Saturday, June 29, 2013

ફિલમની ચિલમ -૩૦ જુન, ૨૦૧૩





આજકાલ બોક્સ ઓફિસ પર ડરના મના હૈ!



શું હવે અમિતાભ બચ્ચનનાં અને બચ્ચન પરિવારના અન્ય સ્ટાર્સનાં દર્શન દુર્લભ થશે? જે રીતે આ અઠવાડિયે અમિતાભ અને અભિષેકના નામે એક બંગલાની ખરીદીના સમાચાર એક અખબારે પ્રસિદ્ધ કર્યા તે પછી આ ચર્ચા શરૂ થઇ છે. તેમણે ૫૦ કરોડ રૂપિયામાં ખરીદેલી આ પ્રોપર્ટી સાથે બચ્ચન કુટુંબનો મુંબઇમાં આ પાંચમો બંગલો થયો! ‘મજકુર મિલકત’ તેમના હાલના બંગલા ‘જલસા’ની પાછળ આવેલી હોઇ, હવે અત્યારે બન્ને વચ્ચેની દિવાલ દૂર કરવાનું કામ ચાલે છે. પછી બચ્ચન પરિવારને ‘જલસા’માં આવવા-જવા માટે બે તરફના રસ્તા ઉપલબ્ધ થશે. તેથી ‘જલસા’ સામે રાહ જોઇને ઉભા રહેનારા ચાહકોને અમિતાભ, જયા, અભિષેક કે ઐશ્વર્યા (અને આરાધ્યા પણ!) એ સૌ પૈકીનું કોઇક તો બંગલે આવતું કે જતું જોવા મળશે જ એવી ખાત્રી હવે નહીં રહે.


આ સમાચારથી કોઇપણ સામાન્ય વ્યક્તિને એક સવાલ જરૂર થાય કે ‘શું ચાર બંગલા હોય તોય પાંચમાની જરૂર હશે?’ કેટલાક જો કે એ અનુમાન કરતા હોય છે કે વાર્તામાં આવતી રાજકુમારીની જેમ રિયલ એસ્ટેટના ભાવ, દિવસે નહીં એટલા રાત્રે અને રાતે નહીં એટલા દહાડે, વધતા હોઇ ઇન્વેસ્ટમેન્ટના હેતુસર જ આ ખરીદી કરાઇ હશે. એ અનુમાન કરનારાઓની વાતને ટેકો મળે એવા માધુરી દિક્ષીતના એક બીજા ન્યૂઝ પણ રિયલ એસ્ટેટના બજારમાં વહેતા થયા જ છે ને? તે અનુસાર તો યારી રોડ પરની જે બિલ્ડીંગમાં પ્રિયંકા ચોપ્રા અને શાહીદ કપુર (અલબત્ત જુદા જુદા ફ્લેટમાં!) રહે છે તેમાં અગિયારમા માળે માધુરીએ પણ બે ફ્લેટ ખરીદ્યા છે.


માધુરીના આ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ડિયાની એની કમાણી કેટલી હશે અને (અમેરિકન ડોલર સામે રોજ નવું તળિયું જોતા રૂપિયાના દિવસોમાં) ડોક્ટર નેનેના ડોલર કેટલા થાળે પડતા હશે એ વિચાર ઓવરસીઝ બોક્સઓફિસના આંકડા જોતાં આવી શકે ખરો. કેમ કે પરદેશના બજારની કમાણી ડોલરમાં થાય અને એ રકમને અગાઉ ૫૦થી ગુણવામાં આવતી અને એ આજે ૬૦ની નજીક ગુણવાની થાય. એટલે ‘યે જવાની હૈ દીવાની’ને હજી દસ મિલીયન અર્થાત એક કરોડ ડોલરનું કલેક્શન નથી થયું છતાં તેનો ઓવરસીઝ વકરો સાડા અઠ્ઠાવન કરોડ ગણત્રીમાં લેવાય છે. અગાઉના એક્સચેન્જ રેઇટમાં એ પચાસ કરોડ રૂપિયા પણ ના થાત!

તેથી ‘યે જવાની હૈ દીવાની’નો પહેલા ૨૪ દિવસનો વકરો દેશમાં ૧૮૩ કરોડ અને વિદેશોમાં ૫૮ મળીને ૨૪૧ કરોડ સુધી પહોંચી ગયો છે અને તેના પછી આવેલાં ચિત્રો તેને હલાવી શક્યાં નથી. એટલે ટ્રેડની ભાષામાં આ પિક્ચર ‘રૉક સ્ટેડી’ કહેવાય. સામે પક્ષે તેના પછી આવેલી ફિલ્મો ‘ફુકરે’ અને ‘રાંઝણા’ને ધીમી શરૂઆત પછી લોકોના સારા રિવ્યુનો લાભ મળતાં ધીમે ધીમે કલેક્શન સુધર્યાં છે અને એવી આશા રાખી શકાય કે બેઉ પિક્ચર પોતાની લાયકાત જેટલા રૂપિયા જરૂર ખેંચી લાવી શકશે. એમ લાગે છે કે હવે પહેલા દિવસે પહેલા શોમાં પિક્ચર જોવાનો ટ્રેન્ડ ઓછો થઇ રહ્યો છે. કદાચ બહુ પબ્લીસીટી કરાઇ હોય અને મોટી સ્ટારકાસ્ટ હોય તો પહેલા એક-બે શોમાં સારું એવું ઓડિયન્સ મળી જાય પણ ખરું. પરંતુ, પછીના દિવસોમાં છેલ્લે ‘યમલા પગલા દીવાના-ટુ’માં બન્યું એમ ટકવાનું મુશ્કેલ બને છે.


