Sunday, June 21, 2015

ફિલમની ચિલમ.... ૨૧ જૂન, ૨૦૧૫




આરાધ્યાને કારણે અભિષેક બચ્ચનનો ટ્વીટરમાં પોતાના ફોલોઅર ઉપર આક્રોશ... સોશ્યલ મીડિયા એટલે બે ધારી તલવાર....!



બોક્સ ઓફિસ પર ડાયનાસોરની લાંબી ફલાંગો અને ‘કહાની’ રહી ‘અધૂરી’!

શું ‘હમારી અધૂરી કહાની’ના પ્રથમ ત્રણ દિવસના કલેક્શનમાં સ્ટાર્સ પ્રત્યેની આશા અને નિરાશાનો ટકરાવ દેખાય છે? શું તેમાં નિરાશાનું પલ્લું ભારે સાબિત થઈ રહ્યું છે? ફિલ્મની હીરોઇન વિદ્યાબાલન પાસેથી તેના ચાહકોને બીજી એક ‘કહાની’ની આશા હોય. તે ફળીભૂત થતી લાગે. પરંતુ, ઇમરાન હાશ્મીની ફિલ્મ રિલીઝ થાય એટલે તેમાં ‘કિસીંગ’ સીન્સની અપેક્ષા સાથે થિયેટરમાં ભીડ કરતો એક ચોક્કસ વર્ગ એવાં દ્રશ્યો નહીં હોવાથી નિરાશ થયો હોય એમ લાગે છે. કારણ કે ફિલ્મના બિઝનેસનો એ અનુભવસિદ્ધ નિયમ છે કે પહેલા દિવસના એટલે કે શુક્રવારના વકરા કરતાં સામાન્ય રીતે શનિવારે ટિકિટબારી વધારે રણકે અને રવિવારે સૌથી વધુ કલેક્શન આવે. જ્યારે ‘હમારી અધૂરી કહાની’ રજુઆતના દિવસે જે પાંચ કરોડનો વકરો લાવી, એ જ શનિવારે અને રવિવારે પણ કશો ખાસ ફરક ન લાવી શકી. પહેલા દિવસનાં કલેક્શન ‘એવરેજ’ હતાં અને આખું વીક એન્ડ એ જ ‘એવરેજ’ રહી હોઇ; ધંધાની રીતે એ ફિલ્મ ‘એવરેજ’ કહેવાય.. (વેપારી શબ્દોમાં ‘ફ્લોપ’!)
 
‘હમારી અધૂરી કહાની’માં આમ તો મહેશ ભટ્ટનાં મમ્મીની જીવનકથાના અંશો હોવાનું બિનસત્તાવાર રીતે જાહેર થયેલું હતું. તેથી ભટ્ટ્જીની પોતાની અસલી જિંદગીનાં પાનાં પર આધારિત ‘અર્થ’, ‘ઝખમ’ કે ‘જનમ’ અથવા ‘ડેડી’ જેવી અગાઉની ફિલ્મો જેવા ચમકારા આ ફિલ્મની વાર્તામાં લાવી શક્યા નથી એવી ટીકાઓ સમીક્ષકો તરફથી થઈ રહી છે. બાકી આ અઠવાડિયું, ટ્રેડની ભાષામાં કહીએ તો, ૧૮મીએ રમઝાન શરૂ થતા અગાઉનું, આ ‘ક્લિયર વીક’ હતું. મતલબ કે સામે કોઇ મોટી ફિલમ નહતી. પણ ક્યારેક ‘ઓપોઝિશન’ સાવ અજાણી દિશામાંથી આવે અને તે પણ ડાઇનાસોરની સાઇઝનું, ત્યારે કમાણીની કહાની ખરેખર અધૂરી રહી જાય! કેમકે આ જ વીકમાં આવેલી હોલીવુડની ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ’ બોક્સ ઓફિસમાં લાંબી ફલાંગે આગળ દોડી રહી છે. ડાઇનોસોરની વાર્તા શુક્રવારે પોણા પાંચ કરોડ, શનિવારે સાત અને રવિવારે આઠ કરોડ લાવીને ‘જુરાસિક વર્લ્ડ’ની સરખામણી એક સમયે ‘લેડી બીગ બી’ કહેવાયેલી વિદ્યા બાલનની ‘અધૂરી કહાની’ સાથે કરાવી રહી છે.



વિદ્યાએ લગ્ન પછી ‘કિસ’નાં દ્રશ્યો માટે દોરેલી લાલ લીટીને પણ ‘અધૂરી કહાની’ની નિષ્ફળતા માટે કેટલાક જવાબદાર ગણે છે, જે હીરો ઇમરાન હાશ્મીનાં પિક્ચરોનો ‘યુએસપી’ હોય છે. હીરોઇનો લગ્ન પછી આમ પણ પોતાના ચાહકોના એક મોટા હિસ્સાને ગુમાવી દેતી હોય છે; પછી તે કાયમથી ઘરરખ્ખુ દેખાતી વિદ્યા બાલન હોય કે આજે પણ હૉટ ગણાય એવી કરિના કપૂર હોય. કરિનાની કરિયરનો સૌથી ઊંચો સમય (હાઇ પોઇન્ટ) ‘જબ વી મેટ’ વખતે હતો. પરંતુ, એકવાર સૈફ સાથે લગ્ન કર્યાં પછી એ ઊંચાઇ પરત આવી શકી નથી એ  હકીકત છે. ખરેખર તો તે ફિલ્મમાંની તેની અને શાહિદ કપૂરની જોડી અસલી જિંદગીમાં પણ એક બીજામાં એટલી જ ઓતપ્રોત (ઇન્વોલ્વ) હતી અને પ્રેક્ષકોને એમ કે એ બન્ને જ પરણવાનાં છે. ત્યાં આવ્યો ‘કહાની મેં ટ્વીસ્ટ’!

જે કરિના મજાકમાં એમ કહેતી હતી કે શાહિદ સાથે લગ્ન કરીશ તો મારે અટક બદલવાની પણ જરૂર નહીં રહે; એ જ આજે ‘કરિના કપૂર ખાન’ લખાવતી થઈ છે. સામે પક્ષે શાહિદ પણ હવે પોતાની પસંદગીની ‘મીરા’ને સંસારી બનાવવાની તૈયારીમાં લાગ્યો છે અને છતાં કરિના સાથેના તેના સંબંધો હજી પણ દોસ્તીભર્યા જ છે. કારણ કે ખુદ કરિનાએ હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે શાહિદે પોતાના ભાવિ મેરેજ અંગે મીડિયામાં જાહેરાત કરવાના દિવસો પહેલાં એ રાઝ ‘ફેમિના’ના એક કાર્યક્રમ દરમિયાન તેને (કરિનાને) કહ્યો હતો! ‘ફેમિના’ના પ્રોગ્રામ વખતે કે તેનાં રિહર્સલો દરમિયાન જો કરિના અને શાહિદ એક બીજાની અંગત જિંદગીના રાઝ શૅર કરતાં હતાં; તો આ સાલના ‘આઇફા’ એવોર્ડ વખતે કુઆલાલમ્પુરના સ્ટેજ પર દીપિકાને રણવીરસિંગે પ્રપોઝ કરવાની તક ઝડપી લીધી હતી. દીપિકા અને રણવીરની જોડી અત્યારે તો સંજય લીલા ભણશાળીની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ કરી રહી છે, જેને માથે એક ભય તોળાઇ રહ્યો છે.



