Sunday, May 11, 2014

ફિલમની ચિલમ...... ૧૧ મે, ૨૦૧૪




સંજયદત્તની ‘જીવનકથા’નો હીરો રણબીર કપૂર બનશે ખરો? 


શું સલમાનના કોર્ટ કેસને કારણે ‘રાજશ્રી પ્રોડક્શન’ની સૂરજ બરજાત્યા નિર્દેશિત ફિલ્મ તાત્કાલિક શરૂ નહીં થાય? આ શંકા વ્યક્ત થઈ રહ્યાનું કારણ એ છે કે છેલ્લે ગઇ તે મુદત વખતે એક સાક્ષીએ સલમાનની ઓળખ કોર્ટમાં કરી છે. એટલું જ નહીં એક જુબાનીમાં ડ્રાયવર સાઇડથી સલમાનને ઉતરતાં જોયા હોવાની ચશ્મદીદ ગવાહી પણ થતાં કેસ વિશેના તર્ક-વિતર્કમાં સારી-ખોટી તમામ સંભાવનાઓ વિચારાઇ રહી છે. વળી, જે પ્રકારની કલમો લગાડાઇ છે તેમાં દસ વર્ષ સુધીની સજા થઈ શકે એમ છે. તેથી માત્ર ‘રાજશ્રી’ની જ નહીં, સલમાનને લઈને પ્લાન થયેલી સાજીદ નડિઆદવાલાની એક અન્ય ફિલ્મ શરૂ થવા પર પણ અસર પડી શકે, એ શક્યતા ઘણા જુએ છે.

જો કે સલમાનના આ કેસનો ચુકાદો કાંઇ રાતોરાત નથી આવી જવાનો અને દરેક ચુકાદા ઉપર ઠેઠ સુપ્રિમ કોર્ટ સુધીના અપીલના રસ્તાઓ હોય જ છે. વળી, હજી ‘રાજશ્રી’ની એ ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ની હીરોઇન સોનાક્ષી સિન્હા પસંદ થશે કે અનુષ્કા શર્મા એ વિશેના વર્તારા પણ થઈ જ રહ્યા છે. છતાંય જેમાં કરોડોનું રોકાણ કરવાનું હોય એવી ફિલ્મો પર પૈસા લગાવનારા હીરો કે હીરોઇનની સગાઇ થાય તો પણ ‘હવેના શિડ્યુઅલમાં મોડું તો નહીં થાયને?’ એમ શેર બજારના ખેલાડીઓની માફક ચિંતા કરતા થઈ જતા હોય છે. તો આ તો અદાલતી મામલો છે અને એવો જ સંજય દત્તનો કિસ્સો હજી તાજો છે. સંજુબાબાની લાઇફનો એ સૌથી અગત્યનો વળાંક હતો, જ્યારે તે ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી થયા અને અંતે ગુનેગાર પણ સાબિત થયા. એવા સંખ્યાબંધ પ્રસંગો ધરાવતી તેમની જીવનકથા ઉપરથી એક પિક્ચર બનાવવાનું પ્લાનિંગ તેમની પત્ની માન્યતાએ કર્યું છે અને તેનું દિગ્દર્શન ‘મુન્નાભાઇ’ સિરીઝની બે ફિલ્મો કરનાર રાજુ હીરાણીને સોંપાય એવી શક્યતા વધારે છે.

 
રાજુ હીરાણી સંજુબાબાનું એ બાયોપિક ‘સંજયદત્ત પ્રોડક્શન’ હેઠળ બનાવે એવી દરખાસ્ત છે. રાજુ હીરાણી અત્યારે જો કે આમિરખાનને લઈને બનતી ફિલ્મ ‘પીકે’ના સર્જનમાં લાગેલા છે અને આમિરની ફિલ્મોમાં બને છે એમ, રાબેતા મુજબ જ, વાર્તા કે બીજું કંઇ જાહેર ન થઈ જાય તે માટે ઘણી સાવચેતી લેવાઇ રહી છે. છતાં આમિરના બે અલગ અલગ ગેટ-અપ જોનાર કેટલાક યુનિટ મેમ્બર્સ, (‘વાત બહાર જાય નહીં’ એવી ચેતવણી સાથે!) એમ કહી રહ્યા છે કે ‘પીકે’માં આમિર ડબલ રોલમાં હોઇ શકે છે. રાજુ હીરાણીના નિર્દેશનમાં બનનારી સંજય દત્તની જીવનકથામાં રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનું પ્લાનિંગ છે. રણબીરના દાદા રાજકપૂર અને સંજુબાબાનાં મમ્મી નરગીસના જગ જાહેર સંબંધો જોતાં સંજયદત્તના રોલ માટે રણબીર તૈયાર થશે કે કેમ એ મોટો સવાલ છે.