‘યમલા પગલા દીવાના-ટુ’ની રજૂઆતના દિવસોમાં પોતાના દીકરાઓ સની અને બોબી સાથે ઠેર ઠેર હરતા-ફરતા ધર્મેન્દ્રએ તેમની અને હેમામાલિનીની બીજી પુત્રી આહનાની સગાઇમાં આ અઠવાડિયે દીકરીના બાપની ફરજ અદા કરી. મઝાની વાત એ હતી કે મુરતિયો વૈભવ વોરા પપ્પાએ સૂચવેલો છોકરો છે. એ આહનાની મોટી બેન એશાના  મેરેજમાં આવ્યો હતો અને ત્યાંથી થયેલી ઓળખાણ વેવીશાળ સુધી પહોંચી છે. હવે શિયાળામાં લગ્નની રસમ પણ પૂરી કરાશે. એટલે ધર્મેન્દ્ર તેમના અને હેમામાલિનીના ઘરસંસારનાં સંતાનોની પણ લગ્ન જેવી પ્રાથમિક સાંસારિક જવાબદારીઓથી પરવારશે. સમય કેવો દોડે છે! ધરમ-હેમાનું પ્રકરણ જાણે હજી કાલે જ મેગેઝીનોમાં અને પાર્લામેન્ટમાં ચકચાર જગવી રહ્યું હતું અને આજે તેમનાં સંતાનો ઘરસંસાર પણ માંડી રહ્યાં છે.  


એ જ ’૭૦ના દાયકામાં (૧૯૭૪માં) જન્મેલી કરિશ્મા કપૂર આ ૨૫મી જુને ૪૦મા વરસમાં પ્રવેશી અને તેણે એની ઉજવણી લંડનમાં કરી, જ્યાં કરિના પણ હાજર હતી. એ જ રીતે ’૭૩ના જે પિક્ચરથી અમિતાભ બચ્ચન ‘એંગ્રી યંગ મેન’ બન્યા એ ‘જંજીર’ને પણ ૪૦ પૂરાં થયાં. ‘જંજીર’ની રીમેઇકના અધિકારો માટે કોર્ટમાં ગયેલા પ્રકાશ મેહરાના પુત્રો સુમિત અને પુનિતને તેમના ભાઇ અમિત મેહરા પાસેથી રાઇટ્સ પાછા મળી ગયા છે. તેથી હવે સપ્ટેમ્બરમાં ‘જંજીર’ ‘પ્રકાશ મેહરા પ્રોડક્શન’ના નેજા હેઠળ રિલીઝ થશે. (જો ત્યાં સુધીમાં સલીમ-જાવેદના વળતરની ગૂંચ ઉકલી ગઇ હશે તો!) રિલીઝની રીતે  રમઝાન ઇદના દિવસોમાં ૮મી ઓગસ્ટે શાહરૂખ-દીપિકાની ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની હડફેટે ના અવાય તે માટે એકતા કપૂરની ‘વન્સ અપોન ટાઇમ ઇન મુંબઇ દોબારા’ ૧૫મી ઓગસ્ટ પર ખસેડાઇ છે.

જો કે એવી ટકરામણની કે રમઝાન માસમાં ઓછી ઘરાકી જેવી જુના જમાનાની ચિંતાઓ એકંદરે હવે ઓછી થઇ ગઇ છે. જેમ કે આ દિવાળીએ રિતિક રોશનની ‘ક્રિશ-૩’ રિલીઝ કરવાનું પ્લાનીંગ પુરજોશમાં ચાલી જ રહ્યું છે.... સામે પક્ષે રજનીકાન્તની નવી ફિલ્મ પણ દિવાળીએ જ રજુ થવાની છે, તો ય! પણ સૌથી મોટું આશ્ચર્ય રમઝાનનું ગણાય છે. આ સાલ રમઝાનના ઉપવાસના દિવસો દરમિયાન બે ચાર નહીં, ૧૨થી ૧૪ ફિલ્મો આવી હશે અને તે પણ ‘લૂટેરા’, ‘પોલીસગીરી’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘સત્યા-ટુ’ સહિતની! સોચો ઠાકુર!!

તિખારો!
“જાણો છો ને? ‘જંજીર’ની રીમેઇકમાં પ્રાણવાળો ‘શેરખાન’નો રોલ સંજયદત્ત કરે છે....”
“એમ? નામ તો સાંભળેલું લાગે છે... એ કોણ?!!” 

1 comment:

  1. Keep it up sir... I love to read you each comment on the movie, specially on old movie or for our yesteryear actor/actress.
    ..
    Bhavesh Jani

    ReplyDelete