવા અંગત સુખનું બલિદાન આપ્યું હતું. નંદાએ બાળ કલાકાર તરીકે જે ફિલ્મોમાં કામ કર્યું તેમાંની એક ‘અંગારે’માં તેમણે નરગીસના બચપણની ભૂમિકા કરી હતી. સિનેમામાં અભિનયની સાથે સાથે રેડિયો અને સ્ટેજ પર પણ ‘બેબી નંદા’ એક લોકપ્રિય નામ થયું હતું. તે દિવસોમાં નંદાના પરિવારને સૌથી મોટો ટેકો ‘અંકલ’ નિર્માતા-નિર્દેશક વ્હી. શાંતારામનો હતો. શાંતારામે એક કૌટુંબિક સમારોહમાં ‘બેબી નંદા’(!)ને જોઇ અને ‘બેબી’નાં મમ્મીને કહ્યું કે આને સાડી પહેરાવીને કાલે સ્ટુડિયો લઈ આવો.


બીજા દિવસે નંદા શાંતારામજીની ફિલ્મ ‘તુફાન ઔર દીયા’ માટે પસંદ થયાં અને ‘બેબી નંદા’ હવે અભિનેત્રી નંદા બન્યાં. પરંતુ, ‘બેબી ફેસ’નું શું કરવું? પરિણામ એ કે પ્રસાદ પ્રોડક્શનની ‘છોટી બહન’ના ટાઇટલ રોલમાં એ સિલેક્ટ થયાં અને એ ફિલ્મ સુપર હિટ થઈ. તે પિક્ચરનું એક ગીત “ભૈયા મેરે રાખી કે બંધન કો ન ભુલાના,  ભૈયા મેરે છોટી બહન કો ન ભુલાના....” આજે પણ રક્ષાબંધનના દિવસે અચૂક સાંભળવા મળે છે. એટલી લોકપ્રિય ‘બહેન’ને પછી પ્રેમિકા કોણ બનાવે? એ ક્રેડિટ દેવ આનંદને આપવાની થાય. નંદા ‘કાલાબાઝાર’માં દેવ આનંદની બહેનના રોલમાં હતાં. પણ દેવ સાહેબે આ અભિનેત્રીમાં રૂપ અને અભિનયનું શાલિન મિશ્રણ જોઇ લીધું હતું. તેમણે પોતાના નવકેતન ફિલ્મ્સની  ‘હમદોનોં’માં સાધના સાથે સેકન્ડ હીરોઇનની ભૂમિકા આપી. તેમાં “અલ્લાહ તેરો નામ. ઇશ્વર તેરો નામ...” જેવી પ્રાર્થના પણ નંદાએ ગાઇ. પરંતુ, ફરી એકવાર ‘સેકન્ડ હિરોઇન’નું લેબલ લાગી ગયું.


તેમને ‘ધૂલ કા ફુલ’માં રાજેન્દ્ર કુમાર અને માલાસિન્હા સાથે તો ‘આશિક’માં રાજકપૂર અને પદ્મિની સાથે એમ રાજ, રાજેન્દ્ર અને દેવ ત્રણે ટોપ સ્ટાર્સ સાથે સેકન્ડ લીડમાં કામ કરવા મળ્યું. હીરોઇન તરીકે એ આવતાં  પરંતુ, નવા નવા એક્ટરો સાથે. તેમાંના એક હતા, શશિકપૂર જેમની સાથે એ પહેલી વાર ‘ચાર દીવારી’માં આવ્યાં. નંદાના અવસાન પછી તેમને શ્રધ્ધાંજલિ આપતાં શશિબાબાએ એ સાભાર યાદ કરીને કહ્યું હતું કે ૧૯૬૧માં એ મોટી વાત હતી. 



શશિકપૂર સાથે નંદાએ ‘જબ જબ ફુલ ખિલે’ કરી અને એ અત્યંત સફળ  મ્યુઝિકલે સાચા અર્થમાં તેમને કમર્શિયલ હીરોઇન બનાવ્યાં. તે ફિલ્મનાં “પરદેસીયોં સે ના અખિયાં મિલાના...” અને “ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે...” જેવાં સુપરહિટ ગાયનોની સાથે નંદાને ફાળે આવ્યું “યે સમા, સમા હૈ યે પ્યાર કા...”. આ ગાયને નંદાને એક એવી હીરોઇનની ઇમેજ આપી જે ગ્લેમરસ પણ બની શકતી હતી. તે પછી શશિકપૂર સાથે જોડી જામી અને ઇન્ડસ્ટ્રીમાં તે દિવસોમાં આવતા નવા નવા અભિનેતાઓ સાથે નંદાએ ઉમંગભેર કામ કર્યું. પરંતુ, નંદાને એક ફરિયાદ કાયમ રહી.
 (ક્રમશઃ)
 
નંદાની અંતિમયાત્રા અને તેને પગલે ઉઠતા સવાલ!
 



