Saturday, June 22, 2013

ફિલમની ચિલમ - ૨૩ જુન, ૨૦૧૩ - મુંબઇ સમાચાર




શું કરણ જોહર વિલન જેવા લાગી શકશે?




હવે અમિતાભ બચ્ચન પણ ટીવી સિરીયલમાં આવશે અને તે પણ અનુરાગ કશ્યપના દિગ્દર્શનમાં! સિનીયર બચ્ચન પહેલીવાર ટેલીવિઝન પર ‘કૌન બનેગા કરોડપતિ’ માટે સંમત થયા, ત્યારે તેમના પરિવારજનો સહિતના સૌને બીક હતી કે મોટો સ્ક્રીન છોડીને ટચુકડા પડદે જવું એ એક રીતે પોતાના સ્ટાન્ડર્ડ કરતાં નીચે ઉતરવા જેવું થશે તો? પણ ત્યારે તેમની આર્થિક કટોકટીમાં જે કામ મળે તે કરી લેવાની મજબુરી છતાં એકવાર સંમતિ આપી તે પછી એ ગેમશોમાં પૂરી નિષ્ઠાથી લાગી ગયા. તેમના બેમિસાલ પરફોરમન્સને કારણે  ‘કેબીસી’એ અપ્રતિમ સફળતા મેળવી. એક રીતે જોઇએ તો, ‘કૌન બનેગા કરોડપતિ’એ બચ્ચનને તો તેમની જિંદગીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી ઉગાર્યા જ; સાથે સાથે ફિલ્મ સ્ટાર્સને નાના પડદાના છોછમાંથી મુક્ત પણ કર્યા.




એટલે અમિતાભ ટીવી સિરીયલમાં આવશે તો પણ પોતાની અલગ છાપ છોડશે એ તો ખરું જ, પણ તેનાથી પ્રેરાઇને ફિલ્મ સ્ટાર્સ પણ સિરીયલ્સમાં એક્ટિંગ કરવા માંડશે તો? એમાંય શાહરૂખ જેવાએ તો ટીવી પર ‘ઉમ્મીદ’, ‘વાગલે કી દુનિયા’, ‘ફૌજી’ અને ‘સર્કસ’ જેવી શ્રેણીઓ કરીને જ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી ને? મઝાની વાત એ છે કે ‘સર્કસ’માં શાહરૂખે કરેલો ‘શેખરન’નો રોલ હકીકતમાં તો એક્ટર પવન મલ્હોત્રા માટે હતો! પરંતુ, પવનને તે જ દિવસોમાં ‘બાગ બહાદુર’ નામની ફિલ્મ મળી હતી. હવે ટીવી સિરીયલનાં શિડ્યુઅલ તો દૂરદર્શને આપેલા સમયમાં પતાવવાનાં જ હોય. તે જ દિવસોમાં ફિલ્મના શુટિંગની તારીખો આવે, ત્યારે બેમાંથી એકની પસંદગી ફરજિયાત કરવાની આવે જ. એ સંજોગોમાં, કોઇપણ એક્ટર સ્વાભાવિક જ ફિલ્મ કરે અને સિરીયલને છોડી દે. પવનનો છોડેલો એ રોલ શાહરૂખે કર્યો. પછી તો પવન પણ ‘સર્કસ’માં હતા. પરંતુ, માલિકના પરદેશથી પાછા આવેલા દીકરા ‘શેખરન’નો રોલ શાહરૂખને ક્યાંથી ક્યાં લઇ ગયો તેની ઇન્ટરેસ્ટીંગ હિસ્ટરીની વાત ફરી ક્યારેક. 
 

પણ અમિતાભ અને અનુરાગ કશ્યપનું મિલન ટીવી સિરીયલ માટે થાય એ મોટી ઘટના કહેવાય. જો કે અનુરાગને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ પછી જે જબરદસ્ત માન્યતા કોમર્શિયલ માર્કેટમાં મળી છે, તેને પગલે તેમની સાથે કામ કરવાની ઓફરને બચ્ચન પણ ઇન્કાર કરી શકતા નથી, તો પછી કરણ જોહર કેવે રીતે ના પાડે? કરણ અને અનુરાગે ફિલ્મ ઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે બનેલા પિક્ચર ‘બોમ્બે ટોકીઝ’માં એક એક વાર્તાનું ડાયરેક્શન કર્યું હતું. પરંતુ, આ તેની વાત નથી. આ અઠવાડિયે આવેલા સમાચાર સાચા હોય તો અનુરાગે પોતાની નવી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’માં કરણ જોહરને એક્ટર તરીકે સાઇન કર્યા છે! એટલું જ નહી, કરણની એ ભૂમિકા નેગેટીવ શેડવાળી હશે.

