Saturday, September 16, 2017

ગુલે ગુલઝાર - ‘આંધી’




‘તેરે બિના જિંદગી સે કોઇ, શિકવા તો નહીં...’




હિન્દી ફિલ્મ સંગીતે પ્રેમીઓ અલગ થાય ત્યારની અલગ અલગ લાગણીઓને વ્યક્ત કરવા કેવાં કેવાં ગીતો આપ્યાં છે! તેમાં “આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં, કોઇ ઉનસે કહ દે હમેં ભૂલ જાયેં....” અને “તુમ સે બિછડકે ચૈન કહાં હમ પાયેંગે”થી માંડીને “ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના...” જેવાં અનેક ગાયનો છે. પરંતુ, એવા અલગાવની પીડાને વધારે પડતા ભાવુક થયા વગર ગુલઝારની કલમે ‘આંધી’ના આ ગીત “તેરે બિના જિંદગી સે કોઇ શિકવા તો નહીં, તેરે બિના જિંદગી ભી લેકિન જિંદગી તો નહીં....” માં એક નિખાલસ કબુલાતના શબ્દોમાં વહાવી છે. એ પંક્તિઓની કમાલ એ છે કે પ્રેમગીત હોવા છતાં તેનું સંધાન ‘સંબંધ’ સાથે હતું. કેમ કે પ્રિયજનોમાં માત્ર પ્રેમીઓ જ નહીં, મિત્રો, સંતાનો, સહકર્મચારીઓ, સગાં-સંબંધી... એમ એ યાદી લંબાવવી હોય એટલી વિસ્તરી શકે એમ છે. એવી કોઇ અંગત વ્યક્તિ સાથેથી જુદા પડ્યા પછી પણ જીવન તો ચાલતું જ રહેતું હોય છે; પરંતુ, વો બાત કહાં? એ વાસ્તવિકતા તિરાડ પડેલા કયા સંબંધમાં નહીં હોય? તેને વાસ્તવિકતાની ધરતી પર રહીને મૂલવતી એ પંક્તિઓ હૈયાની અધખુલી બારીમાંથી આવતી વિરહ-વેદનાની એવી લહેરખી છે કે શાલ-સ્વેટર લેવા જવાને બદલે જરા જોરથી અદબ વાળીને તે ટાઢ સહન કરવાનું મન થાય. આ વિશિષ્ટ સંવેદનાનો અનુભવ સિને-સંગીતના ભાવકોએ અગાઉ કદાચ કર્યો નહોતો.

તેથી ૧૯૭૫માં આવેલું ‘આંધી’નું એ ગીત સાંભળતાં હર કોઇના હૈયાના તાર હળવેથી રણઝણી જતા હોય છે અને કોઇ આશ્ચર્ય નથી કે આજે દાયકાઓ પછી પણ તમામ ઉંમરના શ્રોતાઓ યાદોની બારીએ બેસીને પોતાની કસકને સહેલાવતા આવ્યા છે. કવિના શબ્દો સમયાતીત હોવાના કેટલાય દાખલા ગુલઝાર સાહેબની રચનાઓમાં છે. પણ તેમાં આ ગીત શિરમોર છે. અલબત્ત, તેમાં તેમના પોતાના અંગત જીવનમાં સર્જાયેલા વાવાઝોડાની ડમરી પણ તેમની કલમને ચોંટેલી અનુભવી શકાય છે. પણ એ કાંકરી બનીને આપણી આંખ લાલ થઈ જાય એ રીતે તેને નીચોવી નથી કાઢતી. શ્રોતાઓને જાણ પણ ન થાય એટલી સાહજકિતાથી તેમના અસ્તિત્વને વાછંટની ભીનાશનો અદભૂત અનુભવ કરાવે છે. ગુલઝારના અંગત જીવનમાં ’૭૫નો એ સમય, સૌ જાણે છે એમ, ભારે ઉથલપાથલનો હતો. તેમનાં લગ્ન ૧૯૭૩માં થયાં, ’૭૪માં પુત્રી મેઘનાનો જન્મ અને વરસમાં તો પતિ-પત્ની અલગ થઈ ગયાં હતાં! 