નંદાની ફરિયાદ શું હતી? તેમણે પોતાના ઝળહળતા સમય દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં આવતા નવા નવા અભિનેતાઓ સાથે કોઇ જાતનાં નખરાં બતાવ્યા વિના કામ કરવાનું સ્વીકાર્યું હતું અને છતાં એ જ નવોદિતો ‘સ્ટાર’ બન્યા પછી પોતાની સાથે કામ કરતાં ખચકાતા હોવાની ફરિયાદ નંદાએ એક ઇન્ટર્વ્યુમાં કરી હતી. એ જ શિકાયત આજે તેમની અંતિમ યાત્રાના સંદર્ભે પણ થઈ શકે એમ છે. તેમની સ્મશાનયાત્રામાં આજના કોઇ ‘ખાન’ કે ‘કુમાર’ ઉપસ્થિત નહતા એ તો હજીય સમજાય એવું છે. પરંતુ, તેમના સમયના સ્ટાર્સને પણ ક્યાં ફુરસદ મળી? વળી, એમાંના મોટાભાગના આજે પણ આરોગ્યની રીતે કડે-ધડે છે. શશિકપૂર જેવા તેમના સાથીદાર તો સ્ટ્રોક આવ્યા પછી ક્યાંય જાય એવા નથી રહ્યા. પરંતુ, જીતેન્દ્ર કે સંજયખાન?  
જીતેન્દ્ર સાથેની ‘ધરતી કહે પુકાર કે’ અને ‘પરિવાર’ કે સંજયખાન સાથેની ‘અભિલાષા’ એ ‘હીરો લોગ’ કેવી રીતે ભૂલી શક્યા હોય? ‘ધરતી કહે પુકાર કે’માં નંદા સાથે ‘‘જે હમ તુમ ચોરી સે, બંધે ઇક ડોરી સે, જઈયો કહાં એ હજુર...”  કે ‘પરિવાર’માં “હમને જો દેખે સપને સચ હો ગયે વો અપને...” ગાતા જીતુભાઇની લોકપ્રિયતામાં તેમની હીરોઇન (નંદા)નો પણ એટલો જ અગત્યનો ફાળો હતો. ‘પરિવાર’માં તો કુટુંબ નિયોજનનો મુદ્દો હતો અને તેથી સરકારના માહિતી ખાતા તરફથી તેના ફ્રી શો ગામે ગામ થતા. તેથી માત્ર શહેરી ઑડિયન્સ જ નહીં પણ ગ્રામજનોની ‘વોટબેંક’ પણ જીતેન્દ્રને કવર કરવાની તક નંદા સાથેના એ ‘પરિવાર’ને લીધે મળી હતી. ત્યારે એવી હીરોઇનના જનાજાને ખભે દેવા નહીં તો કમસે કમ તેના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પણ ના જઈ શકાય?

શું સંજયખાનની કરિયરમાં ‘અભિલાષા’નું મહત્વ ઓછું હતું? આર.ડી. બર્મનના સંગીતમાં “વાદીયાં મેરા દામન રાસ્તે મેરી બાહેં, જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે?” આજે પણ એટલું જ કર્ણપ્રિય લાગતું હોય તો તેના સમયમાં કેટલું જામ્યું હતું, તેની તો શું વાત કરવી? શું અમિતાભ બચ્ચને મનમોહન દેસાઇના સંદર્ભે પણ જવા જેવું નહતું? બચ્ચન સાહેબ ઇન્ટર્નેટ અને ટ્વીટર કે ફેસબુકના વર્ચ્યુઅલ વર્લ્ડમાં જેટલા એક્ટિવ છે, એટલા જ અસલી જિંદગીના સમારોહોમાં પણ પ્રવૃત્ત હોય છે. એક યુવાનને શરમાવે એવી સ્ફુર્તિ આજે પણ તેમનામાં છે. તેમને ‘સ્ટાર’માંથી ‘સુપસ્ટાર’ બનાવવા જમાવવામાં ’૭૦ના દાયકામાં લાઇનસર હીટ ફિલ્મો આપનાર ‘મનજી’એ જે મહિલા સાથે સગાઇ કરી હતી તેના અવસાનનો ખરખરો કરવા ના જઈ શકાય?