‘બાજીરાવ મસ્તાની’ને ૧૮મી ડીસેમ્બરે એટલે કે ક્રિસ્મસના દિવસોમાં રિલીઝ કરવાની યોજના છે. પરંતુ, એ જ દિવસે શાહરૂખ ખાનની ‘દિલવાલે’ પણ રજૂ કરાય એવી એક શક્યતા બહાર આવી છે. સૌ જાણે છે એમ, ‘દિલવાલે’ના દિગ્દર્શક ‘ચેન્નાઇ એક્સપ્રેસ’વાળા રોહિત શેટ્ટી છે અને શાહરૂખ સાથે કાજોલ લાંબા સમય પછી તેમાં આવી રહી છે. તાજેતરમાં જ શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘દિલવાલે’ના બલ્ગેરીયામાં થયેલા શૂટિંગમાં કાજોલ સાથેના ફોટા મૂક્યા. એક તસ્વીર ઉપર લખ્યું હતું કે ‘કેટલાક ફોટાને શબ્દોની જરૂર નથી હોતી....’! ટ્વીટર અને ફેસબુક જેવાં માધ્યમોની સગવડ અત્યારે એવી સરસ થઈ ગઈ છે કે અગાઉના સમયમાં ફિલ્મના ‘પીઆરઓ’ને કરવી પડતી હતી એવી મહેનતને સ્ટાર લોકો જ ઓછી કરી આપે છે. પહેલાં તો આઉટડોર શૂટિંગ પછી ફોટા ધોવડાવાય, તેમાંથી સ્ટાર બેલડીને બતાવીને સિલેક્ટેડ મેગેઝીનોને જ અપાય. આજે તો ‘તરત દાન અને મહાપૂણ્ય’ની માફક, આજે ફોટા પાડ્યા અને તરત સાથી કલાકાર તથા પ્રોડ્યુસર/ ડાયરેક્ટરને વિશ્વાસમાં લઈને ટ્વીટર પર કે ફેસબુક પર શેર કરી દીધા કે આખી દુનિયા જોઇ શકે અને કોપી કરીને વાપરવા પણ માંડે. (વહાલાં દવલાંનો કોઇ સવાલ જ નહીં!) જો કે સ્ટાર્સ માટે સોશ્યલ મીડિયાની આડઅસરો પણ એવી જ, જેનો અનુભવ અભિષેક બચ્ચનને પણ થયો.

આમ તો ટ્વીટર, ફેસબુક અને બ્લોગ પર ‘સિનિયર બચ્ચન’ જ વધારે અને નિયમિત રીતે એક્ટિવ હોય છે. જ્યારે ‘છોટે બચ્ચન’ સમય મળે ત્યારે લટાર મારનારા પૈકીના છે. અમિતાભ બચ્ચને તો ફેસબુકમાં પોતાના વધુમાં વધુ ફોલોઅર્સ હોય એવી ઇચ્છા, આ અઠવાડિયે, જાહેરમાં વ્યક્ત કરી. તેમના ફોલોઅર્સની સંખ્યા ૨૧ મિલિયન એટલે કે બે કરોડને દસ લાખને આંબી ગઈ તેની જાહેરાત કરતાં બચ્ચનદાદાએ લખ્યું છે કે હવેનું ટાર્ગેટ ત્રીસ મિલિયન (ત્રણ કરોડ)! પણ અભિષેક બચ્ચન એ રીતે સંખ્યા વધારવા માગશે કે પછી ક્વોલિટીને પ્રાધાન્ય (પ્રાયોરિટી) આપશે? આ સવાલ એટલા માટે થાય છે કે આ સપ્તાહે ટ્વીટર પર એક ફોલોઅર સાથે ‘અભિ’ને જામી ગઈ. કોઇએ અભિષેકની ફિલ્મોની ટીકા કરતાં દીકરી આરાધ્યાને સામેલ કરીને મજાક કરી. ત્યારે જુનિયર બચ્ચને ઝાટકણી કાઢી નાખી અને પરિણામે પેલાએ ‘સોરી’ પણ કહ્યું. પરંતુ, આ કોલમના વાચકોને થોડા વખત પહેલાં અહીં લખેલી ચેતવણી જરૂર યાદ આવી હશે. તે વખતે દાદા બચ્ચને આરાધ્યાને સોશ્યલ મીડિયામાં હાઇલાઇટ કરી હતી અને અહીં લખ્યું હતું કે ભવિષ્યમાં સોશ્યલ મીડિયામાં કોઇ આરાધ્યા માટે અણગમતી કોમેન્ટ કરશે તો બચ્ચન પરિવાર એવું નહીં કહી શકે કે નાની છોકરીને આ બધામાં ના ઘસેડો! આખિર વહી હુઆ ના? (આઇ ટોલ્ડ યુ સો!!)

તિખારો!
 
શેખરકપૂરના નિર્દેશનમાં વર્ષોથી બનતી ફિલ્મ ‘પાની’ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. લાગે છે કે યશરાજના કર્તાહર્તાઓને લાગ્યું હશે કે આ ‘પાની’-પૂરી નહીં બને!!


No comments:

Post a Comment