એવા એ દિવસોમાં ‘આંધી’ ફિલ્મનાં પાત્રો માટે  લખવામાં આવેલું આ ગીત, ખાસ કરીને શરૂઆતની પંક્તિઓ, ગુલઝારની અંગત વેદનાને પણ વ્યક્ત કરવાનું એક ક્રિએટિવ પ્લેટફોર્મ બન્યું હશે. બલ્કે એમ માનવાનું પણ મન કાયમ થયું છે કે ‘આંધી’ ફિલ્મ અને તેની વાર્તાના સ્ક્રિનપ્લેનું સર્જન તેમણે પોતાના હૈયાને ખાલી કરવા -કથાર્સિસ માટે- કર્યું હશે. (તેમના લખેલા ‘આંધી’ના સંવાદોમાં એક તબક્કે સંજીવકુમાર પત્ની બનતાં સુચિત્રાસેનને કહે છે, “મેરા પતિ બનને કી કોશીશ મત કરના’’ એમાં પણ અમને તો રાખી સાથેના અલગાવની પૂર્વભૂમિકા સંભળાઇ હતી!) બાકી નિર્માતા જે. ઓમપ્રકાશે તો ગુલઝારને અન્ય એક લેખક સચિન ભૌમિકની વાર્તા પરથી બનનારી ફિલ્મને ડાયરેક્ટ કરવાની ઓફર કરી હતી જેને માટે નાયિકા તરીકે સુચિત્રાસેનને સાઇન કરેલાં હતાં. પરંતુ, સ્ટોરી વાંચ્યા પછી ગુલઝારે કહ્યું કે જો સુચિત્રાજી જેવાં ધરખમ અદાકારા ઉપલબ્ધ હોય તો, તેમની ટેલેન્ટને રૂટિન હિન્દી પિક્ચર બનાવવામાં વેડફવાને બદલે સ્ત્રીપ્રધાન સ્ક્રિપ્ટ આપવી જોઇએ. પ્રોડ્યુસર જે. ઓમપ્રકાશ પણ ‘આઇ મિલન કી બેલા’, ‘આયે દિન બહાર કે’, ‘આયા સાવન ઝુમ કે’ જેવી સુપરહીટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. તેમને ગુલઝારે હિન્દીના એક સિધ્ધહસ્ત લેખક કમલેશ્વરજીની વાર્તા ‘કાલી આંધી’ સૂચવી. તેમાં જાહેરજીવનની કરિયરને લગ્નજીવન જેટલી જ (કદાચ વધારે!) અગત્યની માનતી સ્વમાની મહિલા કેન્દ્રમાં હોઇ, નિર્માતાએ તેની ફિલ્મ બનાવવા સંમતિ આપી. ગુલઝારે તેના આ ગીતમાં જાણે કે પોતાના હ્રદયની ધમનીઓને, ગુડ કોલસ્ટોરલ સહિત, નીચોવી કાઢી. પણ મઝાની વાત એ હતી કે જે ધૂન પર ‘‘તેરે બિના જિંદગી સે...” ગવાયું એ તર્જ પણ આર.ડી. બર્મને ક્યાં કોઇ પિક્ચર માટે બનાવી હતી?