અહીં જેમનાં નામ લીધાં એ સૌની હાજરી તેમના સમયની હમસફર આ ‘સ્ટાર’ અભિનેત્રીને શોભે એવી વિદાય થાત. સ્ટાર્સની આવી પાંખી હાજરી ઉપરાંત કઠે એવી વાત એ  પણ હતી કે ફિલ્મ ઉદ્યોગમાં બધા સમારંભો રંગેચંગે યથાવત રહ્યા! શું એક બાળ કલાકાર તરીકે શરૂઆત કરીને અભિનેત્રી અને ચરિત્ર અભિનેત્રી સુધીનાં પાત્રો ભજવવા પોતાની જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો ઇન્ડસ્ટ્રીને આપી દેનાર આ એક્ટ્રેસનો શોક કોઇ રીતે નહીં પાળવાનો? આટલા નિષ્ઠુર વાતાવરણમાં મીઠી વીરડી જેવાં એકમાત્ર વહીદા રહેમાન નીકળ્યાં! વહીદાજીએ પોતાની અધિકૃત જીવનકથાનું પુસ્તક, લંડનનાં પત્રકાર નસરીન મુન્ની કબીર  સાથે કલાકોના વાર્તાલાપ પછી, તૈયાર કરાવ્યું છે. તેનું વિમોચન ૨૬મી માર્ચે હતું અને ૨૫મીએ નંદાજીનું અવસાન થયું. તેમણે આખો કાર્યક્રમ રદ કરાવી દીધો. લંડનથી ખાસ આવેલાં લેખિકા નસરીનને પરત જવું પડ્યું. કેમ કે વહીદાજીએ પોતે નજીકના ભવિષ્યમાં આવો કોઇ સમારંભ નહીં કરી શકે એમ કહ્યું. 


વહીદા-નંદાના ચાહકો જાણે છે એમ, એ બન્ને હીરોઇનોની મિત્રતાના ફિલ્મ ઉદ્યોગમાં દાખલા અપાતા રહ્યા છે. બન્ને એક જ સમયે સિનેમાના માર્કેટની ટોપ સ્ટાર અને છતાં એવી જ દોસ્તાર. આ રિટાયર થયા પછીની ‘કીટી પાર્ટી’ની દોસ્તીની વાત નથી. ઠેઠ દેવ આનંદના ‘કાલા બાઝાર’માં બન્નેએ એક સાથે કામ કરીને બાંધેલાં સખીપણાંને પગલે પચાસ વરસ સુધી ચાલેલા સંબંધની દાસ્તાન છે. તેમના સ્ટાર દિવસોમાં ફિલ્મી સામયિકોમાં નંદા-વહીદાના પિકનિક કરતા કે બેડમિન્ટન રમતા ફોટા આવતા. ઇન્ડસ્ટ્રીમાં બે હીરોઇનો વચ્ચે જ્યારે બહુ મૈત્રી દેખાય ત્યારે તેને ‘વહીદા-નંદા’ની ઉપમા અપાય એવી એ જોડી હતી.

  
વહીદાની સમજાવટ પછી જ નંદાએ વિધુર મનમોહન દેસાઇ સાથે સંબંધ બાંધ્યો અને સગાઇ કરી હતી, એ તો લગભગ દરેક છાપામાં આવ્યું. પરંતુ, ‘મનજી’નું અપમૃત્યુ એક અકસ્માત હતો કે તેમના અંગત જીવનની હતાશાને કારણે કરેલી આત્મહત્યા હતી એવા વિવાદો જે તે સમયે થયા હોવા છતાં, ૧૯૯૪ના એ કમનસીબ બનાવ પછીનાં, છેલ્લાં વીસ વરસ દરમિયાન એ વિષય ઉપર કદી નંદાજીના મુખેથી કોઇ નાની સરખી કોમેન્ટ પણ નહતી આવી; એ શાલિનતાનો ક્યાંય ઉલ્લેખ પણ ના આવ્યો! મનમોહન દેસાઇના મોતની વાત તો છોડો, દાયકાઓ ચાલેલી તેમની સમગ્ર કરિયરમાં આ સાદગીભરી મહિલાના નામે કદી કોઇ પણ પ્રકારનો વિવાદ નહતો આવ્યો. (‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ તેમનાથી જુનિયર અભિનેત્રીઓને મળ્યા પછી પણ તેમને નહતો મળ્યો અને છતાંય કદી કોઇ ગીલા-શિકવાની વાત નહીં!)

નંદા અને વહીદાની સાથે સાથે છેલ્લાં વરસોમાં સાધના, આશાપારેખ, હેલન વગેરે મળીને એક ગૃપ બન્યું હતું. સિનિયર્સની ક્લબમાં બને છે એમ સૌ સાથે મળે અને વિતેલી વસંતને એન્જોય કરે. એ સૌએ હજી ૨૨મી માર્ચે તો સાથે ડીનર લીધું હતું. એ સૌ માટે એ કેવો આંચકો હશે? તેમાંય આશા પારેખે તો મૃત્યુની આગલી રાત્રે ૨૪મીએ એકાદ કલાક સુધી નંદાજી સાથે ફોન પર વાતો કરી હતી. તે વખતે બીમાર હોવાનો કોઇ આછો પણ અણસાર નહતો. થોડાક જ કલાક પછી, બીજે દિવસે સવારે સાત વાગે, બાથરૂમમાં એટેક અને અવસાન! જીવનભર કોઇ કોલાહલ વગર જીવનાર એ અભિનેત્રી, એવી જ શાંતિથી ચિરવિદાય પામ્યાં.... જાણે કહેતાં હોય, “દો પલ કે જીવન સે ઇક ઉમ્ર ચુરાની હૈ...”! 

 
“દો પલ કે જીવન સે ઇક ઉમ્ર ચુરાની હૈ...”!

 



1 comment: