Sunday, May 31, 2015

ફિલમની ચિલમ.... મે ૩૧, ૨૦૧૫




અમિતાભ બચ્ચન પ્રચાર કરવાના છે તે ‘ડી ડી કિસાન’ ચેનલ શું રાતોરાત ઉભી કરાઇ છે?


હવે અમિતાભ બચ્ચન પણ ખેડૂતો માટે મેદાનમાં આવ્યા છે! એટલે પ્રચાર-પ્રસાર પણ જબ્બર થશે. તેથી દૂરદર્શનની નવી ચેનલ ’ડી ડી કિસાન’ જોવાતી થવાના ચાન્સ એકદમ વધી ગયા છે. તેને પગલે ફિલ્મ અને ટીવી જગતના માટે ‘મેરે દેશ કી ધરતી સોના...’ જેવાં ખેતીલક્ષી ગાયનો આધારિત પ્રોગ્રામો, ખેતી લક્ષિત સિરિયલો કે ‘ખેડૂત મંડળ’ જેવા કાર્યક્રમો બનાવનારા સર્જકો અને કલાકારો માટે સોનેરી દિવસો આવ્યા છે. પરંતુ, શું આ ‘ડી ડી કિસાન’ રાતોરાત ઉભી કરાયેલી ચેનલ છે? કેટલાક ‘રાજકીય નિષ્ણાતો’ કહે છે એમ, ‘ભૂમિ અધિગ્રહણ’ કાયદાને કારણે વિપક્ષના હુમલાથી ઝાંખી થતી લાગતી સરકારની છબીને ટકાવવા આનન-ફાનનમાં આ ચેનલ શરૂ કરાઇ છે? જવાબ છે સ્પષ્ટ ના!

આ ચેનલની તૈયારી લાંબા સમયથી ચાલતી હતી, એ આખી ઇન્ડસ્ટ્રી જાણતી હતી. તેમાં ફિલ્મ બેઝ્ડ પ્રોગ્રામોની પણ કેટેગરી છે.  ૨૬મી મેએ સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કિસાનોને અર્પણ કરવાના પ્લાન હેઠળ  ઠેઠ જાન્યુઆરીથી તેને માટે કાર્યક્રમો અને સિરિયલોની દરખાસ્તો મંગાવાઇ હતી. રસ ધરાવનારાઓના ધસારાને કારણે ફેબ્રુઆરીની છેલ્લી તારીખને લંબાવવામાં પણ આવી હતી. (એ મુદ્દે આજે ગાજવા શરૂ થયેલા નેતા તે દિવસોમાં કદાચ બોડી બનાવવા અને પબ્લિક સ્પીકિંગની તાલીમ લેવા ૫૭ દિવસની રજા ઉપર હશે!) ૧૫ એપ્રિલ સુધીમાં ૩૧૫ દરખાસ્તો આવી હતી. હવે એ ચેનલ કેવો ઓપ લે છે એ અલગ મુદ્દો હશે. પરંતુ, બચ્ચનદાદાની પ્રચારની તાકાત ‘પીકુ’ની સફળતા પછી ઓર વધી છે. સૌ આશ્ચર્યમાં છે કે ૭૨ વરસની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ૧૦૦ કરોડની ફિલ્મ આપે છે. (આવા પ્રસંગે અભિષેકની મુંઝવણ કેટલા સમજી શકતા હશે? પપ્પાની સફળતા ઉપર રાજી થવું કે પછી....!)