પંચમદાએ તો બંગાળમાં નવરાત્રી નિમિત્તે માતાજીની સ્તુતિ માટેનાં બહાર પડતાં પ્રાઇવેટ આલ્બમો પૈકીના એકની બંગાળી રચના માટે તૈયાર કરેલી એ ધૂન હતી. ‘આર.ડી’ લોકપ્રિય બંગાળી કવિ ગૌરીપ્રસન્નો મઝુમદાર લિખિત કવિતા “જેતે જેતે પાથે હોલો દેરી...” ને સ્વરબધ્ધ કરી રહ્યા હતા અને તે સ્વરાંકનને સાંભળતાં જ ગુલઝારે એ ધૂનને ‘આંધી’ માટે પણ બોટી લીધી! આજે પણ ‘યુ ટ્યુબ’ પર જો તમે ‘જેતે જેતે પાથે હોલો દેરી...’ લખશો તો ખુદ રાહુલદેવ બર્મનના મધુરા કંઠે એ બંગાળી રચના સાંભળી શકશો. (આ તો એક વાત થાય છે...) ફિલ્મમાં આ ગીત આવે છે એ સિચ્યુએશન પણ આમ તો અપેક્ષિત જ હતું. નાયિકા મહિલા રાજનેતા ચૂંટણી પ્રચાર અર્થે દૂરના કોઇ એક નગરમાં આવે છે અને પોતાના રસાલા સાથે એ હોટલમાં પોતાનો ઉતારો રાખે છે, જેના મેનેજર તેમનાથી અલગ થયેલા પતિ છે. બન્નેને ૯ વરસ પછી નિયતિએ એક સ્થળે ભેગાં કર્યાં હોઇ બેઉના મિલનનો સિલસિલો ચાલે છે. જો કે હિરોઇન નેતા હોઇ જાહેરમાં મુલાકાતો થાય તો વિરોધીઓ ઇમેજનો વિવાદ કરી શકે. એટલે બન્ને રાત્રે-રાત્રે ખાનગી સ્થળે મળતાં રહે છે. ત્યારે બેકગ્રાઉન્ડમાંથી આ ગીત વાગે છે અને ગુલઝાર સાહેબે શું પિક્ચરાઇઝેશન કર્યું છે!

ગુલઝારે પોતાના કવિત્વને દિગ્દર્શનમાં પણ કામે લગાડ્યું છે. તેથી આ ગાયન માટે તેમને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે; કેમ કે સાંભળવા જેટલું જ તે જોવાલાયક પણ બન્યું છે. અમે ગુલઝારજી પર સમરકંદ બુખારા ઓવારી જતા લાગતા હોઇએ તો ‘હાથ કંગન કો આરસી ક્યા ઔર પઢે લિખે કો ફારસી ક્યા?’ આજે પણ ‘યુ ટ્યુબ’ પર આ હ્રદયસ્પર્શી ગીત જોશો તો તેની એક જ લિંક પર ૧૮ મિલિયન (પોણા બે કરોડ) મુલાકાતીઓની સંખ્યા જોઇ શકાશે અને ખાત્રી થશે કે શબ્દ તથા દ્દશ્યનો યોગ્ય મિલાપ કેટકેટલાં રૂદિયાંને પોચાં રૂ જેવાં કરી ગયો છે! ગાયનને પૃષ્ઠભૂમિમાંથી વગાડીને ગુલઝારે પાત્રોની ઉંમરનો લિહાજ કરી બતાવ્યો છે. બેઉ પાકટ વયનાં હોઇ મસ્ત કુદરતી સિનસિનેરીમાં “તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ...” કે પછી “ઇસ મોડ સે જાતે હૈં, કુછ સુસ્ત કદમ રસ્તે...” જેવો પ્રેમાલાપ જાતે ગાઇને કરતાં હોય એ તો ન જ શોભે. એટલું જ નહીં, ગુલઝાર સરખા બુધ્ધિશાળી સર્જક માટે તર્કનો પણ તકાજો હતો જ ને?

તાર્કિક રીતે એટલે કે લોજિકલિ જુઓ તો રાતના અંધારામાં પ્રજાથી છુપાઇને મળતાં પોલિટિશ્યન અને પ્રતિષ્ઠિત હોટલના મેનેજર ખુલ્લંખુલ્લાં ગાયન ગાય એટલાં નાસમજ તો ના જ હોય ને? ગુલઝારે ગીતની શરૂઆત વિશાળ ખંડેરમાં કરીને એ સંબંધના ભવ્ય ભૂતકાળની ઝાંખીનો સુયોગ્ય સિમ્બોલ કર્યો છે. પેલું કહે છે ને?... ‘ખંડહર બતા રહા હૈ, કિ ઇમારત બુલંદ થી’! ગીતના પ્રથમ બે અંતરા લતાજીના સ્વરમાં મૂકીને ગુલઝાર શું કહેવા માગતા હશે? કે નાયક કરતાં નાયિકાને દર્દની ટીશ વધારે અનુભવાય છે? કે પછી સ્ત્રી સ્વાભાવિક રીતે લાગણીશીલ હોવાથી પોતાના મનોભાવ ઝડપથી વ્યક્ત કરી દે છે? કે તિરાડ પડેલા સંબંધોને રેણ કરવાની પહેલ કરવામાં પુરૂષને તેનો ઇગો આડે આવે છે એમ પ્રસ્થાપિત કરવા માંગતા હશે? નહીં તો ત્રણ અંતરાના ગીતમાં લતા મંગેશકરે બે તૃતિયાંશ ગાયન પૂરું કરી દીધા પછી ઠેઠ છેલ્લે ત્રીજા સ્ટ્રાન્ઝામાં કિશોરદાની એન્ટ્રી કરાવવાનું કોઇક તો લોજિક હશેને? ગુલઝારનું ક્રિએટિવ કારણ કોઇપણ હશે, આકાશવાણી અને વિવિધભારતી જેવાં સરકારી માધ્યમોના હોંશિયાર કર્મચારીઓ માટે લતાજીના એ બે અંતરા કટોકટીનાં વર્ષોમાં સારી છટકબારી સાબિત થયા હતા.


ઇમરજન્સીમાં કિશોર કુમારનાં ગીતો વગાડવા પર સરકારી પ્રસાર માધ્યમોને મનાઇ ફરમાવવામાં આવી હતી; એ પ્રતિબંધ હવે તો આઝાદ ભારતનાં કલંકિત વર્ષોના ઇતિહાસની હકીકત છે. છતાં એ સમયે પણ કોઇક પ્રોગ્રામમાં આ ગાયન વગાડી દેવાતું અને કિશોરકુમારના અંતરાનો સમય આવતા પહેલાં રેકર્ડ બંધ કરી દેવાતી! તેને લીધે સૂચનાનું પાલન પણ થતું અને ‘આંધી’ ફિલ્મનો પ્રચાર પણ થતો, જે ત્યારના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત હોવાનું કહેવાતી. સરકારી તંત્રને સત્તાવાર રીતે ખબર ન પડત. પરંતુ, એક ઉત્સાહી મેગેઝીને ‘વડાપ્રધાનની જિંદગીની કહાણી જુઓ’ એમ પોતાના ન્યુઝનું ટાઇટલ કર્યું અને ‘આંધી’ના પોસ્ટરમાં નામની આગળ ‘જી’  લગાડીને (gAANDHI) ‘આંધી’નું ‘ગાંધી’ કરીને તસવીર પ્રકાશિત કરી. એટલે સંજય ગાંધીના વફાદારોની ટૂકડી હરકતમાં આવી અને ૨૨મા અઠવાડિયે ફિલ્મ થિયેટરોમાંથી ઉતારી લેવી પડી હતી. પણ રેડિયો સિલોન (હવે શ્રીલંકા) જેવું વિદેશી સ્ટેશન તો કિશોરદાના અંતરા સહિત આ ગીત વગાડતું. તેના પ્રથમ અંતરામાં હિરોઇનની મનોકામના આ શબ્દોમાં વ્યક્ત થઈ છે...

કાશ ઐસા હો, તેરે કદમોં સે, ચુન કે મંઝિલ, ચલેં
ઔર કહીં, દૂર કહીં
તુમ ગર સાથ હો, મંઝિલોં કી કમી તો નહીં...”


 અહીં પણ નાયિકા પોતે પસંદ કરેલી મંઝિલ (રાજકારણી તરીકેની કરિયર)ને બદલે પતિના પગલે દૂર સુધી ચાલવાની વાત કરે છે. તેમાં પણ પોતાના નિર્ણયનો પસ્તાવો નહીં તો ફેરવિચાર તો જરૂર સૂચવાયો છે. વાર્તાની રીતે પણ નવ-નવ વરસની જુદાઇ પછી બન્ને પાત્રો નરમ પડ્યાનો એ સ્વાભાવિક નિર્દેશ છે. સમગ્ર પિક્ચરાઇઝેશનમાં બેઉ કલાકારોના ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતા રખાવાઇ છે, જેને લીધે વય અને સમય બન્નેનું સન્માન જળવાય છે. દરેક પંક્તિએ એક બીજા તરફ આવવાને બદલે કદીક અલગ અલગ દિશામાં જતાં તો ક્યારેક હાથ પકડીને ખંડેરના પગથિયે બેસતા સંજીવકુમાર અને સુચિત્રાજી. એ પગથિયાં અકબંધ છે. તો શું તેમના પ્રણય સંબંધની શરૂઆતની યાદો હજી પણ સાબૂત હોવાની નિશાની ગુલઝાર દેખાડવા માગતા હશે? કે પછી જસ્ટ લાઇક ધૅટ, સારો શૉટ એરેન્જ થતો હોઇ કેમેરામેને સજેસ્ટ કર્યો હશે? જો કે દર્શકોનું ધ્યાન સમગ્ર ગીતમાં બન્ને મહાન એક્ટર્સ ઉપર જ રહે એવા સંવેદનાથી ભરપૂર  હાવભાવવાળા ચહેરે સંજીવ કુમાર અને સુચિત્રા સેન કેટલું બધું કહી દે છે? બીજા અંતરામાં સ્ત્રીસહજ આંસુઓની વાત તો આવે છે, સાથે સાથે પુરૂષને એક મહેણામાં ભાગીદાર બનાવાય છે, જ્યારે લતાજી આ પંક્તિઓ ગાય છે...

“જી મેં આતા હૈ, તેરે દામન મેં, સર છુપાકે હમ,
રોતે રહેં, રોતે રહેં
તેરી ભી આંખોં મેં આંસુઓં કી નમી તો નહીં...”


હિરોઇન જ્યારે એમ કહે છે કે ‘તારી આંખમાં પણ અશ્રુઓની નમણાશ નથી’ ત્યારે તે શું એમ કહેવા માંગે છે કે રાજકારણીની કઠોર પર્સનાલિટીની ઇમેજ હોય એ ટૉન્ટ પોતાને એકલીને લાગુ પડતો નથી? પોતાનાં શુષ્ક થવા માંડેલાં નયનોની માફક જ મેનેજરની આંખમાં પણ ભીનાશ નથી. આ અંતરાની શરૂઆત થાય તે પહેલાં, રેકોર્ડિંગ વખતે, ગુલઝારે થોડીક ખાલી જગ્યા રખાવી. એટલે ‘આર.ડી.’ અકળાયા, “તને સુર-તાલનું કોઇ ભાન છે ખરું?” પણ સર્જક કવિને ખબર હતી કે ત્યાં પતિ-પત્ની વચ્ચેના ચાંદ અને રાત અંગેના ખૂબસુરત અને સંવેદનશીલ સંવાદો મૂકવાના હતા. ચંદ્રમા અમાસની રાત્રે નથી દેખાતા. ‘પણ આ વખતની અમાવાસ્યા બહુ લાંબી ચાલી...’ એમ કહેતા હરિભાઇને સુચિત્રાજી ગદગદ કંઠે પૂછે છે, “નૌ બરસ લંબી થી, ના?” એ પૂર્વભૂમિકાને ધ્યાનમાં રાખીએ તો બીજો અંતરો આખા ગીતનો હાઇ પોઇન્ટ બની જાય છે. એટલે જ્યારે ત્રીજા અંતરામાં પુરૂષ અવાજ એન્ટ્રી કરે છે, ત્યારે તેમાં કિશોર કુમારના અવાજ જેટલી જ ગુલઝારની કવિતા ખીલે છે. નાયક કહે છે,

તુમ જો કહ દો, તો આજ કી રાત, ચાંદ ડૂબેગા નહીં
રાત કો રોક લો
રાત કી બાત હૈ, ઔર જિંદગી બાકી તો નહીં...

આ પંક્તિઓને પ્રકૃતિના નિયમોની રીતે જોઇએ તો કેવું વિચિત્ર લાગે નહીં? હિરોઇન કહે અને ચંદ્રમા અસ્ત જ ન થાય એવું તો કાંઇ બનતું હશે? ના એવું તો ના જ બને. પણ ચોરી-છુપી રાત્રે જ મળતાં પતિ-પત્નીએ વધારે સમય સાથે ગાળવો હોય તો દિવસ દરમિયાન મિનિટ ટુ મિનિટ શિડ્યુઅલ સાથે પ્રચારમાં લાગેલાં લીડરે જ રાતનો સમય વધારે ફાળવીને પેલી છોટી મુલાકાતોને લંબાવવાની હોયને? એ રીતે તે રાતને રોકી શકે! હજી વધારે સ્પષ્ટતા પછીની પંક્તિમાં છે જ ને? સંજોગોવશાત સંધાયેલા સંબંધો સાથેનું મળવાનું અને જિંદગીને માણવાનું એ રાતના સમય પૂરતું જ મર્યાદિત રહ્યું છે. બાકી તો શ્વાસ જ લેવાના છે... તેમાં જીવન થોડું હોય છે? (યે જીના ભી કોઇ જીના હૈ, લલ્લુ!)

