Thursday, July 5, 2012

હેપ્પી બર્થ ડે... રજનીકુમાર પંડ્યા!

આજે રજનીકુમાર પંડ્યાનો જન્મદિન અને તે ૧૯૩૮માં જન્મયા હોઇ ૭૫મા વર્ષમાં પ્રવેશે છે! (કોઇએ એવું નોધ્યું કે ૧૯૩૮ના જે વર્ષમાં એમ જે. લાયબ્રેરીની સ્થાપના થ ઇ હતી તે જ વરસમાં આપણા કેટલા સાહિત્યકારોનો જન્મ થયો હતો? રજનીકુમાર ઉપરાંત વિનોદ ભટ્ટ, નિરંજન ત્રિવેદી અને યશવંત મહેતા પણ આ સાલ ૭૫ના થયા!)

 આમ તો ભાઇ બિનીત મોદી અને બીરેન કોઠારીના તથા ખુદ રજનીભાઇના બ્લોગ ઉપરનાં લખાણોને લીધે બ્લોગ જાહેર વાત છે. મારે તેમાં મારો રાજીપો ઉમેરવા સિવાય કશું ખાસ કરવાનું નથી. એ સૌ કરતાં મોડો છું. છતાં પણ મારે ‘બીલેટેડ હેપી બર્થ ડે’ નથી કહેવાની. કેમ કે આ લખું છું, ત્યારે અહીં કેનેડામાં હજી પાંચમીની રાત્રી છે! હકીકતમાં તો ‘ગુરૂપૂર્ણિમા’ ઉપર વિનોદ ભટ્ટની સાથે આ ‘ગુરૂ’ને પણ વંદન કરવાના હતા. વિનોદભાઇ અને રજનીભાઇ બન્ને સાથે હોય એવા ફોટા પણ વિચારી રાખ્યા હતા. પરંતુ, એ લેખ આમ પણ ધાર્યા કરતાં લાંબો થઇ જવાથી રજનીકુમાર બાકી રહ્યા હતા. મારે તેમને વિશે એકાદ લીટીમાં નહતું લખવું.
તેમને ‘ગુરૂ’ એ નામે જ ઉલ્લેખતા ઉર્વીશને કારણે રજનીકુમારને ત્યાં મારો પણ આવરો જાવરો સારો એવો રહેતો. ઉર્વીશના જ શબ્દોમાં કહું તો, થોડોક આભાર વેસ્ટર્ન રેલ્વેનો પણ ખરો. ટ્રેઇનમાં હું આણંદથી અને ઉર્વીશ મહેમદાવાદથી બેસે. 

બન્ને મણીનગર ઉતરીએ. ત્યાંથી ઉર્વીશના સ્કૂટર પર રાજદીપ ફ્લેટ જવાનું અને ગુરૂ સાથે બેઠક કરવાનું નિયમિત બને. કો’કવાર અમે વિનોદ ભટ્ટને ત્યાં કે વળી ક્યારેક અશ્વિની ભટ્ટ્ને ત્યાં પણ સાથે જઇએ. જો કે એવા સંજોગોમાં પણ  મોટેભાગે રજનીકુમારને ત્યાં થઇને જ જવાનું થાય. અમારે ત્રણેયને માટે લખવા વાંચવા ઉપરાંતનો કોમન ઇન્ટરેસ્ટ તે ફિલ્મ સંગીતનો! એવી ચર્ચાઓ અને વાતચીતોને પગલે ઉર્વીશ અને પ્રણવ  અધ્યારૂના કુશળ નિર્દેશનમાં‘આરપાર’ સાપ્તાહિકમાં  કરી શકાઇ ફિલ્મી શાયરો વિશેની મારી સિરીઝ ‘બાયોસ્કોપ’ અને તેનું જ પુસ્તક સ્વરૂપ ‘ગાતા રહે મેરા દિલ’ શક્ય બન્યું.

‘ગાતા રહે મેરા દિલ’ ના બેક કવર પેઇજ ઉપર રજનીકુમારે મારો પરિચય તો ઉદાર દિલે લખી જ આપ્યો. પણ પુસ્તક વિમોચન જેમના હાથે કરાવવાનું હતું એ ગઝલ ગાયક મનહર ઉધાસને તે માટે સંમત કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. મનહરભાઇ સાથે તેમનો નાનપણનો પરિચય. વિમોચનના દિવસોમાં મનહર ઉધાસનો કાર્યક્રમ આણંદમાં હતો. તેમને મળવા રજનીભાઇ અમદાવાદથી આવ્યા અને રેસ્ટ ઇઝ હીસ્ટ્રી! કેમ કે મનહરભાઇએ વિમોચન પછી પુસ્તકમાં આલેખાયેલા નવે નવ શાયરોનાં ત્રણ ત્રણ એમ ૨૭ હિન્દી ફિલ્મી ગીતોના અંશો ગાઇને ઓડિયન્સને ન્યાલ કરી દીધું હતું. 