‘પીકુ’ જો કે આમ તો ‘બીગ બી’ કરતાં વધારે ‘બીગ ડી’ અર્થાત દીપિકાની કહેવાઈ છે. બચ્ચન તો દીપિકાના મહાન સિનિયર છે. પણ ૧૦૦ કરોડની સુપરહીટ પિક્ચરના નાનામાં નાના કલાકારને પણ સેન્ચુરી માર્યાનું ગૌરવ લેવાનો અધિકાર હોય છે. (જેમ વર્લ્ડ કપ જીતનારી ટીમમાં મેદાન પર ડ્ર્રીંક્સની ટ્રૉલી લઈને જનાર પંદરમા ખેલાડીને પણ ટ્રોફી સાથેના ગ્રુપ ફોટામાં ચિચિયારીઓ પાડતા ઉભવાનો અધિકાર હોય છે, એમ સ્તો!) પણ ખરી કમબખ્તી પિક્ચર ફ્લૉપ જાય ત્યારે થાય. અત્યારે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના નાના-મોટા સૌ કલાકારો એવો વાજબી જશ લઈ જ રહ્યા છેને? ‘સક્સેસ હેઝ મૅની ફાધર્સ’ અને ‘ફેઇલ્યોર ઇઝ એન ઑર્ફન’ એ ઉક્તિ ફિલ્મો જેટલી ક્યાંય વધારે સચોટ નહીં લાગતી હોય. નિષ્ફળ ફિલ્મોની યાદીમાં તાજેતરમાં ઉમેરાયેલી ‘બૉમ્બે વેલ્વેટ’ની જવાબદારી કોણ લેશે એ સવાલ સૌથી વધુ હીરોઇન અનુષ્કા શર્માને થતો હશે. 


અનુષ્કાએ તે પિક્ચરમાં કામ કરવાની ફી વસુલ કરવાની બાકી છે અને હવે તેણે એ કાફલાનો રણી-ધણી શોધવાનો થયો છે. કારણ કે દિગ્દર્શક અને જેમના કારણે કદાચ અનુષ્કાએ ફિલ્મ સ્વીકારી હશે એ અનુરાગ કશ્યપ પેરિસમાં થાક ઉતારી રહ્યા છે. જૂના સમયમાં એક નિર્માતા કે તેમના પરિવારજનો સાથે કામ પાડવાનું થતું. જ્યારે અત્યારે તો પ્રોડક્શનમાં કોર્પોરેટ આવ્યા પછી વિવિધ સ્ટુડિયો સામેલ થાય છે. કરોડોના આર્થિક વહેવારમાં પિક્ચર રિલીઝ થતા સુધી પેમેન્ટ લેવા ચોટલી આર્ટિસ્ટના હાથમાં હોય છે. પરંતુ, એકવાર ઘોડો રેસમાં છૂટ્યો એટલે એ જેકપોટ જીતે તો જ બધી વાહેવાહ. પણ ફ્લૉપ જાય તો ‘બાઇ બાઇ ચારણી, કિસ કે ઘર’ જેવો ઘાટ થાય. (અનુષ્કાએ ક્રિકેટ મેચ જેટલો રસ લાખોની ઉઘરાણીમાં રાખવા જેવો હતો?) એટલે પૈસાની બાબતમાં દોસ્તી કે સંબંધોને વચ્ચે લાવ્યા વિના ના ફાવે તો મોટાભાગના કલાકારો કોઇપણ સન્માનજનક બહાનું કાઢીને પ્રોજેક્ટને ગુડબાય કહી દેતા હોય છે. તાજેતરમાં સલમાને કરણ જોહરની ‘શુધ્ધિ’ છોડી અને આ સપ્તાહે રેખા ‘ફિતુર’માંથી હટી ગઈ અને તબુએ તે જગ્યા લીધી, ત્યારે તેમાં નાણાંકીય મુદ્દા હશે કે નહીં એ અલગ વાત છે. પરંતુ, એક સ્ટાર ફિલ્મ છોડે ત્યારે કેવી કેવી વાતો બહાર મૂકાતી હોય છે, એ પણ જોવા જેવું હોય છે.