આ ગીત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ જરૂર થયું હતું. પરંતુ, પુરસ્કાર નહોતો મળ્યો. ગુલઝારને જો કે એ ફિલ્મ માટે ફિલ્મફેરનો ‘ક્રિટિક્સ એવોર્ડ’ મળ્યો હતો. પરંતુ, અમારા માટે સંજીવકુમારને આ જ પિક્ચર માટે ‘બેસ્ટ એક્ટર’ની ટ્રોફી મળી એ સૌથી નોંધપાત્ર બાબત હતી. કેમ કે એક નાયિકાપ્રધાન વાર્તામાં હિરો કહેવાતા અભિનેતા માટે કેટલી મર્યાદિત ફ્રેમ અને ઓછા સીન ઉપલબ્ધ હોય? તેમાંય સુચિત્રાસેન તો બંગાળની વાઘણ ગણાતાં. તેમણે અગાઉ ‘મમતા’માં અશોક કુમાર અને ધર્મેન્દ્ર બન્નેને હંફાવી દીધા હતા. (ના જોયું હોય તો જોઇ કાઢજો, ‘મમતા’!) એ વાઘણની બોડમાંથી એવોર્ડ કાઢી લાવવો એ આમ અઘરું કામ ગણાતું. પરંતુ, માત્ર આ ગાયનમાં હરિભાઇના હાવભાવ જોશો, તો સમજાશે કે તેમણે નિર્ણાયકોનું કામ  કેટલું સરળ કરી આપ્યું હતું! શુષ્ક આંખોનો ટોણો સહન કરતાં ખોટું લગાડવાનું, ભોંઠા પડવાનું અને પોતાની લાગણીશીલતા પણ દર્શાવવાની એ બધું એક સાથે કરી શકતા સંજીવ કુમારને કેટલા મિસ કરીએ છીએ! તેમને, સુચિત્રાસેનને આ ગાયનના સંગીતકાર આર.ડી.બર્મનને અને ગાયક કિશોરકુમારને એમ તમામ મહાકલાકારોને આપણે કહી શકીએ, “તેરે બિના જિંદગી ભી લેકિન, જિંદગી નહીં”!

ખાંખાખોળા!
યાદ છે ને? 
ક્યારેક ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ ધનિકો અને સ્ટાર્સનો સ્ટેટસ સિમ્બોલ ગણાતો!





13 comments:

  1. Tumhare bina cine articles, article to nahi!

    ReplyDelete
    Replies
    1. Haa...haa...haa!
      Thanks Akhtar for your appreciations. Hope you like the other articles as well.

      Delete
  2. Replies
    1. Thanks for your appreciations. Hope you like the other articles as well.

      Delete
  3. Its really interesting. Hats off !!

    ReplyDelete
    Replies
    1. Thanks Kartikey for your appreciations. Hope you like the other articles as well.

      Delete
  4. once again, very nice information. ગીત નો રસાસ્વાદ કરાવ્યો.

    ReplyDelete
    Replies
    1. આભાર... આપની પ્રશંસા વધુ સારું લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. નવા લેખો પણ આટલા જ રસથી વાંચશો એવી આશા રાખું છું.

      Delete
  5. Evergreen memories, with exclusive toppings makes it all the more delicious👍🌷

    ReplyDelete
    Replies
    1. Thanks dear Mihir your comments are always meaningful and informative.

      Delete
  6. Can you please write something about the song 'zihaal-e-miskeen mukon ba-ranjish' although this song and it's meaning are well known but would love to read your portrayal of it.Thanks !

    ReplyDelete
  7. Thanks Trupti... will try in future.

    ReplyDelete