છતાં રજનીકુમારની વાતચીતમાં પણ કોઇ દિવસ એ કોઇ વાતનો ઉલ્લેખ સરખો નહીં.  કેમ કે  ‘મદદ કરવી’  એ રજનીકુમારના સ્વભાવનું ‘ડીએનએ’ છે. વરસો પહેલાં મારા ફાધરને આંખની તકલીફને લીધે નવસારી આંખના દવાખાને લઇ જવાના હતા. ત્યારે તેમને મળવા વિજયા બેંકમાં ગયેલો અને વાત વાતમાં હોસ્પીટલની વાત નીકળી. તેમણે તરત ચિઠ્ઠી લખી દીધી અને ત્યાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળી. એવું જ એક વાર મુનિ આશ્રમ, ગોરજના દવાખાનાનું કામ પડ્યું અને ગુરૂના ફોને કામ પતી ગયું હતું. ફોન કરીએ એટલે “પંડ્યા બોલું છું...” એમ કહે. ક્યારેય “રજનીકુમાર બોલું છું” એમ સાંભળ્યાનું યાદ નથી. અત્યારે હેપી બર્થ ડે કહેવા ફોન કર્યો તો પણ એ જ રણકો... “પંડ્યા બોલું છું...


રજનીકુમાર સંગીતકાર આણંદજીભાઇ સાથે

રજનીકુમાર લેખક જેટલા જ સરસ વાચક! વાંચીને રાજી થાય તો લેખમાંની અગત્યની વાતો યાદ કરીને કહે જ. તેમનાં નિરીક્ષણ સચોટ જ હોય. પોતાનો મુદ્દો તેમની માફક ઓછા શબ્દોમાં કહી શકે એવા લેખકો કેટલા હશે? મને તો ઘણીવાર થાય કે રજનીકુમાર વિવેચન, સોરી સમીક્ષા, ખુબ સરસ કરી શકે.  ફિલ્મી વિગતોની જાણકારી પણ એટલી જ. એ કલાકારો સંગીતકારોના ઇન્ટર્વ્યુ પણ કરતા. તેથી મારા જેવા ઉતાવળીયાથી ક્યાંક સરતચૂક થઇ હોય તો ધ્યાન દોરવાનું પણ ના ચૂકે. 

ફિલ્મી દુનિયા અને કલાકારો વિશેનું તેમનું પુસ્તક ‘આપકી પરછાંઇયાં’ હોય કે ‘કુન્તિ’ અને ‘ચંદ્રદાહ’ જેવી સત્યકથા કે નવલકથા હોય તેમના લખાણમાં ઝબકારા સતત આવતા જ રહે..... તળપદા શબ્દોના ઉપયોગથી માંડીને વાર્તાની માંડણી અને અંતની ચમત્કૃતિ એ બધા ટ્રેડમાર્ક ઝબકાર રજનીકુમારને માસ્ટર સ્ટોરી ટેલર તરીકે એક જુદા જ સ્તર પર મૂકે છે. પણ તે કરતાં પણ વધુ  ‘સહાય કરવા સદા તત્પર’ એવા વ્યક્તિ તરીકેનું તેમનું લેવલ ખુબ ઊંચું છે. આજે ૭૫મા વર્ષના પ્રવેશ નિમિત્તે તેમના અસંખ્ય ચાહકોની સાથે આ બ્લોગના માધ્યમથી આપણે પણ તેમને હિન્દી ફિલ્મ ગીતની પંક્તિ જ કહીએ “તુમ જીયો હજારો સાલ..... સાલ કે દિન હો પચાસ હજાર!!”  

5 comments:

  1. Really liked it....as usual...:)

    ReplyDelete
  2. Happy Birthday, Rajniuncle...

    Manhar Udhas is one the most under-rated artist of this heavely industry..

    ReplyDelete
  3. Rajanibhai nu FIELD WORK ketlu to motu chhe...!

    Navu varsh aayushya ne mubaarak ho...!

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલાJuly 6, 2012 at 5:14 AM

    સલિલભાઈ, રજનીકુમાર વિશે તેમના જન્મદિવસ નિમિત્તે ત્રણ ત્રણ બ્લોગ પર લખવામાં આવે, એ વાતથી જ ખ્યાલ આવે કે રજનીકાકા એ ખરા અર્થમાં ગુરૂ છે. ને મદદ કરવી- એ તેમનો ડી.એન.એ છે, તે સાવ સાચું લખ્યું. લાગણીભીના વ્યક્તિ, પ્રેમાળ ગુરૂ રજનીકાકા ખૂબ જીવો. અમને તમારી ખૂબ જરૂર છે, વર્ષોના વર્ષો સુધી.

    ReplyDelete
  5. જૂની યાદો તાજી થઇ. નવસારીવાળી વાત આપણી વચ્ચે પણ કદી થઇ નથીઃ-))

    ReplyDelete