‘ફિતુર’ માટે એક વાહિયાત રિપોર્ટ એવો વહેતો કરાયો કે  હીરોઇન કટરિનાની ખુબસુરતીને સહન ના કરી શકતાં રેખાએ પિક્ચર છોડી દીધું! તો સલમાને પેલા પ્રોગ્રામ ‘એઆઇબી નોક આઉટ’માં કરણ જોહરે ખાન પરિવારની લાડલી અર્પિતાના સંદર્ભમાં કરેલી મજાકથી નારાજ થઈને ‘શુધ્ધિ’માંથી ખસી જવાનું નક્કી કર્યું. પણ જે રીતે  સલમાનની તાજી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ ફટાફટ પૂર્ણાહૂતિ તરફ લઈ જવાઇ છે અને જુલાઇમાં જ ઇદ પર રિલીઝ કરવાની તૈયારી શરૂ થઈ છે, તે જોતાં ‘શુધ્ધિ’ માટે જરૂરી ૧૮૦ દિવસની જંગી તારીખો ઉપલબ્ધ નહીં હોવાનું અપાયેલું કારણ પણ વાજબી જ લાગે છે. સલમાનને અદાલત દ્વારા થયેલી સજા પછી તેને માટે સાથી કલાકારોની સહાનુભૂતિ ‘બજરંગી...’ ના પ્રાથમિક પ્રચારમાં દેખાઇ છે. હવે તો એ જગજાહેર છે કે શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘બજરંગી...’નો લુક જાહેર કરીને સનસનાટી કરી હતી અને પછી આમિરે પણ એ જ ટ્વીટને પોતાને ત્યાં શૅર કરી. આમ ખાન ત્રિપુટીનો આ સંપ કથરોટ (ગળાકાપ!) કોમ્પિટિશનવાળા સિનેમા જગતમાં રજત શર્માની ‘અદાલત’માં કરેલા લુંગી ડાન્સથી ઘણો આગળ નીકળી ચૂક્યો છે. બાકી સલમાન અને શાહરૂખનો ‘ચલતે ચલતે’ વખતનો ઝગડો કોણ ભૂલ્યું હશે?

‘ચલતે ચલતે’ના સેટ પર સલમાને ફિલ્મની તે વખતની હીરોઇન ઐશ્વર્યા સાથે જે મોટો સીન કર્યો હતો, તેને લીધે ફિલ્મના નિર્માતા તરીકે શાહરૂખે કડકાઇ વાપરી હતી. તે પછી ઐશ્વર્યાની જગ્યાએ રાતોરાત રાની મુકરજીને લેવી પડી હતી અને નવેસરથી શૂટિંગ કરીને કરોડોનું નુકશાન વેઠવું પડ્યું હતું. ત્યાર પછી પણ ૨૦૦૮માં કટરિનાની બર્થડે પાર્ટીમાં બેઉ ખાનને ઝગડો થયો હતો. તેના પાંચ વરસ પછી ૨૦૧૩માં રાજકારણી બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીમાં બન્ને વચ્ચેના અબોલા તૂટ્યા અને આજે એકબીજાની ફિલ્મનું પ્રમોશન કરતા થઈ ગયા છે.  મીનવ્હાઇલ, સલમાનની એ ફ્રેન્ડ કટરિના અને રણબીર કપૂરની દોસ્તી એવી ગાઢ થઈ છે કે બેઉ એક દંપતિની જેમ એક જ ફ્લેટમાં રહે છે! વચમાં વાત એવી આવી હતી કે બન્નેના પરિવારજનોની હાજરીમાં પંજાબીઓમાં હોય છે એવી ‘રોકા’ની વિધિ કરાશે. આપણે ત્યાં સગાઇ વખતે ચાંલ્લા-માટલીનો રિવાજ છે અથવા મહારાષ્ટ્રિયનોમાં ‘સાખર-પુડા’ કહેવાય છે, એવું જ કાંઇક કહી શકાય. પણ રણબીરે જાહેરમાં ખુલાસો કર્યો છે કે જ્યારે લગ્ન વડીલો દ્વારા ગોઠવાતાં હોય ત્યારે ‘રોકા’ની વિધિ થતી હોય છે. તેને લીધે બેઉ ફેમિલી વર-કન્યાનું એક-બીજા માટેનું બુકિંગ કન્ફર્મ કરે. મતલબ કે ‘રોકા’ પછી કોઇ કન્યા કે મુરતિયો જોવાના રહે નહીં. રણબીર કહે છે કે અમે તો અમારી જાતે જ એક બીજાને પસંદ કર્યાં છે. પછી ‘રોકા’ની જરૂરિયાત ક્યાં છે? (ટૂંકમાં, છોટે કપૂરને ‘રોકા’ કો રોકા!)


તિખારો!

જો કેસરવાળા સાદા પાન મસાલાની જાહેરાતમાં ‘દાને દાને મેં કેસર કા દમ’ કહેવાતું હોય; તો તમાકુવાળા ગુટખા માટેનું સ્લોગન શું હોઇ શકે? ‘દાને દાને મેં કેન્સર કા દમ’!! 

No comments:

Post a Comment