Thursday, July 19, 2012

રાજેશ ખન્ના: અગર તુમ ન હોતે....!


ઋણ સ્વીકાર: આ લેખ  ‘અગર તુમ ન હોતે’  દસ વરસ જૂનો છે. મુંબઇના ‘મિડ ડે’ (ગુજરાતી)ની સેટરડે સ્પેશ્યલ પૂર્તિ માટે ૨૦૦૨ના ડીસેમ્બરની ૨૮મી તારીખના અંક માટે મારી પાસે ખાસ  લખાવ્યો હતો. કેમ કે  તે દિવસે ‘કાકા’૬૦ વર્ષ પૂર્ણ કરી રહ્યા હતા. અગાઉ એક સામયિક સાથેની વાતચીતમાં રાજેશ ખન્નાએ પહેલો પુરૂષ એક વચનમાં કહેલી પોતાના જીવનની  વાતો પર  મોટેભાગે આધારિત  એવા આ લેખની સ્કેન કોપી  પણ અન્ય  સ્કેન-સાહિત્યની સાથે હું અહીં કેનેડા  લાવ્યો છું.  આ લાંબો લેખ ‘ગુજરાત ટાઇમ્સ’ના  સંપાદક અને  મિત્ર રમેશ તન્નાની ટીમે  તાત્કાલિક રાતોરાત કરીને કેનેડા મોકલ્યો હોઇ તેને  મઠારીને તૈયાર  કરવાની  પ્રક્રિયા ખાસી  સહેલી થઇ શકી છે. તેથી  ‘ખન્ના’ માટેનું  આ લેખનું  ટાઇટલ ‘તન્ના’ને કહેવાનું છે, “અગર તુમ ન હોતે”!! 



ફિલ્મોની દુનિયામાં તમારું કોઈ ભવિષ્ય નથી, હા લોખંડના ધંધામાં પડશો તો જરૂર ધન અને નામ બન્ને કમાશો.
આ શબ્દો જતીન ખન્ના નામના નાટકપ્રેમી એક્ટરને એક જ્યોતિષીએ કહેલા. કુંડળી બતાવવાનું કારણ એ હતું કે ભૂલાભાઈ દેસાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં પોતાની કોલેજના નાટકનું રિહર્સલ કરતા એ જુવાનિયાની એક્ટિંગ જોઈને ત્યાં હાજર ગીતા બાલીએ પોતાની એક પંજાબી ફિલ્મમાં તેને હીરો તરીકે લેવાની દરખાસ્ત કરી હતી.

ગીતાજી એટલે શમ્મી કપૂર જેવા એ સમયના સર્વાધિક લોકપ્રિય સ્ટારનાં પત્ની અને એક બેમિસાલ અભિનેત્રી. તેઓ ઓફર કરે ત્યારે એ ગંભીર જ કહેવાય અને કરીઅરનો મોટો નિર્ણય કરતાં પહેલાં હાથ કે કુંડળી બતાવી દેવાથી પોતાના નિર્ણયને જ્યોતિષનો સહારો મળે એવું ઘણા લોકો માનતા હોય છે. પરંતુ, અહીં તો ઉંધું બન્યું. મહારાજે એક્ટિંગમાં નહિ, સ્ટીલના બિઝનેસમાં પડવાનું કહ્યું. 

જતીન કુંડળી અને હસ્તરેખાની વિદ્યાની સલાહ અવગણીને અભિનયમાં જ ગયો અને બન્યો રાજેશ ખન્ના. હિન્દી ફિલ્મોનો સાચા અર્થનો પ્રથમ સુપરસ્ટાર (અને બોક્સ ઓફિસ આજકાલ જે રીતે વર્તી રહી છે એ જોતાં છેલ્લો સુપરસ્ટાર પણ એ જ રહેશે). યાદ તો કરો 1969, 70 અને 71નાં ત્રણ જ વરસમાં રાજેશ ખન્નાએ કઈ કઈ ફિલ્મો આપી હતી? આરાધના’, ‘દો રાસ્તે’, ‘ઇત્તફાક’, ‘ખામોશી’, ‘સફર’, ‘સચ્ચા-જુઠા’, ‘ધ ટ્રેન’, ‘આન મિલો સજના’, ‘આનંદ’, ‘કટી પતંગ’, ‘હાથી મેરે સાથી’, ‘મર્યાદા’, ‘અમર પ્રેમઅને દુશ્મન’!