કરણનો સીધો-સાદો ચહેરો જોતાં એ વિલનની કરડાકી લાવી શકશે? કે એ નિર્દોષ ચહેરે ચાલબાજી કરતા હશે? કે પછી ‘સડક’માં સદાશીવ અમરાપૂરકરના એવોર્ડ વિજેતા ‘મહારાની’ જેવી કોઇ ભૂમિકા હશે?  તેને  માટે વજન ઘટાડવાની સૂચના અપાઇ છે અને તે મુજબ કરણે ૧૨ કિલો ઉતારી પણ દીધું છે. ક્યાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માંનો શાહરૂખનો મિત્ર બનતો ગોળમટોળ સ્થૂળકાય કરણ અને ક્યાં વજન ઉતારવાની આ એક્સરસાઇઝ! કરણ જોહરે તેને માટે રિતિક રોશનના ટ્રેઇનરની સેવાઓ લીધી છે. રિતિક પોતાની ફિટનેસ માટે ખુબ સતર્ક રહે છે. (આજકાલ કયા હીરો એ બાબતમાં આળસ કરી શકે?)

રિતિક રોશન પોતાના ઘરની ફ્રેન્ચાઇઝી એવી  ‘ક્રિશ’ની સિકવલ - ત્રીજા ભાગ - માટે શેપમાં રહેવા નિયમિત તાલીમ લેતો રહે છે. આ ‘ક્રિશ-૩’માં રિતિકના ત્રણ રોલ હશે. આ સિક્વલની ફોર્મ્યુલા સાથે હમણાં હમણાં આવેલી ‘યમલા પગલા દીવાના-ટુ’ માટે વિવેચકોથી માંડીને ઓડિયન્સ સુધીના સૌનો કોઇ ઊંચો રિવ્યુ મળ્યો નથી. છતાં ૫૦ કરોડનો બિઝનેસ થયો હોઇ ત્રીજો ભાગ બનાવવાની શક્યતા ઉર્ફે ધમકી ઉભી જ છે! બિઝનેસની રીતે ‘યે જવાની હૈ દીવાની’નો ઘોડો ૧૭૫ કરોડને અડકી જતાં હવે એ ‘એક થા ટાઇગર’ના ૧૯૯ કરોડને કે નંબર વન ‘થ્રી ઇડીયટ’ના ૨૦૨ કરોડ બેમાંથી કોને ટચ કરે છે અને કોને પાર કુદાવે છે, એ અનુમાનો લાગી રહ્યાં છે. ત્યારે હવે વિદ્યા બાલન અને ઇમરાન હાશ્મીની આવી રહેલી ફિલ્મ ‘ઘનચક્કર’ની પબ્લીસીટીનું પ્રમાણ જોતાં તેના પર ‘યુટીવી’ની સારી એવી આશાઓ હશે. એ માટે વિદ્યા અને ઇમરાન વચ્ચે લીપ ટુ લીપ કીસ હશે કે નહીં? એવી ઉત્કંઠા જગવનારા વર્તારા પણ મિડીયામાં આવવા માંડ્યા છે. પણ જે રીતે ‘ફુકરે’ની પબ્લીસીટી ફરહાન અખ્તરે કરી હતી, છતાં શરૂઆત એટલી પ્રોત્સાહક નહતી. જો કે બીજા-ત્રીજા દિવસે ‘શોલે’ની માફક સ્થિતિ સુધર્યાના રિપોર્ટ પણ છે. 


‘શોલે’ના પહેલા દિવસે ગબ્બરના ‘કિતને આદમી થે?’વાળા ડાયલોગ વખતે “નવો વિલન તો મદારીવેડા કરે છે...” એવી કોમેન્ટ્સ કરતા લોકો થિયેટરમાંથી બહાર નીકળતા હતા. પણ પછી એ જ ડાયલોગ બચ્ચા બચ્ચાની જબાન પર ગોખાયેલા હતા/હજીય છે. હવે એ જ ‘શોલે’ની નવી ‘થ્રી ડી’ એડીશન આવી રહી છે, ત્યારે દોડતા-પડતા ઘોડા, ધસમસતી ટ્રેઇન, ધાણીની માફક ફુટતી ગોળીઓ એ બધું થ્રી ડાયમેન્શનમાં જોવાનો અનુભવ કેવો હશે? સોચો ઠાકુર!



તિખારો!


‘બીગ બોસ’થી વધારે જાણીતી થયેલી અને સલમાન ખાનની આવી રહેલી ફિલ્મ ‘મેન્ટલ’ની હીરોઇન સના ખાનના આગોતરા જામીન કોર્ટે મંજૂર કર્યા એ જોતાં તેના કિસ્સામાં ક્રમ ઉંધો થયો ના કહેવાય? સામાન્ય રીતે કોઇને કોઇ રીતે વિવાદોમાં રહેલી વ્યક્તિઓ ‘બીગ બોસ’ના ઘરમાં રહેવા પસંદ થતી હોય છે. જ્યારે સના બિચારી પહેલી એ કાર્યક્રમમાં રહી અને હવે પોલીસ તપાસ-કોર્ટ-વિવાદ વગેરે શરૂ થયાં!! 









2 comments: