Saturday, June 8, 2013

ફિલમની ચિલમ- ૦૯ જુન, ૨૦૧૩-મુંબઇ સમાચાર

દીપિકાની આ સાલ ડબલ સેન્ચ્યુરી!


વિધિની એ કેવી વિચિત્રતા કહેવાય કે ત્રીજી જુનની રાત્રે જ્યારે કરણ જોહરની નવી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ના બમ્પર ઓપનીંગ બિઝનેસની ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં થતી હતી; ત્યારે જ પચીસ વરસની જવાનીથી ભરપુર એક અભિનેત્રી ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી રહી હતી! જવાનીમાં ગાંડપણ (દીવાનગી) જરૂર હોય છે, પણ એવુંય શું પાગલપન કે પોતાનું નામ ‘જિયા’ હોય અને પૂરતું જિયા વગર આત્મહત્યા કરી લેવાની? જિયાએ  અમિતાભ બચ્ચન સાથે ‘નિશબ્દ’, આમિર ખાન જોડે ‘ગજિની’ અને અક્ષયકુમારની ‘હાઉસફુલ-ટુ’ જેવી ફિલ્મો કરી હોઇ પોતે એક અલગ જ લીગમાં હોવાનું માનવા લલચાય એ સ્વાભાવિક હતું. તેથી તેનાથી ઓછી સ્ટારકાસ્ટની ઓફરને નહીં ગણકારવાની શું પોલીસી રાખી હતી? અને તેથી કરિયરની રીતે ધારી સફળતા નહીં મેળવવાથી પોતે હતાશ હતી? કે પછી તેની અંગત જિંદગીમાં આદિત્ય પંચોલીના દીકરા સૂરજ સાથેના સંબંધોમાં થયેલી સમસ્યાથી નિરાશાએ તેને આપઘાત કરવા મજબુર કરી એ તો પોલીસ તપાસમાં જ્યારે બહાર આવે ત્યારે ખરું.

પરંતુ, જિયા ખાનનું અણધાર્યું મૃત્યુ ફરી એકવાર શો બિઝનેસમાં, નાની ઉંમરે મળતી પ્રસિદ્ધી તથા લોકપ્રિયતાની સાથે, આવતાં પર્સનલ પ્રેશર્સ અને તેનો સામનો કરવાની તાલીમની આવશ્યકતાને કેન્દ્રમાં લાવ્યું છે. એવા કોઇ પ્રોફેશનલ પાસે ટ્રેઇનીંગ ના પોસાય એ સૌને હિન્દી ફિલ્મોનાં ગીતોના દીવાના તરીકે અમે તો ઇન્દીવર જેવા કવિની સિને-કવિતાઓમાંથી શીખ મેળવવા સૂચવી શકીએ. જેમકે આપઘાતને જ નિશાન બનાવીને લખાયેલું તેમનું ‘આખિર ક્યૂં’ માં મહંમદ અઝીઝના કંઠે ગવાયેલું ગીત. તેમાં ઇન્દીવરજીએ કહ્યું છે, “એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે, સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે..”! (લેખના અંતે આખા ગીતના શબ્દો તથા વિડીયો મૂક્યા છે, જે ફુરસદે વાંચવા-જોવા વિનંતિ છે.)
 

એવી જ રીતે ‘સરસ્વતિચંદ્ર’માં લતાજીના કંઠે ગવાયેલું ગીત, “છોડ દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસિબ નહીં આદમી કે લિયે...” અને જો જિયાએ પ્રેમસંબંધને કારણે જીવનનો અંત આણ્યો હોય તો હવે પછીની પંક્તિ એવા કિસ્સાઓમાં કેટલી સરસ રીતે લાગુ પડે છે... “પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિયે...”! એવું જ એમણે ‘સફર’ના ગાયન “તુઝકો ચલના હોગા...”માં લખ્યું છે ને? એક તબક્કે તેમાં આ શબ્દો આવે છે, “પાર હુઆ વો રહા જો સફર મેં, જો ભી રૂકા બહ ગયા વો ભંવર મેં...” શો બિઝનેસની દોડ રસ્તા કે મેદાનમાં કરાતી દોડ નથી. વરસો પહેલાં કદાચ રણધીર કપૂરે કહ્યું હતું કે સિનેમાની કારકિર્દી તો ટ્રેડ મીલ પર ચાલવા જેવી છે. જો સતત ચાલતા ના રહો અને અટકો તો ગબડી પડો!


વળી, આ તો ૨૧મી સદી છે. તેમાં પ્રેમ પ્રકરણની નિરાશાને કારણે આત્મહત્યા કરવાનું ચલણ ક્યાં છે? અત્યારે તો દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના દાખલામાંથી જ શીખવાનું ક્યાં ઉપલબ્ધ નથી? એ બન્નેએ એક કરતાં વધુ વખત જાહેર ઇન્ટર્વ્યુમાં કહેલું છે કે ‘બચના અય હસીનોં’ વખતે એ બેઉ એક બીજાના પ્રેમમાં ગંભીર રીતે હતાં. તે એટલે સુધી કે દીપિકાએ પોતાની ડોક અને ખભા વચ્ચે રણબીરના નામનું ‘આરકે’ એવું ટેટુ પણ ચિતરાવ્યું હતું. (ભગવતીકુમાર શર્માની એક કવિતામાં આવે છે ને એમ, “છાતીના છુંદણામાં ત્રોફાવવાનું નામ...”! તેનો એક સરસ શેર પણ યાદ કરતા ચાલીએ, “સ્પર્શી તને વહે છે એનું અલગ છે નામ, હોતું નથી જ શ્વાસ બધીયે હવાનું નામ...!”)   


દીપિકાએ શરીર પર રણબીરનું નામ ત્રોફાવ્યા પછી પણ જ્યારે તે બીજી છોકરી સાથે હરતો-ફરતો જણાયો, ત્યારે આજની છોકરી એવી દીપિકાએ સંબંધ કાપી નાખ્યો. એટલું જ નહીં, જાહેરમાં એ કહ્યું પણ ખરું કે પોતે કોઇપણ સંજોગોમાં પ્લાસ્ટિક સર્જરી કે લેસરથી એ નામ ત્યાંથી કઢાવશે નહીં. એ પોતાના જીવનનો એક અવિસ્મરણીય હિસ્સો છે. કરણ જોહરે પોતાના ટૉક શો ‘કૉફી વીથ કરણ’ની સિઝન થ્રીમાં મજાકમાં પૂછ્યું હતું કે “આર.કે. નામવાળો જ બીજો કોઇ બૉયફ્રેન્ડ શોધી લે... જેમ કે રાજીવ ખંડેલવાલ!”

એ જ કરણ જોહરે દીપિકા અને રણબીરને જ લઇને ‘યે જવાની હૈ દીવાની’ બનાવી અને એ બેઉએ પ્રોફેશનલને છાજે એ રીતે પિક્ચરમાં જુવાનિયાંની મસ્તી પેટભરીને કરી બતાવી. કરણના પ્રોડક્શન હાઉસ ‘ધર્મા’એ પણ ફિલ્મના પ્રમોશન અને પબ્લીસીટીમાં કોઇ કસર ના રાખી. રણબીર અને દીપિકાને લગભગ દરેક ચેનલ ઉપર કોઇને કોઇ બહાને મોકલ્યા. પછી એ કોઇ ન્યુઝ ચેનલના સિનેમા વિભાગમાં હાજર રહેવાનું  હોય કે પછી રજત શર્માની ‘આપકી અદાલત’ હોય.  ‘આપકી અદાલત’માં તો દીપિકાએ એમ પણ કહ્યું (અને રણબીરે કબુલ પણ કર્યું) કે રણબીરને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાનું ગમતું નથી. (છતાં પિક્ચરને પ્રમોટ કરવા એ બન્ને  ક્લોઝ અપ ટુથપેસ્ટના ઇવેન્ટમાં હાજર રહ્યાં હતાં, એ અલગ વાત છે!)





એ બધી પબ્લીસીટીનું પરિણામ અપેક્ષા મુજબનું જ રહ્યું... ‘યે જવાની હૈ દીવાની’એ જબરદસ્ત ઓપનીંગ લીધું અને પહેલા અઠવાડિયે જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો! વળી, જે રીતે પોઝીટીવ રિસ્પોન્સ ચાલ્યો છે એ જોતાં આવનારા દિવસોમાં કલેક્શન સ્ટેડી રહેવાની પૂરી શક્યતા છે. કેમ કે માધુરીનું આઇટમ સોંગ અને ફિલ્મનાં લગભગ તમામ ગાયનો હિટ હોઇ તેમજ યંગસ્ટર્સને અપીલ કરી શકી હોઇ પિક્ચર ૨૦૧૩નું અત્યાર સુધીનું સૌથી હિટ સાબિત થાય એ શક્યતા નકારી શકાય એમ નથી. મઝાની વાત એ છે કે આ વરસે ૧૦૦ કરોડ ક્રૉસ કરનાર પ્રથમ ફિલ્મ ‘રેસ-ટુ’ની હિરોઇન પણ દીપિકા હતી અને તેથી આ તેની સતત બીજી સેન્ચ્યુરી છે. એટલે અત્યારની નાયિકાઓમાં રાતોરાત દીપિકાની પોઝીશન ટોચે પહોંચી ગઇ છે. પણ જો એ પ્રેમપ્રકરણમાં નિરાશ થવાથી હતાશ થઇ ગઇ હોત અને જિયા જેવું કશુંક અમંગળ પગલું ભરી બેઠી હોત તો? સોચો ઠાકુર!



તિખારો!

“રણબીરકપૂર અને શ્રીસંતની કરિયરમાં ટુવાલનો ફાળો શું?”

“ટુવાલથી એકની કરિયર બની અને બીજાની...!!” 

**********************************************************************************

 

આ અદભૂત કવિતાના કવિ ઇન્દીવર કે પડદા પર તે ગીત અભિનિત કરનાર રાજેશ ખન્ના અને સ્મિતા પાટિલ આજે હયાત નથી. એ રીતે એ ત્રણેય દિવંગતોને  આ શ્રધ્ધાંજલિ પણ છે. મહંમદ રફી જેવો અવાજ ધરાવતા મુન્ના અઝીઝના કંઠે  ઇન્દીવરજીના શબ્દોની તાકાતનો અનુભવ કરો!


એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે

સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે


દુનિયા કી યે બગીયા ઐસી, જિતને કાંટે  ફુલ ભી ઉતને

દામન મેં ખુદ આ જાયેંગે જિનકી તરફ તુ હાથ પસારે


બીતે હુએ કલ કી ખાતિર તુ આનેવાલા કલ મત ખોના

જાને કૌન કહાં સે આકર રાહે તેરી ફિરસે સંવારે 


દુઃખ સે અગર પેહચાન ન હો તો કૈસા સુખ ઔર કૈસી ખુશિયાં

તુફાનોં સે લડકર હી તો લગતે હૈં સાહિલ ઇતને પ્યારે 


એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે

સબસે બડી સૌગાત હૈ જીવન, નાદાં હૈ જો જીવન સે હારે





2 comments:

  1. 'યે જવાની હૈ દિવાની' ફિલ્મનું ગીત "બલમ પિચકારી", શ્રી દિલીપ કુમારની ફિલ્મ 'મેલા' નું ગીત "ગાયે જા તું ગીત મિલન કે" ની ઊઠાંતરી લાગે છે.

    ReplyDelete