રણબીરને લઈને બનનારા કિશોરકુમારના બાયોપિકને અનુરાગ બાસુએ પડતું મૂકવાનો વારો આવ્યો છે. કિશોરકુમારની જિંદગીમાં જે રસપ્રદ બનાવો અને વળાંકો છે તેમાં ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટના ચાન્સ ખુબ હતા. પરંતુ, પરિવારજનો એવી પટકથાને મંજૂર કરવા નહતા માગતા. એટલું જ નહીં, તે માટે જરૂરી એવાં ગાયનોના કોપી રાઇટ માટે રેકોર્ડ કંપનીએ ‘છપ્પર ફાડ’ પૈસા માગ્યા હતા. પરિણામ? એ પ્રોજેક્ટ રહ્યો બાજુ પર અને રણબીરને લઈને બાસુએ ‘જગ્ગા જાસુસ’ બનાવવા માંડી! ત્યારે રણબીરને  સંજયદત્ત બનાવવા માગતા બાયોપિકમાં માતા નરગીસને કેવું સ્થાન અપાશે અને તેમાં માતૃવંદનાનું એકાદ નવું ગીત હશે કે કેમ? એ આજે ૧૧મી મેના ‘મધર્સ ડે’ નિમિત્તે પૂછવાનું મન થાય છે. કેમ કે હવે ફિલ્મોમાં માતાનો મહિમા ગાવાનું લગભગ અદ્રશ્ય થઈ ગયું છે.

એટલે માતૃપ્રેમના માહત્મ્યના આ આંતરરાષ્ટ્રીય દિવસે ફિલ્મપ્રેમીઓ જેને સૌથી મોટી ‘મા’ કહે છે તે ‘સિને-મા’ના અમૂલ્ય ખજાનામાં પડેલાં માતૃપ્રેમને કમસે કમ યાદ તો કરતા ચાલીએ? અત્યારે ‘માં’, ‘બેટા’, ‘મધર ઇન્ડિયા’ કે ‘મધર’ જેવાં નામવાળી ફિલ્મો તો બંધ જ થઈ ગઈ છે. (સાથે સાથે આજના લેખકોને એ વાત માટે દાદ પણ આપીએ કે હવે દર ત્રીજી ફિલ્મમાં હીરો “માં મૈં યુનિવર્સિટિમેં ફર્સ્ટ આયા હું...” એમ પણ નથી કહેતો!) જો કે આજે પણ માતાનું પાત્ર ‘તારે જમીન પર’ જેવી એકાદ ફિલ્મમાં વધુ સુરેખ ઉપસ્યું હોય ત્યારે પ્રસુન જોશી જેવા કવિ લખે જ છેને?  “તુઝે સબ હૈ પતા, હૈ ન માં?” એ જ રીતે ‘વંદે માતરમ’નું એ. આર. રેહમાનના અવાજમાં થયેલું હિન્દી રૂપાંતર “ઓ માં તુઝે સલામ” દેશદાઝનો  અદભૂત ભાવ સર્જે છે. તો ‘દાદીમા’નું ગીત “અય મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી?” હોય કે ‘છોટાભાઇ’નું “માં મુઝે અપને આંચલ મેં છુપા લે, ગલે સે લગા લે કિ ઔર મેરા કોઇ નહીં...” માતૃભક્તિનાં ગાયનોનો એક આગવો મહિમા હતો.

તમે ‘રાજા ઔર રંક’નું આ ગાયન યાદ કરો “તુ કિતની અચ્છી હૈ, તુ કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ, ઓ માં ઓ માં....” અને તેમાંના આ શબ્દો નાનપણમાં પોતાની માતાને ગુમાવી ચૂકેલા કોઇ અભાગિયા જીવને ગાવા કહો અને આંખ છલકાયા વિના ગાઇ શકે કે? “માં બચ્ચોં કી જાં હોતી હૈ, વો હોતે હૈં કિસ્મત વાલે જિનકી માં હોતી હૈ...”! એવાં માતૃપ્રેમનાં કેટલાંય ગીતો તો છે જ. પરંતુ, મઝા એ છે કે ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ કે પછી ‘ગોળ વિના મોળો કંસાર અને મા વિના સૂનો સંસાર’ જેવી આપણી કહેવતો સહિતનાં માતૃપ્રેમનાં તમામ સુવાક્યોને ‘દીવાર’ના એક જ ડાયલોગમાં સલીમ-જાવેદે સમેટી આપ્યાં હતાં. તેમણે અમિતાભના બંગલા, ગાડી, બેંક બેલેન્સ એ બધાના સામા ત્રાજવામાં શશિકપૂરના મુખેથી આ ચાર જ શબ્દો બોલાવીને તમામ ભૌતિક સુખો સામે માની ઉપસ્થિતિ માત્રને વધુ વજનદાર બનાવી બતાવી હતી.... “મેરે પાસ માં હૈ”! (હેપી મધર્સ ડે!)


તિખારો!

આજકાલ ટ્વીટર પર નીલ નીતિન મુકેશ કરતાં વધુ જેકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફના નામની મજાક થાય છે. એકે ટ્વીટ કર્યું છે કે ટાઇગરની પ્રથમ ફિલ્મ ‘હીરોપન્તી’ની શરૂઆતમાં આવતું ડીસ્ક્લેઇમરમાં આમ લખાશે.... “આ ફિલ્મના સર્જન દરમિયાન, ‘ટાઇગર શ્રોફ’ સહિતના, કોઇ પ્રાણીને હાનિ પહોંચાડાઇ નથી.”!     


No comments:

Post a Comment