બાપ રે, જાણે એક વાવાઝોડું આવ્યું. ત્યારે મુંબઈમાં કોઈ પણ સમયે તેની ત્રણ-ચાર સુપરહિટ ફિલ્મો તો ચાલતી જ હોય. આરાધનામાં ઇન્ટરવલ પછી પુત્રની ભૂમિકામાં અલગ દેખાવા માટે સામાન્ય રીતે પુરુષોમાં પાડવામાં આવતી ડાબા ખૂણાની પાંથીને બદલે રાજેશ ખન્નાએ જમણી બાજુની પાંથી પાડી અને એ ફેશન બની ગઈ. સાધનાના કપાળ ઢાંકતા વાળ અને દેવ આનંદના ગુચ્છા પછીની આ સૌથી અનુકરણીય ફેશન હતી (જેને આ લખનાર જેવા કેટલાય લોકોએ આજીવન પકડી રાખી).

અંદાઝના શુટીંગ વખતે આંખ આવવાનો રોગ મુંબઈમાં મોટા પાયે ફેલાયો હતો. એ કંજક્ટિવાઇટિસને લીધે રાજેશ ખન્નાએ ફિલ્મમાં મોટી સાઇઝનાં ગોગલ્સ પહેર્યાં. માત્ર એક ગીત ગાવા તે મહેમાન કલાકાર તરીકે અંદાઝમાં આવ્યો અને એ ગીત ઝિંદગી ઇક સફર હૈ સુહાના તથા પેલાં ગોગલ્સ બન્ને યુવા પેઢીમાં ફેશનનું નવું સ્ટેટમેન્ટ બની ગયાં (અંદાઝમાં હીરો શમ્મી કપૂર હતા, પણ પછી પોસ્ટરોમાં નાકની દાંડી પર ટેકવેલાં ગોગલ્સવાળો રાજેશ ખન્ના જ ભીંતો પર ચમકતો જોવા મળતો).

સ્ટીલના બિઝનેસને બદલે એક્ટિંગના વ્યવસાયમાં જ આવવાના પોતાના નિર્ણયને તેણે સાચો સાબિત કરી બતાવ્યો, પણ ખરેખર જો જતીન ધંધામાં ગયો હોત તો તેના શ્રીમંત પિતાને વધારે ગમ્યું હોત. રેલવેના કોન્ટ્રેક્ટર એવા ચુનીલાલ ખન્નાનો આ પુત્ર 1942ની 29મી ડિસેમ્બરે જન્મ્યો ત્યારે મા-બાપની 18 વરસની આતુરતા પછી જન્મેલો દીકરો હોવાથી નકરાં લાડકોડમાં છર્યો. તેથી તેની હઠ પિતાજીએ માની. બાકી તેને ધંધામાં જ પલોટવાનો હતો. ત્રણ-ત્રણ દીકરીઓ પછી લાંબા ઇન્તેજાર પછી આવેલા આ પુત્રની બાબરી લેવાની (મુંડનની) રસમ પણ મોડી કરવામાં આવી હતી. તેથી નાનપણમાં રાજેશ ખન્નાને છોકરીઓની માફક બે ચોટલા વાળવામાં આવતા.

બાળક જતીનને બાધા-આખડીને કારણે અમુક સમય સુધી,સીવેલાં કપડાં પણ પહેરાવવામાં આવતાં હતાં. પંજાબના અમૃતસરમાં જન્મેલા બાળક જતીનનું મૂળ નામ જીતેન્દ્ર પાડવામાં અવ્યું હતું. તે પણ કરાંચી પાસેના એક ગામે, જ્યાં ખન્નાપરિવારના કુળદેવતાનું સ્થાનક છે (એ રીતે જુઓ તો અડધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મૂળિયાં પાકિસ્તાનમાં હશે). જીતેન્દ્ર નામ પાડ્યા છતાં ઘરમાં એ સૌથી નાનો લાડકો દીકરો હોઇ બધા તેને પંજાબી પ્રથા પ્રમાણે ‘કાકા’ કહેતા. જ્યારે મોટા ભાગના લોકો જીતેન્દ્રને બદલે પંજાબી છટાથી જતીન્દ કહેતા. ત્યાંથી આવ્યું સ્કૂલનું નામ જતીન ખન્ના.

ખન્નાકુટુંબમાં રીતરિવાજ, ધર્મપાઠ વગેરેનું એટલું બધું મહત્ત્વ કે જતીનના જન્મના વરસે બાર મહિનામાં બાર વખત ચંડીપાઠ કરવામાં આવ્યા હતા. એક રાજકુમારને શોભે એવાં સિલ્કનાં કપડાં તેને કાયમ પહેરાવવામાં આવતાં અને વાર્તાઓમાં આવે છે એમ કુંવર પાણી માગે ત્યાં દૂધ હાજર કરી દેવાતું, જોકે પ્રિન્સને એ ભાવતું નહિ.  ઇન ફેક્ટ, દૂધની ભારે સૂગ હતી. બાળક જતીનને દૂધ બિલકુલ ન ભાવે. માતા લીલાવતી બે હાથ-પગ વચ્ચે દબાવી એક હાથે નાક દબાવીને દૂધ પીવડાવી જ દે. પોતાનો વહાલસોયો દૂધથી આટલો ભડકે છે શાથી? એ જાણવા ચાઈજી (અર્થાત્ માતાજી)એ એક પંડિતને પૂછ્યું અને પંડિતે ઇલાજ બતાવ્યો: જો રોજ કાળા કૂતરાને એક ગ્લાસ દૂધ પિવડાવશો તો બાળક પણ પીશે. તેથી રોજ જતીનભાઈનો દૂધ પીવાનો ટાઇમ થાય એટલે એક નોકરને સ્પેશિયલ ડ્યુટી: કાળિયા કૂતરાને ગમે ત્યાંથી ગોતી લાવવો.

જતીન ઉનાળાના એક વેકેશનમાં દિલ્હી ગયો અને સાઇકલ ચલાવતાં શીખી લીધું. નેચરલી, મુંબઈ પરત આવીને સાઇકલ માટે માગણી મૂકી. શરૂઆતમાં પિતાએ ઇનકાર કર્યો (મુંબઈ જેવા શહેરમાં સાઇકલ? ભ્ભી નહિ!). છેવટે બાળહઠનો વિજય થયો અને સાઇકલ લાવવામાં આવી.  પણ સોંપતાં પહેલાં બે શરતો કબૂલાવવામાં આવી. એક તો સાઇકલ ફેરવવાની કમ્પાઉન્ડમાં. બહાર રોડ પર જવાનું હીં. બીજું એ કે અંધારામાં ચલાવવાનીહીં. પણ એવી શરતોનું પાલન કેટલા દિવસ થાય? એક દિવસ સાહસિક રોડ પર નીકળી પડ્યો.

કલાક બે કલાક થયા. સાંજ પડી.  અંધારું થયું.  પણ સાઇકલસવારનો ક્યાંય પત્તો નહિ.  નોકરો દોડાદોડ કરે. પિતાજી રઘવાયા. માતા રડે. આખું ઘર તળે ઉપર.  પણ ક્યાંય જતીનકુમાર દેખાય જ નહિ. છેવટે રાત્રે આઠ વાગ્યે સાઇકલિસ્ટ આવી પહોંચ્યો. પોતાના જિગરના ટુકડાને સાજોસમો જોતાં જ માતા લીલાવતીએ છુટ્ટા મોંએ રડીને તેને ભેટવા હાથ પહોળા કર્યા. દોડતો બાળક માતાના આંચલમાં આશ્રય લે એ પહેલાં પિતાજીએ ઝડપી લીધો અને પછી જે ધોલાઈ કરી!

રાજેશ ખન્નાના  પિતા ચુનીબાબુ દસ વરસની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધા પછી, આપળે આગળ આવેલા માણસ હતા. કુટુંબીજનોના બોલને કારણે પત્નીને લઈને જ્યારે એ ગુસ્સામાં વતન છોડીને મુંબઈ આવ્યા ત્યારે રહેવાનું છાપરું પણ નહતું. પિયરમાં અત્યંત ધનિક પરિવાર હોવાથી લીલાવતીએ પતિના એ સ્વમાનભર્યા પણ આકરા નિર્ણયને કારણે જીવનામાં કદી નહિ વેઠેલી તકલીફો વેઠવી પડી. મુંબઇના ઠાકુરદ્વારમાં શરૂઆતમાં ભાડે રહેતી વખતે સંઘર્ષના એ દિવસોમાં ચુનીલાલ અને લીલાવતીએ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના વહાલસોયા દીકરાને કોળિયા ખવડાવ્યા હતા. આવો મોંઘો રતન જેવો લાડકો દીકરો સાઇકલ ચલાવવા જાય અને જડે નહિ તો કયા પિતાને અકળા ના થાય? (ખવડાવવાનો સોનાનો કોળિયો, પણ શિસ્ત તો જોઈએને?)

જ્યારે જતીન ખન્ના કોલેજમાં આવ્યો ત્યારે તો પરિવાર પૈસે ટકે વધારે સુખી થયું હતું. તેથી તેની પોકેટમનીની રકમ પાંચસો રૂપિયાથી વધારીને એક હજાર રૂ‚પિયા કરી દેવામાં આવી, એ રકમ તે દિવસોમાં કેટલી મોટી કહેવાય એનો અંદાજ એક જ વાત પરથી આવી શકશે કે એ દિવસોમાં બાલ્કનીની ટિકિટ ત્રણ રૂપિયામાં મળતી હતી. નો ડાઉટ, જતીન ખન્ના કોલેજના તેના ગ્રુપનો સૌથી ધનાઢ્ય વિદ્યાર્થી હતો. કોલેજ તરફથી થતાં નાટકોનાં રિહર્સલમાં ખૂણામાં ભા રહીને જોયા કરતા આ પૈસાપાત્ર કોલેજિયનને નાનું-મોટુ કામ આપવાથી ગ્રુપનાં ચા-નાસ્તાની ચિંતા મટી જતી. એટલે  એક નાટકમાં જતીનને પોલીસનો રોલ મળ્યો. તેણે એક જ વાક્ય બોલવાનું હતું  ‘ખબરદાર, નંબરદાર ભાગનેકી કોશીશ કી હૈ તો.... છતાં જતીન ભારે નર્વસ હતો. શોના દિવસે તેણે ડાયલોગ કહ્યો, ‘નંબરદાર, ખબરદાર ભાગને કી કોશીશ કી તો’. વાક્યની ઉલટા સુલટી  થઇ ગઇ હતી. ડિરેક્ટર વી. કે. શર્માજીનો પિત્તો ગયો. પણ નાટક પૂરું થતા સુધીમાં તો ભવિષ્યના આ સુપરસ્ટારે ઓડિટોરિયમ છોડી ઘરની વાટ પકડી લીધી હતી.

એ દિવસોમાં નાટકોની દુનિયામાં કાદર ખાન, સાગર સરહદી, અને વી. કે. શર્મા જેવાં મોટાં નામોની બોલબાલા હતી. એવું એક નામ બી.એસ. થાપરનું પણ હતું. એક સાંજે સંઘર્ષ કરતા કળાકારોના અડ્ડા જેવી ગેલોર્ડ હોટેલમાં થાપરસાહેબે જતીન ખન્નાને પોતાના નવા નાટકમાં હીરોની ભૂમિકા આપવાની દરખાસ્ત કરી. એટલું જ નહિ, પણ હિરોઇન સાથે એ જ સાંજે ઓળખાણ પણ કરાવી.

એ હિરોઇન એટલે રાજેશ ખન્નાની જિંદગીનું એક યાદગાર પ્રકરણ અંજુ મહેન્દ્રુ. અંજુએ રાજેશ ખન્નાને
પોલીશ કરીને સાચા અર્થમાં હીરો બનાવ્યો. આઇએનટી અને ઇપ્ટા જેવી નાટ્યસંસ્થાઓમાં કામ કરતા એક્ટરો માટે ફિલ્મોનું આકર્ષણ પણ એટલું જ રહેતું. ત્યારે પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જેવી તાલીમ આપનાર સંસ્થા જાણીતી નહતી. તે દિવસોમાં યુનાઇટેડ ફિલ્મ પ્રોડ્યુસર્સ નામની સોળ નિર્માતાઓ દ્વારા ભી કરવામાં આવેલી સંસ્થા અને ફિલ્મફેરમેગેઝિન મળીને નવા ચહેરાઓ શોધતા. ધર્મેન્દ્ર એ ટેલન્ટ કોન્ટેસ્ટમાં પસંદગી પામીને આવેલા એક્ટર હતા. તે દાખલો જોઈને એ ટેલન્ટમાં ભાગ લેવાનું અને પસંદગી પામવાનું એક મહત્વ હતું. આ બાજુ પિતાજીએ પણ એક્ટિંગ અથવા પોતાનો ફેમિલી બિઝનેસ બેમાંથી એકની પસંદગી કરી લેવા પાંચ વરસનો સમય બાંધી આપ્યો હતો. (પાંચ વરસમાં તું એક્ટર ન બની શકે તો મારી સાથે ધંધામાં લાગી જવું પડશે)

એટલે જ્યારે ફિલ્મફેરની ટેલન્ટ કોન્ટેસ્ટની જાહેરાત આવી ત્યારે અરજી કરનારા સેંકડો ઉમેદવારોમાં એક જતીન ખન્ના પણ હતો અને સૌના (ખાસ કરીને તેના પપ્પાના) આશ્ચર્ય વચ્ચે એ પસંદ પણ થઈ ગયો. યુનાઇટેડ પ્રોડ્યુસર્સમાંના એક જી. પી. સિપ્પીએ રાઝફિલ્મ માટે માસિક બે હજાર રૂ‚પિયાના પગારથી તેને સાઇન કર્યો. સવાલ આવ્યો નામનો, કેમ કે જતીનનું મૂળ નામ જિતેન્દ્ર હતું અને એ નામનો એક નવો એક્ટર ઓલરેડી આવી ચૂક્યો હતો. વળી તેમને સૌને ‘જતીન’ બહુ વજનદાર નામ લાગતું નહોતું. (મને તો ભારે લાગે છે.... મારા સાળાનું નામ જ જતિન છે અને પેલી કહેવત તો ખબર છેને? “એક તરફ જોરૂ કા ભાઇ, દુસરી તરફ સારી ખુદાઇ”!)

તેથી મામાજીએ નામ સૂચવ્યું ‘રાજેશ ખન્ના’ અને
એક સ્ટારનો જન્મ થયો. અહીં એક બીજી રસપ્રદ વાત પણ  કરી લઇએ. યુનાઇટેડ પ્રોડ્યુસર્સની એ સ્પર્ધામાં રાજેશ ખન્ના સાથે એક અન્ય કલાકાર પણ સિલેક્ટ થયો હતો. એની હાઇટ સરસ હતી. ગોરો ચિટ્ટો અને હીરોની પરંપરાગત ઇમેજમાં ફીટ થાય એવો. સામે પક્ષે આપણા ખન્નાની શારીરિક ઊંચાઇ ઓછી અને આંખો પણ ઝીણી. (શરૂઆતમાં લોકો
રાજેશ ખન્નાને કાંઇ અમસ્તા ‘ગુરખા’ નહતા કહેતા!) મોં પર ખીલની ફોલ્લીઓ. ટૂંકમાં તે દિવસોના સફળ હીરો એવા  રાજેન્દ્ર કુમાર, રાજકુમાર, શમ્મી કપૂર, દિલીપ કુમાર, રાજકપૂર, દેવ આનંદ કે સુનિલદત્ત જેવી પડછંદ કે ગોરી પર્સનાલિટી નહીં. એક સાવ સાદા ‘બોય નેક્સ્ટ ડોર’ જેવા જતિન ખન્ના!

તેથી સિપ્પી કેમ્પમાં પહેલાં એમ નક્કી થયું કે
પેલો ગોરો ઊંચો છોકરો હીરો બનશે અને જતિનભાઇ વિલન. પરંતુ, થોડાં રિહર્સલ પછી ખન્નાની એક્ટીંગ વધારે પાવરફુલ લાગી અને દિગ્દર્શક આપણા ગુજરાતી રવીન્દ્ર દવે તથા નિર્માતા જી.પી.સિપ્પીએ રોલ રિવર્સ કરી દીધા. આ વાત વરસો પહેલાં વાંચેલી છે અને તેની ખાત્રી અધિકૃત રીતે થવાની બાકી છે. પરંતુ, એ હકીકત છે કે છ ફુટીયા પડછંદ વ્યક્તિઓ જ કે ગોરા અને નીલી આંખોવાળા જ હીરો બની શકે એ માન્યતામાંથી ફિલ્મ ઉદ્યોગને બહાર લાવવામાં રાજેશ ખન્નાનું સુપર સ્ટારપણું જ મુખ્યત્વે જવાબદાર છે. જો ‘કાકા’ એ શરૂઆત ના કરી હોત તો પ્રમાણમાં ઓછી હાઇટવાળા આજના ત્રણેય ખાન શાહરૂખ, સલમાન અને આમિર કે શાહીદ
જેવા ‘કપુર’  માટે કદાચ રસ્તો એટલો આસાન ન હોત!

રાજેશ ખન્નાનો ‘યુનાઇટેડ પ્રોડ્યુસર્સ’
 સાથેનો કરાર ભારે હતો. તેમના સિવાયના બહારના નિર્માતાની ફિલ્મમાં જો એક્ટર કામ કરે તો પચાસ ટકા રકમ યુનાઇટેડ પ્રોડ્યુસર્સને આપી દેવાની રહે. મદ્રાસના નિર્માતા વાસન રાજેશને લઈને ઔરતફિલ્મ બનાવવા માગતા હતા. એના માટે યુનાઇટેડ પ્રોડ્યુસર્સની માગણી સાઠ હજાર રૂપિયાની હતી, જ્યારે વાસન ત્રીસ હજાર રૂપિયાથી વધારે ચૂકવવા નહોતા માગતા. છેવટે રાજેશ ખન્નાએ પોતાના ભાગના ત્રીસ હજાર રૂ‚પિયા છોડી દીધા અને ઔરતમાં માત્ર ત્રીસ હજાર રૂપિયામાં કામ કર્યું. એ આખેઆખી રકમ યુનાઇટેડ પ્રોડ્યુસર્સને આપી દેવી પડી. સફળતા મળ્યા પછી રાજેશ ખન્ના અને તેના નિર્માતાઓ વચ્ચેના મતભેદની કે સેટ પર આરામથી પહોંચવાને કારણે પ્રોડ્યુસરોને હેરાનગતિ થયાની વાતો જે તે સમયે વધારે ચગી હોય તો તેની પૃષ્ઠભૂમિમાં શરૂ‚આતના દિવસોમાં રાજેશ ખન્નાનું જે શોષણ થયેલું એ પણ જવાબદાર ના હોઈ શકે? સોચો ઠાકુર! (વધુ આવતી કાલે)

2 comments:

  1. યાદ આ ગયા મુજ કો ગુઝરા ઝમાના ... અદભૂત સલિલ ભાઈ ..
    ..
    ખાન/શાહિદ વી.ના સદર્ભમાં ‘કાકા’ એ શરૂઆત ના કરી હોત તો સારું થાત એવું અમારું અંગત મંતવ્ય છે ... :)

    ReplyDelete